વનવગડે વિહરે વીર ૨૮.૪

વનવગડે વિહરે વીર ૨૮.૪

સવારે દેવાર્ય ત્યાંથી નીકળ્યા . સંગમે જોયું . એને થયું કે દેવાર્યને દુઃખથી થાકેલા જોઉં નહીં ત્યારસુધી મારી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય . એણે દેવાર્યના વિહારમાર્ગ પર પોલી રેતી પાથરી દીધી . દેવાર્ય ચાલ્યા એટલે એમના પગ ઘૂંટણસુધી રેતીમાં ખૂંપવા લાગ્યા . એક એક પગલું ઘૂંટણસુધીની રેતીમાં ફસાતું . આમાં ચાલવાનો શ્રમ મોટો થઈ ગયો અને ચાલવાની ગતિ એકદમ ધીમી પડી ગઈ . દેવાર્ય થાકીને કે કંટાળીને રસ્તો બદલવા જાય એમાં સંગમની જીત હતી કેમ કે થાકવું કે કંટાળવું એ સાધનાનો દોષ છે , સમતાનો ભંગ છે , પ્રસન્નતાની હાનિ છે . દેવાર્ય એ જ રસ્તે મંથરવેગે ચાલતા ગયા .

રસ્તામાં અચાનક ચોરોની એક ટોળી આવી . પાંચસો જેટલા ચોર હશે . સૌ દેવાર્યને જડભરતની જેમ ચીપકવા લાગ્યા . એક એક ચોર , હાડકા ભાંગી જાય એટલા જોરથી દેવાર્યને દબાવતો અને પીડા નીપજાવતો . આ સંગમની ટોળીને લીધે વિહાર હજી વધારે ધીમો થયો . લાંબા સમયે નિર્ધારિત મુકામે પહોંચ્યા : વાલુકાગ્રામ . આ નામ પરથી જ સંગમને રેતીવાળો ઉપસર્ગ કરવાનું સૂઝ્યું હશે ? પ્રભુ જાણે .

સંગમે હવે પછીના દિવસોમાં પોતાની વૈક્રિય લીલાથી લોકોને વારંવાર એવા દૃશ્ય દેખાડ્યા જેમાં દેવાર્ય કશુંક ગલત કરતા હોય એવું દેખાય . દર વખતે દેવાર્યની ભરપૂર બેઈજ્જતી થઈ .

દેવાર્ય વાલુકા ગામમાં ભિક્ષાર્થે પધાર્યા . સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓને વિચિત્ર આંખે જુએ છે . ( સંદર્ભ : આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૦૬ ) . પુરુષો દેવાર્યને મારવા લાગ્યા .
દેવાર્ય એ ગામથી નીકળી ગયા . સુભૌમ ગામે આવ્યા . સંગમે અહીં પણ ગામવાસીઓને દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓને વિચિત્ર આંખે જુએ છે અને અહીં પણ પુરુષો દેવાર્યને મારવા લાગ્યા . દેવાર્ય એ ગામથી પણ નીકળી ગયા . સુક્ષેત્રા ગામે આવ્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય તરૂણીઓની સમક્ષ વિટચેષ્ટા ( પાવૈયા જેવી હરકતો ) કરે છે . અહીં પણ પુરુષો દેવાર્યને મારવા લાગ્યા . જોકે , દેવાર્ય આવુંકશું કરતા નહોતા . બધો ખેલ સંગમની વૈક્રિયલીલાનો હતો પરંતુ દેવાર્યને ભરપૂર હીણપત અને બદનામી વેઠવી પડી .

દેવાર્ય ત્યાંથી નીકળીને મલય ગામે પધાર્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય ગાંડા માણસની જેમ અવિવેકી અને અનુચિત વર્તન કરીને મહિલાઓને અને નાના બાળકોને ત્રાસ આપે છે . પુરુષોએ અને યુવાનોએ દેવાર્યને હડધૂત કરી દીધા . દેવાર્ય અહીંથી નીકળીને હસ્તિશીર્ષ ગામે આવ્યા . અહીં સંગમે ગામવાસીઓને એવું દેખાડ્યું કે દેવાર્ય અનાપશનાપ ગુસ્સો કરે છે અને બધાને ધમકાવે છે . લોકોએ દેવાર્યને ઘણોબધો ત્રાસ આપ્યો .

પહેલીવાર એવું બન્યું કે દેવાર્યે સંગમ વિશે વિચાર કર્યો . વિચાર્યું કે હું ગામમાં જાઉં છું તો આ સંગમ અપમાનજનક પરિસ્થિતિઓ ઊભી કરી દે છે , હવે ગામમાં કે વસતિમાં જવું જ નથી .

અને દેવાર્ય ગામની બહાર જ રોકાવા લાગ્યા . પહેલો મુકામ થયો તોસલિ ગામની બહાર . સંગમને સમજાયું કે દેવાર્ય ગામમાં આવશે નહીં . તેણે દાવ બદલ્યો . તે બાળસાધુનું રૂપ લઈ ગામમાં ગયો , ચોરી કરવા લાગ્યો અને ચોરી કરતાં પકડાઈ ગયો . લોકોએ એને મારવા લીધો ત્યારે તેણે કહ્યું કે મનેં શું કામ મારો છો ? મનેં જેમણે મોકલ્યો તે ગામની બહાર જ ઊભા છે . એમણે જ મનેં ચોરી કરવા કહ્યું .

લોકો ગામ બહાર આવ્યા . ફરી પાછો દેવાર્યનો વિરોધ થયો અને દેવાર્ય સાથે ઘોર દુર્વ્યવહાર થયો . સંગમ ચાહતો હતો કે દેવાર્ય માનસિક રીતે દુઃખી થાય અથવા ક્રોધિત બને . એવું કશું થયું નહીં . દેવાર્યની સમતા અતૂટ જ રહી . દેવાર્યને રસ્સીથી બાંધીને સૈનિકો ગામમાં લઈ ગયા . દેવાર્યને મોટી સજા થશે એવો નિર્ણય થયો . એ વખતે મહાભૂતિલ નામનો જાદુગર ત્યાં હતો તેણે દેવાર્યને કુંડગ્રામમાં જોયા હતા . એણે લોકોને કહ્યું કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે . તમે ખોટી સજા આપી રહ્યા છો . લોકોએ દેવાર્યને છોડીને પેલા બાળબાબાની તપાસ કરી , એ બાબા ગાયબ હતા . લોકોમાં ચર્ચા થવા માંડી કે કોઈ દેવ , દેવાર્યને હેરાન કરવા માયાજાળ રચી રહ્યો છે .

દેવાર્ય વિહાર કરીને મોસિલ ગામ પધાર્યા . ગામ બહાર કાઉસગ્ગ ધારણ કર્યો . સંગમે મોસિલ ગામમાં પણ ચોરીનું નાટક રચ્યું અને દેવાર્ય ચોરનો સરદાર છે એવું દૃશ્ય રચ્યું . દેવાર્યને ગુનેગાર તરીકે સ્થાનિક રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા . રાજા સજા ફરમાવે તે પૂર્વે રાજાના દરબારમાં બેસેલા સુમાગધે દેવાર્યને ઓળખી લીધા . તે સિદ્ધાર્થ રાજાની રાજપર્ષદાનો એક અધિકારી હતો . તેણે ઊભા થઈને દેવાર્યને માન આપ્યું અને રાજાને દેવાર્યની ઓળખ આપી . રાજાએ દેવાર્યની માફી માંગી .

દેવાર્ય મુક્ત થયા . ફરીથી તોસલિ ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ સ્વીકાર્યો . સંગમે તોસલિ ગામમાં હથિયારોની ચોરી કરી અને એ હથિયારોનો ઢગલો દેવાર્યની સામે મૂકી દીધો . લોકો દેવાર્યને શસ્ત્રચોરીના ગંભીર ગુનેગાર તરીકે રાજા પાસે લઈ ગયા . રાજાએ દેવાર્યને ફાંસીની સજા આપવાનો આદેશ કર્યો . આ વખતે દેવાર્ય કશુંક બોલી શકતા હતા , દેવાર્ય બોલત તો ખુલાસો થાત અને મરણનું જોખમ ટળી જાત . અજીબોગરીબ બાબત એ બની કે દેવાર્યે ફાંસીની સજા સ્વીકારી લીધી . સૈનિકો દેવાર્યને ફાંસીના માંચડે લઈ ગયા , એમણે દેવાર્યના ગળામાં ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . દેવાર્યે પોતાનો બચાવ ન કર્યો . ગળે ટૂંપો ભીંસાવા લાગ્યો અને અચાનક જ ફાંસીની રસ્સી તૂટી ગઈ . સૈનિકોએ ફરી ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . એ રસ્સી બીજીવાર પણ તૂટી . સૈનિકોએ ફરીથી ફાંસીનો ફંદો બાંધીને દેવાર્યને અદ્ધર લટકાવી દીધા . હવે એ રસ્સી ત્રીજીવાર પણ તૂટી . આમ સાતવાર થયું . સૈનિકો બાંધે અને રસ્સી તૂટે . સૈનિકોએ રાજાને ઘટના જણાવી . રાજાએ અહોભાવિત થઈને દેવાર્યને છોડી દેવાનો આદેશ કર્યો . દેવાર્ય મુક્ત થયા .

સિદ્ધાર્થપુર આવ્યા . લોકોએ ચોર માનીને પકડી લીધા . એક અશ્વના વ્યાપારીએ દેવાર્યને છોડાવ્યા . દેવાર્ય ત્યાંથી વ્રજભૂમિ પધાર્યા . સંગમે છ મહિના સુધી દેવાર્યનો પીછો છોડ્યો નહીં . તકલીફોનો સિલસિલો ચાલુ રહ્યો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *