
બે રીતની પરિસ્થિતિ આવશે . અનુકૂળ પરિસ્થિતિ . પ્રતિકૂળ પરિસ્થિતિ . બંને પરિસ્થિતિમાં તમારા મોઢેથી સારા શબ્દો જ નીકળવા જોઈએ . તમે જે બોલો છો એ તમારી ઓળખાણ છે . તમે જે બોલો છો એ તમારા વિચારનો પડછાયો છે . તમે જે બોલો છો એ તમારી આદત છે . તમારાં મોઢેથી જે શબ્દો નીકળે છે એ શબ્દો કોઈ ને કોઈ સાંભળે છે . તમારા શબ્દ જે સાંભળે તેને તમારા શબ્દો થકી શું મળે છે એનો વિચાર તમે કરી શકો . સાધનાનો નિયમ એમ કહે છે કે તમારા શબ્દોથી સામા માણસને ખોટો વિચાર મળવો ના જોઈએ . તમારાં કથનથી કોઈનાં મનમાં નિરાશા જાગે કે ગુસ્સો જાગે કે અયોગ્ય ઈચ્છા જાગે એવું ના થવું જોઈએ . તમે જે બોલો છો એ કોઈની માટે આલંબન બને છે . તમારો શબ્દ બને તો શુભ આલંબન જ બને , તમારો શબ્દ અશુભ આલંબન ન જ બને , એનું ધ્યાન તમારે રાખવાનું છે . તમે કોઈને અનુચિત કાર્ય કરવા માટે પ્રેરણા આપો એ તમારી ભૂલ . તમે કોઈની સાથે છલપ્રપંચભરી ભાષા વાપરો એ તમારી કમજોરી . તમે કોઈને અસત્ય કહો એ તમારી નબળાઈ . તમે કોઈને અપશબ્દ કહો એ તમારી નિષ્ફળતા . તમે કોઈની નિંદા કરો એ તમારી હાર . તમે કોઈની વિરોધમાં બોલો એ તમારો અવિવેક . તમે કોઈનાં સત્કાર્યમાં ઉત્સાહભંગની પરિસ્થિતિ બનાવો એ તમારું અજ્ઞાન .
તમારાં કથનથી કોઈને સત્કાર્ય કરવાનું મન થાય એ તમારું બળ . તમારી ભાષામાં સીધી સરળ વાત હોય અને છલપ્રપંચ બિલકુલ ન હોય એ તમારો સંસ્કાર . તમે અસત્યનું સમર્થન થાય એવી વાત ન કરો એ તમારી તાકાત . તમે ઉત્તમજનોની પ્રશંસા મોઢામોઢ કરો એ તમારી જીત . તમે ગુણવંત જનોનાં સમર્થનમાં બોલો એ તમારો વિવેક . તમે કોઈનાં પણ હૈયામાં ઉત્સાહભંગની પરિસ્થિતિનું નિર્માણ ન થવા દો એ તમારું જ્ઞાન . તમે કોઈની સાથે વાત કરો ત્યારે તમારો વાત કરવાનો મુદ્દો સારો જ હોવો જોઈએ . તમે જે બોલો એમાં ધર્મની છાયા હોવી જોઈએ . તમે જે કહો એમાં દેવ અને ગુરુ પ્રત્યે સમર્પણની ભાવના ટપકતી હોવી જોઈએ . તમે જે બોલો એમાં તત્ત્વચિંતનની છાયા હોવી જોઈએ . તમે જે કહો એમાં આરાધકભાવની ઊંડી અસર હોવી જોઈએ .
સાધનાના નિયમો યાદ રાખજો . પહેલી વાત એ છે કે તમે જેટલું જરૂરી હોય તેટલું જ બોલો છો . બીજી વાત એ છે કે તમે ઓછામાં ઓછું બોલો છો . ત્રીજી વાત એ છે કે તમે જે બોલો છો એમાં સચ્ચાઈ હોય છે . ચોથી વાત એ છે કે તમે કારણ વગર બોલતા નથી . પાંચમી વાત એ છે કે તમે વ્યાજબી કારણ ઉપસ્થિત થાય ત્યારે બોલ્યા વગર રહેતા નથી . છઠ્ઠી વાત એ છે કે તમે જ્યારે જ્યારે બોલો છો ત્યારે ત્યારે ભગવાનની વાણીને વફાદાર રહો છો . સાતમી વાત એ છે કે તમે બોલો છો ત્યારે તમારા શબ્દો ઉત્તમ જ હોય છે , તમારા શબ્દોમાં તુચ્છતા નથી હોતી . આઠમી વાત એ છે કે તમે અસરકારક રીતે બોલો છો , તમારું કથન વ્યર્થ જાય એવી રીતે તમે બોલતા જ નથી . નવમી વાત એ છે કે તમે અનુચિત પ્રવૃત્તિનો વિરોધ કરવામાં અચકાતા નથી અને દશમી વાત એ છે કે તમે સમુચિત પ્રવૃત્તિનું સમર્થન કરવામાં સંકોચ અનુભવતા નથી .
એક પ્રયોગ કરો . દિવસમાં દશ વાર , વીશ વાર આ એક વાક્ય બોલો . કયું વાક્ય ? વાક્ય છે : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . આ વાક્ય તમારે ખુદને કહેતાં રહેવાનું છે . તમને નબળાં વાક્યો બોલવાની ટેવ પડેલી છે . તમારાં મોઢેથી આખા દિવસમાં દશ , વીશ , પચીશ નબળાં વાક્યો નીકળતાં જ હોય છે . એ વાક્યોનાં રિપ્લેસમેન્ટમાં આ એક વાક્ય બોલતાં રહેવાનું છે . સવારે નાસ્તો થઈ જાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . બપોરે જમવાનું થઈ જાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . સાંજે ભોજન સંપન્ન થાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . સવારે ઊંઘમાંથી ઉઠો ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . દેરાસર દેખાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . ગુરુવંદન કરવા મળે ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . દૂરથી સાધર્મિકનાં દર્શન થાય ત્યારે બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . આખો દિવસ નાની નાની જે પણ અનુકૂળ ઘટના બને એના પછી બોલજો : बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) . તમે જે બોલશો એ મુજબ તમારા મનમાં વિચાર બનશે . बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) , बहोत अच्छा हुआ ( બહુ સારું થયું ) એમ બોલતા રહેવાથી ખરેખર જ સારું થયું હોવાનો અહેસાસ મળવા લાગશે . એ અહેસાસ તમારાં મોઢામાં સારા શબ્દોને ખેંચી લાવશે અને એ અહેસાસ તમારાં મોઢામાં ખરાબ શબ્દોને આવતા અટકાવી દેશે .
આપણે અનુકૂળ ક્ષણોને સારા શબ્દોથી વધાવતાં રહીશું એનું પરિણામ એ આવશે કે અનુકૂળ ક્ષણો વધતી જશે . આપણે પ્રતિકૂળ ક્ષણોમાં આ શબ્દો કદાચ , નહીં બોલી શકીએ . વાંધો નથી . પણ અનુકૂળ ક્ષણો મળે ત્યારે આ શબ્દો બોલી શકીએ છીએ . આ શબ્દો દ્વારા આપણે આપણી વાણીને સારા સંસ્કાર આપીએ છીએ . તમે સારા શબ્દો વારંવાર વાપરવાનું શરૂ કરશો એટલે તમારી વાણીમાં સારા શબ્દો વધતા જશે . એ સારા શબ્દો તમને સારા અનુભવની યાત્રા કરાવતા રહેશે .
Leave a Reply