વનવગડે વિહરે વીર : ૩૧.૨

વનવગડે વિહરે વીર : ૩૧.૨

નંદા અને મૃગાવતી

યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં કૌશાંબીનાં ઐશ્વર્યની ચર્ચા હતી . રાજા શતાનીકે અર્થ વ્યવસ્થા માટે રાજ્યના સિક્કા બનાવડાવ્યા હતા . ભારતના દરેક વેપારીની તિજોરીમાં , કૌશાંબીનો ખણખણિયો ચોક્કસ જગ્યા બનાવી ચૂક્યો હતો . જે શહેર પાસે પોતાની એક નદી હોય છે એ શહેરને સ્વર્ગ સમાન સુંદર બનતા કોઈ રોકી શકતું નથી . કૌશાંબી પાસે યમુના હતી . રાજાની ગજસેના ઘનશ્યામવર્ણી યમુનામાં જલક્રીડા કરવા ઉતરતી ત્યારે નદીમાં દરિયા જેવું તોફાન ખળભળી રહેતું . કિનારે ઊભા જ ના રહેવાય , કિલ્લા પરથી જોવાનું અને તાળીઓ પાડવાની . યુવાન હાથીઓના ગંડસ્થળ પરથી ઝરતા મદરસ , જમનામાં ભળીને જળને જોબનવંતું બનાવતા . હાથીઓનાં માથા પરથી ઉછળી ઉછળીને ભાગતાં યમુનાજળ , ચક્રવર્તીમાતાનાં ગૌરવ જેવી ચમક ધારણ કરતાં . આ જ નદીમાં અશ્વસેના ઉતરે ત્યારનો નઝારો અલગ રહેતો . ઘોડાની હણહણાટી અને પાણીનો ખળભળાટ , હજારો દૃષ્ટાઓમાં અનેરું જોશ ભરતાં .

જમનાના અતિશય લાંબાચૌડા ઘાટ પર , નગરજનો સવારથી સાંજ સુધી જોવા મળતા . કોઈ નહાય , કોઈ આરતી કરે , કોઈ ધ્યાન ધરે , કોઈ હોમહવનમાં બેસે , કોઈ સંગીત વગાડે – કોઈ સાંભળે – કોઈ નાચે . કોઈ ઉજાણી કરે , કોઈ ઓમકારના ઉદ્ઘોષ કરે . નૌકાપ્રવાસ માટે સવારસાંજ ભીડ મચતી .

અને શહેર લાખો સુખીસંપન્ન પ્રજાજનોથી ધબકતું રહેતું . નગરીમાં અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની તમામ સુવિધાઓ મળતી હોવાથી પ્રવાસી વ્યાપારીઓનો મેળો જામેલો રહેતો . પાંથશાળા અને અન્નશાળાઓ ( = સાર્વજનીન ધરમશાળાઓ/ભોજનશાળાઓ ) ક્યારેય ખાલી પડતી નહીં . ઊંચા મહેલો . મોટી હવેલીઓ . વિશાળ બાંધણીવાળી ઈમારતો . ચકચકિત પથ્થરમાર્ગો . બગીચાઓ . તળાવો . મંદિરો . વાવડીઓ . કૂવાઓ . ભરચક વૃક્ષવિસ્તારો . આવા સમૃદ્ધ શહેરમાં દેવાર્ય હતા તે ખુશીની વાત હતી . શહેરમાં ધર્મનું મોટું સન્માન હતું . દેવાર્યને વીતેલા વરસોમાં જે ઉપસર્ગો આવ્યા એવા કોઈ ઉપસર્ગો કૌશાંબીમાં હતા નહીં . દેવાર્યે કૌશાંબી જેવા ભવ્ય સ્થાનોમાં રહેવું જોઈએ , જંગલોમાં નહીં – ભક્તોનાં હૈયે આ વિચાર રમે જ .

પણ દેવાર્યને ક્યાં આરામ કરવો હતો ? કષ્ટ દેવાર્ય સુધી ન પહોંચી શકે તો દેવાર્ય કષ્ટને શોધી કાઢતા . કોઈ ઉપસર્ગ હતો નહીં . છઠને પારણે છઠ ચાલતા રહેત . કોઈ વાંધો નહોતો . લાંબા ઉપવાસનાં તપ માટે ચોમાસું હતું જ . એમ લાગતું હતું કે આરામનો સમય છે . એમાં દેવાર્યે આ અભિગ્રહ લીધો . પોષ મહિનો હતો . કૃષ્ણ પક્ષ હતો . એકમ તિથિ હતી . દેવાર્યે નિર્ધારિત ઉપવાસ કરી લીધા બાદ ભિક્ષા માટે ઘેર ઘેર જવાનું શરૂ કર્યું . કૌશાંબીવાસીઓની ખુશીનો પાર ન રહ્યો . દેવાર્ય મારાં ઘેર પારણું કરશે , આ એક વિચાર રહેતો . મને લાભ ન મળે તોય દેવાર્ય કોઈકના ઘેર પારણું કરશે જ , આ બીજો વિચાર રહેતો . પધારો પધારો – ના ઘોષ સંભળાયા . દેવાર્ય ખરેખર પધાર્યા . જોયું . અભિગ્રહને અનુરૂપ કાંઈ દેખાયું નહીં એટલે પાછા નીકળી ગયા . એ એક દિવસનો ઉપવાસ વધી ગયો , પારણું થયું નહીં . જે ઘેરથી દેવાર્ય પારણું કર્યા વિના નીકળી ગયા તે ઘેર અફસોસ ફેલાયો . મહોલ્લામાં વાત ફેલાઈ કે આજે દેવાર્યને સૂઝતો આહાર મળ્યો નહીં એટલે પારણું ના થયું . બીજા દિવસે દેવાર્ય ફરી નીકળ્યા . ગઈકાલનું જ પુનરાવર્તન થયું . દેવાર્યને ફરી ઉપવાસ . નગરજનોમાં ફરી અફસોસ . આમ ત્રીજો , ચોથો , પાંચમો દિવસ એક પછી એક નીકળતો રહ્યો અને ઉપવાસ પર ઉપવાસ ચડતા ગયા . ધીમે ધીમે આખા શહેરમાં વાત ફેલાતી ગઈ . જોતજોતામાં ચાર મહિના જેટલો સમય નીકળી ગયો . શહેરમાં જાણે હાહાકાર મચી ગયો . હજી લોકોને સમજાયું નહોતું કે આ અભિગ્રહનો મામલો છે . બધાને એમ જ હતું કે દેવાર્યને જેનો ખપ છે તે આપણે બનાવી રહ્યા નથી .

એક દિવસ દેવાર્ય નંદાનાં ઘરે પધાર્યા અને ભિક્ષા લીધા વિના પાછા નીકળી ગયા . નંદાને ભારે અફસોસ થયો . નંદા સાધારણ મહિલા નહોતી . એ કૌશાંબીના મંત્રીની પત્ની હતી . દેવાર્ય પાછા નીકળી ગયા , તે પછી એ ઘણુંઘણું રડી . રાજકાજ પતાવીને મંત્રી ઘરે આવ્યા . નંદાને મંત્રીએ રડવાનું કારણ પૂછ્યું . મંત્રીપત્નીએ મંત્રીને વાત જણાવી અને કહ્યું ` મનેં એવું લાગે છે કે દેવાર્યને કોઈ અભિગ્રહ છે , એ અભિગ્રહ પૂરો થતો નથી એટલે દેવાર્ય ભિક્ષા લીધા વિના પાછા જાય છે . ʼ

‘ જો આપણે એ અભિગ્રહ વિશે જાણકારી મેળવી શકીએ તો લાભ મળી જાયને ? ‘ મંત્રી બોલ્યા . દેવાર્ય તીર્થંકર હતા , આજે આ શહેરમાં હતા પણ એકવાર વિહાર કરીને નીકળી ગયા પછી ફરીથી પધારે કે નહીં તે પ્રશ્ન જ હતો .

‘ શું આમ – જો અને તો કરો છો . આટલા મોટા રાજ્યના સંચાલક છો , બુદ્ધિના ભંડાર ગણાઓ છો , ઈજ્જત કમાઈ છે , એનો શો મતલબ છે ? આપણને સામેથી જાણકારી આપવા કોણ આવવાનું છે ? કોઈ જ નહીં . જાણકારી આપણે જ મેળવવી પડશે કે દેવાર્યને શાનો અભિગ્રહ છે ? જો આપણને એની જાણકારી મળતી નથી તો આ મંત્રીપદું બેકાર છે , આ ઘર , આ ઐશ્વર્ય બેકાર છે ‘ નંદાએ રોષમાં જવાબ આપ્યો . મંત્રી સન્ન રહી ગયા . એમણે જાણકારી મેળવવાનો પાકો સંકલ્પ કર્યો અને નંદાને વચન પણ આપ્યું . મંત્રીને એમ હતુું કે અભિગ્રહ જાણવા મળી જશે ને બીજા દિવસે પારણુું થઈ જશે , પણ એવુું કાંંઈ થયું નહીં . મંંત્રી ચિંંતામાં પડ્યા .

મહારાણી મૃગાવતીની એક નોકરાણી વિજયા નંદાને મળવા આવી હતી તેણે આ વાર્તાલાપ સાંભળી લીધો હતો . એણે મહારાણી મૃગાવતીને આખી વાત કહી દીધી . મહારાણી એકદમ દુઃખી થઈ ગયા . મહારાજા શતાનીકે મહારાણીને અસ્વસ્થ જોયા . પૂછ્યું , કેમ આવો ચહેરો ?

મહારાણીએ મહારાજાને દેવાર્યના સમાચાર આપ્યા અને કહ્યું કે – આપની પાસે દેશવિદેશના બધા સમાચાર હોય છે . આપણા શહેરના આ સમાચાર આપની પાસે નથી ? દેવાર્ય બોલતા નથી , લોકોને જવાબ નથી આપતા , કેવળ ધ્યાનમાં જ રહે છે . પણ રોજ ભિક્ષા લેવા નીકળે જ છે . જો દેવાર્યને ઉપવાસ જ કરવો હોય તો એ ભિક્ષા લેવા શું કામ નીકળે ? દેવાર્ય જ્યાંથી પાછા નીકળે છે ત્યાં કોઈ અશુદ્ધિ થઈ હોય છે એવું પણ નથી હોતું . સૂઝતો આહાર હોય છે એ પણ દેવાર્ય સ્વીકારતા નથી . આ જરૂર કોઈ અભિગ્રહ છે . આપણે આ અભિગ્રહ વિશે કેવી રીતે જાણી શકીએ . મનેં ચિંતા થાય છે . દેવાર્ય ચાર મહિનાથી આપણાં શહેરમાં છે . અને હજી સુધી દેવાર્યે એકવાર પણ આહાર સ્વીકાર્યો નથી . આ મારી કે આપની નહીં પરંતુ આખી કૌશાંબીની નાલેશી છે . એકવારનું અન્ન પણ આપણે દેવાર્યને ન આપી શકીએ ? આપણે આટલાબધા દરિદ્ર કેવી રીતે થઈ ગયા ? મનેં તો રડવું આવે છે . ખાવાનું ભાવતું નથી . ‘

મહારાણીની આંખમાં આંસુ આવી ગયાં . મહારાજા સ્તબ્ધ અને અવાચક . દેવાર્ય લાંબા ઉપવાસ કરી રહ્યા હતા એવું મહારાજાએ માની લીધેલું . હકીકત એ હતી કે દેવાર્ય રોજ પારણું કરવા માટે ભિક્ષા લેવા નીકળી રહ્યા હતા અને દેવાર્યને લાંબા સમયથી પારણું થઈ નહોતું રહ્યું . આજે આ સમજમાં આવ્યું . મહારાજાએ દેવાર્યનાં પારણાની ચિંતા જતાવી , પારણા માટે જે કરવું પડે તે કરવાની તૈયારી બતાવી . મહારાણીએ કહ્યું :

‘ દેવાર્ય આપણા શહેરમાં પધાર્યા એ દેવાર્યનો ઉપકાર છે . દેવાર્ય માટે આખો ભારતદેશ ખુલ્લો છે . તે કૌશાંબી જ આવ્યા કેમ કે આપણામાં કશીક પાત્રતા દેખાઈ છે પ્રભુને . આજે નહીં ને કાલે એમ કરતાં ચાર મહિના નીકળી ગયા , આપણે હજી આપણી પાત્રતા સાબિત કરી શક્યા નથી . છેલ્લા ચાર મહિનામાં આપણે કેટલાં ફળ ખાધાં ? કેટલી મીઠાઈ ખાધી ? કેટકેટલું જમ્યા અને કેટલાય પીણાં ગટકાવી લીધા ? કોઈ હિસાબ નથી . અને આપણા દેવાર્યે છેલ્લા ચાર મહિનામાં એક અન્નનો દાણો મોઢામાં નાંખ્યો નથી કે એક ટીપું પાણીનું લીધું નથી . બસ , બોલવા પૂરતા રાજા કે રાણી બનીને બેઠા છીએ , આપણે . બાકી આપણી કોઈ હેસિયત નથી બચી કે દેવાર્યની ભક્તિ કરી શકીએ . શો અર્થ છે આવા રાજવટાનો ? ‘ મહારાણી ફરી રડવા લાગ્યા .

‘ આપની વાત સાચી છે , હું કશુંક કરું છું . ‘ મહારાજાએ ગદ્ગદ સાદે જવાબ આપ્યો હતો . મહારાજાએ મંત્રીને પૂછ્યું , ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્યવાદીને પૂછ્યું . અભિગ્રહને જાણવાનો માર્ગ કોઈ ન બતાવી શક્યું .

તે દિવસે મહારાજાનો ટહેલિયો ગલીએ ગલીએ ફરવા નીકળ્યો . એનો પ્રચંડ અવાજ ઘેર ઘેર ફરી વળ્યો . એ ઠેકઠેકાણે ઊભો રહ્યો . ઢોલ વાગ્યા , શંખ ફૂંકાયા . લોકો રાજાજીની આજ્ઞા કે સૂચના સાંભળવા ભેગા થયા . એ ટહેલિયો બોલ્યો :
‘ નગરજનો , સાંભળો . આપણા શહેરમાં એક દેવાંશી યોગીપુરુષ પધાર્યા છે . તેઓ મહાન્ તપસ્વી છે . તેમનું નામ છે શ્રી વર્ધમાન પ્રભુ . તેઓ ટૂંક સમયમાં તીર્થંકર થવાના છે . ખાસ વાત એ છે કે તેઓ રોજ ભિક્ષા લેવા માટે નીકળે છે પરંતુ ભિક્ષા લીધા વિના પાછા ફરે છે . મહારાજા શતાનીકને એવું લાગે છે કે આ મહાસાધકને કોઈ અભિગ્રહ છે જે પૂરો થઈ રહ્યો નથી . આપ સર્વેને શ્રી શતાનીક મહારાજા ખાસ જણાવે છે કે કૌશાંબીનાં આંગણે પધારેલા આ મહાપવિત્ર અતિથિ ભગવાનનો અભિગ્રહ પૂરો થાય તે માટે આપનાથી જે પુરુષાર્થ થઈ શકે તે કરજો . દેવાર્ય પ્રભુને પારણું થશે એનાથી મહારાજા ઘણી પ્રસન્નતા અનુભવશે . ‘

આ જાહેરાતે લોકોને ચોંકાવી દીધા : અરે દેવાર્યને અભિગ્રહ છે ? આપણને તો ખબર જ નહીં . કાલથી બરોબર ધ્યાન રાખશું . સૌ સાબદા થઈ ગયા . દરેક ચૌરાહે , દરેક બજારમાં , દરેક માર્ગ પર , દરેક ગલીમાં જુદા જુદા ટહેલિયાઓ ફરી વળ્યા . બીજા જ દિવસે દેવાર્યનો અભિગ્રહ પૂરો થઈ જશે એવું વાતાવરણ બનેલું દેખાયું . અલબત્ત . બીજા દિવસે દેવાર્ય નીકળ્યા પણ અભિગ્રહ પૂરો ના થયો . દિવસ પર દિવસ વીતતા ગયા . હવે લોકોનું ધ્યાન , અભિગ્રહ પૂરો થાય એની પર જ રહેતું છતાં પરિસ્થિતિ બદલાઈ નહીં . દેવાર્ય ભિક્ષાર્થે નીકળતા અને ભિક્ષા લીધા વિના પાછા ફરી જતા . પાંચ મહિના વીતી ગયા . છટ્ઠા મહિનાના પચીસ દિવસ પણ વીતી ગયા . આજસુધીમાં આટલા લાંબા ઉપવાસ કોઈએ જોયા નહોતા . આખું કૌશાંબી ચિંતામાં હતું કે દેવાર્યને પારણું કેવી રીતે થશે અને દેવાર્યને પારણું કોણ કરાવશે ? ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *