વનવગડે વિહરે વીર (૧૧.૩)

વનવગડે વિહરે વીર (૧૧.૩)

બીજાં વરસનું કથાનક :
અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ

ગામવાસીઓને અચરજ થયું . સિદ્ધાર્થે જણાવેલી જગ્યાએ ગામવાસીઓએ ખોદાણ કર્યું તો જાનવરનાં હાડકાં નીકળી આવ્યાં . ગામવાસીઓને અચ્છંદક માટે સખ્ખત દુર્ભાવ થઈ ગયો . આ અચ્છંદકની ત્રીજી વખતની મોટી બદનામી હતી .

હજી સિદ્ધાર્થને જંપ નહોતો . એણે ગ્રામજનોને ભેગા કરીને કહ્યું કે અચ્છંદકનાં જીવનમાં હજી ઘણીબધી ગડબડ છે . પણ એ વાત મારાં મોઢે સારી નહીં લાગે . તમે અચ્છંદકના ઘરે જાઓ . અચ્છંદકની પત્ની તમને જણાવશે કે અચ્છંદક શું બલા છે ?

ગામવાસીઓ ટોળું બનીને અચ્છંદકનાં ઘેર પહોંચી ગયા . અચ્છંદકની પત્ની ઘેર દુઃખી બેઠી હતી , ગુસ્સામાં પણ હતી . આજે સવારે અચ્છંદકે તેને માર માર્યો હતો . લોકોએ પૂછ્યું કે , ‘ અચ્છંદક શું વાંધાજનક પ્રવૃત્તિ કરે છે , અમને કહો ! ‘

પત્નીઓ સામાન્ય રીતે પતિનું ખરાબ ચિંતવતી નથી હોતી , ખરાબ બોલતી પણ નથી હોતી . પણ એ દિવસે અચ્છંદકે આ ગૃહિણીને ઘણો ત્રાસ આપેલો . આવેશમાં ને આવેશમાં એણે અચ્છંદકની અંગત નબળાઈઓ ઉજાગર કરી દીધી . અચ્છંદકનું પૂરેપૂરું ચારિત્રહનન થઈ ગયું . એની આ ચોથીવારની મોટી બદનામી હતી . આખાય ગામમાં અચ્છંદક માટે ધુત્કાર અને ધિક્કાર ભાવના ફેલાઈ ગઈ .

અચ્છંદક સાથે જે બન્યું તે બધું જ સિદ્ધાર્થનું કર્યું કરાવ્યું હતું . આમાં દેવાર્યની કોઈ જ ભૂમિકા નહોતી . સમસ્યા એ હતી કે સિદ્ધાર્થ અદૃશ્ય હતો અને દૃશ્યમાં એકમાત્ર દેવાર્ય જ હતા . અચ્છંદકને દેવાર્ય થકી એ દિવસે ભારે માનસિક પીડાઓ થઈ . તે રાતના સમયે દેવાર્ય પાસે આવ્યો . એ ગળગળા સાદે બોલ્યો :

‘ દેવાર્ય , આ ગામમાં મારું ઘર છે , મારા અનુયાયીઓ છે . આ ગામની બહાર મને કોઈ ઓળખતું નથી . મારી બદનામી આ ગામમાં થતી રહેશે તો મારે રહેવા ક્યાં જવું ? આપ તો જ્યાં જશો ત્યાં આદર પામશો . મારી માટે આ એક જ ગામ છે જ્યાં મને આદર મળે છે . મેં આપનો અવિનય કર્યો તે અજાણપણામાં થયેલી મારી ભૂલ છે . મારી આંગળીઓ છેદાઈ , મારી બેઈજ્જતી થઈ – એ રૂપે મને મારી ભૂલની સજા મળી ચૂકી છે . હવે નવું કશુંય સહન કરવાની મારી શક્તિ નથી . પ્રભુ , મારી પર દયા કરો . આપ ચમત્કારી અને સાક્ષાત્કારી અવતાર છો એની મને ખબર નહોતી . મારી પર કૃપા વરસાવો . ‘

દેવાર્યે અચ્છંદકની વાત સાંભળી હતી . આ વાત રજૂ થઈ ત્યારે સિદ્ધાર્થ દેવાર્ય પાસે હશે નહીં . અન્યથા એ અચ્છંદકને હજી વધુ ઠપકો આપત . પણ અચ્છંદકને કોઈ ઠપકો સાંભળવો પડ્યો નહીં . દેવાર્ય કાઉસગ્ગમાં હતા પણ વાતાવરણથી અસ્પૃશ્ય નહોતા . દેવાર્યે અચ્છંદકના અપરાધ વિશે વિચાર ન કર્યો . દેવાર્યે અચ્છંદકની અસલામતીની વૃત્તિનો વિચાર કર્યો . અચ્છંદકે પહેલાં દેવાર્ય માટે અસૂયા બનાવી હતી . પણ એને હાર ખમવી પડી હતી . પાછળથી અચ્છંદકને પારાવાર દુઃખ મળ્યું હતું . એ અંદરથી તૂટી ગયો હશે . દેવાર્યે જોયું કે હવે અચ્છંદકનાં મનમાં અપ્રીતિ જાગી ગઈ છે . દેવાર્યે પોતાનો નિયમ યાદ કર્યો : અપ્રીતિસંપન્ન સ્થાને રહેવું નહીં એવો નિયમ લીધો હતો દેવાર્યે . અચ્છંદક એક પામર માણસ હતો . દેવાર્ય એની નોંધ સુદ્ધાં ન લે તો ચાલે . અચ્છંદક દેવાર્યને કોઈ પણ રીતે પીડા આપી શકવાનો નહોતો . એનામાં કોઈ ગજું નહોતું . છતાં દેવાર્યે એની ભાવનાઓની નોંધ લીધી હતી .

અચ્છંદકની આંગળી કેવી રીતે છેદાઈ તે દેવાર્ય જાણતા હતા . એ અંગુલી છેદન દેવરાજે કર્યું હતું . દેવાર્યને અપમાનિત કરવાની દુષ્ટ ભાવના જે અચ્છંદકમાં જાગી હતી તે દેવરાજે અવધિજ્ઞાનથી દેવલોકમાં બેઠાબેઠા જોઈ હતી . તેની સજા દેવરાજે આ રીતે આપી હતી . દેવરાજ પ્રગટ થયા નહીં . તે કારણે આ અંગુલીછેદનને દેવાર્યનો પરચો ગણી લેવામાં આવ્યો . અને આ પરચાથી પરાભૂત થઈને જ અચ્છંદક દેવાર્યના પગમાં પડી રડી રહ્યો હતો .

એ ઘણા લાંબા સમયથી મોરાક સંનિવેશમાં રહેતો હતો . લગભગ દરેક ઘરમાં એનું નામ ગવાતું હતું . અચાનક , દેવાર્ય આવ્યા અને પ્રતિસ્પર્ધા નોંતરી લીધી હતી અચ્છંદકે . હવે એને સમજાયું હતું કે પોતે ભૂલ કરી છે . અચ્છંદકની વેદના એ હતી કે એની ઈજ્જતનું ધોવાણ થઈ ગયું હતું . જે લોકોને અગમનિગમની વાત અચ્છંદક પાસેથી જાણવા મળતી હતી તે લોકોએ દેવાર્યનું શરણ સ્વીકારી લીધું હતું . અચ્છંદક સાવ એકલો પડી ગયો હતો .

દેવાર્યની કરુણા અનંત હતી . દેવાર્યની શક્તિ પણ અનંત હતી . અચ્છંદકનું ભક્ત વર્તુળ પોતાના હાથમાં આવી જાય એવી તુચ્છ લાલચ દેવાર્યને હતી જ નહીં . દેવાર્યે અચ્છંદક માટે અનુકંપાની લાગણી રાખીને મોરાક સંનિવેશથી ઉત્તર વાચાલા તરફ વિહાર શરૂ કરી દીધો . અચ્છંદકની એકાધિકાર ભૂમિનો દેવાર્યે ત્યાગ કર્યો . ( ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *