વનવગડે વિહરે વીર ( ૧૪.૨)

વનવગડે વિહરે વીર ( ૧૪.૨)

બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા

દેવાર્ય બોલ્યા હતા . સૌપ્રથમ દેવાર્યે સર્પરાજને તેના ત્રણ પૂર્વભવ સંભળાવ્યા હતા . દેવાર્યે પ્રાકૃતભાષામાં બે ગાથા ફરમાવી હતી :
पुव्वभवे जं समणो कोव-विराहिय-समग्ग-सामन्नो ।
कुच्छिय-जोईस-देवत्त-लच्छि-मणुपाविओ मरिउं ।।
तत्तो ईह वणसंडे तापसपुत्तो य जं तुमं जाओ ।
तत्तोविय तिव्वविसो ईण्हिं सप्पत्तणं पत्तो ।। (સંદર્ભ : મહાવીર ચરિયં )


દેવાર્યે કોઈ કથાનાં અલગ અલગ પ્રકરણોનાં નામ સંભળાવી દીધાં હતાં . એ કથા કોની છે ? સર્પ વિચારતો રહ્યો રહ્યો . સર્પને દેવાર્યની ભાષા સમજાઈ હતી . છેલ્લું પ્રકરણ સાપની કથા કહેતું હતું . તે પૂર્વેનું પ્રકરણ એક તાપસની કથા વર્ણવતું હતું . તે પૂર્વેનું પ્રકરણ એક જ્યોતિષ્ક દેવતાની કથા સંભળાવતું હતું . અને તે પૂર્વેનું પ્રકરણ એક તપસ્વી મહાત્માની કથા સુણાવતું હતું . સર્પ એક એક પ્રકરણને સમજવાની કોશિશ કરતો હોય એવું લાગ્યું . એ શાંત બની ગયો હતો . એ અવાક્ થઈ ગયો હતો . એને લાગવા માંડ્યું કે તે પ્રકરણની કથાઓ સાથે એનો કોઈ નજદીકી નાતો છે . એ વિચારતો રહ્યો . પ્રાચીન ગ્રંથનાં પાનાઓ ખૂલતાં હોય તેવું કશુંક , એ સર્પે અનુભવ્યું . પ્રગાઢ ઊંઘમાં લાંબું સપનું દેખાય તે રીતે સર્પને એ પ્રકરણોની કથા નજર સામે દેખાવા લાગી . સર્પને પહેલાં ગભરામણ થઈ , બેહોશી જેવું લાગ્યું . ધીમેધીમે સર્પને સમજાયું કે દેવાર્ય જે બોલ્યા હતા તે બીજા કોઈની કથા નહોતી બલ્કે એની પોતાની જ આત્મકથા હતી . સર્પને જાતિસ્મરણ લાધ્યું હતું . દેવાર્યની કૃપાથી એને પોતાના ત્રણ પૂર્વજન્મો યાદ આવી ગયા હતા . એમ સમજો કે દેવાર્યે તેને જાતિસ્મરણ જ્ઞાન આપ્યું હતું . સર્પ આશ્ચર્ય અને આઘાતથી દેવાર્યને જોતો રહી ગયો હતો . તેને સમજાયું કે આ સાધક છે , આ સિદ્ધપુરુષ છે , આ મહાજ્ઞાનના ધણી છે .

તે પછી દેવાર્યે ક્રોધપરિહારનો ઉપદેશ પણ આપ્યો હતો : ता भद्द एत्तो वि मुंच कोहं | एसो हि विग्घभूओ परम सुह-संपयाणं , पडिखलण-मल्लो कल्लाण-वल्लीणं , महा-पडिवक्खो पवर-विवेयस्स , जलणो कुसलाणुट्ठाण – वणसंंडस्स , जणओ दुग्ग-दुग्गइ-पडणस्सत्ति | सव्वहा अलमेत्तो कोहाणुुधेणंति | ( સંદર્ભ : મહાવીર ચરિયં )

દેવાર્યે જે કહ્યું તેનો સારાંશ એટલો હતો : ક્રોધ કરવામાં કોઈ ઔચિત્ય નથી . તું ક્રોધ કરવાનું છોડી દે .

સર્પને આ ઉપદેશ સ્પર્શી ગયો હતો . એ સર્પને ખબર નહોતી કે દેવાર્યે એની માટે મૌનવ્રતની ઉપેક્ષા કરી હતી . એ સર્પને એ પણ ખબર નહોતી કે દેવાર્યે જે રીતે એને ઉપદેશ આપ્યો તે રીતે આજસુધી બીજા કોઈને ઉપદેશ આપ્યો નહોતો . દેવાર્યની વાણી દેવતાઈ હતી . એનાં શ્રવણથી સર્પનું ઝેર મરી પરવાર્યું હતું . હવે જે સર્પ બચેલો તે નરદમ સાધનાપ્રેમી જીવ હતો . પૂર્વનો સંસ્કારી , સૌમ્ય અને સમજદાર ગૌભદ્ર જાણે જાગી ઊઠ્યો હતો . તેણે દેવાર્યને ત્રણ પ્રદક્ષિણા આપી હતી .

દેવાર્ય એની હલચલ જાણતા હતા . દેવાર્યને સમજાયું કે આ હવે દૃષ્ટિ જ્વાળાઓથી અને ડંખવાથી દૂર થઈ ચૂક્યો છે . દેવાર્યને એની ભાવના સમજાઈ રહી હતી . એ સર્પ ઉપવાસ કરવા માંગતો હતો , એકાદ ઉપવાસ નહીં , આજીવન ઉપવાસ : અનશન . એને જીવવું નિરર્થક લાગતું હતું હવે . જો જીવવું હોય તો શિકાર કરવા જ પડે . દેવાર્યનાં પ્રતાપે એની હિંસકવૃત્તિ ખાખ થઈ ચૂકી હતી . જાતિસ્મરણ થયું એને લીધે ઉપવાસ કેવી રીતે કરવો તે બરોબર ધ્યાનમાં આવી ગયું હતું . દેવાર્યને એની આ ભૂમિકાનું આકલન હતું .

સર્પને આલંબન સારું મળ્યું નહોતું ત્યારસુધી એ દુષ્ટ હતો . સારું આલંબન બનીને સ્વયં દેવાર્ય પધાર્યા હતા . સર્પે આ પરમ આલંબનનો વિવેકવિહોણો વિરોધ કર્યો હતો . એ વિરોધ નિષ્ફળ ગયો એ પછી દેવાર્ય નામનાં આલંબને પ્રભાવ પાથર્યો હતો . જો આલંબન હાજર રહે તો સર્પ પર પ્રભાવ બનેલો રહે . એને ટેકો મળેલો રહે અને એની અંતરંગ શુદ્ધિ વધતી રહે . દેવાર્ય ત્યાંથી તે દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારે વિહાર કરી શકતા હતા . દેવાર્યે ન કર્યો વિહાર . સર્પની અણબોલ વિનંતીને દેવાર્યે વત્સલ પ્રતિભાવ આપ્યો હતો . દેવાર્ય ત્યાં જ રોકાયેલા રહ્યા . સર્પને દેવાર્યની ઉપસ્થિતિ થકી બળ મળ્યું હોય તેવું પરાક્રમ એનામાં જોવા મળ્યું .

સર્પે આહારનો ત્યાગ કર્યો . સર્પે હલનચલનનો પણ ત્યાગ કર્યો . સર્પે પોતાનું મોઢું રાફડાનાં છિદ્રમાં છુપાવી દીધું . એ મોઢું જ દૃષ્ટિજ્વાળા અને ઝેરનું આક્રમણ કરતું . એ મોઢું બહાર જ ન હોય એનો અર્થ એ થાય કે હવે દૃષ્ટિજ્વાળાઓ થંભી ગઈ છે .

સર્પના ઉપવાસ અને દેવાર્યના ઉપવાસ સાથેસાથે ચાલુ રહ્યા . સર્પ જોતો કે દેવાર્ય સ્થિર છે . એમાંથી એને સ્થિર રહેવાની પ્રેરણા મળી હતી . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *