
જ્ઞાનપાંચમના દિવસે આપણે બધા જ્ઞાનની પૂજા કરવાના , આરાધના કરવાના , ઉપાસના કરવાના . પુસ્તકની પૂજા , પુસ્તકને વંદન . પુસ્તકના માન સન્માન . એક દિવસ માટે જ્ઞાનને માન આપવું અને બાકીના દરેક દિવસોમાં જ્ઞાનનું અપમાન કરવું , એવું વલણ ઉચિત ગણાતું નથી . આપણો એક વ્યવહાર એવો છે જેમાં કોઈ પણ કારણ વગર જ્ઞાનનું અપમાન થતું હોય છે . એ વ્યવહારને બંધ કરવાની ફરજ આપણી છે . પુસ્તક , નોટબુક , લેટરપેડ આ બધાં દ્વારા જ્ઞાનનું આદાનપ્રદાન સચવાય છે માટે આ બધાં આપણી માટે જ્ઞાન જ છે .
એ દુઃખદ વ્યવહાર છે પુસ્તકને જમીન મૂકવાની આદત . આપણે ઘરમાં જમીન ઉપર ખુલ્લા પગ મૂકીને ચાલતા હોઈએ છીએ . પગની નીચેના તળિયા જમીનને અડતા હોય છે . પગના તળિયે લાગેલી ધૂળ જમીન પર વેરાતી હોય છે . ઘરની જમીન ચાલવા માટે છે . ઘરમાં મહેમાન આવે છે એમને આપણે જમીન પર નથી બેસાડતા , એમની માટે ચટાઈ પાથરીએ છીએ , ખુરશી મૂકીએ છીએ . મહેમાનને જમીન પર બેસાડીએ , જમીન પર કશું પાથર્યું ન હોય એનો અર્થ એ થાય છે કે આપણે મહેમાનનુ અપમાન કર્યું . મહેમાન બહાર જઈને લોકોને કહે છે કે આ લોકોએ તો અમને સાવ જમીન પર બેસાડ્યા . જો મહેમાન જમીન પર બેસી ન શકે તો જ્ઞાનને જમીન પર કેવી રીતે બેસાડાય ? વિચારજો . અમુક શેઠિયાઓ તો ઘરમાં ચપ્પલ પહેરીને ફરતા હોય છે . એમને પોતાનાં ઘરની જમીન પોતાને અડે એ પણ ગમતું હોતું નથી , બોલો . પોતાનાં ઘરની જમીન પોતાને અડે એ ન ચાલે અને જ્ઞાન જમીનને અડે એ ચાલે . કેવી કમાલની વાત છે ?
પુસ્તક હાથમાં આવે છે . આપણે એને જમીન પર મૂકીને ખોલીએ છીએ અને પાનાં પલટીએ છીએ . કંઈ લખવું હોય તો લેટરપેડ કે નોટબુક જમીન પર મૂકીને ખોલીએ છીએ અને લખવા માંડીએ છીએ છીએ . જે ચોપડીનું કામ ન હોય એને બાજુ પર મૂકવી હોય તો આપણે જમીન ઉપર મૂકી દઈએ છીએ . જમીન પર મૂકવાનો આ વ્યવહાર આપણને ઠીક લાગે છે પણ એ ઠીક નથી . આપણે લોકો એકાસણું કે બેસણું કરીએ ત્યારે થાળીને પણ જમીન પર મૂકતાં નથી અને પાટલો હલે નહીં એનું ધ્યાન પણ રાખીએ . કંઈક તો છે જેને કારણે થાળી જમીન પર મૂકવાની નથી અને પાટલા પર જ મૂકવાની છે . જમવાની થાળી જમીન પર ના મૂકીએ અને જ્ઞાનને જમીન પર મૂકીએ એ કેમ ચાલે ? આપણે સૂવું હશે ત્યારે જમીન પર કશું પાથરશું અને એની પર સૂઈશું . આપણે પૈસા ગણવા હશે તો ચાદર કે ચટાઈ પાથરીને એની પર પૈસા મૂકીશું અને ગણશું . જે રીતે આ વ્યવહાર જળવાય છે એ રીતે જ્ઞાન માટેનો વ્યવહાર આપણે જાળવવો જોઈએ .
તમે ક્યારેય પણ કોઈ પણ પુસ્તક વાંચતા હો તો સીધું જમીન પર મૂકીને નહીં વાંચતા , પુસ્તકને સાપડા ઉપર , પાટલા ઉપર , ટેબલ ઉપર કે પ્લાસ્ટિક પાથરીને પ્લાસ્ટિકની ઉપર મૂકજો . પુસ્તકને જમીન પર મૂકવાથી પ્રચંડ આશાતનાનો દોષ લાગે છે . જ્ઞાનને જમીન પર મૂકવાથી જ્ઞાનનું અપમાન થાય છે એ હંમેશા માટે યાદ રાખો . જે રીતે પુસ્તક સાથે સારો વ્યવહાર કરવાનો છે એ જ રીતે નોટબુક , લેટરપેડ , કાગળ કે લખવાની કોઈ પણ સામગ્રી સાથે સારો વ્યવહાર કરવાનો છે . કંઈ લખવું છે તો જમીન પર મૂકીને લખીએ એમાં જ્ઞાનની ભયંકર આશાતના થાય છે . એક તો આપણી પાસે ધર્મનું જ્ઞાન ઓછું છે . એમાં વળી જ્ઞાનની આશાતના કરતાં રહીએ તો ભવિષ્યમાં પણ નવું જ્ઞાન આપણને મળશે નહીં .
પુસ્તક કે નોટબુક એ સરસ્વતીની મૂર્તિ છે એમ સમજીને ચાલો . મૂર્તિને માનસન્માન આપીએ તે પહેલો નિયમ છે . મૂર્તિનું અપમાન ન કરીએ એ બીજો નિયમ છે . આપણે પુસ્તકને વાંચીએ છીએ ત્યારે પુસ્તકનું સન્માન થાય છે પરંતુ આપણે પુસ્તકને જમીન પર મૂકીએ છીએ ત્યારે પુસ્તકનું અપમાન થાય છે . આપણે નોટબુકમાં કે લેટરપેડમાં કંઈ લખીએ છીએ ત્યારે જ્ઞાનનું સન્માન થાય છે પરંતુ એ નોટબુક કે લેટરપેડ જમીન પર પાથરીએ છીએ ત્યારે નોટબુક કે લેટરપેડનું અપમાન થાય છે . પૈસાની નોટ કે પૈસાનો સિક્કો જે રીતે જમીન પર મૂકાય નહીં , મૂકીએ તો લક્ષ્મીજીની અવમાનના થાય . એ રીતે પુસ્તક , નોટબુક , લેટરપેડ , કાગળ જેવું વાંચવાનું કે લખવાનું કોઈ પણ સાહિત્ય જમીન પર મૂકાય નહીં , મૂકીએ તો સરસ્વતીજીની અવમાનના થાય . જ્ઞાનપાંચમના દિવસે સંકલ્પ કરી લો કે મારા હાથમાં આવેલું પુસ્તક ક્યારે પણ જમીન પર મૂકીશ નહીં . મારા હાથમાં જે નોટબુક કે લેટરપેડ હોય તે જમીન પર પાથરીને લખવાનો વ્યવહાર હું કદી કરીશ નહીં . ભલા માણસ ! જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થતું હોય અને જ્ઞાનનો વ્યવહાર સચવાતો હોય એને જમીન પર મૂકાય જ કેવી રીતે ?
Leave a Reply