વનવગડે વિહરે વીર (૧૬.૨)

વનવગડે વિહરે વીર (૧૬.૨)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં

પગલાંનો પીછો કરતો કરતો એ દેવાર્ય સુધી પહોંચ્યો . દેવાર્યનાં સામુદ્રિક લક્ષણો અદ્ભુત હતા . જોતાવેંત સમજાય કે આ ચક્રવર્તીનું વ્યક્તિત્વ છે . એ જોશીએ અપેક્ષા રાખી હતી કે સોનેરી આભૂષણ અને મોંઘાદાટ વસ્ત્રો અને શક્તિશાળી હથિયાર ધારણ કરનારો મહાપુરુષ જોવા મળશે . એને દેવાર્ય દેખાયા : આભૂષા મુક્ત . વસ્ત્ર વિરહિત . શસ્ત્ર વિહીન . તદ્દન એકાકી . એ સ્તબ્ધ થઈ ગયો . દેવાર્યની નિરાવરણ કાયાને એ જોતો જ રહી ગયો . છાતીની વચોવચ ગુચ્છાદાર શ્રીવત્સ . ઊંચી મસ્તકશિખા . વિશાલ લોચનદલ . લાંબાં પોપચાં . લાંબી અણીદાર ભ્રૂલતા . દીપજ્યોતિ જેવી નાસિકા . સુરેખ સોનેરી કાન . કમળપત્ર સમા સ્નિગ્ધ રક્ત હોઠ . ત્રિરેખ કંઠ . જોશી દેવાર્યનાં એકેક અંગને સામુદ્રિક શાસ્ત્રની નજરે જોતો રહ્યો . એક તરફ એને આશ્ચર્ય થતું હતું કેમ કે આવું નખશિખ મહાલક્ષણસંપન્ન માનવશરીર એ પ્રથમ વાર જોઈ રહ્યો હતો . બીજી
તરફ એને અફસોસ થઈ રહ્યો હતો કે દેવાર્ય સાથે વૈભવ કેે રાજપરિવારની એક પણ નિશાની મૌજૂદ નહોતી .

એ નિરાશ થયો . એની સામુદ્રિક શાસ્ત્રની પોથી હતી . તેણે એ પોથી એક હાથે પકડી . એ પોથીને જોતો રહ્યો . એ મનોમન બબડ્યો :

‘ આજે આ સામુદ્રિક શાસ્ત્ર સદંતર ખોટું સાબિત થયું . આ પુરુષનાં લક્ષણો અસાધારણ છે . પરંતુ જીવન સાવ સાધારણ છે . આમની પાસે ઐશ્વર્ય હોવું જોઈતું હતું , રસાલો હોવો જોઈતો હતો . આ તો સાવ એકલા અને ખાલીખમ છે . મારો બોધ બેકાર છે . આ પોથી નિરર્થક છે . હું બધે આ પોથી સાથે લઈને ફરું છું . પોથીના જ આધારે સૌને મૂલવું છું , ભવિષ્યકથન કરું છું . આજે સમજાણું કે આ પોથી જ નકામી છે . આ ભ્રામક પોથી ગંગાશરણ થઈ જાય એ જ ઠીક છે . પોથીને અલવિદા . ‘

એણે પોથીવાળો હાથ ઊંચક્યો અને ગંગામાં પોથીનો પ્રહાર કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો જ હતો કે પાછળથી એક અવાજ આવ્યો : ` ઉતાવળ ના કરો , ભૂદેવ . ʼ

જોશીએ પાછળ જોયું . એની આંખો અંજાઈ ગઈ . તેને બીજો એક પુરુષ દેખાયો . એ પુરુષનાં માથે મુગટ હતો , ભુજાઓમાં બાજુબંધ હતા , હાથમાં કડાં હતાં , આંગળીઓમાં વીંટી હતી , કેડે કટિબંધ હતો , છાતી પર ઝૂલતા હાર કંઠને વીંટળાયેલા હતા . બધા જ દાગીના નગદ સોનાનાં હતા અને રત્ને મઢેલા હતા . એ દેવરાજ હતા . ઊંચા કદની કાયા હતી . ઓજસ્વી ચહેરો હતો . આંખો દેદીપ્યમાન હતી . જોશી જોતો રહ્યો . એણે પૂછ્યું : આપ કોણ ?

દેવરાજનો જાદુ ગજબ હતો . જોશી – તમે – ન બોલ્યો . જોશી – આપ – બોલ્યો . એ સંમોહિત હતો . એને દેવાર્યમાં જે જોવું હતું તે બધું જ દેવરાજમાં દેખાઈ રહ્યું હતું . એની પોથી આંગળીઓમાં જ અટકેલી રહી . એ અદ્ધર હાથે જ દેવરાજ તરફ ફર્યો .

‘ હું દેવતાઓનો સમ્રાટ છું . શક્ર મારું નામ . શક્રેન્દ્ર . ‘ દેવરાજ બોલ્યા .
‘ ઓહો , હું પુષ્પ . હું સામુદ્રિક શાસ્ત્રી છું . ‘
‘ આ પોથી કેમ હાથમાં છે ? ‘
‘ ના , ના , એ તો . ‘ જોશી બોલી ન શક્યો .
‘ તમે આ પોથીમાં પાણીમાં વહાવી દેવા માંગો છો ? ‘
‘ હા , અં , એવું છે કે . ‘
‘ શું એવું છે ? પોથી નદીમાં ફેંકાતી હશે ? ‘
‘ અરે , મારી વાત તો સાંભળો . ‘
‘ હું તમને જ મળવા આવ્યો છું . બોલો , શું કહો છો ?

જોશી બોલતો ગયો : ‘ એવું થયું કે આ રેતી પરના પગલાં જોઈને મનેં લાગ્યું કે મારી મુલાકાત ચક્રવર્તી મહારાજ સાથે થવાની છે . પણ મેં જોયું કે આ નિર્વસ્ત્ર , નિરાભરણ અને નિષ્પરિવાર છે . આવું કેવી રીતે બની શકે ? મને લાગે છે કે મારું શાસ્ત્ર જ ખોટું છે . ‘

‘ તમારું શાસ્ત્ર ખોટું નથી , ભૂદેવ . તમારા વિચારો ખોટા છે . તમે ઊંધા વિચારોના રવાડે ચડી ગયા છો . તમને મારા દાગીના દેખાય છે . તમે મારું સૌન્દર્ય અને ઐશ્વર્ય જોઈ રહ્યા છો . હું આ નિરાભરણ મહાપુરુષનો દાસ છું . એ મારા ભગવાન્ છે , એ દુનિયાના ભગવાન્ છે ? ‘ દેવરાજ બોલ્યા હતા .

‘ શું કહો છો દેવરાજ ? ‘ જોશી બોલ્યો . એને ભારે અચરજ થયું હતું .

‘ હા , સાચું કહું છું . તમે જેને નિર્વસ્ત્ર સમજો છો તે સાક્ષાત્ દેવાધિદેવ છે . તમે જેને નિષ્પરિવાર સમજો છો તેમની સેવામાં ત્રિલોકના કરોડો ભક્તો સદા સર્વદા સમર્પિત છે . તમને ખબર નથી , ભૂદેવ . આ જગતના નાથ છે . તમારું શાસ્ત્ર સાચું છે . આ ધર્મ ચક્રવર્તી છે . આ પ્રભુને કેવળજ્ઞાન થશે થોડા સમયમાં . પછી જોજો . આખી દુનિયા એમનાં ચરણોમાં ઝૂકેલી જોવા મળશે . અને હા , આ તમારી પોથીને સાચવી રાખજો . તમે આ પોથીનું શાસ્ત્ર વાંચ્યું ન હોત તો તમે આ પરમાત્મા સુધી આવ્યા જ ન હોત . આ પોથીએ તમને પ્રભુનાં દર્શન કરાવ્યા છે . આ પોથીને જીવના જતનથી જાળવજો . તમે માનશો ? તમને દેવાર્યની બાબતે મૂંઝવણમાં છો એ મેં દેવલોકથી જોયું અને ખાસ તમારી મૂંઝવણ ટાળવા જ હું મનુષ્યલોકમાં આવ્યો છું . ‘

દેવાર્યની વાત સાંભળી જોશી ગદ્ગદ થઈ ગયો . એનું જ્યોતિષજ્ઞાન સાચું સાબિત થયું હતું . એની પોથી , એનું શાસ્ત્ર વાસ્તવિક છે એમ સ્વયં ઇન્દ્ર મહારાજા બોલ્યા હતા . એને ફરીવાર દેવાર્યના દર્શન કરવાનું મન થયું . પણ દેવરાજની વાત હજી પૂરી થઈ નહોતી .

‘ તમારી ઝોળી બતાવશો , ભૂદેવ .? ‘ દેવરાજ બોલ્યા . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *