
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
દેવાર્યને જોઈને પૂજારી રાજી થયો હતો . ઈન્દ્રશર્મા એનું નામ . એ સવારે મંદિરમાં આવતો . સાંજ સુધી રહેતો . અંધારું થાય તે પહેલાં એ મંદિરમાંથી બહાર નીકળી જતો , ટેકરી પર પણ રહેતો નહીં . અંધારું શૂલપાણિમાં ઝનૂન ભરતું . એને અંધારામાં કોઈ મંદિરમાં કે ટેકરી પર દેખાય તો બસ , થઈ રહ્યું . એ માણસની મરણચીસો રાતે ગામમાં સંભળાતી . સવારે એનાં શરીરના ટુકડા ટેકરી પર ચોતરફ દેખાતા . પૂજારી આજ સુધી સહીસલામત બચેલો હતો કેમ કે એ સવારે અંધારું હટી જાય પછી જ ટેકરી ચડતો અને સાંજે અંધારું થાય તે પૂર્વે ટેકરીથી દૂર ભાગી જતો . તે દિવસે બપોર પૂરી થઈ ને તરત એણે મંદિરની વિધિ આરોપવા માંડી . એને એમ હતું કે એ અને દેવાર્ય સાથેસાથે જ ટેકરી ઉતરશે . દેવાર્ય આખો દિવસ કાઉસગ્ગમાં ઊભા જ રહેલા . પૂજારીએ દેવાર્યને ખલેલ પહોંચાડી નહોતી , પરંતુ સાંજે એનો નીકળવાનો સમય થયો ત્યારેય દેવાર્ય ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા હતા . તે મૂંઝાઈને દેવાર્ય પાસે આવ્યો અને બોલ્યો :
` ચાલો , આપણે નીકળીએ . આ ટેકરી પર રાતે કોઈ રહી શકતું નથી . રાતે જે રહે છે તેની પર યક્ષરાજ શૂલપાણિજીનો ખોફ ઉતરી આવે છે .ʼ
દેવાર્યના કાને એના શબ્દો અથડાયા . દેવાર્યને ડર સ્પર્શી શકતો નહીં . દેવાર્યને ગૃહસ્થનો વિનય કરવો નહોતો . પૂજારીની વાતનો જવાબ દેવાર્યે ન આપ્યો . પૂજારી થોડો વખત ઊભો રહ્યો . પૂજારીને દેખાયું કે દેવાર્ય પર એની વાતની કોઈ અસર થઈ નથી . એ ના છૂટકે , નિરાશ વદને નીકળી ગયો . દેવાર્ય ટેકરી પર રોકાય એ કોઈ પણ રીતે સલામત નહોતું . દેવાર્ય આ વાત કેમ નથી સમજતા ? પૂજારીને ભાતભાતના વિચાર આવતા રહ્યા . એ નીચે પહોંચ્યો . ગ્રામજનોએ પૂજારીને સીધો ઠપકો જ આપ્યો કે તું દેવાર્યને સાથે લીધા વગર ઉતર્યો જ કેમ ?
પૂજારીએ ખુલાસા કર્યા તે પછી આખું ગામ ભયભીત થઈ ગયું . દેવાર્ય ગામમાં રહી શકે એવું મકાન ગામવાસીઓએ દેવાર્યને બતાવેલું , ટેકરી પર જોખમ છે એવું દેવાર્યને જણાવેલું તેમ છતાં દેવાર્ય ધરાર ટેકરી પર ગયા હતા . હવે , પૂજારી કહેતો હતો કે દેવાર્યને રાતે ટેકરી પર ના રહેવાય એવું એણે દેવાર્યને જણાવેલું છતાં દેવાર્યે ટેકરી નીચે પરથી ઉતરવાની તૈયારી બતાવી જ નહીં . દેવાર્ય શૂલપાણિથી સાથે બાથ ભીડીને શું હાંસિલ કરવા માંગે છે , આ જ સવાલ સૌનાં મનમાં જાગ્યો . શૂલપાણિ શું ન કરે એ પણ મોટો સવાલ હતો . શૂલપાણિ કાંઈ પણ કરી શકે . દેવાર્ય જેવા મહાન્ અતિથિ ગામમાં સૌ પ્રથમ વાર આવ્યા હતા . એમની આગતા સ્વાગતા કશી થઈ ન શકી અને હવે આ શૂલપાણિનો રાત્રિઉપદ્રવ . દેવાર્યની રક્ષા કરવાની ગામવાસીઓની કોઈ ત્રેવડ નહોતી . એ કારણે સૌ ચિંતામાં હતા .
સાંજ ડૂબવા લાગી . સૂરજે વિદાય લીધી . આસમાન થોડો વખત લાલ રહ્યું . જોતજોતામાં પશ્ચિમ આકાશ પર કાળો ઓથાર છવાઈ ગયો . ગામવાસીઓએ ધાર્યું હતું એવું જ થયું . ટેકરી પરનાં શૂલપાણિ ચૈત્યમાંથી ભયાનક અટ્ટહાસ્યના અવાજ સંભળાયા . છાતીના પાટિયા બેસી જાય એવું ઘોર એ અટ્ટહાસ્ય હતું . થોડો વખત વીત્યો અને હાથીની મદાંધ ગર્જનાઓ સંભળાઈ . લોકો ગભરાયા હતા . ટેકરી પર જાણે આતંક મચી ગયો હતો . નીચે ઘરોમાં આવતો અવાજ જો આટલો ડરામણો હતો તો દેવાર્યની સામે કેવો ભય ખડો થયો હશે ? હજી આ પ્રશ્નનો જવાબ મળે તે પહેલાં વંટોળ જેવા ફૂંફાડા સંભળાયા . ગુસ્સે ભરાયેલો બળદિયાના છીંકોટા જેવો એનો અવાજ હતો . આ બધું શું થઈ રહ્યું હતું . આખો પ્રહર વીતી ગયો પણ ટેકરીના અવાજો અટકતા નહોતા . કાન ફાટી જાય , શ્વાસ થંભી જાય અને જીવ તાળવે ચોંટી પડે એવો તુમુલ નાદ ચાલતો રહ્યો . ગામજનો અફસોસ અને અપરાધગ્રંથિથી પીડાતા રહ્યા . દેવાર્ય પર શૂલપાણિએ હુમલો કર્યો હતો એ સમજાતું હતું પણ દેવાર્યને બચાવવાનું કૌવત કોઈમાં નહોતું . કેટલીય આંખોમાંથી આંસુ વહેતા રહ્યા .
અચાનક થોડો વખત ટેકરી શાંત થઈ ગઈ . તે પછી થોડો વખત આમનેસામને હોંકારા પડકારા થયા હોય તેવું લાગ્યું . અને એકદમથી સુમધુર સંગીત રેલાયું . શૂલપાણિ ગાંડો થઈને ગાતો હોય , નાચતો હોય એવા પડછંદા ઊઠતા રહ્યા .
ગામવાસીઓએ માની લીધું કે શૂલપાણિએ દેવાર્યને પણ ………. ( ક્રમશઃ )
Leave a Reply