વનવગડે વિહરે વીર ( ૨૩.૧)

વનવગડે વિહરે વીર ( ૨૩.૧)

નવમુું ચોમાસું એકદમ કપરું હતું – ૧


દેવાર્યનું વ્યક્તિત્વ સુખમય , આનંદમય હતું . દેવાર્ય પ્રસન્ન જ રહે અને પ્રસન્ન જ દેખાય . એનો મતલબ એવો નહોતો કે પરિસ્થિતિ સારી જ મળતી દેવાર્યને . વિકટ પરિસ્થિતિઓ આવતી . અને વિકટ પરિસ્થિતિને દેવાર્ય પણ શોધતા . આઠમું ચોમાસું ઉપસર્ગ રહિત હતું . ચોમાસા બાદ દેવાર્યે ચોમાસી તપનું પારણું કોના હાથે કર્યું અને કેવી રીતે કર્યું તેની વિગતો જાહેર થઈ નહીં . દેવાર્ય પોતાને ‘ સમાચાર ‘ બનાવતા નહીં . મારી નાનામાં નાની પ્રવૃત્તિ સૌને દેખાવી જોઈએ , એવો પ્રદર્શન ભાવ દેવાર્યમાં નહોતો . દેવાર્ય પોતાની મોટામાં મોટી પ્રવૃત્તિઓને પણ ગુપ્ત રાખતા . પોતાના તરફથી પોતાની કોઈ જાહેરાત કરાવતા નહોતા દેવાર્ય . એકસોવીસ ઉપવાસનું લાંબું તપ , કોઈ આશ્ચર્યથી કમ ન હોતું . દેવાર્યે એને અંગત આનંદ બનાવી રાખ્યું .


દીક્ષા જીવનનું નવમું વરસ અને નવમું ચોમાસું તદ્દન વિચિત્ર . દેવાર્યે નક્કી કર્યું કે મારે ફરીથી અનાર્ય દેશમાં જવું છે . આર્ય દેશમાં આવનારાં કષ્ટો દેવાર્યને ઓછા લાગતાં હતાં . લો , કરો વાત . જે કષ્ટોની કથા વાંચીને રડવું આવી જાય તે કષ્ટો દેવાર્યને ઓછા લાગતાં હતાં . દેવાર્ય આઠમા ચોમાસા પછી તુરંત અનાર્ય ભૂમિ તરફ નીકળ્યા . વજ્રભૂમિ , શુુદ્ધ ભૂમિ અને લાટપ્રદેશનો અમુક વિસ્તાર દેવાર્યનાં દીક્ષાજીવનનાં નવમા વરસનું મુખ્ય ક્ષેત્ર – બન્યો . આખું વરસ દેવાર્ય અનાર્યોની વચ્ચે રહ્યા . આહાર ન મળે , જળ ન મળે , વસતિ ન મળે એવા ઈલાકામાં દેવાર્યે બાર મહિના વિતાવી દીધા .


પરીક્ષાની વાત એ હતી કે અનાર્યોને અજાણ્યા લોકો દીઠા’ય ગમે નહીં . અનાર્ય લોકો એટલે માનવશરીરમાં વસનારા પશુઓ જ ગણાય . ક્રૂર , જડ અને ઉતાવળિયા . દેવાર્યે આ બાર મહિનામાં શું શું ખમ્યું તેનો સિલસિલાબંધ આંખે દેખ્યો અહેવાલ લખાયો હોય , એવું બન્યું નથી . તેનાં કારણ બે . એક , જે અહેવાલની ઘટનાઓને આંખોથી દેખવા જાય તે જીવતો જ ન બચે . અનાર્યો એના રામ રમાડી દે . બીજું કારણ : જો દેવાર્યને ખબર પડે કે આ મારો અહેવાલ લખવાનો છે તો દેવાર્ય એને ભગાડી દે . એમ કહીને કે તું શું કામ આવ્યો છે ? તું નીકળ અહીંથી . મારે શું કરવું છે , શું ખમવું છે તે હું જોઈ લઈશ . મારી જીવનીમાં તારે હસ્તક્ષેપ કરવાનો નથી .


એ એક વરસ માઠું હતું . અનાર્યો દેવાર્યને જોઈને ઝનૂને ભરાતા . દેવાર્યને એ લોકો દંડથી મારતા , લાત મારતા , લોખંડી મુઠ્ઠીઓ મારતા . દેવાર્યને કરડે તેવા ઉદ્દેશથી તેઓ દેવાર્ય પર કૂતરાઓ છોડી મૂકતા . કૂતરા દેવાર્યને બાચકા ભરી , દેવાર્યનું માંસ ખેંચી કાઢતા . અનાર્યો એ જોઈ રાજી થતા . અનાર્યોમાં દયા જેવી કોઈ લાગણી હતી જ નહીં . દેવાર્યને એક કૂતરું કરડે એટલામાં વાત ખતમ થતી નહોતી . દેવાર્યને ઘણા કૂતરા વળગી પડતા . એમને ભગાડવામાં અનાર્યોને કોઈ રસ નહોતો . અનાર્યો કૂતરાઓને ઈશારાઓથી ઉકસાવતા . દેવાર્ય આ વિસ્તારમાં આવ્યા ત્યારથી જ કૂતરાઓનું ટોળું પાછળ પડેલું રહેતું . આ ઈલાકામાંથી પસાર થનારા લોકોના હાથમાં ચાર આંગળ જાડી લાઠી અવશ્ય રહેતી . એનાથી કૂતરાઓ સામે બચાવ કરવાનું બળ મળતું . કમાલ એ હતી કે કૂતરાઓ પણ માથા ભારે હતા , લાઠીઓ ચૂકવીને એ કૂતરા લાઠી ધારીને એકાદ બચકું ભરી જ લેતા . જ્યાં લાઠીધારીઓને કૂતરાઓથી બચવું મુશ્કેલ જતું ત્યાં દેવાર્ય વગર લાઠીએ વિહરતા અને કૂતરાઓનો હુમલા ઝીલતા .( સંંદર્ભ : આચારાંગ સૂૂૂ્ત્ર ) આશરે છ મહિના કૂતરાઓનો આતંક સહ્યો દેવાર્યે .

દેવાર્યને કૂતરાઓના તીણા નખ વાગતા , દાંત વાગતા . દેવાર્યની કાયા પર જખમ બની જતા . કૂતરાઓનું ઝેર દેવાર્યની કાયામાં આગ જેવી બળતરા ફેલાવતું . અનાર્યો માટે આ જોણું હતું . દેવાર્ય દેદીપ્યમાન હતા . ઘોર અતિ ઘોર એવા શ્વાનઉપદ્રવોમાં પણ દેવાર્ય દોડતા નહીં , હાથ પગ સંકેલતાં નહીં , ઝાડ કે ઝૂંપડા પર ચડીને સ્વબચાવ કરતા નહીં , પથ્થરો કે લાકડીઓથી કૂતરાઓને ભગાવતા નહીં . વહેતી હવા કાયાને ટકરાય એનો જે રીતે દેવાર્ય સ્વીકાર કરતા અને વિરોધ ન કરતા તે જ રીતે આ હોનહાર શ્વાન આક્રમણનો પણ દેવાર્ય સ્વીકાર કરતા અને વિરોધ ન કરતા .

અમુક કૂતરા દેવાર્યને કરડવાની ઉત્સુકતા બતાવતા નહીં . અનાર્યો એમને દેવાર્યને કરડવાનું શીખવાડતા . તે લોકો દેવાર્યને દંડો મારતા અને તે જ વખતે કૂતરાને ઈશારો કરતા કે આ બાવાને કરડો . પેલો શાંત કૂતરો પણ ઉશ્કેરાઈને દેવાર્ય પર ધસી આવતો .


સિદ્ધાર્થ શું કરતો હતો આ દિવસોમાં ? દેવરાજ કેમ આવતા નહોતા ? દેવાર્યે આ વિસ્તારમાં આવવાનું કષ્ટ સ્વીકાર્યું જ કેમ ? આ પ્રશ્ન હતો . દેવાર્ય સહન કરવા માંગતા હતા વધુમાં વધુ કષ્ટો . સામે ચાલીને દેવાર્યે આ ઘોર ઉપદ્રવને આલિંગન આપ્યું હતું . આ સમય દરમ્યાન , ખાવાનું સરખું મળતું નહીં . ઉપવાસ લાંબા ચાલતા રહેતા . પારણાના દિવસે અનાર્યના ઘેર જ જવું પડે . તેઓ આવકાર આપે નહીં અને અપમાન કરે . આક્રમણ કરે . ગુસ્સો કરે . પીડા વરસાવે . માંડ આહાર મળે . જે મળે સાવ લૂખું સૂકું હોય . આપનારો આદર વિના આપતો હોય . લેવું ગમે તેવું દ્રવ્ય ન હોય . લેવાનો ઉલ્લાસ બને તેવો સત્કાર ન હોય . દેવાર્ય જે રીતે આહાર મળે તે લઈને , થઈ ચૂકેલા ઉપવાસોનું પારણું કરી લેતા અને આગામી ઉપવાસોનું અત્તરવાયણું કરી લેતા .


દેવાર્યને ચાલવાનો મારગ પણ સારો મળતો નહીં . મોટા મોટા ઢેફાં હોય , પથ્થરો હોય , કાંકરા અને કાંટા હોય , પગની ચામડીના ચીથરા થઈ જાય એવી એ ભૂમિ . ગરમી પડે તો એવી કે હોમહવનના યજ્ઞકુંડમાં બેઠા હોઈએ એવો તાપ લાગે . ઠંડી પડે તો એવી કે બરફથી દીવાલોમાં ઊભા હોઈએ એવી ટાઢક વર્તાય . વરસાદ પડે તો એવો કે ચામડીને કાંકરા વાગતા હોય એવો દેેેેમાર .

સુરક્ષા માટે દેવાર્ય પાસે બીજું કશું તો હતું નહીં . સરખું મકાન મળે એ રાહત ગણાય . દેવાર્યને રહેવા લાયક મકાન પણ મળતું નહીં . ઉજ્જડ વસતિઓના ભાંગેલા તૂટેલા કૂબામાં દેવાર્ય દિવસો , રાતો વિતાવતા . ક્યારેક વળી મકાન જ ન મળે . તો ઝાડની નીચે એમનેમ જ ઊભા રહી કાઉસગ્ગ કરતા . જતા આવતા લોકો મજાક ઉડાવે , અડપલાં કરે , તકલીફ આપે તેને પ્રચંડ શિલા જેવી અડગ તાકાતથી દેવાર્ય ખમી લેતા . ( ક્રમશ: )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *