Press ESC to close

સંઘનું સાધારણખાતું અને તમારી પાંચ જવાબદારીઓ

પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા 

—————
૧.
તમે તમારી જવાબદારીને ન જ ભૂલી શકો
—————
જૈન શાસનમાં દેવદ્રવ્યનો મહિમા ઘણો મોટો છે . પરંતુ સાધારણ ખાતું પણ ઘણું જ મહત્ત્વનું છે . દેવદ્રવ્ય , ગુરુદ્રવ્ય , જ્ઞાન દ્રવ્ય આદિ દ્રવ્યોનો ઉપયોગ નિશ્ચિત થયેલા સ્થાનમાં જ થઈ શકે . જ્યારે સાધારણ દ્રવ્યનો ઉપયોગ બધા જ સ્થાનમાં થાય . જેમ તમારા દ્વારા દેવદ્રવ્યમાં જમા થનારી રકમ મોટી હોય છે એમ તમારા દ્વારા સાધારણ ખાતામાં જમા થનારી રકમ પણ મોટી જ હોવી જોઈએ .
એક સાચો શ્રાવક વિચારતો હોય છે કે મારું ઘર અને મારી પેઢી ચલાવવામાં હું જે પૈસા વાપરું છું એનાથી , પાપપ્રવૃત્તિને ટેકો મળે છે . ભગવાનનું મંદિર અને ભગવાનને પેઢી ચલાવવામાં હું જે પૈસા વાપરું છું એનાથી , પુણ્યપ્રવૃત્તિને ટેકો મળે છે .
ભગવાનના ઉપકાર અનંત છે , ભગવાનને વધારેમાં વધારે અર્પણ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે . ભગવાનની પેઢીને સાચવવામાં પણ ભગવાનની ભક્તિ જ છે . ભગવાનની પેઢી કોને કોને સાચવે છે , વિચારી જુઓ . આંબેલખાતું , ધર્મશાળા ભોજનશાળા , જ્ઞાનભંડાર , પાઠશાળા , સાધર્મિક વાત્સલ્ય , દેરાસર ઉપાશ્રય પરિસરનાં વીજળીપાણી , વરસભરનો હિસાબ લખનારા મુનીમ અને અન્ય માણસો – આ બધાયને સાચવે કોણ ? ભગવાનની પેઢીનું સાધારણ ખાતું . તમે લોકો સાધારણખાતામાં એટલી ઓછી રકમ લખાવો છો કે મોટેભાગે સાધારણખાતામાં પૈસા હોતા નથી અથવા તો સાધારણખાતું જ નુકશાનમાં ચાલતું હોય છે .
તમે ભગવાનના ભક્ત છો . તમને ભગવાન પર શ્રદ્ધા છે તે હું જાણું છું . છતાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે : જો તમે ભગવાનને માનો છો તો તમે ભગવાનની પેઢીનું કેટલું ધ્યાન રાખો છો ? ભગવાનની ભક્તિ કરનારો , ભગવાનની પેઢીની ઉપેક્ષા કરે , એ કેટલે અંશે ઉચિત છે . તમારે રોજેરોજ ઘરનો ખરચો ચાલુ છે એમ સંઘના દેરાસર-ઉપાશ્રય આદિમાં પણ રોજેરોજ કોઈ ને કોઈ ખરચો ચાલુ જ છે . તમે ઘરના ખર્ચ માટે પૈસાની વ્યવસ્થા કરી જ લો છો કેમ કે તમને ખબર છે કે એ તમારી જવાબદારી છે . તમને ક્યારેય એવું લાગે છે ખરું કે સંઘના દેરાસર-ઉપાશ્રય આદિમાં જે ખર્ચો થાય છે એના પૈસાની જવાબદારી તમારી પણ છે ? તમે તમારી જવાબદારીને ભૂલી જાઓ તો – હું જૈન છું એવું બોલવાનો તમને કોઈ હક નથી . તમે તમારી જવાબદારીને ન જ ભૂલી શકો .
——————
૨.
સામાન્ય પરિસ્થિતિમાં થનારું દાન પુણ્યનો બંધ કરાવે છે .
સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવે છે .
——————–
તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારું ઘર સુખે સુખે ચાલે છે . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારે કોઈની આગળ હાથ લંબાવવો પડ્યો નથી . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારા ઘરના રસોડે કાંઈ ઓછું પડ્યું નથી . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમે કપડે લત્તે સુખી દેખાઓ છો . તમારું પુણ્ય તમારી સાથે છે માટે તમારાં ઘરે દાગીના અને વાસણો ઘણાં છે . તમે વિચારો કે જે પુણ્ય આજસુધી તમારી સાથે છે તે પુણ્ય તમે મેળવ્યું કેવી રીતે ?

શાલિભદ્રજીએ પૂર્વના ભવમાં દાન કર્યું હતું એનાં જ પુણ્યથી એમને અપાર ધન અને ઐશ્વર્ય મળ્યું હતું એ યાદ છેને ? તમને આજે જે ધન અને ઐશ્વર્ય મળ્યું છે તેનું કારણ શું ? તમે પૂર્વભવમાં સારું દાન કર્યું હશે એનાં પુણ્યથી જ તમને આજે ધન અને ઐશ્વર્ય મળ્યું છે . આજે તમે કેટલું દાન કરો છો , કેવા ભાવથી દાન કરો છો એ તમે જાતે વિચારી જુઓ . તમે આજે દાન કરશો એનું પુણ્ય તમને આવતા ભવમાં ધર્મ કરવાની શક્તિ આપશે અને એ ધર્મ તમને મોક્ષ સુધી પહોંચાડી દેશે .

આ આખી વાત તો તમે જાણો જ છો . મારે તમને એ કહેવું છે સામાન્ય પરિસ્થિતિમાં થનારું દાન પુણ્યનો બંધ કરાવે છે અને સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવે છે . આપણા પૂર્વજો સામાન્ય પરિસ્થિતિમાં દાન કરતા જ હતા પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં તેઓ મોટામાં મોટું દાન કરી જાણતા હતા . મંત્રીશ્વર પેથડશાહે સામાન્ય પરિસ્થિતિમાં સારું એવું દાન કરેલું અને કટોકટીના સમયમાં ઘણું જ મોટું દાન કર્યું હતું . ગિરનાર તીર્થના ઈતિહાસમાં એનું વર્ણન તમે સાંભળ્યું જ છે . 

તમે સામાન્ય પરિસ્થિતિમાં દાન કરતા જ રહો છો . સંઘમાં જ્યારે મોટી કટોકટી ઊભી થાય ત્યારે તમારે તમારી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ કેમ કે સંકટના સમયમાં થનારું દાન મહાન્ પુણ્યનો બંધ કરાવી આપે છે . સંકટના સમયમાં સ્વયં વિવેકી બનીને એ રીતે દાન કરવું જોઈએ કે તમને જોઈને બીજાને પણ પ્રેરણા મળે .

તમારું પુણ્ય તમારી સાથે ન હોય અને તમે દાન ન કરી શકો એવું બની શકે . એવા સમયે તમે ગુનેગાર બનતા નથી . તમારું પુણ્ય તમારી સાથે હોય તેમ છતાં તમે અપેક્ષાનુસાર દાન ન કરો એવું બનવું જોઈએ નહીં . સંકટના સમયમાં જે પોતાની શક્તિને અનુરૂપ દાન ન કરે તે ગુનેગાર બને છે . આવો આત્મા એવું અંતરાય કર્મ બાંધે છે જે એને દુર્ગતિમાં ધકેલી દે છે .

હું જ્યારે એમ કહું છું તમે દાન કરો ત્યારે એનો અર્થ એ છે કે તમે તમારાં પુણ્યનો સદુપયોગ કરો . પુણ્યનો સદુપયોગ કરનારાને આ ભવમાં અને આગામી ભવમાં ધર્મની અનુકૂળતા મળતી જ રહે છે . 
—————

૩ .
જે ખાતામાં પૈસા ઓછા દેખાય
તે ખાતામાં વધારે પૈસા લખાવવા જોઈએ
—————
દરેક જૈને સંપત્તિનો સદુપયોગ સાત ક્ષેત્રોમાં કરવો જોઈએ . સાત ક્ષેત્રમાં એક પણ ક્ષેત્રની ઉપેક્ષા ન થવી જોઈએ . જિનમૂર્તિ અને જિનમંદિર . જિન આગમ . સાધુ અને સાધ્વી . શ્રાવક અને શ્રાવિકા . આ દરેક ક્ષેત્રમાં તમારે લાભ લેવાનો છે . એક પણ ક્ષેત્ર બાકી રહેવું ન જોઈએ .

જિનબિંબ અને જિનમંદિરનું સ્થાન સૌથી ઉપર છે . એનો અર્થ એ છે કે પરમાત્મા માટે જે કરવાનું તે સૌથી પહેલાં કરવાનું છે અને સૌથી વધારે કરવાનું છે . આ વાતમાં કોઈ અપવાદ નથી . તેમ છતાં એક ખાસ વાત શાસ્ત્રોમાં લખાઈ છે .
જ્યારે જે ક્ષેત્ર સીદાતું હોય તે ક્ષેત્રનું જૈને વિશેષ ધ્યાન રાખવું જોઈએ . સીદાતું ક્ષેત્ર એટલે શું તમને સમજાય છે ? દેવ દ્રવ્ય , જ્ઞાન દ્રવ્ય , ગુરુ દ્રવ્ય , સાધર્મિક ભક્તિનું દ્રવ્ય , જીવદયા અને અનુકંપાનું દ્રવ્ય , સાધારણ દ્રવ્ય . આવા અલગ અલગ ખાતાઓમાં પૈસા જમા થાય છે એ તમે જાણો છો . જે ખાતામાં પૈસાની આવક વધારે હોય અને જે ખાતામાંથી જાવક એટલે કે ખરચો વધારો ન થતો હોય તે ખાતું સદ્ધર કહેવાય . જે ખાતામાં પૈસાની આવક વધારે ન હોય અને જે ખાતામાંથી જાવક એટલે કે ખરચો વધારો થતો હોય તે ખાતું સદ્ધર ન કહેવાય . એ સીદાતું ખાતું કહેવાય .
દેવદ્રવ્યનું સ્થાન સર્વોપરી છે . પરંતુ સંઘની પેઢીના ચોપડે , જે ખાતામાં પૈસા ઓછા દેખાય તે ખાતામાં વિશેષ પૈસા લખાવવા જોઈએ . એક ખાતામાં ઘણા પૈસા હોય અને બીજાં ખાતામાં પૈસા ઓછા હોય ત્યારે જૈને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ . દેવદ્રવ્યની મર્યાદાનો લોપ થાય એવું ક્યારેય ન વિચારવું જોઈએ . દેવદ્રવ્ય જ્યાં વપરાય ત્યાં જ વપરાય . દેવદ્રવ્ય જ્યાં ન વપરાય ત્યાં ન જ વપરાય . આ નિયમમાં બાંધછોડ છે જ નહીં .

જે કામ દેવદ્રવ્યથી કરી શકાતાં નથી તે કામ માટે સંઘને પૈસાની જરૂર પડવાની જ છે . જેની માટે સાધારણખાતાનાં પૈસાની જરૂર પડે છે એવાં કામો ઓછાં નથી . એ કામ માટે સંઘે , સાધારણ ખાતાની જે શાસ્ત્રશુદ્ધ યોજના બનાવેલી હોય એમાં તમારે ખુલ્લા હાથે પૈસા લખાવવા જોઈએ .

દેવદ્રવ્યની બોલીઓમાં જે હજારો , લાખો રુપિયા વાપરતો હોય તેણે સાધારણ ખાતામાં લખાવવા માટે કંજૂસાઈ રાખવી જોઈએ નહીં . તમે સાધારણખાતામાં થોડી રકમ લખાવીને બેસી જાઓ એ ન ચાલે . આખા સંઘની ઘણી ઘણી વ્યવસ્થાઓ કેવળ , સાધારણ ખાતા પર નિર્ભર છે . તમે સૌ સાધારણ ખાતામાં સારામાં સારી લખાવો છો એને લીધે સંઘની ઘણી ઘણી વ્યવસ્થાઓ સચવાઈ જાય છે  .

સાધારણમાં વિશેષ પૈસા લખાવવાથી બે લાભ થાય છે : એક , દેવદ્રવ્યનો અનુચિત ઉપયોગ થવાની સંભાવના રહેતી જ નથી . બે , સંઘ સાથે જોડાયેલ સર્વે આરાધકો માટે ધર્મની જે અનુકૂળતા બને તેમાં સહયોગી બનવાનું પુણ્ય મળે છે .
—————
૪.
સંઘ તમારી માટે કેટલું કરે છે એ વિચારો .
તમે સંઘ માટે કેટલું કરો છો તે વિચારો .
—————
તમે કેટલાં વરસથી ધાર્મિક સ્થાનોમાં જાઓ છો ? તમે વ્યાખ્યાન સાંભળવા જાજમ પર બેસો છો એ જાજમની વ્યવસ્થા કોણે કરી ? સંઘે કરી . તમે દેરાસરની બહાર હાથપગ ધુઓ છો એ પાણીની વ્યવસ્થા એ જગ્યાએ કોણે કરી ? સંઘે કરી . તમે આજસુધી કેટલાં સંઘજમણમાં જઈ આવ્યા ? સંઘજમણમાં વપરાતા થાળીવાટકા અને પાટલાની વ્યવસ્થા કોણ કરે છે ? સંઘ કરે છે . તમે પૌષધ કરો છો એમાં તમને જે ઉપકરણોની જરૂર પડે છે તે તમે ઉપાશ્રયમાંથી લઈ શકો છો . તમારી માટે એ ઉપકરણોની વ્યવસ્થા કોણ કરે છે ? સંઘ કરે છે . તમને ઉકાળેલું પાણી જોઈતું હોય તો એની વ્યવસ્થા સંઘ કરી આપે છે . તમે સાધુસાધ્વીજીની પાસે આવો છો , થોડો સમય વીતાવો છો અને પાછા ઘરભેગા થઈ જાઓ છો . સાધુસાધ્વીજીની ચોવીશ કલાકની રહેવાની વ્યવસ્થા તમે કરો છો કે સંઘ કરે છે ? સંઘ કરે છે . તમારે દેરાસરની બહાર જે ઓટલે બેસી ગપ્પાં મારો છો એ ઓટલો બનાવ્યો કોણે ? સંઘે બનાવ્યો . કેટલાં કામ ગણાવું ? સંઘ તમારી માટે કેટલું કરે છે એ વિચારો અને તમે સંઘ માટે કેટલું કરો છો તે વિચારો .

ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મ કરવો એ તમારું કર્તવ્ય છે . ભગવાનની આજ્ઞા અનુસાર ઘણા આરાધકો ધર્મ કરતા હોય એની વ્યવસ્થાને સાચવવી અને સંભાળવી એ સંઘનું કર્તવ્ય છે . પહેલાના જમાનામાં સંઘ મહાજનના હાથમાં વ્યવસ્થા રહેતી . હવે ટ્રસ્ટીઓ વ્યવસ્થા સંભાળે છે . ટ્રસ્ટીઓ સમય આપે છે , ટ્રસ્ટીઓ જાતે ઘસાય છે , સાચું શું અને ખોટું શું એનો વિવેક ટ્રસ્ટીઓ રાખે છે . સંઘની વ્યવસ્થા સંભાળવી સહેલી છે ? કેટલા વીશે સો થાય છે ત્યારે આ વ્યવસ્થા સંભાળવાનું શક્ય બને છે તે તમને નહીં સમજાય . શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે જે વ્યક્તિ સંઘની વ્યવસ્થા ઉત્તમ રીતે સંભાળી લે છે એને તીર્થંકર નામકર્મ બંધાઈ શકે છે . આજે સંઘની વ્યવસ્થા સંભાળનારાઓ પોતાનું કામ કરી જ રહ્યા છે .

તમારી ફરજ શું છે એ તમારે વિચારવાનું છે . તમારું ઘર તમે ચલાવો છો . તમારી પેઢી તમે ચલાવો છો . તમારાં બાળકોનાં ભણતર તમે જ કરાવો છો . તમારાં ઘરના નાનામોટા વહેવાર તમે જ સંભાળો છો . તમે જે સંઘમાં આરાધના કરો છો એ સંઘમાં દેરાસર હોય , ઉપાશ્રય હોય , આંબેલખાતું હોય , ભોજનશાળા હોય , ધર્મશાળા હોય , પાઠશાળા હોય એનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે . તમે સંઘમાં છો , સંઘ સાથે જોડાયેલા છો એને લીધે તમને સંઘ થકી ઘણુંઘણું મળ્યું છે અને મળવાનું છે . સંઘનો આ ઉપકાર તમારે હંમેશા યાદ રાખવો જોઈએ . હું મારા સંઘ માટે શું શું કરી શકું આ પ્રશ્ન રોજેરોજ પોતાની જાતને પૂછતા રહેજો .

તમે ભગવાનની પૂજા કરી લો , ભગવાનનો એકાદ ચઢાવો લઈ લો અને બીજી વ્યવસ્થાઓમાં તમારી શક્તિને જોડો જ નહીં એ તમને શોભે ખરું ? તમારી સંપત્તિ સંઘ સાથે જોડાય એ તમારો પુણ્યોદય કહેવાય . તમારી સંપત્તિ સંઘ સાથે ન જોડાય એ તમારો પાપોદય કહેવાય . તમે જે સંઘમાં આરાધના કરો છો એ સંઘનાં દેરાસર ઉપાશ્રય આદિનાં સ્થાનોનાં કારણે જ તમે ધર્મપ્રવૃત્તિ કરી શકો છો . સંઘનાં દેરાસર ઉપાશ્રય આદિનાં દરેક કાર્યમાં વધુમાં વધુ ઉપયોગી બનવું એ તમારી ફરજ છે . તમે જ્યાર સુધી જીવો છો ત્યારસુધી આ ફરજનું પાલન કરતા રહેજો .

તમારી સંપત્તિ જેટલી સંસાર માટે વપરાશે એટલું તમારું ભવભ્રમણ વધશે . તમારી સંપત્તિ જેટલી સંઘ માટે વપરાશે એટલું તમારું ભવભ્રમણ ઘટશે .
——————-
૫.
ધાર્મિક સ્થાનમાં આવીનેે
જે ધર્મગ્રંથોના નિયમોનું પાલન
ન કરે તે પાપનો જ બંધ કરે છે .
——————-
તમે તમારા ટાઈમે દેરાસર -ઉપાશ્રયમાં આવો છો , પૂજા અથવા સામાયિક કરો છો અને હાથ હલાવતાં હલાવતાં પાછા ઘરે જતાં રહો છો . તમારી પાસે પૂજા અને સામાયિક માટે થોડોઘણો સમય છે . સંઘની વ્યવસ્થાઓમાં જોડાવાનો સમય તમારી પાસે નથી . તમારે સંઘની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે જોવું જોઈએ . તમારે આટલી વાતો ધ્યાનમાં રાખવાની છે .

૧ . તમારા સંઘમાં પેઢી છે . એ પેઢીના ચોપડામાં શું શું લખાય છે તે કોઈ દિવસ જોયું છે ? સંઘને શેનો શેનો ખર્ચ આવે છે એની જાણકારી તમને હોવી જોઈએ . સંઘમાં આવક કયા કયા રસ્તેથી થાય છે એની જાણકારી પણ તમને હોવી જોઈએ . સંઘની તિજોરીમાં જે રકમ જમા થાય છે તેનો વહીવટ શાસ્ત્રની આજ્ઞા અનુસાર કેવી કેવી રીતે થાય તેનું જ્ઞાન તમને હોવું જોઈએ .

૨ . સંઘના કાર્યક્રમોમાં તમે જે સાધારણ ખાતા સંબંધી રકમ બોલ્યા હો એ તમારે સમયસર ભરી દેવી જોઈએ . ઘણા ભાગ્યશાળીઓ એવા છે જે નકરો તો બોલી દે છે પણ વરસોસુધી રકમ ભરવાનું ટાળ્યા કરે છે . એ લોકો રકમ ભરતા નથી પણ સંઘને તો ખરચો થાય જ છે . તમારાં કારણે સંઘને આવી અગવડ પડવી જોઈએ નહીં . જેમ કે તમે તપસ્વીઓનાં પારણાનો નકરો લીધો હોય અને પૈસા ભર્યા ન હોય એવા વખતે સંઘને તો તપસ્વીઓનાં પારણાનો ખર્ચો થઈ જ ગયો છે . તમે પૈસા ન ભર્યા અથવા સમયસર ન ભર્યા એને લીધે સંઘમાં જે અવ્યવસ્થા ઊભી થઈ હોય એનો મોટો દોષ તમને જ લાગે . ઉત્સવ , વરઘોડા , ઓળી આદિનો લાભ લેનારે કાર્યક્રમ શરૂ થતાં પૂર્વે જ પૈસા ભરી દેવા જોઈએ જેથી કાર્યક્રમના ખર્ચનો બોજો પેઢી પર આવે નહીં . આજે એવું બનતું જોવા મળે છે કે સંઘની પેઢી ખર્ચો કરી લે છે અને જે લાભાર્થી બન્યા હતા તેમના પૈસા પેઢીમાં આવતા નથી . આ પરિસ્થિતિ જૈન માટે શોભાસ્પદ નથી . સાધારણ ખાતું સીદાય છે તેની પાછળ આવા લોકો મહદંશે જવાબદાર છે .

૩ . અમુક લોકો દેવદ્રવ્યમાં જનારી બોલીઓના પૈસા ભરવામાં વિલંબ કરે છે . આવી ભૂૂલ કરનારો દેવદ્રવ્યનો કર્જદાર બને છે . સપનાનો ચડાવો જે લે તેને સપનાનાં દર્શન કરાવવાનો લાભ તુરંત મળી જાય છે . તમને જેનો લાભ મળી ગયો છે એના પૈસા ભરવામાં એકપળનો પણ વિલંબ થવો જોઈએ નહીં . દેવદ્રવ્યમાં જમા થનારી રકમનો ખર્ચ તત્કાલ થતો નથી એમ વિચારીને વિલંબ કરનારો મોટા દોષનું ભાજન બને છે . સંઘ તમને તુરંત લાભ આપે અને તમે સંઘમાં તુરંત પૈસા ન ભરો એ કેટલું ઉચિત છે ? દેવદ્રવ્યના પૈસા ભરવામાં જે લાભ છે અને દેવદ્રવ્યના પૈસા ન ભરવામાં જે દોષ છે એની ગંંભીરતાને ક્યારેય ભૂલી શકાય નહીં .

૪ . સંઘમાં નોકર – ચાકર ઘણા રાખવા પડે છે કેમ કે તમારે કામ કરવા નથી અને શેઠાઈ ઘણી કરવી છે . તમે સંઘના નોકર – ચાકર સાથે પણ એવો વહેવાર કરો છો કે જાણે એ તમારા જ નોકર – ચાકર હોય . દેરાસર -ઉપાશ્રયના નોકર – ચાકરને પૈસા સંઘ આપે અને એમની પાસે તમે તમારાં કામ કરાવો એવું ન ચાલે . તમારાં કામની વ્યવસ્થા તમારે જાતે જ કરી લેવી જોઈએ . સંઘનાં માથે તમારો બોજો આવે એવું ક્યારેય થવા દેવાય નહીં . ઘણા એવું પૂછે છે કે સંઘના નોકરચાકરને અલગથી પૈસા આપીને અમે અમારાં કામ કરાવીએ એમાં શું વાંધો ? મારે એમને પૂછવું છે કે તમારાં ઘરના નોકરચાકરને કોઈ પૈસા આપીને પોતાનાં ઘરે કામ કરવા લઈ જાય એ તમને ચાલે છે ? એ નથી ચાલતું . તમારાં ઘરના નોકરચાકર જેમ તમારાં ઘરના ટાઈમે બીજા ઘરમાં કામ કરવા જાય એ નથી ચાલતું એમ સંંઘનાં કામના સમયમાં સંઘના નોકર – ચાકરને તમે તમારાં કામ કરવાનું કહી શકો નહીં . અવસરે અવસરે સંઘના નોકર – ચાકરને તમારે તમારા ખિસ્સાના પૈસા પણ આપવા જોઈએ કેમ કે તમે એમની પાસે ક્યારેેક કોઈક કામ કરાવ્યુું હોય એવું બને છે . તમે જે ધર્મ કરો છો એ સ્વદ્રવ્યથી કરો અને સંઘની વ્યવસ્થાઓમાં તમારું દ્રવ્ય સારામાં સારી રીતે વાપરો – એ નિયમ છે .

તમે તમારી મરજી મુજબ ધર્મ ન કરી શકો . તમારે ધર્મગ્રંથોના નિયમો મુજબ જ ધર્મ કરવાનો છે . દેરાસર – ઉપાશ્રયમાં આવનારો , ધર્મગ્રંથોના નિયમોનું પાલન ન કરે તો એ ધાર્મિક સ્થાનમાં આવીનેેે પણ પાપનો જ બંધ કરે છે . તમે આવી ભૂૂલ ન કરો એટલે આટલી વાત જણાવી છે .

( સંકલન : દેવર્ધિ  / સંદર્ભ : જૈન પ્રવચન )

Comments (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *