Press ESC to close

દેવદૂષ્યદાનનો બોધપાઠ : તમારું નાનું સુખ વધારે નાનું થાય , તમારું ઓછું સુખ વધારે ઓછું થાય ત્યારે સમજવાનું કે સાધક દશા આવી છે .

તમે સાધના સાથે જોડાયા છો . સાધનામાં દુઃખ સહન કરવું એ અગત્યની વાત છે . દુઃખ કેવી કેવી રીતે આવે છે એ જાણવું રસપ્રદ રહે છે . દુઃખ આવવાની એક પદ્ધતિ થોડીક વિશિષ્ટ છે . તમારી પાસે જે છે એમાંથી તમે કશું ઓછું કરો અને જે ઓછું કર્યું એને લીધે તમને અગવડનો અનુભવ થાય આ પરિસ્થિતિ બને . આમાં તમે કોઈ એક દુઃખને આમંત્રણ આપ્યું છે એવું કહી શકાય . તમે સાધારણ જિંદગી જીવતા હોત તો બસ્સો સામગ્રીઓ સાથે રાખી હોત . પરંતુ તમે સાધના માટે જીવી રહ્યા છો તો તમારી પાસે ફક્ત દશ સામગ્રી છે . આ દશ સામગ્રીમાંથી પણ તમે બે સામગ્રી હજી ઓછી કરો છો ત્યારે તમારે ફક્ત આઠ સામગ્રીથી ચલાવવું પડે છે . તમે બસ્સો સામગ્રીમાંથી બે સામગ્રી છોડત તો તમારી પાસે એકસો અઠ્ઠાણું સામગ્રી રહેવાની હતી . એ વખતે તમને વધારે તકલીફ પડત નહીં . પરંતુ તમે દશ સામગ્રી પર આવ્યા એ પછી તમે હજી બે સામગ્રી છોડી અને તમે આઠ જ સામગ્રી પર આવી ગયા . તમે બે સામગ્રી ઓછી કરી એને કારણે તમને કોઈ અગવડ પડશે , તમને કોઈ તકલીફ પડશે , તમને કોઈ અસુવિધા થશે . તમને એની ખબર પણ હશે . તેમ છતાં તમે એ અસુવિધાનો સ્વીકાર કર્યો ત્યારે મૂલત: તમે એક દુઃખનો સ્વીકાર કર્યો છે એમ કહી શકાય .

શ્રી મહાવીર સ્વામી ભગવાને પોતાની પાસે દેવદૂષ્ય હતું એમાંનો અડધો હિસ્સો બ્રાહ્મણને આપી દીધો . એ વખતે આ ઘટના બની હતી . ભગવાન્ પાસે દશ કે બાર વસ્ત્ર હોત અને એમાંનું એક વસ્ત્ર આપી દીધું હોત તો ફરક પડવાનો નહોતો . પણ ભગવાન્ પાસે વસ્ત્ર એક જ હતું અને એ વસ્ત્ર પણ પોતાનું શરીર ઢંકાય એટલું જ હતું . ઘણા લોકો તો બસ્સો સામગ્રીમાંથી દશ સામગ્રી ઉપર પણ આવી શકતા નથી . ઘણા લોકો દશ સામગ્રી પર હોય તો દશમાંથી આઠ પર આવી શકતા નથી . પણ ભગવાને શું કર્યું , જુઓ . ભગવાન્ પાસે એક જ સામગ્રી હતી . હવે એક સામગ્રીમાં ઓછું શું કરે ? પણ ભગવાને ઓછું કર્યું . એક સામગ્રી હતી . પોતાનું શરીર ઢંકાય એટલી જ એ સામગ્રી હતી . એમાં વધારાનું કશુંય હતું નહીં . તેમ છતાં – પોતાની પાસે જે છે એમાંથી કશુંક ઓછું કરવું અને એ રીતે દુઃખ વેઠવું – આ નિયમનું ભગવાન્ પાલન કરે છે .

ભગવાન્ પોતાનાં દેવદૂષ્યને અડધું કરે છે અને એ અડધો હિસ્સો ભગવાન્ બ્રાહ્મણને આપી દે છે . પોતાની પાસે સુખ ઓછું હોય ત્યારે પોતાનું થોડું સુખ પૂરેપૂરું પોતાનું રહે એવી માનસિકતા જ બનતી હોય છે . સુખ ઓછું હોય ત્યારે આ સુખમાં હજી પણ ઘટાડો થાય એવો વિચાર મનમાં બની શકતો નથી . પહેલેથી જ એક સમાધાન , મનમાં તૈયાર હોય છે કે જેટલું સુખ ઓછું થાય એટલું ઓછું કરી જ લીધું છે . હવે વધારે ઓછું શું કરવાનું ? પોતાની પાસે જે છે એમાંનું સુખ હજી પણ ઓછું થાય એની માટે જે તૈયાર રહી શકે એ જ સાધના કરી શકે .

સુખ ઓછું થાય એનાથી કોઈ એક દુઃખ આવે છે . ઠંડીના દિવસોમાં આખી ચાદરને બદલે અડધી ચાદર ઓઢવા મળે તો અડધી ચાદર , ઠંડીની સામે રક્ષા કરશે તો અડધી જ રક્ષા કરશે . અડધી ચાદર ઠંડીની સામે પૂરી રક્ષા નહીં કરી શકે . ઠંડીના દિવસોમાં આખી ચાદર ઓઢવા મળી હોય એ વખતે જે પોતાની ચાદરના બે ટુકડા કરે અને અડધી ચાદર બીજા કોઈને ઓઢવા આપી દે , એવો માણસ જાણતો જ હોય છે કે પોતાની અડધી ચાદરને લીધે પોતાની સુવિધા અડધી થઈ જશે . સુવિધા પહેલીથી જ ઓછી હોય તેમ છતાં ઓછી સુવિધાને પણ ફરીથી અડધી કરી નાંખવી એ સહેલું કામ નથી . સાધક એ કામ પણ આસાનીથી કરી શકતો હોય છે . તમને જમવા માટે ૫૦ / ૬૦ વસ્તુઓ મળી હોય અને તમે બધી વસ્તુઓ આરોગવા માટે તૈયાર છો એ સામાન્ય પરિસ્થિતિ છે . તમારી સામે ૫૦ / ૬૦ વસ્તુઓ છે , તેમ છતાં તમે નક્કી કરો છો કે હું ફક્ત ૧૦ જ વસ્તુ લઈશ . તમે ઓલરેડી ૪૦ થી ૫૦ વસ્તુઓ છોડી દીધી . હવે તમારી સામે બીજો કોઈ માણસ આવે છે . એની પાસે કશું ખાવાનું છે જ નહીં . તમને દયા આવે છે , તમે તમારી થાળીમાંથી બે વસ્તુ એને આપી દો છો . આ વખતે જેને બે વસ્તુ મળી એને તો સમજો કે ફાયદો થઈ ગયો . એની પાસે કશું હતું જ નહીં એને બદલે એની પાસે બે વસ્તુ તો આવી જ . પરંતુ તમારી પાસે ૫૦ / ૬૦ વસ્તુ હતી જ નહીં . તમારી પાસે દશ જ વસ્તુ હતી. આ દશમાંથી તમે બે વસ્તુ પૂરેપૂરી બીજાના હાથમાં પીરસી દીધી એટલે તમારી થાળીમાં તો આઠ જ વસ્તુ રહી . તમારું સુખ નાનું હતું એ વધારે નાનું થઈ ગયું . સુખ નાનું થાય ત્યારે પણ દુઃખ થાય છે . સુખ ઓછું થાય ત્યારે પણ દુઃખ થાય છે .

તમારું સુખ ઓછું ન થાય એની કોશિશ તમે કરતાં જ હશો . તમારાં સુખની સાઈઝ પહેલેથી નાની જ હોય ત્યારે એ નાની સાઈઝનું સુખ , વધારે નાની સાઈઝનું ન થઈ જાય એની કાળજી તમે લેવાના જ છો . ભગવાનનું દેવદૂષ્યદાન , એક પ્રતીકાત્મક ઘટના છે એમ માનીએ તો દેવદૂષ્ય એ સુખનું પ્રતીક છે . દેવદૂષ્ય એક જ હતું એટલે કે સુખની સામગ્રી એક જ હતી . દેવદૂષ્ય એક જ વ્યક્તિ ઓઢી શકે એટલું લાંબુ હતું , બે વ્યક્તિ કે ચાર વ્યક્તિ ઓઢી શકે એટલું મોટું એ હતું નહીં . આનો અર્થ એ થયો કે એ સુખ નાનું હતું . દેવદૂષ્ય અડધું ફાટ્યું એનો અર્થ એ થયો કે નાનું અને ઓછું સુખ પણ અડધું કપાયું હતું . સો રૂપિયામાંથી પચાસ રૂપિયા બીજાને ફાળવી દેવાયા હતા . એમ કહી શકાય કે એક જ રૂપિયો હતો એમાંથી પચાસ પૈસા બીજા કોઈને આપી દેવામાં આવ્યા હતા .

તમે જ્યારે પણ , જે પણ જિંદગી જીવતાં હશો એમાં તમારી પાસે કોઈ સુખ હશે . એમાંથી અડધો ટકો સુખ , એક ટકો સુખ , સવા ટકો સુખ , દોઢ ટકો સુખ તમે તરત ઓછું કરવાના નથી . જે સુખ તમારી પાસે હશે એને તમે તમારી પાસે જ રાખવાના છો . સુખ , સુવિધા સ્વરૂપ પણ હોય છે . સુખ , સુચારુ વ્યવસ્થા સ્વરૂપ પણ હોય છે . સુવિધા ઓછી થાય , વ્યવસ્થા ઓછી મળે એ વખતે અગવડ પડે છે અને અગવડ એ દુઃખ જ છે . પોતાનું સુખ ઓછું થાય એ પછી કોઈ એક દુઃખ વેઠવું પડે છે . પોતાની સુવિધા ઓછી થાય એ પછી કોઈ એક દુઃખ ઝીલવું પડે છે . પોતાની વ્યવસ્થા ઓછી થાય એ પછી એક દુઃખ સામે આવીને ઊભું જ રહે છે . તમને ખબર હોય કે એક નવું દુઃખ આવી પડશે તેમ છતાં તમે સુખને , સુવિધાને કે વ્યવસ્થાને છોડો છો . તમે એક દુઃખ આવવાનું છે એની માટે તૈયાર ઊભા છો એ જ તમારી સાધક અવસ્થા છે .

ભગવાને દેવદૂષ્ય આપ્યું એના દ્વારા ભગવાને દાન આપવાની‌ ત્રણ રીત બતાવી . એક , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એ યાચકની તકલીફ દૂર થાય . બે , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એ યાચકની આવશ્યકતા સંતૃપ્ત થઈ જાય . ત્રણ , જે માંગવા આવ્યો છે એને એ રીતે દાન આપવાનું છે કે એને ફરીથી બીજે ક્યાંય માંગવા જવું જ ન પડે . ભગવાને દાન આપ્યું એ અવિસ્મરણીય ઘટના છે . પરંતુ દાનમાં ભગવાને દેવદૂષ્ય ફાડીને અડધું કરી દીધું હતું અને એ દ્વારા ભગવાને એક નવાં દુઃખને સહન કરવાની તૈયારી બતાવી હતી . ભગવાનની સાધકદશાનું આ રૂપ આપણી માટે એકદમ નવું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *