વનવગડે વિહરે વીર (૧૭)

વનવગડે વિહરે વીર (૧૭)

પ્રકરણ ૧૭ . ત્રીજું ચોમાસું

કાર્તિકી પૂનમે જ દેવાર્યે નાલંદાથી વિહાર કર્યો . કોલ્લાક સંનિવેશમાં પધાર્યા . બહુલ બ્રાહ્મણનાં ઘેર તે દિવસે બ્રહ્મ ભોજન હતું . ખીર બનાવેલી . તેણે દેવાર્યને જોઈ હરખ અનુભવ્યો . વિનંતી કરીને એ દેવાર્યને ઘેર લાવ્યો . ખીરમાં ઘી સાકરનું અજબ મિશ્રણ થયું હતું . દેવાર્યે એના હાથે પારણું કર્યું .

બીજા ચોમાસામાં ચાર માસક્ષમણ એકાંતરે થયાં હતાં . દરેક માસક્ષમણનું પારણું કે અત્તરવાયણું પૂર્વનિયોજન વિના થતું . પારણું કે અત્તરવાયણું કરાવનારને ખબર જ ના રહેતી કે દેવાર્ય માસખમણ પર માસખમણ કરી રહ્યા છે . આ જ હતી દેવાર્યની તપસ્યા . પારણાના દિવસે પણ આહારવૃત્તિની ઉપેક્ષા બનેલી રહેતી . બીજા ચાતુર્માસની અંતિમ તપસ્યાનું પારણું કરી દેવાર્ય કોલ્લાક સંનિવેશમાં જ કાઉસગ્ગમાં ઊભા રહ્યા .

અચાનક , દેવાર્યની સામે એક ઘેલો માણસ આવીને ઊભો રહ્યો . આવતાવેંત એ બોલવા લાગ્યો .

‘ મેં આપને કેટલું શોધ્યા ? ક્યાં જતા રહ્યા હતા આપ . હું ચાર મહિનાથી આપની સાથે છું . પણ મારી પર આપનું ધ્યાન જ નથી . હું આપનો શિષ્ય બનવા માંગુ છું . આપને મારી જરૂર નહીં હોય . મને આપની જરૂર છે . હું ગરીબ માણસ છું . મારા માબાપ પણ ગરીબ જ . તેઓ પાટિયાં પર ચિત્ર બનાવી વેંચે છે . મનેં પણ એમણે ચિતારો બનાવ્યો છે . પરંતુ , હું પાટિયાનાં ચિત્રો વેચવાથી કંટાળ્યો છું . લોકો શું ખરીદે છે અને શું નથી ખરીદતા તે આ વ્યવસાયમાં સમજાતું જ નથી . મને આપની સેવામાં રહેવાનો મોકો આપો . હું આપનો શિષ્ય બનવા માંગું છું . ‘

દેવાર્ય કશું બોલ્યા નહીં . એ ઘેલા આદમીએ પોતાની કાયા પરથી વસ્ત્રો ઉતારીને ફંગોળી દીધા . એણે કહ્યું : ‘ આ જુઓ , મેં સંસારી વેશ તજી દીધો . હવે હું પણ સંસાર મુક્ત છું . જેવા સાધક આપ છો તેવો સાધક મને બનાવી દો . ‘

દેવાર્ય મૌન ત્યજીને કશુંક બોલે એવી સંભાવના હતી ખરી ? આ ગાંડા આદમીને ના પાડવા માટે દેવાર્ય કાંઈક બોલે એ જરૂરી હતું શું ? દેવાર્ય એને પ્રેમથી અથવા ધમકાવીને રવાના કરશે એવું લાગતું હતું . પણ દેવાર્ય સહન કરવા નીકળ્યા હતા . આ વિચિત્ર માણસ સાથે રહે કે ન રહે , મને શો ફેર પડે છે ? એવો વિચાર હશે દેવાર્યનો ? પ્રભુ જ જાણે . દેવાર્યે તેને હા ન પાડી અને ના પણ ન પાડી . અને એ દેવાર્યની સાથે જમા થઈ ગયો .

દેવાર્ય કોલ્લાક સંનિવેશથી સ્વર્ણખલ સંનિવેશ પધાર્યા . એ ઘેલો આદમી દેવાર્યનો ચેલો બની બેઠો . માન ન માન , મૈ તેરા મહેમાન . એનું નામ ગોશાળો . એ બોલકણો હતો . એ દેવાર્ય સાથે વાતો કરતો રહેતો . એ કશુંક પૂછતો . એને સિદ્ધાર્થ જવાબ આપતો . ગોશાળાને લાગતું કે દેવાર્ય બોલે છે પણ બોલનારો રહેતો સિદ્ધાર્થ . સિદ્ધાર્થ પણ જબરો હતો . ગોશાળાની સાથે વાતો કરવામાં એનેય મજા આવતી . ગૌશાળાને ભૂખ લાગતી . એ દેવાર્યને જમવાનું સરનામું પૂછતો . સિદ્ધાર્થ યથાયોગ્ય જવાબ જરૂર આપતો . દેવાર્યને આ બેયની મૈત્રી સાથે કોઈ લેવાદેવા નહોતા .

વિહાર આગળ વધ્યો . દેવાર્ય બ્રાહ્મણગામ પધાર્યા . દેવાર્યે નંદ પાટકમાં નંદ શ્રેષ્ઠીનાં ઘેર પધારી છઠનું પારણું કર્યું . નંદે દહીંભાત વહોરાવ્યા હતા .

દેવાર્ય વિહાર કરતાં કરતાં ચંપાનગરી પધાર્યા . અહીં ત્રીજું ચોમાસું થયું . સળંગ સાઠ દિવસના ઉપવાસનાં પારણે સાઠ ઉપવાસ કર્યા દેવાર્યે . મતલબ કે ત્રીજા ચોમાસાના એકસોવીસ દિવસમાં દેવાર્યે એક જ વાર આહાર લીધો . બાકી એકસો ઓગણીસ દિવસ દેવાર્ય , નિરાહાર અને નિર્જલ રહ્યા . ચોમાસાના એકસઠમા દિવસે , દેવાર્યે એકવાર આહાર સ્વીકાર કર્યો . પરંતુ ક્યારે કોના દ્વારા એ પારણું થયું તેની જાણકારી ઉપલબ્ધ ન થઈ . બીજા સાઠ ઉપવાસ થયા એમાં ત્રીજું ચોમાસું પૂરું થઈ ગયું . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *