વનવગડે વિહરે વીર ( ૧૮.૨ )

વનવગડે વિહરે વીર ( ૧૮.૨ )

ચોથા ચોમાસાનું કથાનક : ગોશાળો રે ગોશાળો

દેવાર્ય , કુમાર સંનિવેશ પધાર્યા . ચંપક રમણીય ઉદ્યાનમાં સ્થિરતા ધારણ કરી . કાઉસગ્ગ ધાર્યો . ગોશાળો ગામમાં ભમવા ગયો . દેવાર્ય તપસ્યા કરતા . ગોશાળો ભૂખ સહન કરી શકતો નહીં . એ આમતેમ ભટકી ખાવાની ગોઠવણ કરી જ લેતો . ગામમાં તેણે શ્વેતવસ્ત્રધારી મહાત્માઓને જોયા . એને જાણવા મળ્યું કે આ પાર્શ્વનાથીય પરંપરાના સાધુ હતા . તેમની પાસે વસ્ત્રો હતાં , પાત્રો હતાં . ગોશાળો સાધુઓ પાસે જઈને ઝઘડવા લાગ્યો : તમે સાધુ છો ? તમે શાના સાધુ ? તમે કપડાં પહેરો છો , પાત્રા રાખો છો . આટલોબધો પરિગ્રહ રાખો છો અને પોતાને નિર્ગ્રંથ માનો છો ? તમે જૂઠા છો . સાચા સાધુ તો મારા ગુરુ દેવાર્ય છે . ‘

એ સાધુઓ ગોશાળાની વાત સાંભળી બોલ્યા : ‘ જેવો તું છે તેવા જ તારા ગુરુ હશે ? ‘

ગોશાળો સમસમી ગયો . એણે શ્રાપવાણી ઉચ્ચારી . સાધુઓ બોલ્યા : તારા જેવાના શ્રાપ લાગે જ નહીં . ગોશાળો દોડીને દેવાર્ય પાસે આવ્યો . દેવાર્યને એણે સાધુઓની વાત કરી . સિદ્ધાર્થે કહ્યું કે ‘ એ પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના મહાત્માઓ છે . તારા શ્રાપ એમને લાગવાના નથી . ‘

ગોશાળો ચૂપચાપ એક બાજુ બેસી ગયો . તે રાતે ગામમાં અચાનક ઘણું જ અજવાળું ફેલાયું . ગોશાળો દૂરથી એ અજવાળું જોઈ દેવાર્યને કહેવા લાગ્યો કે ` જુઓ , જુઓ પેલા સાધુઓને મેં શ્રાપ આપેલો ને ત્યાં આગ લાગી છે . મારો શ્રાપ સાચો પડ્યો . ʼ

સિદ્ધાર્થે કહ્યું : અરે મૂરખ , તારો શ્રાપ એમને લાગ્યો છે એવો ભ્રમ પાળતો નહીં . તેં જે સાધુઓ જોયા હતાને એમના મોટા આચાર્ય હમણાં જ સ્વર્ગવાસી બન્યા છે . તેમને કુંભારે ઉપસર્ગ કર્યો હતો . તેઓ મોટી વયે પહોંચ્યા હતા , અનશન કરવાની ભાવના હતી . મકાનની બહાર કાઉસગ્ગ કરી રહ્યા હતા . તેમને ઘરમાલિક કુંભારે દારૂના નશામાં જોયા , ચોર સમજીને કુંભારે એમનું ગળું દબાવી દીધું . મહાત્માને અવધિજ્ઞાન થયું અને એમનું આયુ પૂર્ણ થઈ ગયું . દેવતાઓ તેમનો વિદાય ઉત્સવ મનાવવા આવ્યા છે તેનું આ અજવાળું છે . ʼ

ગોશાળો શું બોલે ? પણ એણે કારનામું તો કર્યું જ . એ સાધુઓનાં નિવાસસ્થાને પહોંચી ગયો . સાધુઓને ઉઠાડીને તેમના વડીલ આચાર્યની વિદાયકથા જણાવી . ઠપકો પણ આપ્યો કે તમારા ગુરુની વિદાય થઈ ગઈ અને તમારું ધ્યાન પણ નથી ? કરો છો શું તમે લોકો ?

શિષ્યો સફાળા જાગીને ગુરુદર્શન કરવા ગયા . ગોશાળો જાણે જીત હાંસિલ કરી હોય તે રીતે હરખાયો . એને બીજાઓને ધમકાવવામાં મજા આવતી . એ મૌકાની શોધમાં જ રહેતો .

દેવાર્યનો વિહાર આગળ વધ્યો . ચોરાક સંનિવેશ પધાર્યા . અહીં બે રાજાઓ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બનેલી હતી . દેવાર્ય અને ગોશાળાને સૈનિકોએ ગુપ્તચર માનીને પકડી લીધા . પૂછપરછ થઈ . દેવાર્ય કે ગોશાળો કશું ન બોલ્યા . સૈનિકોએ ગોશાળાને દોરીએ બાંધી કૂવામાં લટકાવી દીધો . ગોશાળો કાંઈ ન બોલ્યો . હવે સૈનિકોએ દેવાર્યને દોરીએ બાંધી કૂવામાં લટકાવ્યા . સૈનિકોએ દેવાર્યને પાણીમાં ડૂબાડી રાખ્યા અને થોડીવાર પાણીની બહાર લાવી કૂવાના કાંઠેથી પૂછ્યું કે ‘ તમે કોણ છો , સાચું બોલો ? ‘

દેવાર્યે જવાબ ન આપ્યો . દેવાર્યને ફરીથી પાણીમાં ડૂબાડવામાં આવ્યા અને પાણીથી બહાર ખેંચવામાં આવ્યા . સૈનિકોએ આ અત્યાચાર ચાલુ રાખ્યો . વાત ચારેકોર ફેલાઈ ગઈ .

એ રસ્તેથી નીકળી રહેલી બે પરિવ્રાજિકાઓ સોમા અને જયંતીએ આ વાત સાંભળી . દેવાર્યને અસ્થિક ગ્રામમાં મળેલા ઉત્પલ નૈમિત્તિકની આ બહેનો હતી . એમને સમજાયું નહીં કે સૈનિકો કોને હેરાન કરી રહ્યા છે . એમને જે વાતો સાંભળવા મળી તેનાથી ચિંતિત થઈને તે કૂવા પાસે દોડી આવી . તેમને આશંકા થઈ કે કદાચ , દેવાર્યને પકડ્યા હશે . તેમણે કૂવામાં પાણીમાં ઝબકોળાઈ રહેલા દેવાર્યને જોયા અને ઓળખ્યા . બંને પારિવ્રાજિકાઓએ તુરંત સૈનિકોને ઠપકો આપીને રોક્યા . સૈનિકોએ દેવાર્યને કૂવામાંથી બહાર ખેંચી લીધા . દેવાર્યને બાંધેલી દોરીઓ ખોલી દીધી . દેવાર્યનો ચહેરો એકદમ પ્રસન્ન હતો . દેવાર્ય આ જડસુ સૈનિકો પર નારાજ નહોતા . દેવાર્યને ડર લાગેલો હોય એવું બને જ શાનું .

સોમા અને જયંતી વિચારતી રહી : દેવાર્યનું પ્રચંડ બળ આ સૈનિકો જાણતા નથી . દેવાર્ય એક ફૂંક મારે એમાં આ બધા જ સૈનિકો ફૂ થઈને ઊડી જાય . પણ દેવાર્ય સહન કરવામાં માનતા હતા એટલે સૈનિકો બચી ગયેલા . દેવાર્યે આવી કઠોર સજા શું કામ સહી લીધી ? દેવાર્ય બોલીને ખુલાસો કરી શકતા હતા . દેવાર્ય મૌન શું કામ રહ્યા ? આ બીજો માણસ કોણ છે જે દેવાર્ય સાથે સજા પામ્યો ? આને દેવાર્યે કેમ સાથે રહેવા દીધો છે ? પ્રભુની લીલા પ્રભુ જ સમજે . ‘

દેવાર્યને વારંવાર વંદના કરીને તેમણે વિદાય લીધી . એમના લીધે હવે દેવાર્ય માટે અહીં માનસન્માનનું વાતાવરણ બની ગયું . દેવાર્ય થોડો વખત એ જ વિસ્તારમાં બિરાજમાન રહ્યા . પછી દેવાર્ય પૃષ્ઠચંપા પધાર્યા . ચોથું ચોમાસું દેવાર્યે પૃષ્ઠ ચંપામાં જ કર્યું .

આ ચોમાસામાં દેવાર્યે સળંગ ચાર મહિનાના ઉપવાસ કર્યા . મતલબ કે આ ચોમાસામાં દેવાર્યે સળંગ એકસોવીસ દિવસ સુધી આહારનો અને પાણીનો ત્યાગ કર્યો . ચોમાસી તપનો સંપૂર્ણ સમય દેવાર્ય , મૌન રહ્યા , કાઉસગ્ગમાં રહ્યા .

ગોશાળો સાથે હોવા છતાં સાથે નહોતો . એ પોતાનાં ભોજનપાણીની ગોઠવણ કરવા આમતેમ આંટા મારીને પાછો દેવાર્ય પાસે આવી જતો . સિદ્ધાર્થ દેવ ક્યારેક હાજર રહેતો , ક્યારેક ગાયબ . દેવાર્યે આ બંનેની કોઈ પરવા રાખી નહોતી . એમનું એ જાણે , મારી સાધનાનું હું જાણું ? આ દેવાર્યનો અભિગમ હતો . (ક્રમશઃ)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *