વનવગડે વિહરે વીર (૨૦.૩)

વનવગડે વિહરે વીર (૨૦.૩)

પ્રકરણ . ૨૦.૩
દેવાર્ય અને દેવરાજ વચ્ચેનો મીઠો મતભેદ

દેવાર્ય વિશાલાપુરી આવ્યા . લુહારશાળામાં સ્થિરતા . એના માલિકનું ઘર ઘણે દૂર હતું . એ છ મહિનાથી માંદો હતો . એની ભૂમિ પર દેવાર્યે પગ મૂક્યો અને એનું આરોગ્ય ઘેરબેઠા સુધરી ગયું . એને ખબર નહીં કે દેવાર્ય એની લુહારશાળાના સંચાલકની અનુમતિ લઈને રોકાયા છે . એને તબિયત સારી લાગી એટલે એ મોટો હથોડો ઊઠાવી ઘેરથી લુહારશાળા આવી પહોંચ્યો . એને નિરાવરણ દેવાર્ય દેખાયા . એણે માન્યું કે – આ અપશુકન થયા . હું છ મહિને ઘરથી બહાર નીકળ્યો છું અને પહેલાં જ દિવસની પહેલી જ ક્ષણે આ પાખંડીનું મોઢું જોવું પડ્યું . આને ફટકારવો જોઈએ . ‘

પોતાનો મોટો હથોડો બે હાથેથી ઊંચો કરી એ દેવાર્યના માથા પર ફટકો મારવાની અણી પર હતો તે જ વખતે દેવરાજની નજર , અવધિજ્ઞાન દ્વારા , દેવાર્ય પર પડી . એમણે લુહારશાળાના માલિકને રોકી પાડ્યો . થયું એવું કે જે હથોડો દેવાર્યને વાગવાનો હતો તે હથોડાને ઊઠાવનારનાં માથે જ પડ્યો . ભેંસનું શીંગડું ભેંસને જ ભારે પડ્યું .

દેવરાજ દેવાર્યની સમક્ષ આવ્યા . ત્રણ પ્રદક્ષિણા આપી . એ દુઃખી હતા , નારાજ હતા , પીડિત હતા . એમણે દેવાર્યને કહ્યું :

‘ પ્રભુ , આ શું છે ? આપને જોઈને લોકો ગુસ્સો શું કામ કરે છે ? આપ કલ્યાણની પરંપરાનું નિર્માણ કરો છો . આપ નેત્રાનંદકારી છો . આપની પર કોઈ ગુસ્સો કેવી રીતે કરી શકે ? આપ મનથી પવિત્ર છો , વાણીથી નિર્દોષ છો , કાયાથી નિષ્પાપ છો . આપને કોઈ શું કામ દુશ્મન ગણી લે છે ? આપ અમૃત છો અને અજ્ઞાની જનો આપને ઝેર માની લે છે , આવું શું કામ થાય છે , શું કામ ?

‘ મનેં પારાવાર અફસોસ એ વાતનો છે કે આપની ઉપર આપદા આવે છે એને રોકવાની અનુમતિ – આપે , મનેં નથી આપી . મારાં હૈયામાં ભક્તિ છે કે નથી તે મને સમજાતું જ નથી . મારામાં ભક્તિ હોય એનો અર્થ એ જ થાય કે હું સતત આપની સેવામાં રહું . મનેં આપ પોતાની સાથે રહેવાની અનુમતિ આપતા નથી . એનો અર્થ હું એમ સમજું છું કે મારામાં ભક્તિ જેવું કાંઈ છે જ નહીં . મનેં સમજાતું નથી કે મારી શું ભૂલ છે ? અને મારે શું કરવું જોઈએ ? ‘

દેવરાજ ગળગળા સાદે બોલતા રહ્યા . દેવાર્ય અપમાન અને આક્ષેપો ખમી લેતા હતા . એ અપમાન અને આક્ષેપ દેવરાજને ગમતા નહોતા . દેવાર્ય કષ્ટો સહી લેતા હતા . દેવરાજને કષ્ટો ગમી રહ્યા નહોતા . દેવરાજ ઉપસર્ગોને રોકવા માંગતા હતા અને દેવાર્ય તો દેવરાજને જ રોકી રહ્યા હતા . આ ગજબનો મતભેદ હતો . દેવરાજે અત્યાર સુધી આવેલા ઉપસર્ગોને યાદ કરી ખેદ અનુભવ્યો હતો . દેવાર્યની અપરંપાર સહન શક્તિની દેવરાજે લખલૂટ પ્રશંસા – સ્તવના કરી હતી . લગભગ પીડાર્ત હૈયે જ દેવરાજે વિદાય લીધી . દેવાર્યે દેવરાજને કોઈ સાંત્વના આપી નહીં . દેવાર્યને દુઃખ ટાળવા નહોતા . દેવાર્યે દુઃખને પોતાના ગણી લીધા હતા . જે જે લોકો દુઃખ આપતા તેમને દેવાર્ય દુશ્મન માનતા નહોતા . દેવરાજ લાચાર હતા . દેવરાજને દેવાર્યે માનસિક પીડા આપી એવું કહી ન શકાય . દેવાર્યની નિ:સ્પૃહતા અને સહનશીલતાને લઈને દેવરાજ પીડાતુર હતા અને પીડાતુર રહેતા હતા . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *