વનવગડે વિહરે વીર ( ૨૪.૨)

વનવગડે વિહરે વીર ( ૨૪.૨)

એ ક્ષણે ગોશંખીપુત્ર મૂંઝાયો પણ અટક્યા વિના તે રૂપાંગના પાસે પહોંચ્યો . એ રૂપવર્ગિતાએ વિલાસી હરકતો શરૂ કરી . ગોશંખીપુત્રને મનમાં બીજી જ ખદબદ થતી હતી . એનાથી ન રહેવાયું . એણે રૂપાંગનાને એની જનમ ભૂમિ વિશે પૂછ્યું . રૂપાંગના કામકૌતુકની ધૂનમાં હતી . એ જવાબ ટાળવા લાગી . ગોશંખીપુત્રને ગાય – વાછરડા નો સંવાદ યાદ આવતો હતો . એણે કહ્યું : હું તને હજી નવા દાગીના ભેટમાં આપીશ . તું મારા પ્રશ્નનો જવાબ આપ .
રૂપાંગના હવે વાસનાના નશામાંથી થોડી બહાર આવી . એને પૈસા જ કમાવવા હતા . એણે ગોશંખીપુત્રને પોતાનો ભૂતકાળ જણાવી દીધો . ગોશંખીપુત્રે સવાલ પૂછ્યા . રૂપાંગનાએ જવાબ આપ્યા . ગોશંખી પુત્રના હોંશ ઊડી ગયા . એ રૂપાંગનાથી ડરીને દૂર થઈ ગયો . ગોશંખીપુત્રને રૂપાંગનાએ જે કહ્યું તે ડરામણું સત્ય હતું . એ રૂપાંગના જ પેલી યુવાન માતા હતી જેને ચોરો જબરદસ્તીથી ખેંચી ગયા હતા . અને એનો પુત્ર જંગલમાં એકલો રહી ગયો હતો તેનું શું થયું ? રૂપાંગના પાસે એનો જવાબ નહોતો . ગોશંખીપુત્ર પાસે એક અનુમાન હતું પરંંતુ તે અંધારામાં તીર ચલાવવામાં માનતો નહોતો .

ગોશંખીપુત્ર તુરંત ત્યાંથી નીકળ્યો . ક્યાંય રોકાયા વગર ગામ આવ્યો . માબાપને પૂછ્યું કે હું તમારો દીકરો છું કે તમારા હાથે ઉછરેલું દત્તક સંતાન છું . થોડી આનાકાની કરીને માબાપે સચ્ચાઈ જણાવી દીધી . ગોશંખી પુત્રની હિંમત તૂટી ગઈ . એની જિંદગીનો સૌથી મોટો ઝટકો એને લાગ્યો હતો . જે માતાએ તેને જનમ આપેલો , જે માતાએ તેને ચોરના ભયે જંગલમાં એકલો છોડી દીધેલો , એ માતાને ચોર લોકોએ વેશ્યા વાડે વેંચી દીધી હતી . માતાએ વેશ્યાવૃત્તિને આજીવિકા બનાવી લીધી . મા વેશ્યા બની એ પહેલો ઝટકો હતો . બીજો ઝટકો ઘાતક હતો . ગોશંખીપુત્ર જે રૂપાંગના સાથે કામસંબંધ રચવાનો હતો એ જ એની સગ્ગી મા હતી . માતાનું નામ વેશિકા હતું .

ગોશંખીપુત્રે યાદ કર્યું કે રૂપાંગના સાથે વાત કરીને તે બહાર આવ્યો હતો એ વખતે ગાયવાછરડાની જોડી ગાયબ હતી . ગોશંખીને સમજાયું હતું કે એ કુલદેવતાએ આપેલો સંકેત હતો . એ સંકેતને લીધે મહા અનર્થ થતા થતા રહી ગયો હતો . હવે ગોશંખીપુત્ર ફરી ચંપા આવ્યો . ફરી રૂપાંગના પાસે આવ્યો . એણે રૂપાંગનાને જણાવ્યું કે ‘ હું તમારી પાસે ઘરાક બનીને આવી રહ્યો હતો ત્યારે ગાય વાછરડાની વાત સાંભળી મને તમારી માટે શંકા જાગી હતી . તમારી કથા સાંભળ્યા બાદ હું મારા માતાપિતાને મળ્યો . તેમની વાત સાંભળીને મારી શંકા સાચી સાબિત થઈ . હું તમારો પુત્ર છું . તમે મારી માતા છો . તમે મને જંગલમાં જ્યાં મૂકીને ગયા હતા ત્યાંથી મને પોતાના ઘેર લઈ જનાર ગોશંખીજી મને પુત્ર જ માને છે . પણ હું એમનો નહીં તમારો જ પુત્ર છું . મને માફ કરી દો , મેં તમારી સાથે મોટો વિનયભંગ કર્યો . ʼ

વાત સાંભળીને રૂપાંગનાને કારમો આઘાત લાગ્યો . એ પોક મૂકીને રડવા લાગી . એને બોલવાના હોંશ ના રહ્યા . એ બેભાન થઈ ગઈ . દાસીઓએ એને જગાડી . એ વિલાપ કરવા લાગી . ગોશંખીપુત્રે એને ઘણી સાંત્વના આપી . ગોશંખીપુત્ર રૂપબજારના પ્રમુખ સંચાલકોને મળ્યો . એણે વેશિકાને , પોતાની માતાને ખરીદી લીધી . માતાને આ રૂપવ્યવસાયની આલમમાંથી બહાર લાવવાનો કોઈ બીજો મારગ હતો જ ક્યાં ? એ ચંપાનગરી આવ્યો હતો ત્યારે ભૂતકાળની મા , રૂપાંગના બની ચૂકી હતી . હવે એ ચંપાનગરીથી નીકળ્યો ત્યારે રૂપાંગના ભૂતકાળ બની ચૂકી હતી અને પવિત્ર મા વર્તમાન બની ચૂકી હતી . સમયે ગજબનો ખેલ ખેલ્યો હતો તેની સાથે . જેને તે માબાપ માનતો હતો તે એના માબાપ હતા જ નહીં . જેના સૌંદર્ય પાછળ એ દીવાનો બની ગયો હતો તે એની જનેતા હતી . તેનું શૈશવ અને બાળપણ અને તારૂણ્ય વીતી ગયું અને યૌવન પૂરબહારમાં ખીલી ઉઠ્યું ત્યાર સુધી તેની માતા રૂપવ્યવસાયમાં ફસાયેલી રહી . પેલા ચોર લોકોએ ગોશંખીપુત્રની જિંદગીને તહસનહસ કરી નાંખી હતી .

એની માતાની હાલત કાંઈ સારી નહોતી . પોતાનો દીકરો આ રીતે મળ્યો અને દીકરાએ જ રહસ્યસ્ફોટ કર્યો . તે પછી એને આત્મહત્યા કરી લેવાના વિચારો આવી રહ્યા હતા . એણે દીકરાને પૂછેલું પણ ખરું કે મારે મરી જવું છે , તું રજા આપીશ ? ગોશંખીપુત્રે માતાને હૈયા ધારણ બંધાવી હતી કે આત્મહત્યા , એ કોઈ ઈલાજ નથી , તમને અહીંથી હું બહાર લઈ જઈશ , પછી તપજપ કરી શુદ્ધિનો મારગ ખોળી લેજો .

માતાએ દીકરાની વાત માની હતી . માતાને ગોશંખીપુત્ર ખેટક ગામ લઈ આવ્યો હતો . માતા શોક અને આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી હતી . એક સમયની ભ્રષ્ટ મહિલા , હવે ધર્મના માર્ગમાં જોડાઈ અને ખૂબ આગળ વધી ગઈ .

ગોશંખીપુત્ર પૂરેપૂરો હચમચી ગયો હતો . તેનેય પ્રચંડ દુઃખ થયું હતું . એ દુઃખમાંથી એક ઊંડો વૈરાગ્ય જાગ્યો એનાં હૈયે . એ દુઃખગર્ભિત વૈરાગ્ય નહોતો . એક દુઃખનિર્મિત વૈરાગ્ય હતો . એણે તાપસદીક્ષા સ્વીકારી લીધી .

તેણે પોતાનું નામ રાખ્યું વેશિકાયન , કેમકે માતા વેશિકા માટે તેને અખંડ આદર હતો . તેણે ઘણું તપ આચર્યું , ખાસ્સોબધો શાસ્ત્રાભ્યાસ કર્યો , જીવદયાની પ્રવૃતિઓ અવિરત આદરી , ગુરુજનોની સેવામાં પાછી પાની કરી નહીં . ઘોર સાધના કરીને તેજોલેશ્યા સિદ્ધ કરી લીધી .

તાપસનાં જીવનનું આ ત્રીજું પ્રકરણ હતું .

જે આડંબરથી દૂર રહે , જે ભીડથી દૂર રહે તે શક્તિશાળી અને પુણ્યશાળી હોતો નથી , એવું માની લેનારા મૂરખાઓને સબક શીખવાડી દે એવી પ્રચંડ શક્તિ હતી તાપસ વેશિકાયનમાં . ગોશાળાને કશી ગતાગમ હતી નહીં . એ વેશિકાયનને ક્ષુલ્લક સમજી દુર્વ્યવહાર કરતો રહ્યો . એ ગમ્મે તેમ બોલ્યો , ગમ્મે તેવું બોલ્યો . તાપસે શરૂઆતમાં ગોશાળાની ઉપેક્ષા જ કરી . પણ પછી ….. ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *