
ઉપધાન વાચના . ૧
આપણે આખો દિવસ જે પ્રવૃત્તિ કરીએ છીએ એના જ વિચાર ઊંઘવાના સમયે મનમાં ઘોળાયા કરે છે . ઊંઘવાના સમયે જે વિચાર ચાલતા હોય એ મુજબના આંદોલનો નિદ્રાધીન મનમાં બને છે . ઉપધાનના આરાધકો આખો દિવસ સતત ધર્મક્રિયાઓ કરતા રહે છે . સો લોગસ્સનો કાઉસગ્ગ . સો ખમાસમણા . પ્રતિક્રમણ . પડિલેહણ . અને બીજું ઘણું બધું . તપમાં ઉપવાસ હોય અથવા નીવિ હોય . રાતનો સમય આવે ત્યાં સુધીમાં આરાધક થોડો પરિશ્રમ જરૂર અનુભવે છે . અલબત્ત , આ થાક પવિત્ર હોય છે .
હવે નિદ્રાધીન થતાં પહેલાં આરાધક ત્રણ ખાસ કામ કરે છે .એક , આખો દિવસ વિરાધનારહિત વીતે એવી જાગૃતિપૂર્વક એ આરાધના કરી લે છે . બે , રાત દરમિયાન કોઈ જ વિરાધના નથી કરવી એનો પાક્કો સંકલ્પ કરે . ત્રણ , રાત દરમિયાન કોઈ જ વિરાધના નથી કરવી એની સંપૂર્ણ તૈયારી છે . ધર્મક્રિયાઓનો પવિત્ર પરિશ્રમ અને આ ત્રણ કામની છાયામાં એ નિદ્રાધીન થાય છે . આથી એની નિદ્રા પ્રમાદરૂપ હોવા છતાં યોગનિદ્રા ગણાય છે .
તમે મોબાઈલ કે ટીવીને જોતાં જોતાં સૂઈ જશો એ ભોગનિદ્રા બનશે . આરાધક સંથારાપોરિસી ભણાવીને ચરવળામુહપત્તી સાથે નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .તમે પરિવારજનોની સાથે મમતાભર્યો વાર્તાલાપ કરતાં કરતાં સૂઈ જશો તે ભોગ નિદ્રા છે . આરાધક એકત્વ ભાવનામાં નિમગ્ન થઈને નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .તમે એસી , કૂલર , પંખા આદિના વપરાશ પૂર્વક , ફ્રીજ , રસોડું આદિ સાધન સામગ્રીના ઉપયોગ કરવાની માનસિકતા સાથે સૂઈ જશો તે ભોગનિદ્રા હશે . આરાધક પૌષધના દરેક નિયમના અણીશુદ્ધ પાલનપૂર્વક નિદ્રાધીન થશે તે યોગનિદ્રા બનશે .
જે ઉપધાનનો આરાધક છે તે યોગનિદ્રાનો આનંદ પામે છે . જે ઉપધાનનો આરાધક બન્યો નથી તે ભોગનિદ્રામાં ફસાયેલો છે .
Leave a Reply