Press ESC to close

વનવગડે વિહરે વીર (૭.૨)

પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય

(૨)
વર્ધમાનક ગામે આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું . સામા કિનારેથી નદીમાં ઉતરેલાં ૫૦૦ જેટલા બળદગાડાં પાણીની વચમાં ફસાયાં હતાં . એમને પાછા વાળવાનું અસંભવિત હતું . એમને આ કિનારે લાવવાનું પણ કઠણ થઈ પડ્યું હતું . ઘણા વખતે ગામવાસીઓને આવું જોણું મળ્યું હતું . એ લોકો ચિંતા બતાડવાના બહાને કૌતુક માણી રહ્યા હતા . એમણે સામા કિનારેથી પાણીમાં ઉતરી રહેલા વૃષભરાજને જોયો . એક બળદગાડાની ધુંસરીમાંથી બળદિયો છુટ્ટો થયો હતો . એની જગ્યાએ વૃષભરાજને જોડવામાં આવ્યો હતો . વૃષભરાજની કાયા હાથી જેવી કદાવર હતી . એની સામે બીજા વૃષભ , મદનિયા જેવા નાના દેખાતા . વૃષભરાજે ખરેખર , એક જ ઝાટકે બળદગાડાંને ખેંચીને સામા કિનારે , વર્ધમાનક ગામની સીમા પર પહોંચાડી દીધું હતું . તેજસ્વી દીકરો , પિતાના કહેવાથી મોટી જવાબદારી સંભાળી લે એ રીતે વૃષભરાજે આ બીડું ઉઠાવી લીધું હતું .

ગામવાસીઓએ અને સાર્થના સૌ પ્રવાસીઓએ જોરદાર હર્ષનિનાદ કર્યો , એમના કરતલધ્વનિઓના ગડગડાટ નદીના બેય કિનારા પર ગુંજી ઊઠ્યા . એનાથી વૃષભરાજને એવો પાનો ચડ્યો કે બધા જોતા રહી ગયા . પૂરી તાકાત લગાવી દીધી વૃષભરાજે . એક પછી એક એમ કરતાં બધા જ ગાડાઓને વૃષભરાજે પાણી અને કીચડમાંથી ખેંચી કાઢી સામા કિનારે લાવી દીધા .

એ મહાપુરુષાર્થમાં ઘણો સમય લાગી ગયો , ઘણી તાકાત પણ લાગી . વૃષભરાજે ધન શ્રેષ્ઠીનો રાજીપો જીતવા માટે આ અભિયાનમાં જાન રેડી દીધા હતા . નદીમાં એક પણ બળદગાડું બાકી નથી રહ્યું એ જોયા બાદ જ વૃષભરાજે પોરો ખાધો , ભાગાદોડીને લીધે એનું શરીર જે ગરમ થઈ ગયું હતું તે ઠંડું પડવા લાગ્યું . એના શ્વાસ હેઠા બેઠા એટલામાં જ એની છાતી પર દબાણ આવ્યું , એના ફેંફસા ખેંચાયા , શ્વાસનળીએ રૂંધામણ અનુભવી અને એ ધડામ કરતાં જમીન પર પટકાઈ પડ્યો . એના મોટા નસકોરામાંથી લોહીની મોટી ધાર ફૂટી નીકળી . એ અર્ધબેહોશ જેવો થઈને હાંફવા લાગ્યો .

ધન શ્રેષ્ઠી દોડીને એની પાસે આવ્યો . એના ગળા પર , પીઠ પર , માથા અને શીંગડા પર હાથ ફેરવતા એણે વૃષભરાજની ખૂબ પ્રશંસા કરી અને વૃષભરાજને ધીરજ બંધાવી . વારંવાર વૃષભરાજની જીભ મોઢાની બહાર લટકવા લાગી . એનાં શરીરનો મોટાભાગનો પ્રાણવાયુ મહાશ્રમમાં વપરાઈ ગયો હતો અને હવે એનામાં સરખી રીતે શ્વાસ લેવા જેટલી શક્તિ પણ બચી નહોતી . એનો દમ ઘૂંટાઈ રહ્યો હતો . ધન શ્રેષ્ઠીએ તેના શ્રેષ્ઠ ઉપચાર શરૂ કરાવ્યા .

એક તરફ પાંચસો ગાડાઓનો રસાલો હતો જે માંડમાંડ આ કિનારે ગોઠવાઈ રહ્યો હતો . તેને લાંબો વખત રોકાવાની જગ્યા વર્ધમાનક ગામની આસપાસ , મળવી મુશ્કેલ હતી . એથી સાર્થને આગળ મોકલવો જરૂરી હતો . અને બીજી તરફ આજની સફળતાના અસામાન્ય સૂત્રધાર સમો વૃષભરાજ જમીનદોસ્ત થઈને પડ્યો હતો . એવી હાલત હતી કે જાણે દુશ્મનનો કિલ્લો તો જીતાઈ ગયો પણ વિજેતા સેનાપતિને લગભગ ગુમાવી દીધો .

ધન શ્રેષ્ઠીએ વર્ધમાનક ગામના નિવાસીઓને મળવા બોલાવ્યા . શ્રેષ્ઠી પ્રેમાળ હતા , સજ્જન હતા . એમને લાગ્યું કે ગામવાસીઓ પણ પ્રેમાળ અને સજ્જન જ હશે . શ્રેષ્ઠીને ખબર જ નહોતી કે આ એમના હાથે બહુ મોટી ભૂલ થઈ રહી છે . શ્રેષ્ઠીએ અજાણતામાં જ એક ખોટો નિર્ણય લીધો . એ નિર્ણયની જ અસર દેવાર્યનાં પ્રથમ ચાતુર્માસના ઉત્તરાર્ધ પર પણ પડવાની હતી . ( ક્રમશઃ )

વૃષભરાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *