
બહારગામ જતી વખતે આપણે લોકો સાથે સામાન લઈને જઈએ છીએ . જેની સાથે સામાન ઓછો હશે એનો પ્રવાસ સારો થશે . જેની સાથે સામાન ઘણો વધારે હશે એનો પ્રવાસ અઘરો જશે . ઓછામાં ઓછો સામાન રાખીએ , બિલકુલ જરૂરી હોય એટલો જ સામાન સાથે રાખીએ તો પ્રવાસમાં સુગમતા રહે છે . કયો સામાન સાથે નથી રાખવો એનું જજમેન્ટ આપણામાં હોવું જોઈએ . ભાઈઓ બહારગામ જવા નીકળશે તો સામાનની બાબતમાં એમને પોલીસી સીધી હોય છે . આ નથી રાખવું , આ નથી રાખવું અને આ નથી રાખવું . પરંતુ બેનો બહારગામ નીકળે તો એમની પોલીસી અલગ હોય છે . આ પણ સાથે રાખો , આ પણ સાથે રાખો અને આ પણ સાથે રાખો . એટલે તમે જોજો . પુરુષો એકલા બહારગામ નીકળશે તો એમનો સામાન ઓછો હશે . પણ બહેનો બહારગામ માટે નીકળશે તો એમનો સામાન ઘણો વધારે હશે . તમારે જો પ્રવાસમાં નિરાંત જોઈતી હોય તો કયો સામાન સાથે નથી રાખવો એ નક્કી કરી લેવું જોઈએ .
આના જેવી એક બીજી પણ વાત છે . આપણે અહીંથી મરીને પરલોકમાં જઈશું . પરલોકમાં શું લઈ જવું છે એ પણ નક્કી હોવું જોઈએ અને શું નથી લઈ જવું એ પણ નક્કી હોવું જોઈએ . જે જે લઈ જવું છે એની સાથે જોડાયેલા રહેવાનું . જે નથી લઈ જવું એનાથી દૂર રહેવાનું . આવતા ભવમાં શું સાથે નથી લઈ જવું એની વિચારણા થવી જોઈએ . ત્રણ વાતો યાદ રાખજો . આ ભવમાં તમે જે કામથી દૂર રહો છો એ કામ આવતા ભવમાં તમારી સાથે આવતું નથી . આ ભવમાં તમે જે જે કામનો પસ્તાવો કરો છો એ કામ આવતા ભવમાં સાથે આવતું નથી . આ ભવમાં તમે જે જે કામ પ્રત્યે અણગમો રાખો છો એ કામ આવતા ભવમાં સાથે આવતું નથી . પરંતુ આ ભવમાં જે કામ તમે સતત કરતા રહો છો એ કામ આવતા ભવમાં તમારી સાથે આવે છે . આ ભવમાં તમે જે કામમાં આનંદ અનુભવો છો એ કામ તમારી સાથે જ આવે છે . આ ભવમાં તમે તમારાં મનમાં જેની માટે આકર્ષણ બનાવીને રાખ્યું હશે એ બધું આવતા ભવમાં તમને ફરીથી મળશે . સાથે શું આવે છે ? જે પ્રવૃત્તિ આપણે સતત કરીએ છીએ એ પ્રવૃત્તિ સાથે આવે છે . જે પ્રવૃત્તિમાં આપણને ઘણો આનંદ આવે છે એ આપણી સાથે આવે છે . જે પ્રવૃત્તિ આપણને ઘણી ગમે છે એ પ્રવૃત્તિ આપણી સાથે આવે છે .
આનાથી બિલકુલ ઉલટું તથ્ય બીજું છે . સાથે શું નથી આવતું ? જે પ્રવૃત્તિ આપણે કરતા નથી તે સાથે નથી આવતી . જે પ્રવૃત્તિનો આપણને પસ્તાવો હોય છે , એ પ્રવૃત્તિ સાથે નથી આવતી . જે પ્રવૃત્તિ માટે આપણે મનમાં અણગમો બનાવી રાખ્યો હોય છે એ પ્રવૃત્તિ સાથે નથી આવતી . આ ભવમાં તમે અન્યને દુઃખ આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હશે તો આવતા ભવમાં પણ તમારામાં બીજાને દુઃખ આપવાના સંસ્કાર બનેલા રહેશે . આ ભવમાં તમે અન્યને દુઃખ આપવાની પ્રવૃત્તિથી દૂર રહ્યા હશો તો આવતા ભવે તમારામાં અન્યને દુઃખ આપવાની ભાવના બહુ ઓછી હશે .આ ભવમાં ચોક્કસ પાપ કર્યા પછી પણ તમે એ પાપનો પસ્તાવો કરશો , પ્રાયશ્ચિત્ત કરશો , એ પાપ સંબંધી પ્રતિક્રમણ કરશો તો પાપનો એ પસ્તાવો આગામી ભવમાં તમને પાપની માનસિકતાથી બચાવીને રાખશે . કારણ કે તમે જેનો પસ્તાવો કર્યો હોય છે એના સંસ્કાર તીવ્ર હોતા નથી . પરંતુ આ ભવમાં જો તમે પાપ કરીને એ પાપ કરવાનો હર્ષ બનાવ્યો હશે તો આવતા ભવમાં તમે પાપનો આદર લઈને જ જનમશો . તમે પાપનો પસ્તાવો કર્યો નહીં હોય તો એ પાપનો પક્ષપાત તમારી સાથે આવશે અને આવતા ભવે પણ તમારામાં પાપની તીવ્રતા બનાવેલી રાખશે . જે ધર્મ તમે કર્યો નથી , જે આરાધના તમે કરી નથી એ ધર્મ અને આરાધનાની આકાંક્ષા મનમાં ઊભી રાખો , જે જે કરવાનું બાકી છે તેના સપનાં જોયા કરો . એ સપનાઓને વાગોળ્યા કરો . તમારો ધર્મ નાનો હશે તો ચાલશે પણ તમારા ધર્મનાં સપનાં નાના હશે એ બિલકુલ નહીં ચાલે . ધર્મના સપનાં ઊંચા હોવા જોઈએ , ધર્મનાં સપનાં મોટા હોવા જોઈએ . ધર્મના સપનાં સાચા હોવા જોઈએ . ધર્મના સપનાં નક્કર હશે તો એક એક સપનાં આવતા ભવમાં સાથે આવશે અને આવતા ભવમાં એ સાકાર પણ થશે . આનાથી વિપરીત બીજી પણ વાત છે : તમે જો પાપ કરવાના સપનાં જોતા હશો તો એ અપવિત્ર સપનાં પણ પોતાનો પરચો બતાવશે જરૂર . તમે અહીંથી મરીને જ્યાં પણ જશો ત્યાં એ પાપનાં સપના તમારો પીછો કરશે . તમારી સાથે પાપનાં સપનાં એટલે કે પાપના સંસ્કાર સાથે આવે એવું બનવું ના જોઈએ .
ધર્માત્મા ત્રણ કામ કરે છે : એક , એ અમુક સંસારવર્ધક પ્રવૃત્તિઓ ક્યારે પણ કરતો નથી . એ અમુક પાપ પ્રવૃત્તિઓ કોઈ દિવસ આચરતો નથી . પાપનો પરિત્યાગ જેટલો મોટો હશે , આગામી ભવમાં પાપનો બોજો એટલો ઓછો હશે . બે , પોતે કરેલા પ્રત્યેક પાપનો પસ્તાવો એના મનમાં જીવતો હોય છે . આ પસ્તાવાને લીધે એના પાપના સંસ્કારો કમજોર પડી ગયા હોય છે . ત્રણ , ધર્માત્માનાં મનમાં ઉત્તમ પ્રવૃત્તિઓ આચરવાના ઢગલાબંધ સપનાં રમતાં હોય છે . અમુક સપનાં આ ભવમાં પૂરા થાય છે . અમુક સપનાં આ ભવમાં પૂરા નથી થતા પરંતુ ધર્મનાં સપનાઓનો એ સંસ્કાર આગામી ભવમાં સાથે આવે છે અને એ સપનાં આગામી ભવમાં સાકાર થાય છે .
Leave a Reply