વનવગડે વિહરે વીર ( ૨૩.૨ )

વનવગડે વિહરે વીર ( ૨૩.૨ )

નવમું ચોમાસું એકદમ કપરું રહ્યું – ૨

સૌથી ભારે દુઃખની વાત ચોમાસાની હતી . અત્યાર સુધી દેવાર્યે જેટલા ચોમાસાં કર્યા એમાં રહેવાની જગ્યા સારી મળી હતી . નવમા વરસનું ચોમાસું મનહૂસ હતું . એક જગ્યાએ રોકાઈ શકાય તેવી જગ્યા મળી જ નહીં . થોડો વખત કોક ખેતરના છેવાડે શૂન્ય ભવનમાં રોકાય . પછી ત્યાંથી નીકળી જવું પડે . બીજે કશેક રહે . થોડા સમયમાં એ જગ્યા પણ છોડી દેવી પડે . ઘણી વાર વૃક્ષની છાયામાં ઊભા રહી જાય . સલામતી અને સુરક્ષાનું નામોનિશાન નહીં . પુરુષો , મહિલાઓ , બાળકો – સૌ અનાર્યના લખ્ખણ બતાડી બતાડીને હેરાન કરે . પશુઓ પણ પાછી પાની ના કરે . કુદરત પણ કાળો કેર વરસાવે . નવમું ચોમાસું દેવાર્યે કેવી રીતે કર્યું ? આનો જવાબ તુચ્છ ભાષામાં આ રીતે લખાય : નવમા ચોમાસામાં આમથી તેમ ભટકતા રહ્યા .

રહેવું હતું એક જ જગ્યાએ . એવી જગ્યા ચારેય મહિના સુધી ઉપલબ્ધ જ ના થઈ . થોડા થોડા દિવસે જગ્યા બદલાતી રહી . ચાલુ ચોમાસે વિહાર કરવાનો કિસ્સો દીક્ષાજીવનમાં પ્રથમ વરસે બન્યો હતો . તે વખતે એક આશ્રમ છોડ્યો અને બીજા ગામે આવી ગયા . એક જગ્યાએ પંદર દિવસ રહ્યા અને બીજી જગ્યાએ સાડા ત્રણ મહિના રહ્યા . નવમા ચોમાસામાં કેટલીવાર જગ્યાઓ બદલી ? કેટલી જગ્યાએ ગયા ? કોઈ હિસાબ નહોતો .

દરેક જગ્યાએ એવું કાંઈક બન્યું કે ત્યાંથી ચાલીને નીકળી જવું પડ્યું . દેવાર્યની ચોમાસામાં અપેક્ષા એટલી જ રહેતી કે એક જગ્યાએ મૌન , ધ્યાન અને સ્થિરતા બનેલી રહે . દેવાર્યને અનાર્યોએ ચોમાસામાં કેવા કેવા ઉપદ્રવ કર્યા હશે કે એક જગ્યા પર તેઓ રહી જ શક્યા નહીં . સામાન્ય રીતે દેવાર્ય ચોમાસામાં જ લાંબા ઉપવાસ કરતા . વિહાર કરવાનો હોય નહીં . આ વરસે થોડા થોડા સમયના અંતરાલમાં વિહાર કરવો જ પડેલો ચોમાસામાં . લગભગ શેષકાળ સમાન વિહાર ચાલુ હતો તેમાં પણ દેવાર્યે ચોમાસાનું તપ બદલ્યું નહીં . છેલ્લા છ ચોમાસાથી દેવાર્યે જે નિયમ બનાવેલો તે નિયમ આ ચોમાસામાં પણ અખંડ જ રહ્યો . દેવાર્યે ચોમાસી તપ કર્યું . સળંગ એકસો ને વીસ ઉપવાસ .

દેવાર્યની સહન શક્તિ અકલ્પનીય . તેમને કોઈ પણ કષ્ટ , ભારે પડતું નહીં . તેમને કોઈ પણ વેદના , ચલિત કરી શકતી નહીં . તેમને કોઈ પણ પડકાર , ડરાવી શકતો નહીં . દેવાર્યની કાયા , વજ્રઋષભનારાચ સંઘયણ ધરાવતી . દેવાર્યનું સંસ્થાન હતું સમ ચતુરસ્ત્ર . દેવાર્યનું મનોબળ મેરૂ પર્વતથી પણ ઊંચેરું હતું . દેવાર્યનું આત્મબળ અનંત , અસીમ , અપાર હતું . સાધારણ માણસ જે કષ્ટને એકવાર પણ ખમે અને જીવ ગુમાવી દે એ કષ્ટને દેવાર્ય વારંવાર ખમતા . એવું નહોતું જ કે દેવાર્યને દુઃખનો અહેસાસ નહોતો થતો . દેવાર્યની કાયાને તે તે સંવેદન પહોંચતું જ .

એવું પણ નહોતું કે દેવાર્ય વીતરાગ બની ચૂક્યા હતા . દેવાર્ય છઠ્ઠા / સાતમા ગુણઠાણે હતા . કષાય અને નોકષાય જીવતા હતા . આમ છતાં દેવાર્ય પ્રતિભાવોથી મુક્ત હતા , પ્રતિક્રિયાઓથી રહિત હતા . દેવાર્ય શરીર સાથે હતા . દેવાર્ય શરીરને પરાયું માનીને જ વહેવાર બનાવતા . શરીરને થનારું કષ્ટ મારા આત્માથી અલગ છે . આવો કોઈ પ્રચંડ વિચાર દેવાર્યમાં ધબકતો રહેતો હશે . નવમા વરસે અને નવમા ચોમાસામાં એ વિચારે નવી ઊંચાઈ સર કરી હતી .


ચોમાસા બાદ દેવાર્યે આર્યદેશ પરત આવવાનો નિર્ણય કર્યો અને ટૂંક જ સમયમાં દેવાર્યે અનાર્ય દેશ છોડી પણ દીધો . આ સુુુખદ સમાચાર હતા . છેલ્લા બાર મહિનામાં શરીરે ઉગ્ર કષ્ટો ખમ્યા હતા , આહાર વ્યવસ્થા બરોબર સચવાઈ નહોતી . શરીર વિશેષ પરિશ્રમ પામ્યું હતું . આર્ય દેશમાં દેવાર્ય ભિક્ષાર્થે નીકળે ત્યારે આવકાર મળે અને સૂઝતો આહાર પણ મળે . આટલી સુુુુુુુુુુુુુુુુુુવિધા બની . કષ્ટ દેેેેનાર અનાર્ય નહીં હોય એવી હૈયાધારણ પણ બની . જોકે દેેેવાર્યને સુુુુુવિધાનો અને હૈયાધારણનો ખપ નહોતો . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *