વનવગડે વિહરે વીર . ૨૬

વનવગડે વિહરે વીર . ૨૬

અવધિજ્ઞાની આનંદ

દેવાર્ય ગંડકી નદીથી નીકળીને વાણિજ્ય ગ્રામ પધાર્યા . અહીં એક શ્રાવક મોટી સાધના કરતો હતો . આનંદ એનું નામ . એ પાર્શ્વપ્રભુનો ભક્ત હતો . છઠનાં પારણે છઠ કરતો . સૂરજની આતાપના લેતો . લાંબી તપસ્યા અને ઉગ્ર સાધનાના પ્રભાવે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું . તેણે જાણ્યું કે દેવાર્ય પધાર્યા છે . એ તુરંત વંદના કરવા આવ્યો . એને ખબર હતી કે દેવાર્ય વાત નહીં કરે , જવાબ નહીં આપે . અને એને એ પણ ખબર હતી કે દેવાર્ય બધી જ વાત સાંભળે છે , સાંભળશે .

‘ પ્રભુ , આપની સહનશક્તિ ગજબનાક છે . ‘ આનંદ બોલ્યો . ‘ આપે આજ સુધી કેટલા બધા ઉપસર્ગો ખમ્યા છે ? કોઈ કલ્પના પણ કરી ના શકે . આપે ખમેલા ઉપસર્ગોની કથા આજે દુનિયા જાણતી નથી . જે દિવસે આ કથા દુનિયાની સામે આવશે તે દિવસે કથા કહેનારા પણ ભાવુક થઈને રડતા હશે અને કથા સાંભળનારા પણ ગદ્ ગદ થઈ રોતા હશે . આ કથા સાચી હોવા છતાં કાલ્પનિક જેવી જણાશે . એક સાધક પર આટલું કષ્ટ આવી શકે ખરું ? અને આટલું કષ્ટ ખમી લીધા બાદ પણ એક સાધક જીવિત રહે , પ્રસન્ન રહે , સંપૂર્ણ સ્વસ્થ રહે એવું બની શકે ખરું ? આવા સવાલ મનમાં બનતા રહેશે . પ્રભુ આપની સાથે આ બધું શું કામ થયું ? સમજાતું નથી . આપ આ જ ભવમાં તીર્થંકર થવાના છો . દીક્ષાને દશ વરસ થઈ ગયા . હજી બે વરસ ઉપસર્ગ રહેવાના છે . બાર વરસ , સાડા બાર વરસની ઉપસર્ગ કથા આગામી પેઢીઓને અપરંપાર પ્રેરણા આપતી રહેશે . પ્રભુ , હવે થોડો જ સમય બાકી છે . આપ ધન્ય છો . આપને વંદન છે . ‘

આનંદની આંખોમાં અહોભાવનાં આંસુઓ હતા . એનું અવધિજ્ઞાન આજે સાર્થક થઈ ગયું હતું . દેવાર્ય સ્વયં અવધિજ્ઞાની હતા . દેવાર્યનો સહવાસી સિદ્ધાર્થ દેવ અવધિજ્ઞાની હતો . દેવરાજ આવતા તે લગભગ દર વખતે અવધિજ્ઞાનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ જાણ્યા બાદ જ આવતા . દેવાર્ય માટે અવધિજ્ઞાન સામાન્ય બાબત હતી . આનંદ માટે અસામાન્ય બાબત એ હતી કે તેનું અવધિજ્ઞાન દેવાર્યને ઓળખવામાં ઉપયોગી બન્યું હતું . ઘણાબધા અજ્ઞાનીઓની વચ્ચે કોઈ તો એવું હતું જે દેવાર્યને જ્ઞાનપૂર્વક આદર આપતું હતું .

જોકે , દેવાર્ય પ્રશંસાથી પર હતા . દેવાર્ય શ્રાવસ્તી નગરી પધાર્યા . દશમું ચોમાસું . એકસોવીસ ઉપવાસ . બીજા લોકો જેની
વિચારણા પણ ના કરી શકે તેની આચરણા દેવાર્ય આસાનીથી કરતા રહેતા . સુદીર્ઘ તપસ્યા . પ્રલંબ કાઉસગ્ગ . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *