64 સમરહિલ : પ્રાચીન સંપર્ક વિદ્યાની શોધમાં નીકળેલા  પ્રોફેસરની કથા

64 સમરહિલ : પ્રાચીન સંપર્ક વિદ્યાની શોધમાં નીકળેલા પ્રોફેસરની કથા

છેલ્લા થોડા દિવસો એક કથાના સંગમાં વીત્યા . કથાનું નામ : 64 સમરહિલ . લેખક : ધૈવત ત્રિવેદી . પૃષ્ઠ સંખ્યા : ૪૬૫ .

અવારનવાર આપણે સમાચાર સાંભળીએ છીએ કે મંદિરની જૂનીપુરાણી મૂર્તિ ચોરાઈ ગઈ . દરવખતે એક સવાલ થતો હોય છે કે આ ચોરાયેલી મૂર્તિ જાય છે ક્યાં ? ૬૪ સમરહિલની કથા , મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ જતા , રસ્તામાં આવનારા એક દેવાલયમાં થનારી ચોરીથી શરૂ થાય છે અને પછી મૂર્તિની ચોરીનો સિલસિલો , બિકાનેરથી ૩૭ કિલોમીટર દૂર ડેરાં સુલતાનખાં સુધી પહોંચે છે અને ત્યાંથી આગળ વધીને તિબેટના પોતાલા પેલેસમાં ગુપ્ત રીતે સંગૃહીત હસ્તલિખિત ગ્રંથો સુધી પહોંચે છે . એક પછી એક પાત્રોનો પ્રવેશ થાય છે . ક્યારેક ઘટનાઓ પૂરપાટ વેગેભાગે છે અને ક્યારેક એક જ ઘટનાનું લાંબુંચોડું વર્ણન પાનાઓનાં પાનાઓ સુધી કથાને એક જ જગ્યાએ અટકાવી રાખે છે .

પુરાતન ગ્રંથોમાં જે વૈજ્ઞાનિક શક્તિઓનું વર્ણન મળે છે તેના મુકાબલે , આજના વોટ્સપ , ફેસબુક , ટ્વીટર તો કોઈ વિસાતમાં નથી આવી ભૂમિકા સાથે ભારતીય પ્રાચીન વિદ્યાઓનો આદર કરતી આ કથામાં કોઈ લવ સ્ટોરી નથી અને કોઈ ધાર્મિક ભૂમિકા પણ નથી . મનોરંજનના મુખ્ય ઉદ્દેશથી લખાયેલી આ નવલકથામાંથી આપણને એવા ઘણા મુદ્દા મળે છે જે આપણી માટે જાણીતા છતાં અજાણ્યા છે .

કથામાં , ચોરાયેલી મૂર્તિઓ અને હસ્તલિખિત પોથીઓ છેવટે ભારત સરકારને સુપ્રત થાય છે . નવલકથાકાર આપણી સામે ઘણીબધી એવી વાતો મૂકે છે જેની ઉપર આપણે વિચારવાનું ટાળીએ છીએ . કથાનું કેન્દ્રવર્તી પાત્ર છે પ્રોફેસર . તેઓ સંપર્ક વિદ્યાનાં પુરાતન માધ્યમો વિશે આ મુજબ વિચારે છે .

પુરાતન જમાનામાં લાઈવ ટેલિકાસ્ટ , મેસેજિંગ , કમ્યુનિકેશન જેવી વ્યવસ્થાઓ બહુ જુદી રીતે ઉપલબ્ધ હતી . આપણે આજે ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન કરીએ છીએ – વોટ્સપ , ટ્વીટર , ઝૂમ આદિ દ્વારા . પહેલાના જમાનામાં એવી જ કોઈક કમ્યુનિકેશન સિસ્ટમ હતી જરૂર . પ્રાચીન ગ્રંથો અને પ્રતિમાઓનો ગહન અભ્યાસ કરવાથી એ એન્શન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ વિશે જાણકારી મળી શકે , એટલું જ નહીં એ સિસ્ટમ આજે પણ ઉપયોગમાં લાવવાનું સંભવિત છે .

નવલકથાકારની કલ્પનાઓ અને રજૂઆતો સાથે સહમત થવું ન થવું એ નિજી વિવેક પર નિર્ભર છે . આજની કમ્યુનિકેશન ટેક્નોલોજી અને પુરાણી સંપર્ક વિદ્યા સંબંધી થિયરીઓ પર નવલકથાકારે ખુલ્લા હાથે લખ્યું છે . આ કથામાં શંકરાચાર્ય , શ્રીધરથી માંડીને રાહુલ સાંસ્કૃત્યાયન સુધીના ઐતિહાસિક પુરુષોને આદર મળે છે વળી મૂર્તિમાં નિહિત તંત્ર તત્ત્વનું વિશ્લેષણ પણ વારંવાર વાંચવા મળે છે .

વ્યાખ્યાન આપનારા મહાત્માઓ અને પુસ્તકો લખનારા મહાત્માઓ આ કથાની મુખ્ય વિષયવસ્તુથી અવગત થાય તે જરૂરી છે . બાકી તો આ નવલકથા છે તેથીસ્તો સરહદી રેગિસ્તાનમાં એક જબરસ્ત ધિંગાણું ખેલાય છે , તિબેટ બોર્ડર પર જંગલ અને નદીના દ્વિભેટે જીવસટોસટનું યુદ્ધ થાય છે અને તિબેટના વિશ્વ પ્રસિદ્ધ પોતાલા પેલેસમાં ગજબનાક ક્લાઈમેક્સ આવે છે .

કથાકાર વાર્તામાં કશેક પોતાનો વિચાર જોડતો જ હોય છે . 64 સમરહિલના લેખકે રજૂ કરેલ મુખ્ય વિચાર એ છે કે આપણી ઘણી હસ્તલિખિત પોથીઓ , પ્રતો વિદેશમાં ગુપ્ત રાખવામાં આવી છે , એને ભારતમાં પાછી લાવવી જોઈએ . વળી જે પુરાતન પ્રતો અને પ્રાચીન પ્રતિમાઓ આપણી પાસે છે એમાં ઘણાબધા ગૂઢગંભીર રહસ્યો છે જે હજી અપ્રકટ છે . એ મહાન્ રહસ્યોનો શ્રેષ્ઠ ઉપયોગ , માનવજાતિનાં કલ્યાણ માટે કરવો જોઈએ .

ગુજરાતના ઉમતા ગામમાં જૈન મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ , એ મૂર્તિચોરની સાથે લેખકની મુલાકાત પોલિસે કરાવી તે મુલાકાતમાંથી આ નવલકથાનું બીજારોપણ થયું છે .

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *