( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો મોટો ઉપકાર કર્યો છે . સૂરિભગવંતનાં આત્મીય આગ્રહથી આ વિસ્તૃત પ્રસ્તાવના લખાઈ છે . )
૧ . આત્મચિંતન માટે આવશ્યક છે વિશ્વ ચિંતન
જૈન દર્શન માને છે કે જીવ પૂર્વ ભવમાંથી આવ્યો અને પુનર્જન્મ લેવાનો છે . પ્રશ્ન એ થાય કે પૂર્વ ભવમાં હું ક્યાં હતો અથવા ક્યાં ક્યાં ફરીને આવ્યો છું . પ્રશ્ન એ પણ થાય કે આવતા જન્મમાં હું ક્યાં હોઈશ અથવા ક્યાં ક્યાં રખડવાનો છું . ૭૦ / ૮૦ વર્ષની આ જિંદગી એક દિવસ પૂરી થશે એ નક્કી છે . ત્યારબાદ જ્યાં જવાનું છે એનું ચિત્ર નજર સમક્ષ થોડેઘણે અંશે સ્પષ્ટ હોવું જોઈએ . અહીંથી વિશ્વ સ્વરૂપ ચિંતનની શરૂઆત થાય છે . જો હું મરીને નરકમાં જઈશ તો નરક ગતિમાં શું છે એની મને જાણકારી હોવી જોઈએ . જો હું મરીને દેવલોકમાં જઈશ તો દેવલોકમાં શું છે એનો મને ખ્યાલ હોવો જોઈએ . જો હું મરીને તિર્યંચ્ ગતિમાં જઈશ તો તિર્યંચ્ ગતિમાં કેવી કેવી અવસ્થાઓ વેઠવાની આવે છે એ મારા ધ્યાનમાં હોવું જોઈએ . જો હું મરીને મનુષ્ય લોકમાં જઈશ તો મનુષ્ય લોક કેટલો વિસ્તૃત છે એની પણ મને ખબર હોવી જોઈએ . આ ભૂમિકાથી જૈન દર્શન , વિશ્વનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે .
આપણને હજારો વિચારો સતાવે છે . વિચારોનું જોર એટલું બધું હોય છે કે સામાયિકમાં કે પ્રતિક્રમણમાં કે પછી પૂજામાં એકાગ્ર થઈ શકાતું નથી . કાઉસગ્ગમાં અને સ્વાધ્યાયમાં એકાગ્રતા જરૂરી છે . એકાગ્રતા માટે વિઝ્યુલાઈઝેશન અતિશય આવશ્યક છે . ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં ક્યાંક વિશ્વનાં સ્વરૂપનું ચિંતન ઉપયોગી બને છે . વિશ્વ વિરાટ છે . વિશ્વ અગમ અપાર છે . આ વિશ્વની સામે આપણું અસ્તિત્વ અણુથી પણ નાનું છે આવી ભૂમિકાથી શુભ વિચારણા થઈ શકે છે અને થતી રહેવી જોઈએ .
ખગોળ અને ભૂગોળ એકદમ રોચક વિષય હોય છે . જેને રસ ન પડે એને કંટાળો આવી શકે પણ જેને રસ પડે છે એની માટે આ વિષય બેહદ રોમાંચક . દરેક ધર્મોએ વિશ્વના સ્વરૂપ વિશે પોતપોતાની અવધારણા રજૂ કરી છે . વૈદિક દર્શનો એટલે કે હિન્દુ ધર્મ માને છે કે આ વિશ્વની રચના ઈશ્વર કરે છે . ખ્રિસ્તી પરંપરા માને છે કે ગૉડ દ્વારા છ દિવસમાં વિશ્વની રચના થઈ . ઈસ્લામિક પરંપરા માને છે કે આ વિશ્વ અલ્લાહે બનાવેલું છે . શીખ પરંપરા માને છે કે આ વિશ્વને વાહે ગુરુએ બનાવ્યું છે . યહૂદી પરંપરા માને છે સર્વપ્રથમ અબ્રાહમે ઈશ્વરની મરજીથી વિશ્વની રચના કરી છે . બૌદ્ધ ધર્મ નથી માનતો કે વિશ્વની રચના થઈ છે , આ ધર્મ કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે તે બધું પરિવર્તમાન ધારાનો એક અંશ છે . આજના વૈજ્ઞાનિકોએ એક બિગબેંગ થિયરી રજૂ કરી છે . તદનુસાર આજથી બાર કે ચૌદ અબજ વરસ પૂર્વે એક મહાવિસ્ફોટ થયો અને એમાંથી જગત્ , જીવજાતિ અને વિશ્વ વ્યવસ્થાઓનું ક્રમિક નિર્માણ થયું . એક ઉત્ક્રાંતિની થિયરી પણ રજૂ થઈ છે . બિગબેંગ અને ઉત્ક્રાંતિની થિયરી , સ્કૂલી સિલેબસમાં ભણાવાય છે તેથી આજની નવી પેઢી આ માન્યતા મુજબનું જ જગત્ છે એવું માને છે અને પ્રચારે છે .
જૈન પરંપરાની માન્યતા આ બધાથી અલગ છે . જૈન પરંપરા અનુસાર જગત્ શાશ્વત છે અને એની શરૂઆત કોઈ રચના દ્વારા થયેલી નથી . અન્ય તમામ માન્યતાઓ અને જૈન માન્યતા વચ્ચે જે ફરક છે તે સંબંધી તર્ક પ્રતિતર્ક કરવા બેસીએ તો એકહજાર પાનાનો ગ્રંથ ભરાય એટલી વાતો લખી શકાય . ષડ્દર્શન સમુચ્ચય જેવા ગ્રંથોમાં આ સંબંધી ચર્ચા વાંચવા મળે છે . આજના સમયની વાત કરીએ તો પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ અભયસાગરસૂરીશ્વરજી મહારાજાએ અન્ય પરંપરાઓથી જૈનદર્શન અલગ છે આ વિષય સંબંધિત વિશાળ સાહિત્યનું સર્જન કર્યું છે / કરાવ્યું છે . અને હાલમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નંદીઘોષસૂરીશ્વરજી મહારાજા પણ આ વિષય પર ઘણું જ ઉપયોગી બને એવું સાહિત્ય રચી રહ્યા છે .
આ જગતનો સમગ્ર આકાર કેેવો છે અથવા આ જગતનું સમગ્ર આકૃતિચિત્ર કેવું છે , આ એક અનોખો વિષય છે . દરેક ધર્મની પરંપરાએ આ વિશે પોતાની માન્યતા રજૂ કરી છે . જગતનું સમગ્ર આકૃતિચિત્ર કેવું છે , આ બાબતમાં જૈન દર્શન પહેલેથી સ્પષ્ટ રહ્યું છે . અન્ય દર્શનની માન્યતાઓ ખોટી છે અને અમારી માન્યતા જ સાચી છે એવા કોઈ આગ્રહ વિના જૈનદર્શને વિશ્વ સ્વરૂપનું આગવું ચિંતન રજૂ કર્યું છે . અન્ય દર્શનોની માન્યતા સાથે લડવાનું લક્ષ્ય જૈન ધર્મે રાખ્યું નથી . જૈન ધર્મ કેવળ આત્મચિંતન માટે વિશ્વ સ્વરૂપનું વર્ણન કરે છે . તમે આ સ્વરૂપને માનો ન માનો એ તમારી સ્વતંત્રતા છે . તમે આ સ્વરૂપનિરૂપણનું ખંડન કરો ન કરો એ તમારી મરજી છે . અમે તો આ સ્વરૂપને માનીશું , આ સ્વરૂપ અનુસાર ચિંતન કરીશું અને આત્માને કલ્યાણના માર્ગે ખુદને આગળ વધારીશું આ જૈન દર્શનનો અભિગમ છે .
પરલોક હોય જ નહીં એવી કલ્પના ચાર્વાક દર્શને આપી . આજના બુદ્ધિવાદીઓ પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતોની મજાક કરતા હોય છે . પણ વારંવાર એવા કિસ્સાઓ જરૂર જોવા મળે છે જેમાં પૂર્વ જન્મમાં જોવા મળેલો જીવ જ આ જનમમાં ફરીથી નવા શરીર સાથે જોવા મળ્યો છે એવું સાબિત થયું હોય . આવું ભારતમાં પણ બને છે અને ભારતની બહાર પણ બને છે . જે પરંપરા પરલોકમાં માનતી નથી એમને પણ વિશ્વનાં સ્વરૂપ વિશે પોતાની માન્યતા રજૂ કરવી જ પડી છે .
મુદ્દે , વિશ્વનાં સ્વરૂપનો વિચાર કરવો એ દરેક ધર્માત્માનું કર્તવ્ય છે . આપણે ત્યાં બાર ભાવનાઓમાં એક ભાવનાનું નામ છે , લોક સ્વભાવ ભાવના . લોક એટલે વિશ્વ . એનું ચિંતન કરવું એ દિગંતગામી પુરુષાર્થ છે . પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં , ચૌદ રાજલોક અને અઢી દ્વીપનાં ચિત્રો ઘણાબધા બન્યાં એનું કારણ આ લોક સ્વભાવ ભાવના . હાથમાં નકશો લઈને ચૌદ રાજલોક જોવાનું શરૂ કરો એટલે સૌ પ્રથમ ત્રણ વિભાગ દેખાય . અધોલોક , મધ્યલોક અને ઉર્ધ્વલોક . અધોલોકમાં નીચેથી ઉપર જુઓ તો સાતમી નરકથી માંડીને પહેલી નરક સુધીનું દૃશ્ય દેખાય . તે પછી વચોવચ મધ્યલોક દેખાય . મધ્યલોકની એકદમ વચ્ચે મેરુ પર્વત દેખાય . મેરૂ પર્વત જ્યાં જમીનને અડેલો છે ત્યાં આસપાસ મનુષ્ય લોક દેખાય . પરંતુ મેરુ પર્વતની ઊંચાઈ જ્યાં પૂરી થવા આવે . ત્યાંથી દેવલોક શરૂ થઈ જાય . સૌ પ્રથમ જ્યોતિષ દેવલોક . પછી વૈમાનિકના બાર દેવલોક . તે પછી નવ ગ્રૈવેયક . તે પછી પાંચ અનુત્તર . અને તેના પછી ઉપર તરફના અંતિમ છેડે હોય છે સિદ્ધશિલા . ૧૪ રાજલોકના પટની લોકપ્રિયતા ઘણી મોટી રહી છે . આવી જ લોકપ્રિયતા અઢીદ્વીપના પટની રહી છે . થાળી આકારનો જંબૂદ્વીપ , કંકણ આકારના સમુદ્ર , દ્વીપ , સમુદ્ર અને દ્વીપ . દરેક દ્વીપમાં ભરત , મહાવિદેહ અને ઐરવતની ભૂમિઓ અને વિધવિધ પહાડો . સમુદ્રમાં હોય જળચર જીવોનું ચિત્રાંકન . આ પ્રાથમિક આકલન છે .
હજી વિસ્તારથી ચૌદ રાજલોક અને અઢીદ્વીપ આદિ ક્ષેત્રોની જાણકારી મેળવવી હોય તો એની માટે આ અનુવાદ ગ્રંથ તમારા હાથમાં છે . પ્રાકૃત ભાષામાં વિરચિત મૂળ ગ્રંથનું નામ છે સંગ્રહણી રત્ન . અહીં આ ગ્રંથની સરળ વિવેચના થઈ છે ગુજરાતી ભાષામાં . આ ગ્રંથમાં નિરૂપિત પદાર્થોને સ્વયં શ્રી મહાવીર સ્વામી ભગવાને સમવસરણમાં પ્રકાશિત કર્યા છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાએ આ પદાર્થોને દ્વાદશાંગીમાં સંગૃહીત કર્યા છે . શ્રી શ્યામ આચાર્ય દ્વારા પન્નવણા સૂત્રમાં આ પદાર્થોનું નિરૂપણ વિસ્તારથી થયું છે . એના આધારે બૃહત્ સંગ્રહણી ગ્રંથમાં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે આ પદાર્થોની રજૂઆત કરી છે . આ ગ્રંથમાં અન્ય અન્ય ગાથાઓ પ્રક્ષિપ્ત થતી રહી તેથી ગ્રંથ ઘણો જ મોટો થઈ ગયો . આ કારણસર શ્રી ચંદ્રસૂરિજી મહારાજાએ મોટું લંબાણ ટાળીને સંક્ષેપમાં આ સંગ્રહણીની રચના કરી છે . સંઘને આ ગ્રંથના સરળ અનુવાદની અપેક્ષા હતી . અનુવાદક સૂરિભગવંતે સંઘની અપેક્ષા પૂર્તિ કરવા દ્વારા મોટું પુણ્ય કમાઈ લીધું છે .
ચાર ગતિ સંબંધી મુખ્ય મુખ્ય તમામ બાબતો આ ગ્રંથમાં સંકલિત થયેલી છે . ગ્રંથ મોટો હોય એટલે સ્વાભાવિક છે કે એમાં ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું હોય. અલગ અલગ વિષયોને ગ્રંથકાર ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે . એક પછી એક વિષય રજૂ થતા જશે એમ ગ્રંથકાર શરૂઆતમાં જણાવે છે . જે વિષય રજૂ થવાના છે તેને દ્વાર કહેવામાં આવે છે . દ્વારનો મતલબ છે કે હવે તમે આ વિષયમાં પ્રવેશ કરી રહ્યા છો , હવે તમે આ વિષયમાં પ્રવેશ કરવાના છે , હવે તમે આ વિષયમાંથી પસાર થઈ ચૂક્યા છો . જે જે વિષય વિસ્તારથી રજૂ કરવાનો હોય તે વિષયને દ્વાર કહેવામાં આવે અને જે વિષય અવાંતર વિષય તરીકે રજૂ થયો હોય તેને ઉપદ્વાર કહેવામાં આવે આ પ્રણાલી પ્રાચીન ગ્રંથકારોએ જાળવેલી છે . આ ગ્રંથમાં કુલ મળીને ૩૪ દ્વાર છે મતલબ કે આ ગ્રંથમાં ૩૪ વિષયની ચર્ચા છે .
નવ વિષય દેવગતિ સંબંધિત . નવ વિષય નરકગતિ સંબંધિત . આઠ વિષય મનુષ્યગતિ સંબંધિત . આઠ વિષય તિર્યંચગતિ સંબંધિત . જૈન દર્શન વિશ્વ વ્યવસ્થાને જે સ્વરૂપમાં વર્ણવે છે તેનો પ્રમુખ બોધ આ ૩૪ વિષયોના અભ્યાસથી આપણને મળી જાય છે .
૨ . દેવગતિ સંબંધી બોધ
દેવતા સંબંધી નવ વિષય આ મુજબ છે :
૧ .અલગ અલગ દેવતાઓનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૦૨થી માંડીને ગાથા ૧૮ સુધીમાં મળે છે .
૨ . અલગ અલગ દેવતાઓનું રહેવાનું પોતપોતાનું સ્થાન – ભવન કેવું હોય ? એની જાણકારી ગાથા ૧૯થી માંડીને ગાથા ૧૩૩ સુધીમાં મળે છે .
૩ . અલગ અલગ દેવતાઓની પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૧૩૪થી માંડીને ગાથા ૧૪૧ સુધીમાં મળે છે .
૪ . અલગ અલગ દેવતાઓ પોતપોતાના દેવલોકમાં અવતાર લે તેમાં એક દેવે અવતાર લીધો તે પછી બીજા દેવે અવતાર લીધો , આ બે દેવના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં મળે છે .
૫ . અલગ અલગ દેવતાઓ પોતપોતાના દેવલોકમાંથી પરલોક તરફ વિદાય લે તેમાં એક દેવે વિદાય લીધી તે પછી બીજા દેવે વિદાય લીધી , આ બે દેવની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૬ . એક દેવલોકમાં એક સાથે કેટલી સંખ્યામાં દેવતા અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૭ . એક દેવલોકમાંથી એક સાથે કેટલી સંખ્યામાં દેવતા વિદાય લે છે ? એની જાણકારી પણ ગાથા ૧૪૨થી માંડીને ગાથા ૧૪૬ સુધીમાં જ મળે છે .
૮ . દેવલોકમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી દેવલોકમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૧૪૭થી માંડીને ગાથા ૧૬૩ સુધીમાં મળે છે .
૯. તે તે દેવતા આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી ગાથા ૧૬૪થી માંડીને ગાથા ૧૬૫ સુધીમાં મળે છે . આ સિવાય ,
- તે તે દેવોનું અને દેવીઓની કામવાસનાનું માનસિક અને શારીરિક સ્વરૂપ શું હોય છે , એની જાણકારી ગાથા ૧૬૬ થી માંડીને ગાથા ૧૭૩ સુધીમાં મળે છે .
- તે તે દેવોની લેશ્યા કંઈ કંઈ હોય અને તે તે દેવોનાં રંગરૂપ કેવાં હોય એની જાણકારી ગાથા ૧૭૪ થી માંડીને ગાથા ૧૭૫ સુધીમાં મળે છે .
- તે તે દેવોના શ્વાસોશ્વાસ સંબંધી જાણકારી ગાથા ૧૭૬ થી માંડીને ગાથા ૧૮૦ સુધીમાં મળે છે .
- તે તે દેવોના આહાર સંબંધી જાણકારી ગાથા ૧૮૧ થી માંડીને ગાથા ૧૮૬ સુધીમાં મળે છે .
- તે તે દેવોની શરીરરચના સંબંધી જાણકારી ગાથા ૧૮૭ થી માંડીને ગાથા ૧૮૯ સુધીમાં મળે છે .
- તે તે દેવો , મનુષ્યલોકમાં શું કામ આવે અને શું કામ ન આવે , એની જાણકારી ગાથા ૧૯૦ થી માંડીને ગાથા ૧૯૨સુધીમાં મળે છે .
- તે તે દેવો , અવધિજ્ઞાન દ્વારા ક્યાં સુધી જોઈ શકે અને ક્યાં સુધી ન જોઈ શકે એની જાણકારી ગાથા ૧૯૩ થી માંડીને ગાથા ૧૯૮ સુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો દેવ ગતિ સંબંધી તમામ જાણકારી આ ગ્રંથના ગાથા ક્રમાંક ૦૦.૨થી માંડીને ગાથા ક્રમાંક ૧૯૮ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૨થી પૅજ નંબર ૧૯૧ સુધીમાં .
૩ . નરકગતિ સંબંધી બોધ
નરક સંબંધી નવ વિષય આ મુજબ છે :
૧ .અલગ અલગ નારકીઓનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૧૯૯ થી માંડીને ગાથા ૨૦૩ સુધીમાં મળે છે .
૨ . અલગઅલગ નારકીઓનું રહેવાનું પોતપોતાનું
સ્થાન – ભવન કેવું હોય ? એની જાણકારી ગાથા ૨૦૪ થી માંડીને ગાથા ૨૨૪ સુધીમાં મળે છે .
૩ . અલગઅલગ નારકીઓનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૨૨૫ થી માંડીને ગાથા ૨૩૦ સુધીમાં મળે છે .
૪ . અલગઅલગ નારકીઓ પોતપોતાની નરકમાં અવતાર લે તેમાં એક નારકીએ અવતાર લીધો તે પછી બીજા નારકીએ અવતાર લીધો , આ બે નારકીના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૫ . અલગઅલગ નારકીઓ પોતપોતાની નરકમાંથી પરલોક તરફ વિદાય લે તેમાં એક નારકીએ વિદાય લીધી તે પછી બીજા નારકીએ વિદાય લીધી , આ બે નારકીઓની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૬ . એક નરકમાં એક સાથે કેટલી સંખ્યામાં નારકીઓ
અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૭ . એક નરકમાંથી એક સાથે કેટલી સંખ્યામાં નારકીઓ વિદાય લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૩૧ થી માંડીને ગાથા ૨૩૨ સુધીમાં મળે છે .
૮ . નરકમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી નરકમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૩૨ થી માંડીને ગાથા ૨૩૬ સુધીમાં મળે છે .
( નરકમાં આવનારા તે તે જીવોને કંઈ કંઈ લેશ્યા હોય તેની જાણકારી ગાથા ૨૩૭ થી માંડીને ગાથા ૨૩૮ સુધીમાં મળે છે . )
૯ . તે તે નારકી આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? તેની જાણકારી ગાથા ૨૩૯ માં મળે છે . નરક ગતિમાં આવેલ તે તે દેવો , અવધિજ્ઞાન દ્વારા ક્યાં સુધી જોઈ શકે અને ક્યાં સુધી ન જોઈ શકે એની જાણકારી ગાથા ૨૪૦ માં મળે છે .
ટૂંકમાં કહીએ તો નરક સંબંધી નવ પ્રશ્નોના જવાબ ,આ ગ્રંથના ગાથા ક્રમાંક ૧૯૯થી માંડીને ગાથા ક્રમાંક ૨૪૦ સુધીમાં મળે છે . પૅજ નંબર ૧૯૩થી પૅજ નંબર ૨૪૩ સુધીમાં .
૪ . મનુષ્યગતિ સંબંધી બોધ
મનુષ્ય સંબંધી આઠ વિષય આ મુજબ છે :
૧ . અલગ અલગ મનુષ્યોનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૨૪૧ માં મળે છે .
૨ . અલગઅલગ મનુષ્યોનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી પણ ગાથા ૨૪૧ માં જ મળે છે .
૩ . અલગઅલગ મનુષ્યો પોતપોતાની ભૂમિ પર અવતાર લે તેમાં એક મનુષ્યે અવતાર લીધો તે પછી બીજા મનુષ્યે અવતાર લીધો , આ બે મનુષ્યના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૪૨ માં મળે છે .
૪ . અલગઅલગ મનુષ્ય પોતપોતાની ભૂમિ પરથી પરલોક તરફ વિદાય લે તેમાં એક મનુષ્યે વિદાય લીધી તે પછી બીજા મનુષ્યે વિદાય લીધી , આ બે મનુષ્યોની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૫ . મનુષ્યગતિમાં એક સાથે કેટલી સંખ્યામાં મનુષ્યો અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૬ . મનુષ્યગતિમાંથી એક સાથે કેટલી સંખ્યામાં મનુષ્યો વિદાય લે છે એટલે કે મરણ પામે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૨ માં જ મળે છે .
૭ . મનુષ્ય ગતિમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૪૩ થી માંડીને ગાથા ૨૪૪ માં મળે છે .
૮ . મનુષ્ય પોતાનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી પણ ગાથા ૨૪૯ થી માંડીને ગાથા ૨૫૮ માં મળે છે .
- ચક્રવર્તી , બલદેવ , વાસુદેવ , અને અરિહંત સંબંધી વિશેષ વાતોની જાણકારી ગાથા ૨૪૪ થી માંડીને ગાથા ૨૪૮ સુુધીમાં મળે છે .
- મનુષ્ય ગતિના તે તે જીવો મોક્ષમાં કેવી કેવી ભૂમિકાએથી જઈ શકે છે અને નથી જઈ શકતા એની જાણકારી ગાથા ૨૪૯ થી માંડીને ગાથા ૨૫૮ સુુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો મનુષ્ય સંબંધી આઠ પ્રશ્નોના જવાબ , આ ગ્રંથના ગાથા ક્રમાંક ૨૪૧ થી માંડીને ગાથા ક્રમાંક ૨૫૮ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૪૫ થી પૅજ નંબર ૨૬૪ સુધીમાં .
૫ . તિર્યંચ્ ગતિ સંબંધી બોધ
તિર્યંચ્ ગતિ એટલે કે પશુગતિ સંબંધી આઠ વિષય આ મુજબ છે :
૧ . અલગ અલગ તિર્યંચ્ જીવોનું પોતપોતાનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? એની જાણકારી ગાથા ૨૫૯ થી માંડીને ગાથા ૨૬૩ સુુધીમાં મળે છે .
( અલગ અલગ તિર્યંચ્ જીવોની સ્વકાયસ્થિતિ કેટલી હોય એની જાણકારી ગાથા ૨૬૪ થી માંડીને ગાથા ૨૬૫ સુુધીમાં મળે છે . )
૨ . અલગ અલગ તિર્યંચ્ જીવોનાં પોતપોતાનાં શરીરની ઊંચાઈ અને પહોળાઈ = અવગાહના કેટલી હોય ? એની જાણકારી ગાથા ૨૬૬ થી માંડીને ગાથા ૨૭૩નાં પૂર્વાર્ધ સુુધીમાં મળે છે .
૩ . અલગ અલગ તિર્યંચ્ જીવો પોતપોતાની ભૂમિ પર અવતાર લે તેમાં એક તિર્યંચ્ જીવે અવતાર લીધો તે પછી બીજા તિર્યંચ્ જીવે અવતાર લીધો , આ બે તિર્યંચ્ જીવના અવતારની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં મળે છે .
૪ . અલગઅલગ તિર્યંચ્ જીવ પોતપોતાની ભૂમિ પરથી પરલોક તરફ વિદાય લે તેમાં એક તિર્યંચ્ જીવે વિદાય લીધી તે પછી બીજા તિર્યંચ્ જીવે વિદાય લીધી , આ બે તિર્યંચ્ જીવોની વિદાયની વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૫ . તિર્યંચ્ ગતિમાં એક સાથે કેટલી સંખ્યામાં તિર્યંચ્ જીવો અવતાર પામે છે એટલે કે જન્મ લે છે ?એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૬ . તિર્યંચ્ ગતિમાંથી એક સાથે કેટલી સંખ્યામાં તિર્યંચ્ જીવો વિદાય લે છે ? એની જાણકારી ગાથા પણ ૨૭૩નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૭૯ સુુધીમાં જ મળે છે .
૭ . તિર્યંચ્ ગતિમાં આવનારા જીવો કંઈ કંઈ ગતિમાંથી તિર્યંચ્ ગતિમાં આવી શકે છે ? એની જાણકારી ગાથા ૨૮૧ થી માંડીને ગાથા ૨૮૨નાં પૂર્વાર્ધ સુુધીમાં મળે છે .
૮ . તિર્યંચ્ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કંઈ કંઈ ગતિમાં જઈ શકે છે ? એની જાણકારી ગાથા ૨૮૧નાં ઉત્તરાર્ધથી માંડીને ગાથા ૨૮૨ સુુધીમાં મળે છે . ૯ . તિર્યંચ્ ગતિના જીવોની લેશ્યા કંઈ કંઈ હોય છે એની જાણકારી ગાથા ૨૮૩ થી માંડીને ગાથા ૨૮૬ સુુધીમાં મળે છે .
ટૂંકમાં કહીએ તો તિર્યંચ જીવો સંબંધી આઠ પ્રશ્નોના જવાબ , આ ગ્રંથના ગાથા ક્રમાંક ૨૫૯ થી માંડીને ગાથા ક્રમાંક ૩૧૭ સુધીમાં મળે છે . પૅજ નંબર ૨૪૫ થી પૅજ નંબર ૩૧૦ સુધીમાં .
૬ . અવાંતર વિષયોનો બોધ
- ચાર ગતિના અલગ અલગ જીવોમાં , પુરુષ વેદ – સ્ત્રી વેદ – નપુંસક વેદનો ઉદય કોને કોને હોય એની જાણકારી ગાથા ૨૮૮ માં મળે છે .
- શરીર , પર્વત આદિની ઊંચાઈ / લંબાઈ / પહોળાઈ માપવા માટેનાં પ્રમાણની ગણત્રી આત્માંગુલ , ઉત્સેધાંગુલ અને પ્રમાણાંગુલ આ ત્રણ દ્વારા થતી હોય છે . તે સંબંધી જાણકારી ગાથા ૨૮૯ થી માંડીને ગાથા ૨૯૩ સુુધીમાં મળે છે .
- જીવાયોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે તે કેવી રીતે એની જાણકારી ગાથા ૨૮૯ થી માંડીને ગાથા ૨૯૯ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોનાં પોતપોતાનાં આયુષ્ય હોય છે , આ સૌનાં આયુષ્ય સાથે જોડાયેલી સાત મહત્ત્વપૂર્ણ વાતોની જાણકારી ગાથા ૩૦૦ થી માંડીને ગાથા ૩૧૧ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોની પોતપોતાની પર્યાપ્તિઓ સંબંધી જાણકારી ગાથા ૩૧૨ થી માંડીને ગાથા ૩૧૩ સુુધીમાં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોને પોતપોતાની ગતિમાં કયા કયા પ્રાણ મળે તે સંબંધી જાણકારી ગાથા ૩૧૪માં મળે છે .
- ચાર ગતિના અલગ અલગ જીવોને કેવી રીતે ચોવીશ દંડકની દૃષ્ટિએ જોઈ શકાય તેની જાણકારી ગાથા ૩૧૬ થી માંડીને ગાથા ૩૧૭ સુુધીમાં મળે છે .
- આ ગ્રંથની રચના કોણે કરી અને શેના આધારે કરી જાણકારી ગાથા ૩૧૫માં અને ગાથા ૩૧૮ માં મળે છે .
ગ્રંથકાર દરેક વિષયનું વિગતવાર નિરૂપણ કરવા કરવા માંગે છે . એમને ઝાઝું લાંબું કરવું નથી પણ તેઓ ટૂંકાણમાં કે ઉપલક રીતે રજૂઆત કરવામાં માનતા નથી . તેઓ અવાંતર વિષયને બરોબર રજૂ કરે છે . આવું જ વલણ અનુવાદકારે પણ અપનાવેલું છે .
૧ .
દેવલોક સંબંધી વાત શરૂ થાય છે અને તરત ટિપ્પણીમાં એક સરસ વાત વાંચવા મળે છે : પાંચ પ્રકારની વ્યક્તિને દેવ શબ્દ લાગુ પડે છે . જે આ ભવમાં મનુષ્ય અથવા તિર્યંચ્ છે પણ આવતા ભવમાં જે અવશ્ય દેવલોકમાં જવાના છે એમને દ્રવ્ય દેવ કહેવાય . લાખો કરોડો મનુષ્યની વચ્ચે જે રાજા તરીકે ઉત્કૃષ્ટ સામ્રાજ્ય બનાવે છે એવા ચક્રવર્તીને નરદેવ કહેવામાં આવે છે . જેઓ સાક્ષાત્ પંચ આચારનું પાલન કરે છે અને પંચ આચારનું નિરૂપણ કરે છે એવા ગુરુ ભગવંતોને ધર્મદેવ કહેવાય છે . જેઓ તીર્થંકર નામકર્મના ઉદયને અધીન રહીને દેશના આદિ આપવા દ્વારા અગણિત આત્માઓ ઉપર ઉપકાર કરે છે એમને દેવાધિદેવ કહેવાય છે . અને જે બે દેવલોકમાં અવતરિત થઈ ચૂક્યા છે અને દેવલોકમાં જ આનંદ પ્રમોદ કરી રહ્યા છે એમને ભાવદેવ કહેવાય છે . આ રીતે પાંચ પ્રકારના દેવની વાત કેવી સુંદર છે ? વાંચવી પણ ગમે અને આ ગ્રંથમાં પાંચમા પ્રકારના દેવની વાત થઈ રહી છે તે પણ તરત સમજાઈ જાય છે .
૨ .
દેવના ચાર પ્રકાર છે : ભવનપતિ , વ્યંતર , જ્યોતિષ અને વૈમાનિક . અત્યારે મિડિયાએ એવી હવા ઊભી કરી છે કે સરેરાશ મહિલાઓ પુરૂષ કરતાં વધુ લાંબું જીવે છે . આ વાત સાચી છે કે નહીં તેની પર લાંબી ચર્ચા થઈ શકે છે . પરંતુ દેવલોકમાં કંઈક જુદી જ પરિસ્થિતિ છે . દેવલોકમાં દેવ અને દેવી આ બંને જન્મ લે છે . પરંતુ દેવના મુકાબલે દેવીઓનાં આયુષ્ય ઘણાં જ ટૂંકા હોય છે .
દાખલા તરીકે ભવનપતિમાં અસુરકુમાર કક્ષાના પ્રથમ ઈન્દ્ર ચમરેન્દ્ર એક સાગરોપમ જેટલું જીવે છે . જ્યારે કે ચમરેન્દ્રની દેવી ફક્ત સાડા ત્રણ પલ્યોપમ જીવે છે . બલીન્દ્ર એક સાગરોપમ જેટલું જીવે છે પરંતુ તેમની દેવી ફક્ત સાડાચાર પલ્યોપમ જીવે છે . આ વાત એકદમ નવી લાગે છે . ક્યાં એક સાગરોપમ અને ક્યાં સાડા ત્રણ કે સાડા ચાર પલ્યોપમ ? આમ થવાનું કારણ શું હોઈ શકે ? અનુવાદકાર જણાવે છે કે દેવો પુણ્યનો ભોગવટો કરે એ જ દેવલોકનું મુખ્ય કાર્ય હોય છે . દેવીઓ ઓછા આયુષ્યની હોવાથી બદલાતી રહે અને એ રીતે દેવ પોતાનાં પુણ્યનો ઉપભોગ કરતા રહે છે .
વ્યંતર કક્ષાના દેવ જો એક પલ્યોપમનું આયુષ્ય ધરાવે છે તો ત્યાંની દેવી પોણા પલ્યોપમનું આયુષ્ય ધરાવે છે . આ વળી અલગ પરિસ્થિતિ છે .
જ્યોતિષ દેવોમાં – ચંદ્ર અને ચંદ્ર વિમાનમાં રહેનારા દેવ એક પલ્યોપમ ઉપરાંત એક લાખ વર્ષ સુધી વધુમાં વધુ જીવે છે . જ્યારે અહીંની દેવી પોણો પલ્યોપમ ઉપરાંત ૫૦.૦૦૦ વર્ષ સુધી જીવે છે . સૂર્ય , ગ્રહ , નક્ષત્ર અને તારામાં પણ દેવ અને દેવીઓનાં આયુષ્ય અલગ જોવા મળે છે .
વૈમાનિક દેવલોકમાં બે પ્રકારના દેવો હોય છે : કલ્પોપપન્ન અને કલ્પાતીત . બાર દેવલોક કલ્પોપપન્નની શ્રેણિમાં આવે છે . તેનાથી ઉપર , નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર છે , એમની ગણના કલ્પાતીતની શ્રેણિમાં થાય છે . કલ્પોપપન્ન દેવોમાં સ્વામી સેવક ભાવ , નાના મોટાનો ભેદભાવ અને કલ્યાણક આદિ પ્રસંગે જવા સંબંધી વહેવાર હોય છે . કલ્પાતીત દેવોમાં – સ્વામી સેવક ભાવ , નાના મોટાનો ભેદભાવ અને કલ્યાણક આદિ પ્રસંગે જવા સંબંધી વહેવાર હોતો નથી . બાર દેવલોકમાંથી પહેલા બે દેવલોકમાં દેવીઓ જન્મ લે છે . આ દેવીઓ બે પ્રકારની હોય છે , પરિગૃહીતા ( રાણી સમાન) અને અપરિગૃહીતા ( વેશ્યા સમાન ) . આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ દેવલોકની પરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત પલ્યોપમનું હોય છે અને પ્રથમ દેવલોકની અપરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ પલ્યોપમનું હોય છે . દ્વિતીય દેવલોકની પરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ પલ્યોપમનું હોય છે અને દ્વિતીય દેવલોકની અપરિગૃહીતા દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંચાવન પલ્યોપમનું હોય છે . પ્રથમ દેવલોકની અપરિગૃહીતા દેવીઓ , ત્રીજા – પાંચમા – સાતમા – નવમા – અગિયારમા દેવલોક સુધીના દેવો માટે ભોગસુખનું આલંબન બને છે . દ્વિતીય દેવલોકની અપરિગૃહીતા દેવીઓ , બીજા – ચોથા – છટ્ઠા – આઠમા – દસમા અને બારમા દેવલોક સુધીના દેવો માટે ભોગસુખનું આલંબન બને છે . મુખ્ય મુદ્દો એ છે કે કલ્પોપપન્ન દેવોમાં દેવીઓનું ચલણ છે પરંતુ દેવીઓનો જન્મ કેવળ , પ્રથમ અને દ્વિતીય દેવલોકમાં જ થાય છે .
તમે જોયું ? દેવોનું આયુષ્ય કેટલું હોય છે એ વિષયમાંથી શરૂ થયેલી વાત કેટલા મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ ? આવું જ દરેક વિષયમાં થાય છે .
૩.
દેવલોકમાં ચોસઠ ઈન્દ્ર છે માટે ઈન્દ્રાણી પણ ચોસઠ હશે એવું માની લેવાની જરૂર નથી . દેવલોકમાં પટરાણી તરીકે સ્થાન પામનારા ઈન્દ્રાણી બસ્સોસિત્તેર છે . કેવી રીતે ?
ભવનપતિમાં અસુરકુમારના બે ઈન્દ્ર છે , ચમરેન્દ્ર અને બલીન્દ્ર . દરેકને પાંચ પટરાણી છે . દશ . ભવનપતિમાં જ નાગકુમારની નવ નિકાયના અઢાર ઈન્દ્ર છે . દરેકને છ પટરાણી છે . એકસો આઠ .
વ્યંતર નિકાયના સોળ ઈન્દ્ર છે અને વાનવ્યંતર નિકાયના સોળ ઈન્દ્ર છે . દરેકને ચાર પટરાણી છે . એકસો અઠ્યાવીસ .
જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રના બે બે ઈન્દ્ર છે . દરેકને ચાર પટરાણી છે . આઠ .
વૈમાનિકમાં પ્રથમ અને દ્વિતીય દેવલોકમાં એક એક ઈન્દ્ર હોય છે . દરેકને ચાર પટરાણી છે . આઠ .
૪.
બાર દેવલોક છે એમ જાણ્યા બાદ આપણને એમ લાગે કે એકની ઉપર એક એમ બાર લાઈન હશે . ગ્રંથકાર જણાવે છે કે બાર દેવલોકમાં કુલ મળીને બાસઠ લાઈન છે . લાઈનને શાસ્ત્રશુદ્ધ ભાષામાં પ્રતર કહી શકાય . પ્રથમ અને દ્વિતીય દેવલોક સમાંતરે છે . એ બેયના મળીને તેર પ્રતર હોય છે . ત્રીજા ચોથા દેવલોકના મળીને કુલ બાર પ્રતર હોય છે . પાંચમા દેવલોકના કુલ છ પ્રતર હોય છે . છટ્ઠા દેવલોકના કુલ પાંચ પ્રતર હોય છે . સાતમા દેવલોકના ચાર પ્રતર હોય છે . આઠમા દેવલોકના ચાર પ્રતર હોય છે . નવમા અને દસમા દેવલોકના મળીને કુલ ચાર પ્રતર હોય છે . આરણ અને અચ્યુત દેવલોકમાં કુલ મળીને ચાર પ્રતર હોય છે . નવ ગ્રૈવેયકના નવ પ્રતર હોય છે અને પાંચ અનુત્તર એક જ લાઈનમાં હોવાથી પાંચ અનુત્તરનો પ્રતર એક જ હોય છે .
મનુષ્ય લોકથી સિદ્ધશિલા તરફ જવાના રસ્તે પહેલાં બાર દેવલોક આવે છે , તે પછી નવ ગ્રૈવેયક આવે છે , તે પછી પાંચ અનુત્તર આવે છે . નીચેથી ઉપર તરફ જતી વખતે પહેલો દેવલોક પસાર કરીએ ત્યારે પ્રથમ દેવલોકનાં તેર પ્રતર પસાર કરવા પડે .
બીજી રીતે કહીએ તો ભારત દેશની કન્યા કુમારી સરહદથી કાશ્મીર સરહદ સુધી જવા માટે જેમ જુદા જુદા રાજ્યમાંથી પસાર થવું પડે છે તેમ પ્રથમ દેવલોકમાં નીચેથી ઉપર સુધી જવું હોય તો તેર પ્રતર પસાર કરવા પડે છે . જે રીતે દરેક દેેશનાં જુુદા જુદા રાજ્ય હોય છે એ જ રીતે અન્ય દેવલોકનાં પણ જુુદા જુદા પ્રતરો હોય છે .
તે તે દેવ , જે પ્રતરમાં હોય છે તદનુસાર એનું આયુષ્ય નિર્ધારિત થાય છે . ભવનપતિ , વ્યંતર અને જ્યોતિષમાં પ્રતર નથી .
૫.
આપણે ચોસઠ ઈન્દ્ર , એમ બોલીએ છીએ ત્યારે ભવનપતિના વીસ ઈન્દ્ર , વ્યંતરના સોળ ઈન્દ્ર , વાણ વ્યંતરના સોળ ઈન્દ્ર , જ્યોતિષના બે ઈન્દ્ર અને વૈમાનિકના દશ ઈન્દ્ર ગણનામાં આવે છે . આમાં ભવનપતિના વીસ ઈન્દ્ર આ મુજબ છે :
- અસુર કુમારના બે ઈન્દ્ર : ચમર અને બલી . આમનો શરીર વર્ણ શ્યામ હોય છે . વસ્ત્રનો રંગ લાલ .
- નાગ કુમારના બે ઈન્દ્ર : ધરણ અને ભૂતાન . આમનો શરીર વર્ણ અતિશય શ્વેત હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
- સુવર્ણ કુમારના બે ઈન્દ્ર : વેણુદેવ અને વેણુદાલી . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ ધોળો .
+વિદ્યુત્ કુમારના બે ઈન્દ્ર : હરિકાંત અને હરિસહ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+અગ્નિ કુમારના બે ઈન્દ્ર : અગ્નિશિખ અને અગ્નિ માનવ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો . - દ્વીપ કુમારના બે ઈન્દ્ર : પૂર્ણ અને વિશિષ્ટ . આમનો શરીર વર્ણ લાલ હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+ઉદધિ કુમારના બે ઈન્દ્ર : જલકાંત અને જલપ્રભ . આમનો શરીર વર્ણ અતિશય શ્વેત હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+દિશિ કુમારના બે ઈન્દ્ર : અમિતગતિ અને અમિતવાહન . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ ધોળો .
+વાયુ કુમારના બે ઈન્દ્ર : વેલંબ અને પ્રભંજન . આમનો શરીર વર્ણ વૃક્ષ જેવો લીલો હોય છે . વસ્ત્રનો રંગ લીલો .
+સ્તનિત કુમારના બે ઈન્દ્ર : ઘોષ અને મહાઘોષ . આમનો શરીર વર્ણ સોનેરી પીળો હોય છે . વસ્ત્રનો રંગ સંધ્યાસમયના આકાશ જેવો .
( દરેેકમાં પ્રથમ ઈન્દ્ર દક્ષિણમાં રહે છે , દ્વિતીય ઈન્દ્ર ઉત્તરમાં રહે છે . )
વ્યંતરના સોળ ઈન્દ્ર આ મુજબ છે .
+પિશાચ વ્યંતરના બે ઈન્દ્ર . કાલ અને મહાકાલ . શરીરનો વર્ણ સહેજ શ્યામ .
+ભૂત વ્યંતરના બે ઈન્દ્ર . સુરૂપ અને પ્રતિરૂપ . શરીરનો વર્ણ અતિશય શ્યામ .
+યક્ષ વ્યંતરના બે ઈન્દ્ર . પૂર્ણભદ્ર અને માણિભદ્ર . શરીરનો વર્ણ સહેજ શ્યામ .
+રાક્ષસ વ્યંતરના બે ઈન્દ્ર . ભીમ અને મહાભીમ . શરીરનો વર્ણ ધોળો .
+કિંનર વ્યંતરના બે ઈન્દ્ર . કિંનર અને કિંપુરૂષ . શરીરનો વર્ણ લીલો .
+કિંપુરુષ વ્યંતરના બે ઈન્દ્ર . સત્ પુરુષ અને મહાપુરુષ . શરીરનો વર્ણ ધોળો .
+મહોરગ વ્યંતરના બે ઈન્દ્ર . અતિકાય અને મહાકાય . શરીરનો વર્ણ શ્યામ .
+ગંધર્વ વ્યંતરના બે ઈન્દ્ર . ગીતરતિ અને ગીતયશ . શરીરનો વર્ણ શ્યામ .
વ્યંતર અંતર્ગત વાણવ્યંતરના સોળ ઈન્દ્ર આ મુજબ છે .
+અણપન્ની વાણવ્યંતરના બે ઈન્દ્ર . સંનિહિત અને સામાન .
+પણપન્ની વાણવ્યંતરના બે ઈન્દ્ર . ધાતા અને વિધાતા .
+ઋષિવાદી વાણવ્યંતરના બે ઈન્દ્ર . ઋષિ અને ઋષિપાલ .
+ભૂતવાદી વાણવ્યંતરના બે ઈન્દ્ર . ઈશ્વર અને મહેશ્વર .
+કંદિત વાણવ્યંતરના બે ઈન્દ્ર . સુવત્સ અને વિશાલ .
+મહાકંદિત વાણવ્યંતરના બે ઈન્દ્ર . હાસ્ય અને હાસ્ય રતિ.
+કોહંડ વાણવ્યંતરના બે ઈન્દ્ર . શ્વેત અને મહાશ્વેત .
+પતંગ વાણવ્યંતરના બે ઈન્દ્ર . પતંગ અને પતંગ ગતિ .
જ્યોતિષના બે ઈન્દ્ર આ મુજબ છે .
સૂર્ય અને ચંદ્ર .
વૈમાનિકના દશ ઈન્દ્ર આ મુજબ છે .
સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર .
ઈશાન દેવલોકનો ઈન્દ્ર .
સનત્ કુમાર દેવલોકનો ઈન્દ્ર .
માહેન્દ્ર દેવલોકનો ઈન્દ્ર .
બ્રહ્મલોક દેવલોકનો ઈન્દ્ર .
લાંતક દેવલોકનો ઈન્દ્ર .
મહાશુક્ર દેવલોકનો ઈન્દ્ર .
સહસ્રાર દેવલોકનો ઈન્દ્ર .
આનત અને પ્રાણત દેવલોકની વચ્ચે એક જ ઈન્દ્ર .
આરણ અને અચ્યુત દેવલોકની વચ્ચે એક જ ઈન્દ્ર .
( ગ્રૈવેયક અને અનુત્તરમાં ઈન્દ્રની ભૂમિકા હોતી નથી . )
૬.
અલગ અલગ દેવલોકના દેવો ભેગા થાય છે ત્યારે કયો દેવ , કયા દેવલોકનો છે એ ખબર કેવી રીતે પડે ? દરેક દેવલોકના દેવની એક નિશાની નિશ્ચિત છે . આ નિશાની એટલે ચિહ્ન . પ્રત્યેક દેવલોકના દેવની નિશાની એના મુગુટમાં બનેલી હોય છે .
પ્રથમ દેવલોકના દેવોના મુગુટમાં મૃગનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . બીજા દેવલોકના દેવોના મુગુટમાં પાડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . તૃતીય દેવલોકના દેવોના મુગુટમાં વનવિહારી વરાહનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . ચતુર્થ દેવલોકના દેવોના મુગુટમાં સિંહનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . પંચમ દેવલોકના દેવોના મુગુટમાં બકરાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . છટ્ઠા દેવલોકના દેવોના મુગુટમાં દેેડકાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . સાતમા દેવલોકના દેવોના મુગુટમાં ઘોડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . આઠમા દેવલોકના દેવોના મુગુટમાં હાથીનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . નવમા દેવલોકના દેવોના મુગુટમાં સાપનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . દશમા દેવલોકના દેવોના મુગુટમાં ગેંંડાનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . અગિયારમા દેવલોકના દેવોના મુગુટમાં બળદનું ચિહ્ન અંકિત થયેલું હોય છે . બારમા દેવલોકના દેવોના મુગુટમાં મૃૃગવિશેેષનું ચિહ્ન અંકિત થયેલું હોય છે .
અહીં પ્રશ્ન થાય છે કે ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને મુગુટમાં કયાં ચિહ્ન હોય ? જવાબ જાણવા જેવો છે : ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને પોતાના નિવાસથી બહાર જવાની આવશ્યકતા હોતી નથી . જેમને બહાર નીકળવાનું કામ પડે તેમને બહારના દેવોને પોતાની ઓળખ બતાવવા માટે ચિહ્ન રાખવું પડે છે . ગ્રૈવેયક અને અનુત્તરના દેવોને બહાર જવાનું જ નથી તો ઓળખાણ ચિહ્નની એમને જરૂર જ નથી .
૭.
સૌધર્મ દેવલોકના દેવ અને ઈશાન દેવલોકના દેવ વચ્ચે ક્યારેક યુદ્ધ થાય છે . ઈન્દ્ર અને અન્ય દેવને જખમ પણ થાય છે અને એની પીડા પણ હોય છે . આ જખમ અને પીડા શેનાથી મટે ? ઈન્દ્રની સુધર્મા સભામાં માણવક ચૈત્ય છે . તેમાં એક મંજૂષામાં તીર્થંકરની કાયાની દાઢા રાખેલી હોય છે . એ દાઢાનાં ન્હવણજળથી જખમ અને પીડા મટે છે . એ દાઢાનાં ન્હવણજળના પ્રભાવે ગુસ્સો પણ નાશ પામે છે . આમ હોવાને લીધે દેવો આ માણવક ચૈત્યમાં દેવીસંંગે આનંદ પ્રમોદ કરવાનું સભાનતાપૂર્વક ટાળે છે .
૮.
દેવતાઓ આહાર ગ્રહણ ક્યારે કરે ? આ સમજવાનું સરળ સમીકરણ આ મુજબ છે . જે દેવોનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેટલા પખવાડિયા બાદ શ્વાસોશ્વાસ લે અને એટલા હજાર વરસે એને આહાર ગ્રહણની ઈચ્છા થાય . જેમ કે ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય તો ૩૩ પખવાડિયે શ્વાસોશ્વાસ લે અને ૩૩ હજાર વરસે આહારની ઈચ્છા થાય . જે દેવનું દશ હજાર વરસનું આયુષ્ય હોય તેને એક અહોરાત્ર પછી આહાર ગ્રહણની ઈચ્છા થાય . જેમનું આયુષ્ય દશ હજાર વરસથી વધારે અને એક સાગરોપમથી ઓછું હોય તેમને સરેરાશ ૨ થી ૯ દિવસે આહાર ગ્રહણ કરે અને ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોશ્વાસ લે . ઝીણવટથી વિચારીએ તો દરેક દેવલોકનાં આયુષ્ય મુજબ જુદા જુદા આંકડા મળે છે .
૯ .
દેવતાઓ ચાર કારણે મનુષ્ય લોકમાં આવે :
૧ . તીર્થંકરનાં કલ્યાણકની ઉજવણી માટે .
૨ . મહાન્ ઋષિની તપસ્યાથી આકર્ષણ પામીને .
૩ . પૂર્વભવના સ્નેહનાં સ્મરણથી .
૪ . નિયત પ્રકારના દ્વેષથી.
દેવતાઓ ચાર કારણે મનુષ્ય લોકમાં ન આવે :
૧ . દેવ દેવી અરસપરસ પ્રેમાનુબંધમાં મગ્ન હોવાને લીધે . ૨ . દેવતાઈ આનંદમાં ડૂબેલા હોવાને લીધે .
૩ . મનુષ્ય લોક માં આવવાનું કારણ ન હોવાથી . ૪ . મનુષ્યની કાયાની અશુચિમય દુર્ગંધથી દૂર રહેવા માટે .
દેવગતિ સંબંધી આ બધી જાણકારીઓ આપણા માટે બિલકુલ નવી છે . આપણે કલ્પના પણ ન કરી શકીએ કે દેવલોકમાં આવું બધું પણ હોઈ શકે અને દેવલોકની વાતો આવી રીતે પણ જાણવા મળી શકે . જેમ દેવલોકની વાતોમાં ઘણી વાતો નવી છે તે જ રીતે ગ્રંથકારે સંગૃહીત કરેલી નરક ગતિ , મનુષ્ય ગતિ અને તિર્યંચ્ ગતિની વાતો ઘણી નવી છે.
૭ . ગ્રંથકારનો પરિચય
એક ગ્રંથકાર ગ્રંથ રચના કરવા બેસે ત્યારે એની પાસે સૌપ્રથમ તો રચના શક્તિ હોવી જોઈએ . છંદમાં લખવાની આવડત ન હોય તો ગ્રંથકાર બની શકાતું નથી . વળી ગ્રંથકારે પ્રાકૃત અથવા સંસ્કૃત ભાષામાં લખવાનું હોય છે . પ્રાકૃત અથવા સંસ્કૃત ભાષાની પકડ ન હોય તે ગ્રંથકાર બની ન શકે અને ગ્રંથકાર બની ન શકાય . ભાષાની પકડ વિનાના જે ગ્રંથ રચના કરે તેમનો તે ગ્રંથ ઉપાદેય અને સન્માનનીય બની શકતો નથી . આ ગ્રંથની ભાષા મહારાષ્ટ્રીય પ્રાકૃત છે . આ ગ્રંથમાં પ્રયોજિત છંદ છે આર્યા . છંદ અને ભાષાનું પોતાનું મહત્ત્વ તો છે જ . મુખ્ય વિશેષતા એમણે રજૂ કરેલા પદાર્થોમાં જોવા મળે છે. સાવ સરળ ભાષામાં એમણે ગાથાઓ રચી છે . ગ્રંથના પ્રારંભે કે ગ્રંથના અંતમાં ગ્રંથકારે કવિત્વમય રજૂઆત બિલકુલ નથી કરી . ગ્રંથકાર આ બાબતમાં સ્પષ્ટ છે . તેમને વિષય નિરૂપણ કરવું છે . દરેક વિષયની રજૂઆત કરવામાં તેમણે અદ્ભુત કુશળતા દાખવી છે . ચાર ગતિનું વર્ણન તમે લોકપ્રકાશ ગ્રંથમાં વાંચો તો હજારો હજારો શ્લોકો સુધી ફેલાય છે . એ જ ચાર ગતિનું વર્ણન કરવા માટે આ ગ્રંથકારે કેવળ ૩૧૮ ગાથાઓનો ઉપયોગ કર્યો છે . ઓછા શબ્દમાં ઘણું બધું કહી દેવું એ પણ કળા છે અને ઓછા શબ્દમાં બધું જ કહી દેવું એ પણ કળા છે. ગ્રંથકાર આવી રચનાકલાના સ્વામી છે .
જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ – ના ચોથા ભાગમાં ડૉ. મોહનલાલ મહેતા અને પ્રો. હીરાલાલ કાપડિયા જણાવે છે કે આ ગ્રંથ શ્રી સંક્ષિપ્ત સંગ્રહણી અથવા સંગ્રહણીરત્ન તરીકે પ્રસિદ્ધ છે . શ્રીચંદ્રસૂરિજી મહારાજા દ્વારા આ ગ્રંથની રચના થઈ છે . એમના ગુરુનું નામ છે મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા . શ્રીચંદ્રસૂરિજી મહારાજાએ વિ.સં.૧૧૯૩માં શ્રી મુનિસુવ્રત ચરિત્ર ( ભાષા : પ્રાકૃત ) ની રચના કરી હતી . આ સિવાય એમણે શ્રી ક્ષેત્રસમાસ ( ભાષા : પ્રાકૃત )ની રચના પણ કરી છે . શ્રીચંદ્રસૂરિજી મહારાજા ગૃહસ્થ અવસ્થામાં , લાટદેશના તત્કાલીન કોઈ રાજાના મુદ્રાધિકારી મંત્રી હતા .
આ ગ્રંથની ઉપયોગિતા અને લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે પ્રસ્તુત ગ્રંથ ઉપર બે ટીકા , બે અવચૂરિ અને બે બાલાવબોધ લખાયા છે .
૧ . શ્રીચંદ્રસૂરિજીસ્વશિષ્યશ્રીદેવભદ્રસૂરિજીકૃત સંસ્કૃત ટીકા
૨ . અજ્ઞાત કર્તૃક ટીકા
૩ . શ્રી ધર્મનંદનગણિ કૃત અવચૂરિ
૪ . શ્રી ચારિત્રમુનિ કૃત અવચૂરિ
૫ . શ્રી દયાસિંહગણિ કૃત બાલાવબોધ (વિ.સં.૧૪૯૭)
૬ . શ્રી શિવનિધાન ગણિ કૃત બાલાવબોધ (વિ.સં.૧૬૮૦)
જે વિશાળ વિષયની ચર્ચા સંગ્રહણીરત્ન ગ્રંથમાં કરવામાં આવી છે એ જ વિષયને લગતા અન્ય ગ્રંથો પણ છે .
૧ . જીવ સમાસ . કર્તા : અજ્ઞાત
૨ . જીવ વિચાર . કર્તા : શ્રી શાંતિસૂરિજી મહારાજા
૩ . પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણિ . કર્તા : શ્રી અભયદેવસૂરિજી મહારાજા
૪ . જીવાજીવાભિગમસંગ્રહણિ ( અપ્રકાશિત )
૫ . જંબૂદ્વીપ સમાસ . કર્તા : શ્રી ઉમાસ્વાતિજી મહારાજા
૬ . સમય ક્ષેત્ર સમાસ . કર્તા : શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
૭ . લઘુ ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી રત્નશેખરસૂરિજી મહારાજા
૮ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી દેવાનંદ
૯ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી સોમતિલકસૂરિજી મહારાજા
૧૦ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી પદ્મદેવસૂરિજી મહારાજા
૧૧ . ક્ષેત્રસમાસ . કર્તા : શ્રી શ્રીચંદ્રસૂરિજી મહારાજા
૧૨ . જંબૂદ્વીપ સંગ્રહણિ . કર્તા : શ્રી હરિભદ્ર સૂરિજી મહારાજા
૧૩ . બૃહત્ સંગ્રહણિ . કર્તા : શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ
૧૪ . ક્ષેત્રલોકપ્રકાશ. કર્તા : શ્રીવિનયવિજયજી વાચક
આ દરેક ગ્રંથ પદાર્થ નિરૂપણમાં થોડેઘણે અંશે એકબીજાની સાથે મળતા આવે છે .
૮ . અનુવાદકની અનુમોદના
જ્ઞાની ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી સંગ્રહણીરત્ન ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો મોટો ઉપકાર કર્યો છે . જોકે , આ ગ્રંથનું સૌ પ્રથમ વાર ભાષાંતરસમેત સંપાદન અને પ્રકાશન પંડિત અમૃતલાલ પુરુષોત્તમદાસે કર્યું હતું . એની તમામ નકલો પૂરી થઈ ગઈ તે પછી , આ જ સૂરિદેવે , પૂ. મુનિરાજ શ્રી રત્નજ્યોતવિજયજી મ. તરીકે તેનું યથાવત્ પુનઃ પ્રકાશન કરાવ્યું હતું , આજથી વીસ વરસ પહેલાં . એની પણ તમામ નકલો પૂરી થઈ ગઈ અને ફરીથી પ્રકાશન કરવાનો પ્રસંગ આવ્યો . સૂરિદેવે વિચાર કર્યો કે We can do better . આ જ ભાવનાપૂર્વક એમણે અનુવાદને મઠાર્યો . ખૂબ જ ઉપયોગી એવું સારગ્રાહી વિવેચન કર્યું . જુદા જુદા કોષ્ટક બનાવ્યાં . ગણિતના લાંંબા લાંબા અંક તૈયાર કર્યા . સરસ ચિત્રો બનાવડાવ્યાં . કેટલીય જગ્યાએ પોતાની સ્વતંત્ર નોંધ ઉમેરી . આને લીધે આ ગ્રંથ કેવળ અનુવાદ ગ્રંથ ન રહ્યો બલ્કે વિવેચનાથી સમૃદ્ધ એવો એક સંદર્ભ ગ્રંથ બની ગયો . સૂરિદેવના પુરુષાર્થને લીધે આ એક ગ્રંથમાં જ અનેક ગ્રંથ સંબંધિત બોધ ઉપલબ્ધ થઈ ગયો છે . નમ્રતા સૂરિદેવની કેવી છે તે જુઓ . આ ગ્રંથનું પૂરેપૂરું સંશોધન તેમણે , મહાન્ શાસનપ્રભાવક પૂ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિભગવંત શ્રી ગુણહંસવિજયજી મ.સા.ના શિષ્ય મુનિરાજ શ્રી શીલગુણવિજયજી દ્વારા કરાવ્યું છે . આ સંશોધન કરવાનો લાભ જે મહાત્માને મળ્યો એમની પુણ્યાઈ મોટી . ખુશીની વાત એ છે કે આ સંપૂર્ણ ગ્રંથની હિંદી આવૃત્તિ પણ સૂરિદેવનાં માર્ગદર્શનમાં બનવાની છે . સૂરિદેવના જ્ઞાનગર્ભિત શાસ્ત્રરસની અઢળક અઢળક અનુમોદના . ગીતાર્થો , વિદ્વાનો , જિજ્ઞાસુઓ , અધ્યેતાઓ અને વિદ્યાર્થીઓને ઉત્તમ જ્ઞાનસામગ્રી પૂરી પાડવી એ આચાર્યભગવંતોની પ્રમુખ જવાબદારી હોય છે . સૂરિદેવના હાથે એ જવાબદારીનું સમ્યગ્ નિર્વહન થયું છે . સૂરિદેવના હાથે આવા અનેક અનુવાદ ગ્રંથ અને વિવેચન ગ્રંથ શ્રી સંઘને મળતા રહે એવી શ્રી તીર્થંકર પરમાત્માને પ્રાર્થના .
( લેખન તિથિ : શ્રાવણી પૂનમ / વિ.સં.૨૦૭૮ /૧૨.૮.૨૦૨૨ )