Press ESC to close

પ્રસ્તાવના : અડસઠ પ્રસંંગતીર્થની યાત્રા


પુણ્યશક્તિ અને ગુણશક્તિ . બેયનો પોતપોતાનો પ્રભાવ છે . પુણ્યની પ્રશંસા સૌ કરે છે કેમ કે પુણ્યને જોવાનું , સમજવાનું સરળ છે . ગુણની પ્રશંસા સૌ કરી શકતા નથી કેમ કે ગુુણને જોવાનું , સમજવાનું સરળ નથી . ગુણની તારીફ એ જ કરી શકે છે જે ગુણનો પ્રેમી હોય છે , ગુણનો અભિલાષી હોય છે , ગુણનો અન્વેષક અને અન્વીક્ષક હોય . આચાર્યભગવંતોના ગુણાનુવાદ એમનાં પુણ્ય પર કેન્દ્રિત રહીને થતા હોય એવું બનતું આવ્યું છે . આ પુસ્તિકામાં આચાર્યભગવંતના ગુણાનુવાદ એમના ગુણો પર કેન્દ્રિત છે . કાલિદાસે गुणा गुणानुबंधित्वात् એમ લખ્યું . એક ગુણ આવે છે તે બીજા દશ ગુણોને ખેંચી લાવે છે અને એના લીધે ગુણવાન્ વધુ ને વધુ ગુણવાન્ બનતો રહે છે . આ જ રીતે એક ગુણ જે સારી રીતે જોઈ શકે છે એને બીજા ગુણો પણ સારામાં સારી રીતે દેખાતા રહે છે . ગુણવાન્ કોઈ પણ હોય , ગુણ જોઈને જે હર્ષ થાય છે એ અનેરો જ હોય છે . ગુણવાન્ જો આપણા ગુરુ હોય તો ગુણ જોઈને જે હર્ષ થાય છે એનું સ્તર ઘણું ઊંચું હોય છે .

પરમ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાના ગુણો અને ગુણપ્રસંગો , એમના શિષ્યવૃંદની કલમે અહીં શબ્દાવતાર પામ્યા છે . સૂરિભગવંત ઉત્કૃષ્ટ દરજ્જાના શાસન પ્રભાવક છે , પ્રખર જ્ઞાની છે , મહામેધાવી માર્ગદર્શક છે , આધ્યાત્મિક પ્રવચનકાર છે , લોકપ્રિય કવિ છે , વિશિષ્ટ કક્ષાના વિષ્ટિકાર છે અને આ સિવાય તેેમનામાં બીજું ઘણુંબધું છે . એક અનોખું મહાન્ કાર્ય એમના અજોડ પ્રભાવથી સંપન્ન થયું છે , પૂર્વભારતનાં કલ્યાણ તીર્થોના જીર્ણોદ્ધારનું .

આવા ગુરુદેવના ગુણોને શિષ્ય લખે છે પ્રસંગોનાં રૂપમાં . નાનીનાની ઘટનાઓ છે જેમાં ગુરુદેવનું ગુણગૌરવ છતું થયું છે . દૂરથી પાણી લાવવાનો કંટાળો કરનાર શિષ્યને ગુરુદેવ પોતાના શિક્ષાકાળની વાત જણાવે છે . એક રૂપાળું ટેબલ કોઈ આચાર્યભગવંતને ભેટમાં અપાયેલું એની શિષ્યોને જાણ નહોતી . પખ્ખી પ્રતિક્રમણ માંડલીમાં ન કરવા બાબત ખુલાસો . પત્રિકામાં નામ ન લખનારા સાધ્વીજી પ્રત્યે નારાજ ન થવું . પાંચસો ગાથાનો રાત્રિસ્વાધ્યાય જેમણે નથી કર્યો એમને નિદ્રા લેવાની અનુમતિ ન આપી . પ્રવર્તિની પદ પ્રદાનમાં પોતાની મર્યાદા અખંંડ જાળવી રાખી . સાંજે પાણીનો ઘડો ફૂટી ગયો એ પછી સૂરિભગવંતે પાણી વાપરવામાં આનાકાની કરી અને ઓછું જ પાણી વાપર્યું .

ગુણ જેનામાં છે તેઓ સહજભાવે આ ગુણો દ્વારા નિજાનંદ અનુભવે છે . આ ગુણો જેમને જોવા મળે છે તેઓ પણ પ્રેરિત અને ઉપકૃૃત અને અહોભાવિત બને છે અને એ રીતે સાત્ત્વિક આનંદ પામે છે . આ ગુણો પ્રસંગ રૂપે લેખન પામે છે અને એનું વાંચન જે કરે છે એમને પણ પ્રેરણા મળે છે , ઉત્સાહિત કરનારી ઉર્જા મળે છે . ગુણો દરેક ભૂમિકાએ પોતાનો પ્રભાવ બતાવે જ છે .

અહીં પ્રેરક પ્રસંગો કુલ મળીને ૬૮ છે કેમ કે પુસ્તિકાલેખન સૂરિભગવંતના સંયમપર્યાયના ૬૮ વરસ પૂરા થયા એ નિમિત્તે થયું છે . આમ આ પુસ્તિકા આપણને અડસઠ પ્રસંંગતીર્થની યાત્રા કરાવે છે . શિષ્યવૃંદ ગુરુગુણલેખનના બીજા તબક્કામાં હવે , ૧૦૮ કે ૨૧૬ કે ૩૩૩ કે ૪૦૫ કે ૫૦૪ પ્રસંગોને લખવાનું લક્ષ રાખી શકે છે . પૂજ્યપાદ સૂરિભગવંતમાં ગુણો એટલાબધા છે કે જેમ જેમ ગુુણપ્રસંગો લખાતા જશે તેમ તેમ નવા નવા પ્રસંગો યાદ આવતા જ જશે .

અગણિત ગુણો થકી સ્વયંને સદા સુગંધિત રાખે છે સૂરિભગવંત . એ ગુણોની સુગંધથી જ ચતુર્વિધ સંઘને પ્રેરિત/ઉત્સાહિત રાખે છે સૂરિભગવંત . એ ગુણોને વંદન . એ ગુણોનો સુગંધ સ્પર્શ જેમને જેમને મળ્યો છે એ સૌ ધન્ય છે . એ ગુણોનું હૃદયસ્પર્શી લેખન કરનાર શિષ્યવૃંદનું આનંદપૂર્વક અભિવાદન .

( ચૈત્ર વદ બીજ , 8.4.2023 , નંદપ્રભા સંકુલ , ઋજુવાલિકા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *