
દુઃખ આપવું ના જોઈએ . સાધક કડક રીતે આ નિયમ પાળે છે . સામાન્ય સંસારી માટે આ નિયમ પાળવાનું અઘરું છે . એ અમુક અંશે આ નિયમનું પાલન કરી શકતો હશે પરંતુ સાધક આ નિયમનું પાલન કરે છે ત્યારે એનાં પાલનની વ્યાપકતા ઘણી મોટી હોય છે . આપણે બીજાને દુઃખ આપીએ ત્યારે શું શું બનતું હોય છે ? ક્યારે પણ વિચાર્યું છે ? વિચારજો .
આપણે બીજાને દુઃખ આપીશું એ વખતે કર્મસત્તા આપણાં વર્તનને જોતી હશે . કર્મસત્તાનો નિયમ છે કે જે બીજાને દુઃખ આપે છે એને ભવિષ્યમાં બીજા લોકોના હાથે દુઃખ મળે છે . જે બીજાને અત્યારે હેરાન કરે છે તેને ભવિષ્યમાં બીજા કોઈ હેરાન કરે છે . જે અત્યારે બીજાને તકલીફમાં મૂકે છે એને ભવિષ્યમાં બીજા કોઈ લોકો તકલીફમાં મૂકે છે . કર્મસત્તાનો નિયમ નિશ્ચિત છે . તમે જે વખતે બીજાને દુઃખ આપો છો એ વખતે એ તમને દુઃખ આપશે એવું ના પણ બને . તમે આપેલું દુઃખ એ ચૂપચાપ સહન કરી લે છે . પ્રતિકાર નથી કરતો , વિરોધ નથી કરતો , ફરિયાદ નથી કરતો . એની લાચારી એવી છે કે તમારો પ્રતિકાર કરવા માટે એ તત્કાળ તૈયાર હોતો નથી . તમે એને દુઃખ આપ્યું એના જવાબમાં એણે તમને દુઃખ ના આપ્યું. આવું બન્યું એટલે તમને એવું લાગ્યું કે દુઃખ આપવાથી દુઃખ મળે છે એવું નથી. તમે એને બીજી વાર દુઃખ આપ્યું . તમે બીજા લોકોને પણ વારંવાર દુઃખ આપ્યું . એવું બનતું રહ્યું . દુઃખ આપવાથી દુઃખ મળે છે એવું સાંભળ્યું છે . પરંતુ દુઃખ આપવાથી તરત દુઃખ મળ્યું નહીં એવું ક્યારેક બન્યું . એમાંથી ભ્રમણા બની કે દુઃખ આપવામાં કોઈ હરકત નથી .
પણ આપણે નાનપણથી જ એક સારો સંસ્કાર લઈને આવ્યા છીએ કે તમે બીજાને દુઃખ આપશો તો ભવિષ્યમાં બીજા તમને દુઃખ આપશે . આ સંસ્કાર એકદમ સાચો છે . તમે જુઓ . અમુક લોકોએ વર્તમાન જીવનમાં બીજા લોકોને કોઈ તકલીફ આપી નથી પણ એ પોતે ઘણી તકલીફ ભોગવી રહ્યા છે . આજના સમયમાં જેણે બીજાને તકલીફ આપી નથી એને ખુદને તકલીફો વેઠવી પડે છે . એવું શું કામ બને છે ? કુદરતના ચક્કરને કારણે એવું બને છે . વર્તમાનમાં જેણે કોઈને તકલીફ આપી નથી એણે ભૂતકાળમાં કોઈને તકલીફ જરૂર આપી હશે . એણે જ્યારે જેને જે તકલીફ આપી તે એના ખાતામાં જમા જ રહી . હવે આ જનમમાં એ જૂની તકલીફનો હિસાબ એને ચૂકવવો પડે છે . સીધી વાત છે . જે કારેલા વાવે છે એને કેરી નથી મળતી . જે બાવળ વાવે છે એને ગુલાબ નથી મળતાં . કોઈનાં ખેતરમાં કારેલા જુઓ તો સમજી લેજો કે એણે કેરી વાવી જ નથી . કોઈના બગીચામાં બાવળ જુઓ તો સમજી લેજો કે એણે ગુલાબ વાવ્યાં જ નથી . કેરી ના વાવે એને કેરી ના મળે . ગુલાબ ના વાવે એને ગુલાબ ના મળે . બાવળ વાવે એને બાવળ જ મળે . કારેલા વાવે એને કારેલા જ મળે . જેણે ભૂતકાળમાં બીજાને તકલીફ ના આપી હોય એને વર્તમાનમાં તકલીફ આવતી નથી .
જે વર્તમાનમાં કોઈને તકલીફ આપતો નથી એને ભવિષ્યમાં કોઈ તકલીફ આવશે નહીં . જે આજે કોઈનાં દિલને ઠેસ પહોંચાડશે એનાં દિલને ભવિષ્યમાં કોઈના દ્વારા ઠેસ પહોંચશે . જે આજે કોઈની સાથે જૂઠું બોલશે એને ભવિષ્યમાં એવું કોઈ મળશે જે જૂઠું બોલીને ખુદ એને જ ફસાવશે . જે આજે કોઈના ત્યાંથી ચોરી કરી કરશે એના ત્યાંથી ભવિષ્યમાં કોઈ ચોરી કરી જશે . કર્મનો ચોપડો બધો જ હિસાબ રાખે છે . આજે તમે કોઈની પર ક્રોધ કરશો તો કાલે તમારા પર કોઈ ક્રોધ કરશે . આજે તમે કોઈની સાથે છળકપટ કરશો તો કાલે કોઈ તમારી સાથે છળકપટ કરશે . તમે આજે કોઈને ડરાવશો તો તમને આવતીકાલે કોઈ જરૂરથી ડરાવશે . તમે આજે કોઈની સાથે કંઈ ખોટું કરશો તો કાલે તમારી સાથે કોઈ કંઈ ખોટું કરી જશે . દુઃખ કોઈને ગમતું નથી . દુઃખ તમને પણ ગમતું નથી . જે બીજાને દુઃખ નથી આપતો એને બીજાના તરફથી દુઃખ મળતું નથી . જે બીજાને દુઃખ આપે છે એને બીજાના તરફથી દુઃખ મળે છે . સાધક કોઈને દુઃખ આપવું નથી એવો નિર્ણય કરે છે ત્યારે અને એ નિર્ણયનો અમલ કરે છે ત્યારે એનું ભવિષ્ય નિશ્ચિત થઈ જાય છે . એને ભવિષ્યમાં કોઈ દુઃખ આપશે નહીં .
જોકે , મને ભવિષ્યમાં દુઃખ આવશે એનાથી હું ડરું અને ડરથી હું ભયભીત રહું એવી કમજોર માનસિકતા સાધકની હોતી નથી . સાધક ભવિષ્યનાં દુઃખથી ડરીને જીવતો હોય છે એવું હોતું જ નથી . સાધકને કોઈ દુઃખ ડરાવી શકતું નથી . સાધક દુઃખનો સામનો મજબૂત રીતે કરી શકે છે . પરંતુ દુઃખનો આ નિયમ સાધકને યાદ છે : દુઃખ આપીએ નહીં તો દુઃખ મળે નહીં . સાધક આ નિયમનું સન્માન કરે છે .
બીજાને દુઃખ આપીએ ત્યારે બીજી પણ એક ઘટના બને છે તમે જેને દુઃખ આપો છો એ પીડાનો અનુભવ કરે છે અથવા દ્વેષનો અનુભવ કરે છે . તમે જેને દુઃખ આપ્યું એ જો પીડા અનુભવે છે તો એ આર્તધ્યાનમાં ફસાયો છે . તમે જેને દુઃખ આપ્યું એ જો દ્વેષ અનુભવે છે તો તે રૌદ્રધ્યાનમાં ફસાયો છે . આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ દુર્ગતિમાં લઈ જનારા દુર્ધ્યાન છે . તમારાં કારણે કોઈ દુર્ધ્યાન કરશે એનો અર્થ એ છે કે તમારાં કારણે કોઈ દુર્ગતિમાં જશે . સાધક તરીકે તમને આ કેવી રીતે ગમશે ? સાધક બીજાને આર્તધ્યાનમાં ફસાવે કે એનાથી મુક્ત કરે ? સાધક બીજાને રૌદ્રધ્યાનમાં ફસાવે કે એનાથી મુક્ત કરે ? સાધક દુઃખ આપવા દ્વારા કોઈને આર્તધ્યાનમાં કે રૌદ્રધ્યાનમાં ફસાવતો નથી . આ અર્થમાં સાધક કોઈને દુઃખ આપવાનો પસંદ કરતો નથી . સાધક પોતે દુર્ગતિમાં જાય નહીં અને સાધક પોતાનાં કારણે કોઈ દુર્ગતિમાં જાય એવું થવા ન દે .
તમે બીજાને દુઃખ આપો છો ત્યારે હજી પણ એક ઘટના બને છે . સહાનુભૂતિ એક અદ્ ભુત સંવેદના છે . અન્ય વ્યક્તિને કોઈના હાથે કોઈ દુઃખ ના થવું જોઈએ એવી લાગણી એટલે સહાનુભૂતિ . કોઈ દુઃખી હોય તે આપણે જોઈ ના શકીએ એ સહાનુભૂતિ . કોઈ દુઃખી થયું તે આપણે સહન ના કરી શકીએ એ સહાનુભૂતિ . કોઈ દુઃખમાં હોય તો એનાં દુઃખ મટે એવી લાગણી મનમાં જાગે છે એ સહાનુભૂતિ . સહાનુભૂતિ કરુણાની ભાવનામાંથી આવે છે . બીજાને દુઃખ આપીએ ત્યારે એ માણસ માટે આપણાં મનમાં સહાનુભૂતિ હોતી નથી . જે ક્ષણે હૃદયમાં સહાનુભૂતિ ન હોય એ ક્ષણે જીવનમાં સાધના ન હોય . જેટલા સમય સુધી હૃદય સહાનુભૂતિથી વંચિત રહે એટલા વખત માટે જીવન સાધનાથી વંચિત રહી જાય . તમે દુઃખ આપ્યું એનો અર્થ એ થયો કે તમે સહાનુભૂતિની સંવેદના ગુમાવી દીધી . સૌ કોઈની માટે હૃદયમાં સહાનુભૂતિ રાખે એ જ સાધક હોઈ શકે , કોઈની પણ માટે સાધક ઓછી સહાનુભૂતિ રાખે એવું બની શકતું નથી . જે સહાનુભૂતિ રાખશે એ દુઃખ નહીં આપી શકે અને જે દુઃખ આપશે એનાં હૃદયમાં સહાનુભૂતિ જીવંત નહીં રહી શકે .
સાધક કોઈને દુઃખ આપતો નથી એ વખતે એને ત્રણ વાત યાદ હોય છે . એક , આજે આપણે કોઈને દુઃખ આપશું તો કાલે આપણને કોઈ દુઃખ આપશે . બે , આપણે જેને દુઃખ આપીએ છીએ એનાં મનમાં દુર્ધ્યાન ઊભું થાય છે અને એ દુર્ધ્યાનનું પાપ આપણને લાગે છે . ત્રણ , આપણે બીજાને દુઃખ આપીએ છીએ ત્યારે આપણાં હૃદયની કરુણા કમજોર પડી જાય છે .
સાધનાનો આ નિયમ બહુ અગત્યનો છે : બીજાને દુઃખ નહીં આપવાનું . આ નિયમનું સ્તર ઘણું જ વ્યાપક છે . તમે જેટલા અંશે આ નિયમ પાળો છો એટલા અંશે તમારી સાધના શક્તિશાળી બને છે .
Leave a Reply