વનવગડે વિહરે વીર . ૨૭

વનવગડે વિહરે વીર . ૨૭

ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા

દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર એકાંતમાં ત્રણ પ્રતિમાની સાધના કરી .

એક , ભદ્રા પ્રતિમા .
બીજી , મહાભદ્રા પ્રતિમા .
ત્રીજી , સર્વતોભદ્રા પ્રતિમા .
પ્રતિમા એટલે લાંબા સમય સુધી ચાલનારો એક મુદ્રાવર્તી કાયોત્સર્ગ .
૧.
ભદ્રા પ્રતિમામાં બે ઉપવાસની આરાધના કરી . દરમ્યાન , બાર – બાર હોરા ( ૧૨ કલાક) ના લાંબા કાઉસગ્ગ એ રીતે કર્યા જેમાં આંખ એક જ દ્રવ્ય પર સ્થિર રહી . પહેલો કાઉસગ્ગ કર્યો તેમાં દેવાર્યનું મુખ આખોય દિવસ પૂર્વ તરફ હતું . બીજો કાઉસગ્ગ કર્યો તેમાં દેવાર્યનું મુખ સાંજથી માંડીને આગામી સવાર સુધી , આખી રાત – દક્ષિણ દિશા સન્મુખ રહ્યું . બીજા દિવસે કાઉસગ્ગ કર્યો તેમાં સવારથી સાંજ સુધી , દેવાર્યનું મુખ પશ્ચિમ દિશા તરફ રહ્યું . અને એ દિવસની સાંજથી માંડીને આખી રાત સુધી દેવાર્યનું મુખ , ઉત્તર દિશા સન્મુખ રહ્યું . પ્રથમ પ્રતિમાનો છઠ થયો .
૨.
તે પછી પારણું કર્યા વિના , દેવાર્યે બીજી પ્રતિમા સ્વીકારી લીધી . આમાં સળંગ ચાર ઉપવાસ થયા . ચારેય દિવસ , ચોવીસ – ચોવીસ હોરાનો ( ૨૪ કલાકનો ) તદ્દન સ્થિર કાઉસગ્ગ એ રીતે થયો કે , દેવાર્યની આંખ એક જ દ્રવ્ય સ્થિર રહી . પ્રથમ દિવસનો કાઉસગ્ગ , આઠ પ્રહર ચાલ્યો જેમાં દેવાર્ય પૂર્વ સન્મુખ રહ્યા , બીજા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ દેવાર્યે દક્ષિણ સન્મુખ રહીને કર્યો . ત્રીજા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ દેવાર્યે , પશ્ચિમ સન્મુખ રહીને કર્યો . અને ચોથા દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ , દેવાર્યે ઉત્તર સન્મુખ રહીને કર્યો . આ રીતે ચાર ઉપવાસ દ્વારા દેવાર્યે મહાભદ્રા પ્રતિમા આરાધી .
૩ .
હવે પારણું કરી શકાતું હતું પરંતુ દેવાર્યે પારણું કર્યા વિના ત્રીજી પ્રતિમા આદરી . આમાં દશ ઉપવાસ થયા અને દશ દિશાના દશ કાઉસગ્ગ થયા . દરેક ઉપવાસમાં એક એક દિવસનો આઠ પ્રહરી કાઉસગ્ગ કર્યો . પહેલાં ચાર ઉપવાસમાં ક્રમશઃ પૂર્વ , દક્ષિણ , પશ્ચિમ અને ઉત્તર સન્મુખ ઊભા રહ્યા . આગળના ચાર ઉપવાસમાં ક્રમશઃ , ઈશાન , અગ્નિ , નૈઋત્ય અને વાયવ્ય દિશા સન્મુખ ઊભા રહીને આઠ પહરી કાઉસગ્ગ કર્યા . નવમા દિવસે આસમાન તરફ એટલે કે ઊર્ધ્વ દિશા તરફ તાકતા રહી આઠ પહરનો કાઉસગ્ગ કર્યો . અને દશમા દિવસે પોતાની પગની પાસેની જમીન તરફ એટલે કે અધો દિશા તરફ તાકતા રહીને દેવાર્યે આઠ પહરી કાઉસગ્ગ કર્યો . આમ ત્રીજી પ્રતિમામાં દશ ઉપવાસ થયા .

કુલ મળીને સોળ ઉપવાસ થયા . દરેક ઉપવાસમાં કોઈ એક દિશા સન્મુખ ઊભા રહીને દેવાર્યે , કાઉસગ્ગ કર્યો અને દરેક કાઉસગ્ગમાં દેવાર્ય , એક જ દ્રવ્યને સતત તાકતા રહ્યા . સોળ દિવસની , સોળ ઉપવાસની આ પ્રતિમા સાધનામાં દેવાર્યે આંખોને એક જ પુદ્ગલ દ્રવ્ય પર અપલક સ્થિર બનાવેલી રાખી , કાયાને સદંતર એક જ મુદ્રામાં બાંધેલી રાખી . આમાં ઘણો ઘણો પરિશ્રમ થયો .

સતરમા દિવસે , દેવાર્યે પ્રતિમાસાધનાને અને ઉપવાસને વિરામ આપ્યો . પારણાના દિવસે દેવાર્ય આનંદ શેઠનાં ગૃહાંગણે પધાર્યા . જો કે , શેઠનું ધ્યાન દેવાર્ય પર ગયું નહીં . શેઠની એક દાસી હતી : નામ બહુલિકા . તેણે દેવાર્યને જોયા અને ઓળખ્યા . તેણે દેવાર્યને અન્નનો સ્વીકાર કરવા વિનંતી કરી . દેવાર્યે એની વિનંતી સ્વીકારીને તેના હાથે અન્ન લઈ પારણું કર્યું . પ્રતિમા – સાધનાનાં કઠિન તપ પછીનું આ પ્રથમ આહારગ્રહણ હતું .

દેવાર્યને પારણું થયું તેની ખુશાલીમાં દેવોએ પંચ દિવ્ય પ્રગટ કર્યા . ત્યાંના રાજાને દેવાર્યનાં પારણાના સમાચાર મળ્યા . તેણે તુરંત બહુલા દાસીનું બહુમાન કર્યું અને એને દાસી અવસ્થાથી સદા માટે મુક્ત કરી દીધી . દેવાર્યનું પુણ્ય દાસીને પૂરેપૂરું ફળ્યું . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *