ઇકિગાઈ  :  જવાબદાર બનવાનો ચારસૂત્રી ફોર્મ્યુલા

ઇકિગાઈ : જવાબદાર બનવાનો ચારસૂત્રી ફોર્મ્યુલા

ઇકિગાઈ

લેખક : રાજ ગોસ્વામી / પૅજ : ૧૭૧

તમે જે કામ કરો છો તેમાં તમે ખુશ છો કે નહીં , આ પ્રશ્નનો જવાબ તમારા સ્વભાવ અનુસાર તમે આપશો . જાપાની માણસ આ પ્રશ્નના જવાબમાં ચાર મુદ્દાનો વિચાર કરશે , અને એ ચાર મુદ્દા એ જ છે ઇકિગાઈ . ઇકિગાઈ શબ્દનો પહેલો ઇ હૃસ્વ છે અને છેલ્લો ઈ દીર્ઘ છે . ગુજરાતી ભાષા માટે આ શબ્દ હવે અજાણ્યો નથી રહેવાનો . ઇકિગાઈનો અર્થ છે સ્પેસિફિક માનસિક સ્પષ્ટતા . તમે તમારી પ્રવૃત્તિઓને ઇકિગાઈની નજરે મૂલવો એ વાત નથી . તમે તમારી પ્રવૃત્તિમાં ઇકિગાઈનો દૃષ્ટિકોણ જોડો એની આ વાત છે . મૂળે તો આ ખુશ રહેવાની વાત છે . ખુશ રહેનારો લાંબું જીવશે , ખુશ રહેનારાને લાંબું જીવવાનું ભારે નહીં પડે , ખુશ રહેનારો લાંબું જીવવા માટે બીજાનાં માથે બોજો નહીં બને . ખુશ રહેવાનું જે શીખ્યો નથી તે લાંબું જીવશે નહીં , એ લાંબું જીવશે તો જાતેય હેરાન થશે અને બીજાને હેરાન કરશે . ઇકિગાઈ સંબંધી ચોવીશ જેટલાં પુસ્તકો અને આર્ટિકલ્સ વાંચ્યા બાદ રાજ ગોસ્વામીએ આ પુસ્તક લખ્યું છે .

પોતાની ઇકિગાઈ શોધીને જેઓ સો વરસ , નેઉં વરસ સુધી સ્વાધીન અને સુખી જીવન જીવ્યા એવા લોકોનાં નામ લેખક ગણાવે છે : શ્રીમતી ચિયો મિયાકોના ( વય : ૧૧૭ વર્ષ ) . શ્રીમતી કાને તનાકા ( વય : ૧૧૭ વર્ષ ) . શ્રીમતી શીગેયો નાગાચી ( વય : ૧૧૪ વર્ષ ) . શ્રીમાન્ યુકિચી ચુન્ગાનજી ( વય : ૧૧૪ વર્ષ ) . શ્રીમાન્ તોનોજી તાનાબે ( વય : ૧૧૩ વર્ષ ) . જીરોમોન કિમુરા ( વય : ૧૧૫ વર્ષ ) . આવા ઘણાં નામ છે જેઓ છેવટ સુધી સક્રિય રહ્યા . એમને પોતપોતાની ઇકિગાઈ મળી ચૂકી હતી .

તમને , તમારી ઇકિગાઈ મળી ગઈ છે ? આ જ મુખ્ય સવાલ છે . ઇકિગાઈમાં ચાર શરત છે અને ચારેચાર શરતનું પાલન અનિવાર્ય છે . એકાદ શરત બાકી રહી હશે તો ઇકિગાઈ અધૂરી ગણાશે .
આજે તમે જીવનમાં જે છો , જ્યાં છો અને જે પ્રવૃતિ કરો છો એમાં આ ચાર બાબતો જોડાયેલી હોવી જોઈએ.

૧ . તમારામાં તે કામ કરવાની સાચુકલી રૂચિ હોવી જોઈએ .
૨ . તમારામાં તે કામ કરવાની અસલી પ્રતિભા હોવી જોઈએ .
૩ . તે કામ કરવા દ્વારા સમાજને ચોક્કસ ફાયદો થતો હોવો જોઈએ .
૪ . તે કામ કરવા દ્વારા તમને આર્થિક રીતે મજબૂતી મળતી રહેવી જોઈએ .

સહેલાં લાગતાં આ ચાર વાક્ય એટલાં પણ સહેલાં નથી . અને આ વાક્ય અર્થગંભીર હોવા છતાં એટલા પણ અઘરાં નથી કે સાવ સમજાય જ નહીં . સંઘના ટ્રસ્ટી તરીકે , કાર્યકર્તા તરીકે , વ્યવસ્થાપક કે સંયોજક તરીકે તમે જે જવાબદારી કે હોદ્દો સંભાળો છો એમાં આ ઇકિગાઈનું બેલેન્સિંગ બહુ જરૂરી છે .


૧ . તમે રૂચિ વિના કામ કરશો તો કામ ખાડે જશે અને નુકસાન સંઘને કે તમારી ટીમને થશે . બીજીવાર તમને જવાબદારી મળશે નહીં .
૨ . તમારી જેમાં આવડત નથી એ કામ કરવા જશો તો તમારી નૈયા મઝધારે અટવાઈ જવાની . પછી તમારો આત્મવિશ્વાસ તૂટશે અને તે પછી લોકોને તમારી માટે વિશ્વાસ નહીં રહે .
૩ . તમે પોતાનો અહંકાર કે સ્વાર્થ ભૂલ્યા વિના કામ કરશો તો આમનેસામને નારાજગીઓ થવાની જ . પરિણામે , તમે રાજીનામું આપશો અથવા તમારાં કારણે બીજા કોઈનું રાજીનામું આવશે .
૪ . ટ્રસ્ટી તરીકે તમે સંઘની આર્થિક ભૂમિકા અંગે સ્પષ્ટ રહેજો , સંઘને આર્થિકલાભ થાય તે અગત્યનું છે પરંતુ સંઘને કોઈ રીતે આર્થિક નુકસાનમાં કે આર્થિક અવ્યવસ્થામાં મુકાવું ન પડે તે વધારે અગત્યનું છે . તમારો સંઘ , તમારું મંડળ કે તમારું ગ્રૂપ આર્થિક રીતે સક્ષમ હોય અને સ્વાધીન હોય એ તમારે જોવું જ પડે .

ઇકિગાઈ-નો કન્સેપ્ટ મનેં આ રીતે ગમ્યો. જે ઇકિગાઈનો અભ્યાસ કરી રાખશે તે સંઘને , મંડળને , ગ્રૂપને લાંબા સમય સુધી ઉપયોગી બનશે . જે ઇકિગાઈનો અભ્યાસ નહીં કરે તે ચિત્રવિચિત્ર છબરડાં વાળતો રહેશે .


નાગપુર શ્રી મુનિસુવ્રત જૈન મંદિર ઈતવારીનાં જ્ઞાનભંડાર માટે નવાં પુસ્તકો મંગાવી રહ્યો છું . જ્ઞાનની બારી – અમદાવાદથી શ્રેણિકભાઈએ થોડાક પુસ્તક મોકલ્યાં પણ છે . આજે આ ઇકિગાઈ પુસ્તક વાંચ્યું અને એનો મુખ્ય મુદ્દો તમને લખી જણાવ્યો .

લેખકે ચાર સૂત્રોને ચાર અંગ્રેજી શબ્દોથી સમજાવ્યા છે .
૧ . તમારું કામ તમારું પૅશન હોવું જોઈએ .
૨ . તમારું કામ તમારું પ્રૉફેશન હોવું જોઈએ .
૩ . તમારું કામ તમારું મિશન હોવું જોઈએ .
૪ . તમારું કામ તમારું વૉકેશન હોવું જોઈએ .


બીજા ઘણા મુદ્દાઓ છે અને એ અંગેના અંગ્રેજી શબ્દો છે , રેઝિલિયન્સ – એન્ટિફ્રેજિલિટી વગેરે . એ તમે પુસ્તક પાસે જઈને એમાં જ વાંચજો . ખાવાપીવા સંબંધી વાતો સાથે સહમત થવાની જરૂર નથી . પરંતુ – ચારસૂત્રી કાર્યક્રમ મતલબ કે વિચારક્રમ , સમજી લેવા જેવો છે . ઇકિગાઈનો કન્સેપ્ટ લાખો લોકોએ અમલમાં મૂક્યો છે . વિવેકપૂૂર્વક વિચારવામાં વાંધો શું છે ? યાદ રાખજો : ઇકિગાઈ કોરી સફળતા માટે નથી , ઇકિગાઈ ભીતરી પ્રસન્નતા માટે છે .

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *