Press ESC to close

વનવગડે વિહરે વીર (૭.૫)

વનવગડે વિહરે વીર

પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય

(૫)
ગામવાસીઓ હીબકા ભરવા લાગ્યા હતા . લોકોએ પોતપોતાનાં માથાં જમીન પર ઘસ્યાં હતાં . અમને માફ કરી દો , અમને માફ કરી દો – એવો સામૂહિક અવાજ ઊઠ્યો હતો . જવાબમાં દેવવાણી સંભળાઈ હતી :

` એક શરતે હું માફ કરીશ . તમે મારી માટે એક મંદિર બનાવો . એનું નામ શૂલપાણિ ચૈત્ય . મંદિર ટેકરી પર હોવું જોઈએ. એમાં હાડકાના ઢગલા પર મુખ્ય બેઠક બનાવો . એની પર એક પીઠિકા રચાવો . અને એની પર મારી મૂર્તિ પ્રતિષ્ઠિત કરજો . મૂર્તિનું મુખ વૃષભનું જ હોવું જોઈએ . તમે આટલું કામ કરશો તે પછી જ આ મોતનું તાંડવ અટકશે . માન આપશો તો માન મળશે . પ્રેમ આપશો તો પ્રેમ મળશે . દ્વેષ બતાવશો તો દ્વેષ જ મળશે . તમે મને શું આપ્યું છે , યાદ કરો . તમે મનેં મૃત્યુ આપ્યું . તમે મારું ધ્યાન રાખ્યું હોત તો હું આજે વૃષભરાજની જિંદગી જીવતો હોત , હું મારા માલિક પાસે પાછો ચાલી જાત . તમે મારી સાથે શું કર્યું , વિચારો તો ખરા ? આવું કરાય ? સાવ આવું ? મને મારી જ નાંખ્યો ? હું પણ તમને મારી નાંખવા માંગું છું . કરું એવું ? આટલા ગયા એમ તમેય જશો . પણ હું તમને રડતા કકળતા જોઈને અટકી રહ્યો છું . ઝટ મંદિર બનાવો . બધા જ ગામવાસીઓએ રોજ પૂજા કરવાની છે . એકપણ જણ બાકી રહ્યો તો જોઈ લેજો . ʼ

આખી વાત સાંભળીને ગામવાસીઓએ પોતાની ભૂલનો પસ્તાવો અનુભવ્યો . ટેકરી પર ઝડપથી મંદિર બન્યું હતું . એમાં શૂલપાણિ યક્ષની મૂર્તિ સ્થાપના પણ થઈ હતી . એના પછી અકાળમરણની ઘટનાઓ અટકી ગઈ હતી . ગામમાંથી હાડપિંજરોના ઢગલેઢગલા ઊઠાવીને બીજી જગ્યાએ ખડકી દેવામાં આવ્યા હતા . એક વાત એવી પણ સાંભળવા મળી હતી કે શૂલપાણિ ચૈત્ય જે મંદિર પર બન્યું હતું તે ટેકરી જ હાડપિંજરોના ઢગલા દ્વારા બની હતી .

વૃષભરાજ અને શૂલપાણિની ઘટના જેઠ મહિને બની . તે પછી આષાઢ માસ અડધાથી વધુ વીતી ગયો ત્યારે દેવાર્ય અહીં પધાર્યા . દેવાર્યનું આગમન થયું ત્યારે ગામ અસ્થિકગ્રામ તરીકે કુખ્યાત થઈ ચૂક્યું હતું . ગ્રામજનોએ મહાતેજસ્વી દેવાર્યને જોયા . તાજેતરમાં જ એક મહાઆપદા સૌએ પાર કરી હતી . હવે દેવાર્ય આવ્યા તે એક શાતાદાયી ઘટના હતી . દેવાર્યની સમક્ષ ગ્રામજનો હરખભેર આવી ઊભા . દેવાર્યે એમને જણાવ્યું કે પોતે આ ગામમાં સાડાત્રણ માસ રહેવા માંગે છે . ગ્રામજનોએ દેવાર્યને એક બે મકાન બતાવ્યા . દેવાર્યે એમની વાત પર ધ્યાન ન આપ્યું . દેવાર્યે ગામબહારની ટેકરી પર દેખાઈ રહેલા શૂલપાણિ ચૈત્યને જોતાં જોતાં ગ્રામજનોને જણાવ્યું કે પોતે એ મંદિરમાં રહેવા માંગે છે . ગ્રામજનોએ ત્યાં રહેવાનો નિષેધ કર્યો . પરંતુ દેવાર્ય ગામવાસીઓને જણાવીને ટેકરી તરફ ચાલ્યા .

દેવાર્યનાં પ્રથમ ચાતુર્માસનો પૂર્વાર્ધ હતો તેમાં ગાયોએ કુટિરને તોડી હતી . હવે પ્રથમ ચાતુર્માસનો આ ઉત્તરાર્ધ શરૂ થવાનો હતો ત્યારે વૃષભરાજનું દર્દનાક મરણ અને શૂલપાણિ વ્યંતરે વર્તાવેલો કાળો કેર , આ બેયનો બોજો વાતાવરણ પર પથરાયેલો હતો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *