વનવગડે વિહરે વીર (૧૧.૨)

વનવગડે વિહરે વીર (૧૧.૨)

બીજા વરસનું કથાનક :
અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ

‘ આ ઘાસનું તણખલું મારા દ્વારા તૂટશે કે નહીં ? ‘ અચ્છંદકે બે હાથની આંગળીઓ દ્વારા ઘાસનું તણખલું બે છેડેથી પકડ્યું અને દેવાર્યને પૂછ્યું .

મુદ્દો સ્પષ્ટ હતો . જવાબમાં દેવાર્ય હા પાડે તો અચ્છંદક તણખલું અખંડ રાખીને દેવાર્યને જુઠા પુરવાર કરવાનો હતો . જવાબમાં દેવાર્ય ના પાડે તો અચ્છંદક પળવારમાં તણખલાંના બે ટુકડા કરીને દેવાર્યને અસત્યવાદી સાબિત કરવાનો હતો . અચ્છંદક જાણતો હતો કે દેવાર્યે કેવળ વાતો કરી છે , દેવાર્યે કોઈ ચમત્કાર કર્યો નથી . મતલબ કે સિદ્ધાર્થ ચમત્કાર કરી શકે એમ નથી . એવી અચ્છંદકને ખાતરી હતી . અચ્છંદક જેવો પોતે હતો , દેવાર્યને પણ તે એવા જ સમજતો હતો . એણે જવાબની રાહ જોઈ . સિદ્ધાર્થે પોત પ્રકાશ્યું .

‘ આ તણખલું તું નહીં તોડી શકે ‘ એ બોલ્યો હતો . અચ્છંદકને આ જ જવાબ જોઈતો હતો . આસપાસના ભેગા થયેલા લોકોને અચ્છંદકના હાથમાં રહેલું તણખલું દેખાઈ રહ્યું હતું . અચ્છંદકે એ તણખલાને તોડવા આંગળીમાં વજન ઉમેર્યું . એક ક્ષણની વાત હતી . હમણાં તણખલું તૂટે અને તુરંત દેવાર્યનું વચન ખોટું પડે . પણ અચ્છંદકના હાથે તણખલું તૂટ્યું નહીં . આશ્ચર્યની વાત એ બની કે અચ્છંદકની આંગળીઓ ચીરાઇ , લોહીલુહાણ થઈ અને તણખલું તૂટ્યા વગર જ જમીન પર સરી પડ્યું .

આ દૃશ્ય સિદ્ધાર્થે જોયું , ગ્રામજનોએ જોયું . આ નરદમ ચમત્કાર હતો . આંગળી કોણે ચીરી તે કોઈ જોઈ શક્યું નહોતું અને આંગળી ચિરાઈ છે તે દેખાઈ રહ્યું હતું . અચ્છંદક જૂઠો સાબિત થયો હતો . દેવાર્ય સાચા સાબિત થયા હતા . અવાચક બનેલો અચ્છંદક ત્યાંથી ભાગી છૂટ્યો . લોકોમાં હસાહસ થઈ હતી . દેવાર્ય , ધ્યાનસ્થ દેવાર્ય શાંત રહ્યા . એમને હસવું ન આવ્યું . એમની મુખમુદ્રા પર સમતા લહેરાતી રહી . દેવાર્યને જેમ સિદ્ધાર્થ સાથે લેવાદેવા નહોતી તેમ અચ્છંદક સાથે પણ કોઈ લેવાદેવા નહોતી . સિદ્ધાર્થ જે કરે તે સિદ્ધાર્થનાં નસીબ . અચ્છંદક જે કરે તે અચ્છંદકનાં કરમ . જોકે , દેવાર્ય જેવી તટસ્થતા સિદ્ધાર્થમાં નહોતી . એ અચ્છંદકના પરાજયથી હરખાયો હતો . અચ્છંદકની આંગળી છેદાઈ તેમાં સિદ્ધાર્થનું કોઈ જ યોગદાન નહોતું . સ્વયં સિદ્ધાર્થ આ વાત સમજતો હતો . પણ અચ્છંદક દુશ્મન બનીને આવ્યો હતો એ સિદ્ધાર્થ જાણતો હતો . દુશ્મન હાર્યો હતો . સિદ્ધાર્થને પાનો ચડ્યો હતો . એણે બોલવાનું શરૂ કર્યું :

` જોયું ? આ અચ્છંદકનું શું થયું ? અમને હરાવવા આવેલો . અરે , પોતે જ હાર ખાઈને નાઠો છે . અચ્છંદક જ્ઞાની નથી , અજ્ઞાની છે . તમને ખબર છે ? અચ્છંદક ચોરીઓ પણ કરે છે . આ ગામમાં વીરઘોષ કરીને કોઈ રહે છે ?

સિદ્ધાર્થે પૂછ્યું હતું . એક માણસ આગળ આવ્યો હતો . એણે કહ્યું હતું કે ‘ હા , હું જ વીરઘોષ છું . ‘
સિદ્ધાર્થે પૂછ્યું કે તારા ઘરમાંથી કોઈ મોટું વાસણ ચોરાયું છે ?
વીરઘોષે કહ્યું : હા , ચોરાયું છે .
સિદ્ધાર્થે કહ્યું : એ વાસણ . આ અચ્છંદકે જ ચોર્યું છે . તમે એનાં ઘરની પાછળની જમીન ખોદી જુઓ . તમને એ ત્યાંથી મળશે . અચ્છંદકે એ વાસણ ત્યાં છુપાડી રાખ્યું છે .

વીરઘોષને લઈને ગામવાસીઓ અચ્છંદકના ઘરે પહોંચ્યા . એ ઘરની પાછળની જમીનમાંથી વીરઘોષનું ચોરાયેલું વાસણ મળી આવ્યું . અચ્છંદકની બીજી વખત મોટી બદનામી થઈ . સિદ્ધાર્થને શાંતિ નહોતી . એણે ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘ આ ગામમાં કોઈ ઇન્દ્ર શર્મા રહે છે ? ‘
બીજો એક માણસ આગળ આવ્યો . એણે કહ્યું : હું જ છું ઈન્દ્રશર્મા .
સિદ્ધાર્થે બધાની વચ્ચે કહ્યું : તારાં ઘરેથી ઘેટું ચોરાયું છે ?
ઈન્દ્ર શર્માએ હા પાડી . સિદ્ધાર્થે કહ્યું : એ ઘેટું પણ અચ્છંદકે જ ચોરી લીધું છે . વીરઘોષનું વાસણ તો સહીસલામત પાછું મળી ગયું . એ ઘેટું પાછું નહીં મળે . અચ્છંદકે એ જાનવરનું કામ તમામ કરી નાખ્યું છે . હું જગ્યા બતાવું છું ત્યાં જઈને જુઓ . તમને આ જાનવરનાં હાડકાં મળી આવશે . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *