વનવગડે વિહરે વીર (૧૯.૩)

વનવગડે વિહરે વીર (૧૯.૩)

પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ

( ૧ )
ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ કરી ડરાવવા લાગ્યો . બાળ બધાય ડરીને નાઠાં . કોઈ પડી ગયું . કોઈ રોયું . કોઈનાં કપડાં ખરાબ થયાં . કોઈનાં ઘરેણાં સરકી ગયાં . બાળકોએ ઘરે જઈને માબાપને કહ્યું કે : ‘ વાસુદેવ મંદિરમાં ભૂતબાબા આવ્યા છે . ‘ સૌ માબાપ ત્યાં આવ્યા . ગોશાળો હજી ડરાવવાની મસ્તીમાં હતો . બધાએ મળીને એને લૂગડાની જેમ ધોઈ નાંખ્યો . એના માથા પર ઢીમચાં આવી ગયાં . ગાલ પર અને પીઠ પર મારના સોળ ઉપસી આવ્યા . પગ પણ ખેંચાઈ ગયો .

એક વૃદ્ધે દેવાર્યને મંદિરમાં ઊભેલા જોયા . એણે બાળકોના માબાપને રોક્યા . કહ્યું : ‘ આ સાધનાપુરુષને જુઓ . કેવો દૈવી અવતાર છે . આ દેવાર્ય સાહેબ છે . એમની પૂજા , દેવતાઓ પણ કરે છે . આ ભૂત-મામો દેવાર્યનો દાસ લાગે છે . એને છોડી દો . ‘

માબાપે ગોશાળાને પડતો મેલ્યો . બધાના ગયા પછી ગોશાળો દેવાર્ય સાથે ઝઘડ્યો . કહે , ‘ આપ ખરા છો હં . અહીં મને માર પડે છે અને આપ મનેં બચાવતા જ નથી . દર વખતે મારે માર જ ખાવાનો . આપની કોઈ જવાબદારી નથી , મને બચાવવાની ?

સિદ્ધાર્થે તુરંત જવાબ આપ્યો : ‘ તું કદી સુધરવાનો છે ખરો ? આવા ગાંડપણ કરીશ એના બદલામાં માર જ પડશે ને . તારાથી શાંત બેસી રહેવાતું નથી ? કોઈ ના મળ્યું કે આજે આટલાં બાળકોને ગભરાવ્યાં ? એમના માબાપ તારી પર રાજી થવાના હતા કે ? તું મને શીખામણ ન આપ . તું તારામાં જ સુધારો કર ને ભાઈ . ‘
ગોશાળા પાસે જવાબ હતો જ નહીં .

( ૨ )
દેવાર્યે વિહાર કર્યો . આવર્ત ગ્રામ આવ્યા . બલદેવ મંદિરમાં કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા . ગોશાળાએ અહીં પણ બાળકોને બહુ બીવરાવ્યા . બાળકોનાં માબાપોએ આવીને ગોશાળાને ટીપવાનું શરૂ કર્યું . ગામના એક વડીલે કહ્યું : આ મંદિરમાં ઊભા છે તે જ આ ધૂર્તના ગુરુ છે . ગુરુ આને રોકતા નથી એટલે ગુરુને પણ પાઠ ભણાવો . ગામડિયા લોકો દંડા ઉગામી દેવાર્યને મારવા મંદિર તરફ આવ્યા . વાંક ગોશાળાનો હતો . સજા દેવાર્યને થવાની હતી .

આખું ગામ ભેગું થઈને દેવાર્યને મારશે એવો ઘાટ ઘડાયો હતો . સિદ્ધાર્થ દેવ ગાયબ હતો . દેવરાજ આવી રહ્યા નહોતા . સંગાથી કલાકાર ગોશાળો ખુદ માર ખાઈને અધમૂઓ પડ્યો હતો . દેવાર્ય ગભરાયા વિના , બેખૌફ , નિજ આનંદમાં લીન હતા . હમણાં દેવાર્ય પર ગાંંડું ટોળું હલ્લો કરશે એમ લાગતું હતું .

અચાનક , મંદિરમાં જે મૂળનાયક મૂર્તિ હતી તે માનવની જેમ ચાલવા લાગી . દેવાર્યની સામે દંડા ઉગામીને ટોળું ઊભેલું . એ ગતિધારી મૂર્તિ દેવાર્ય અને ટોળાની વચ્ચે આવીને ઊભી રહી . દેવાર્ય યથાવત્ શાંત , નિર્ભીક હતા પરંતુ ટોળું ગભરાઈ ગયું . આખું ગામ આ મૂર્તિની પૂજા કરતું . वासुदेव: जगत् सर्वम्ની માન્યતા ધરાવનારા કૃષ્ણપ્રેમીઓ હતા સૌ . એમણે મૂર્તિને દેવાર્યના બચાવમાં આવેલી જોઈ . મૂર્તિને કોઈ દિવ્ય બળ , યંત્રની જેમ ચલાવી રહ્યું હતું તે દેખાતું હતું . એ બળદેવની મૂર્તિએ ટોળા સમક્ષ હળ ઉગામ્યું .

` આ જુઓ , પથ્થરની મૂરતમાં પ્રાણ પુરાયા છે અને એ મૂરત આપણા બધાય પર નારાજ થઈ છે , દેવાર્યના બચાવમાં બળદેવ આપણી સામે લડવા ઊભા થયા છે , આપણે મૂરખા છીએ . ક્ષમા માંગો વર્ના પ્રાણ ખોશો ʼ ટોળામાંથી કોઈક બોલ્યું .

લોકો ગભરાયા . સૌ બળદેવ અને દેવાર્ય સામે ઘૂંટણિયે પડ્યા , માફી માંગવા લાગ્યા . જાણે બળદેવે એમને સબક શીખવાડી દીધો હતો . પૂરેપૂરું ટોળું ઉપદ્રવ કર્યા વિના વિખરાઈ ગયું . દેવાર્યનો જયજયકાર થઈ ગયો . દેવાર્યને એ જયકારાથી કશોય હરખ ન થયો . ઉપદ્રવ ટળ્યાનો હાશકારો પણ નહીં . દેવાર્ય નિજાનંદમાં મસ્ત હતા . ના કાહૂં સે દોસતી , ના કાહૂં સે બૈર .
( ૩ )
આગલા દિવસે દેવાર્ય વિહાર કરીને , કલંબુક સંનિવેશ તરફ નીકળ્યા . રસ્તામાં એક રૂઆબદાર આદમીએ દેવાર્યને પડકાર્યા . એનું નામ હતું કાલહસ્તી . એની સાથે નોકરચાકરનો રસાલો હતો . એણે દેવાર્યને પૂછ્યું : તમે લોકો કોણ છો .

એ કોઈ ચોરનો પીછો કરી રહ્યો હતો . દેવાર્ય મૌન રહ્યા . એમને જોઈને ગોશાળો પણ ચૂપ રહ્યો . કાળહસ્તીને જવાબ ન મળ્યો , એને ગુસ્સો આવી ગયો . એને શંકા થઈ . એણે દેવાર્યને અને ગોશાળાને ગુનેગાર ચોર માનીને રસ્સીથી બાંધી લીધા . દેવાર્ય અને ગોશાળો , કેદી તરીકે કલંબુક સંનિવેશમાં પ્રવેશ્યા . અબુધ ગામઠીઓએ તમાશો રચી દીધો . દિગંબર અવસ્થાની મજાક ઉડી . ગાળો વરસી . દેવાર્ય અને ગોશાળો ચૂપચાપ ચાલતા રહ્યા . રસ્તાની બેય તરફથી લોકો ધિક્કારી રહ્યા હતા એમને . સૌએ દેવાર્યને સાચેસાચ ચોર માની લીધા હતા . દેવાર્ય કાંઈ બોલે એનાથી ખુલાસો થઈ શકતો હતો . દેવાર્ય મૌન રહ્યા . વર્ષીદાનનો મહાન્ દાતાર , આજે ચોર તરીકે બદનામ થઈ રહ્યો હતો . લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા .

કાલહસ્તી આ બેય કેદીઓને પોતાના ભાઈ મેઘ પાસે લઈ આવ્યો . મેઘે , દેવાર્યને જોયા અને જોતાવેંત ઓળખી લીધા . એણે દેવાર્યને કુંડગ્રામમાં જોયા હતા . સિદ્ધાર્થ રાજાના પુત્રને શ્રમણ અવસ્થામાં જોઈને મેઘ સફાળો ઊભો થઈ ગયો . એ સીધો દેવાર્યના પગે પડ્યો , માફી માંગવા લાગ્યો . એણે કાળહસ્તીને દેવાર્યની ઓળખાણ આપી . હવે કાળહસ્તી ગભરાયો અને દેવાર્યનાં ચરણોમાં પડ્યો . એણે રડતી આંખે વારંવાર માફી માંગી . દેવાર્ય અને ગોશાળો સન્માનપૂર્વક કેદમુક્ત થયા . કલંબુકવાસીઓએ જ્યારે જાણ્યું કે આપણે જેમને ચોર માની ઉતારી પાડ્યા તે ભગવાન્ દેવાર્ય છે , ત્યારે પસ્તાવાની સરવાણીઓ વહી નીકળી ઘરેઘરથી .

દેવાર્ય નારાજ ન થયા . દેવાર્ય પ્રસન્ન પણ ન થયા . એ બસ , સ્થિતપ્રજ્ઞ હતા અને સ્થિતપ્રજ્ઞ જ રહ્યા . ( ક્રમશઃ )

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *