વનવગડે વિહરે વીર . ૨૧

વનવગડે વિહરે વીર . ૨૧

પ્રકરણ ૨૧ . સુખદ શેષકાળ અને સાતમું ચોમાસું

છઠ્ઠા ચોમાસા પૂર્વે ગોશાળો દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એણે દેવાર્યના પગમાં પડીને કેટલીયવાર માફી માંગી . દેવાર્યે નારાજગી રાખી નહોતી . દેવાર્યે હરખ જતાવ્યો નહોતો . દેવાર્ય એમનાં ધ્યાનમાં નિમગ્ન હતા . હા , ગોશાળાના આવવાથી એના છબરડાઓ દેવાર્ય માટે ઉપદ્રવ બની જવાના હતા . ચોમાસા બાદ દેવાર્યે વિહાર કરી લીધો . પારણું કોણે કરાવ્યું તે જાહેર થયું નહીં . પારણું થયું નગરની બહાર .

દેવાર્ય વિહાર કરીને મગધ રાજ્યમાં પધાર્યા . તે સમયે સાડાપચીસ રાજ્યો , આર્યદેશ તરીકે પ્રચલિત હતા . એક એક રાજ્ય એટલું મોટું રહેતું કે તમે એને સામ્રાજ્ય કહી શકો . અમુક રાજ્ય નાના રહેતા પણ એની સમૃદ્ધિ ઘણી મોટી ગણાતી . દરેક રાજ્યની એક રાજધાની રહેતી .

દેવાર્ય મગધ દેશ પધાર્યા . મગધની રાજધાની રાજગૃહી . બીજા દેશ પણ હતા . ૨ . અંગ દેશ . રાજધાની ચંપા . ૩ . વંગ દેશ . રાજધાની તામ્રલિપ્તિ . ૪ . કલિંગ દેશ . રાજધાની કાંચનપુર . ૫ . કાશી દેશ . રાજધાની વારાણસી . ૬ . કોશલ દેશ . રાજધાની સાકેત . ૭ . કુરુ દેશ . રાજધાની ગજપુર ( હસ્તિનાપુર ) ૮ . કુશાર્ત દેશ . રાજધાની શૌરિપુર . ૯. પાંચાલ દેશ . રાજધાની કાંપિલ્યપુર . ૧૦ . જાંગલ દેશ . રાજધાની અહિચ્છત્રા . ૧૧ . સૌરાષ્ટ્ર દેશ . રાજધાની દ્વારવતી . ૧૨ . વિદેહ દેશ . રાજધાની મિથિલા . ૧૩ . વત્સ દેશ . રાજધાની કૌશાંબી . ૧૪ . શાંડિલ્ય દેશ . રાજધાની નંદિપુર . ૧૫ . મલય દેશ . રાજધાની ભદ્દીલપુર . ૧૬ . મત્સ્ય દેશ . રાજધાની વૈરાટ . ૧૭ . અત્સ્ય ( અચ્છ ) દેશ . રાજધાની વરુણા નગરી . ૧૮ . દયાર્ણ દેશ . રાજધાની મૃત્તિકાવતી . ૧૯ . યેદી દેશ . રાજધાની શુક્તિમતી . ૨૦ . સિંધુ સૌવીર દેશ . રાજધાની વીતભય નગર . ૨૧ . શૂરસેન દેશ . રાજધાની મથુરા . ૨૨ . ભંગી દેશ . રાજધાની પાવા . ૨૩ . વર્ત દેશ . રાજધાની માસપુરી . ૨૪ . કુણાલ દેશ . રાજધાની શ્રાવસ્તી . ૨૫ . લાઢ દેશ . રાજધાની કોટિવર્ષ . ૨૬ . કૈકય દેશનો અર્ધો ભાગ . રાજધાની શ્વેતવિકા . આ રીતે સાડા પચ્ચીસ રાજ્યો હતા . જેનો સમૂહ આર્યાવર્ત તરીકે ઓળખાતો .

દેવાર્ય મગધ રાજ્યમાં એટલે કે મગધ દેશમાં વિહર્યા . આઠ મહિના અભીષ્ટ રહ્યા . કોઈ કષ્ટ ન આવ્યું . કોઈ ઉપદ્રવ નહીં . દેવાર્ય ઉપસર્ગના અભાવમાં વધારે પ્રસન્ન રહેતા તેવું નહોતું . દેવાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન એટલે પ્રસન્ન જ રહેતા . દેવાર્ય દ્રવ્ય , ક્ષેત્ર , કાળ અને ભાવથી પ્રતિબંધમુક્ત હતા . દેવાર્યને સચિત્ત , અચિત્ત કે મિશ્ર દ્રવ્ય પર પ્રતિબંધ એટલે અનુરાગ થતો ન હોતો . દેવાર્યને ગામ , નગર , ખેતર , કોઠાર , મકાન , મંદિર જેવા સ્થાનો પર મમતાભાવ થતો નહોતો . દેવાર્યને ક્ષણ , ઘડી , મુહૂર્ત , પ્રહર , દિન , રાત , સપ્તાહ , માસ , સંવત્સર , યુગ જેવા સમયના કોઈ પણ અંશ પર મમતાભાવ નહોતો . દેવાર્યને ક્રોધ , માન , માયા , લોભ , ભય , હાસ્ય , પ્રેમ , દ્વેષ , કલેશ , અભ્યાખ્યાન , પૈશુન્ય , નિંદા , રતિ – અરતિ , માયા મૃષાવાદ અને મિથ્યાત્વ જેવા અંતરંગ તત્ત્વો પર પણ મમતાભાવ નહોતો .

દેવાર્ય ઈર્યાસમિતિમાં અસાધારણ જાગૃતિ રાખતા . જ્યારે પણ ચાલવાનું થાય , દેવાર્યની નજર જમીન પર જ રહેતી . પગનીચે નાનોમોટો જીવ આવી ન જાય તેની સાવધાની રાખતા દેવાર્ય . રસ્તાની બેય તરફ બેસેલા પશુ – પક્ષી કે મનુષ્યને મારા પસાર થવાને લીધે સંતાપ ન થવો જોઈએ એનો ઉપયોગ રહેતો . દેવાર્યની ભાષા સમિતિ પ્રાંજલ હતી . દેવાર્ય ભાગ્યે જ બોલતા . મોટા ભાગે મૌન રહેતું . દેવાર્ય બોલે તેમાં સૌમ્યતા , સ્પષ્ટતા અને સાત્ત્વિકતાનો સંગમ રહેતો . દેવાર્યનું વચન એળે જતું નહીં . દેવાર્ય એવું કશું બોલતા જ નહીં જે વ્યર્થ હોય , વિરાધના પ્રેરક હોય . દેવાર્યની એષણા સમિતિ અલૌકિક હતી . દેવાર્ય દોષિત આહાર જલ લેતા નહીં . દેવાર્યને આહાર મળે અને જલ ના મળે એવી પરિસ્થિતિ પણ આવતી . આહાર નિર્દોષ હોય , જલ નિર્દોષ ન પણ હોય . આવા સમયે દેવાર્ય પાણી વિના પણ ચલાવી લેતા . દેવાર્ય તીર્થંકર હતા . એમની આચાર – સંહિતા સામાન્ય સાધુસામાચારીથી અલગ રહેતી . કઠણ અને દુર્ગમ . દેવાર્યની નિક્ષેપણા સમિતિ અસામાન્ય હતી . દેવાર્ય ઉપકરણોથી અને વસ્ત્રોથી મુક્ત હતા . લેવાનું કે મૂકવાનું કામ તેને પડે જેની પાસે કાંઈ હોય , દેવાર્ય પાસે પોતાની કાયા સિવાય અન્ય કોઈ સાધન હતું નહીં . દેવાર્ય સ્વકાયા બાબતે સચેત હતા . કાયા જ્યાં હોય અને જ્યાં જાય ત્યાં કાયા થકી વિરાધના ન જ થવી જોઈએ . દેવાર્યને ઘણા ઉપસર્ગ થયા . દેવાર્યે કાયાને વિરાધના સાથે જોડી જ નહીં .

દેવાર્યની પારિષ્ઠાપાનિકા સમિતિ અકલ્પનીય રહેતી . દેવાર્ય આહાર જલ લેતા . દેવાર્યે સ્વમુખે અન્ન ખાધું કે પેય પીધું તે કોઈને દેખાતું નહીં . દેવાર્યની હથેળીમાં અન્ન અથવા જલ હતું તે ખાલી થઈ ગયું છે તે સમજાતું ખરું . પણ દેવાર્ય કોળિયો ચાવે છે કે ઘૂંટડો ગળે છે તે દૃશ્ય જોવા મળતું નહીં . આ દેવાર્યનો અતિશય હતો . આ જ પ્રમાણે દેવાર્યની ઉત્સર્ગ ક્રિયા પણ કોઈને દેખાતી નહીં . દેવાર્ય પોતાના દૈહિક મળ થકી કોઈ પણ પ્રકારની વિરાધના થવા દેતા નહીં .

દેવાર્યની મન ગુપ્તિ અલૌકિક હતી . દેવાર્યનું મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર જ રહેતું . દેવાર્યની વિચારણાઓ અને ભાવનાઓ પર શુભ અને શુદ્ધ તત્ત્વોનું આધિપત્ય બનેલું રહેતું . દેવાર્યની વચન ગુપ્તિ પ્રશસ્ત હતી . અન્યને દુઃખ થાય , અન્યની વાસના જાગૃત થાય , અન્યને વિરાધનાની પ્રેરણા મળે તેવો એક પણ શબ્દ દેવાર્ય બોલતા નહીં . દેવાર્યનું વચનબળ અહિંસામય હતું . દેવાર્યની કાય ગુપ્તિ અનુમોદનીય હતી . નિજકાયાને પ્રમાદ સાથે , આનંદ પ્રમોદ સાથે કે પાપ પ્રવૃત્તિ સાથે દેવાર્ય ક્યારેય જોડતા નહીં .

દેવાર્ય તપ કરતા . દેવાર્ય કાઉસગ્ગ કરતા . દેવાર્ય વિહાર કરતા . દેવાર્યે કાયાને આ પ્રવૃતિઓ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ આપી જ નહોતી . દેવાર્યને જેમણે જોયા હોય તેમને દેવાર્યમાં ठाणेणं , मोणेणं , झाणेणं દ્વારા થનારો વિરામભાવ દેખાતો . સ્થિરતા , મૌન , ધ્યાન દેવાર્યના ત્રણ પર્યાય બની ચૂક્યા હતા .

મગધ દેશનો વિહાર નિરુપસર્ગ રહ્યો . કોઈ દુઃખ આપે તે પરિસ્થિતિ પીડાકારી છે . દુઃખ આવ્યું હોય ત્યારે કોઈ દુઃખથી બચાવનારું ન મળે તે પરિસ્થિતિ વધારે પીડાકારી છે . દુઃખ આવે તે વખતે આપણે સ્વયં દુઃખને મિટાવી દેવાનો પુરુષાર્થ ન કરી શકીએ તે ઘણું જ પીડાકારી બને છે . દેવાર્યને દુઃખ આવતાં , મહદંશે દુઃખથી કોઈ બચાવતું નહીં અને સ્વયં દેવાર્ય પણ દુઃખને મિટાવી દેવાનો કોઈ જ પુરુષાર્થ કરતા નહીં . કેમકે દેવાર્ય માટે દુઃખ પીડાકારી હતું જ નહીં . દેવાર્ય દુનિયાદારીથી તદ્દન ઊલ્ટી દિશામાં ચાલતા . દુઃખ આવે તો ભલે આવે અને જાય નહીં ભલે ન જાય તો એનાથી દેવાર્યને કશો ફરક પડતો નહીં . દેવાર્ય દુઃખને સુખની જેમ સાચવતા હતા જાણે . બીજી તરફ દેવાર્ય સુખથી દૂર રહેતા , સુખ વિના પણ પ્રસન્ન રહેતા . સુખનું ન હોવું એ દેવાર્ય માટે સાધારણ બાબત હતી . દુઃખનું ન હોવું તે પણ દેવાર્ય માટે સામાન્ય બીના હતી . હમણાં હમણાં કોઈ દુઃખ આવ્યા નથી એમ વિચારી દેવાર્ય રાહત કે આરામ અનુભવતા નહીં . કમાલ હતી . દેવાર્ય સુખમાં અને દુઃખમાં એકસમાન રીતે રાજી રહેતા . એ જ રીતે દેવાર્ય સુખના અભાવમાં અને દુઃખના અભાવમાં એક સમાન રીતે પ્રસન્નતા ધારણ કરી રાખતા . દેવાર્ય સુખ દુઃખની દુનિયાથી પર હતા . દેવાર્ય પરમ આનંદમાં વિલસતાં હતા , સત્ ચિદ્ આનંદમાં .

દેવાર્યે સાતમું ચોમાસું આલભીકા નગરીમાં કર્યું . ચોમાસામાં સળંગ એકસોવીસ ઉપવાસ કર્યા . આ ગજબ હતું . દેવાર્યે ચોમાસાને અનશનની અને અજલની મૌસમ બનાવી દેતા . અડધો અષાઢ , શ્રાવણ , ભાદરવો અને આસો સંપૂર્ણ . અડધો કારતક . આ પાંચ મહિનાને આવરીને દેવાર્ય ચોમાસી તપ કરતા . અષાઢમાં પ્રારંભ થતો . કારતકમાં સમાપન થતું .

દેવાર્યે છેલ્લા ચાર ચોમાસાથી આ જ નિયમ રાખ્યો હતો . ચોમાસું શરૂ થાય એટલે ચોમાસી તપ કરે જ . સાથોસાથ દેવાર્ય વિવિધ આસનમુદ્રા સ્વીકારતા . દેહને કષ્ટ આપવા માટે , દેહ થકી જ કામ કઢાવવાનો આશય હોય કે બીજો કોઈ ભાવ હોય . ચોથા ચોમાસામાં દેવાર્યે અલગ અલગ સમય ખંડ વિતાવ્યા હતા . સાતમા ચોમાસામાં દેવાર્યે ચોમાસી તપની સાથે વિધવિધ નિયમો પણ લીધા હતા .

દેવાર્ય એક દિવસ પાસેથી દસ દિવસનું કામ લેતા . દેવાર્ય એક મહિના પાસેથી દસ મહિનાનું કામ લેતા . દેવાર્ય એક ચોમાસા પાસેથી દસ ચોમાસા જેટલું કામ લેતા . સામાન્ય માણસનો કાઉસગ્ગ બે – ત્રણ ઘડીનો હોય . દેવાર્યનો કાઉસગ્ગ આઠ – આઠ પ્રહરનો રહેતો . સામાન્ય માણસ મહિને ગણત્રીના ઉપવાસ કરે , તો કરે . દેવાર્ય દર મહિને પંદરથી વધુ ઉપવાસ કરી જ લેતા . સામાન્ય માણસ ચોમાસામાં એકાદ મોટો તપ શરૂ કરી , ચોમાસામાં જ પારણું કરી લે . દેવાર્ય ચારેય માસનો મહાઉપવાસ કરતા . સામાન્ય માણસ પ્રતિમા અને અભિગ્રહની થોડીક પ્રગતિ કરી શકે . દેવાર્યનાં ચોમાસી તપ સાથે ક્યારેક પ્રતિમાઓ જોડાતી , ક્યારેક નિયમો જોડાતા . એ પ્રતિમાઓ કેવી , એ નિયમો કેવા તે દેવાર્ય જાણતા અને આચરતા . સામાન્ય માણસને એટલું જ દેખાતું કે દેવાર્ય લાંબા સમયથી કાઉસગ્ગમાં છે . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *