
તીર્થંકરની દેશના ચાલુ છે . મોક્ષ મળે નહીં ત્યાં સુધી આત્મસંતોષ માનવાનો નહીં એવી પ્રેરણા પ્રભુનાં મુખે મળી રહી છે . મોક્ષમાં કેવો આનંદ છે એની વાત સ્વયં ભગવાન્ સમજાવી રહ્યા છે . મોક્ષ મળવો દુર્લભ છે એનું કથન પણ ભગવાન્ દ્વારા થઈ રહ્યું છે . સભામાં બેસેલા પાંચમા દેવલોકના ઈન્દ્રને , બ્રહ્મઈન્દ્રને પ્રશ્ન થાય છે કે શું મને મોક્ષ મળશે ? મળશે તો ક્યારે મળશે ? કેવી રીતે મળશે ? ઈન્દ્ર તીર્થંકર ભગવાનને આ પ્રશ્ન પૂછે છે . આ પ્રશ્નમાંથી આપણા સૌનાં ભાગ્યનો ઉદય થયો .
ભગવાને આ પ્રશ્નનો જવાબ આપ્યો . કહ્યું કે વર્તમાન ચોવીસીના હજી ૨૧ તીર્થંકર થવાના છે . એમના પછી આવતી ચોવીસીના ૨૧ તીર્થંકર થવાના છે . આ ૪૨ તીર્થંકર થઈ જશે એ પછી આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર થશે . એમનું નામ હશે શ્રી નેમિનાથજી . એમના સમયમાં , એમના દ્વારા તમને મોક્ષ મળશે . તીર્થંકર ભગવાને ભવિષ્યવાણી કરી . મોક્ષ મળશે એમ પણ કહ્યું , મોક્ષ ક્યારે મળશે એ પણ કહ્યું અને મોક્ષ કોના દ્વારા મળશે એ પણ કહ્યું . પાંચમા દેવલોકના ઈન્દ્રના આનંદનો પાર ન રહ્યો . મને મોક્ષ મળશે એ સાંભળીને આનંદ અનુભવ્યો અને મને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનને કારણે મોક્ષ મળશે એ જાણીને એ ભાવિ તીર્થંકર ભગવાન્ માટે અનેરો અહોભાવ જાગ્યો . એમને થયું કે જે ભગવાન્ મને મોક્ષ અપાવવાના છે એ ભગવાનની ભક્તિ માટે હું શું કરી શકું ? એમણે વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બનાવી . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકરનું નામ હતું સાગર ભગવાન્ . એ તીર્થંકર ભગવાનની વાણીને લીધે વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બની .
મૂર્તિ દેવલોકમાં બની . મૂર્તિ દેવ દ્વારા બની . મૂર્તિ દેવ દ્વારા પૂજાવા લાગી . ત્રણેય વાતો મોટી ગણાય . દેવલોકમાં કેવળ શાશ્વત મૂર્તિઓ જ હોય છે આ મૂર્તિ અંજનરત્ન દ્વારા નિર્મિત હતી . એનું ઓજ અકલ્પનીય હતું . જે ઈન્દ્રએ મૂર્તિ બનાવી હતી એનું આયુષ્ય પૂરું થઈ ગયું પરંતુ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી . લાંબો સમય વીત્યો . મૂર્તિ પૂજાતી જ રહી , પૂજાતી જ રહી . સામાન્ય રીતે દેવતાઓની સામે કોઈ વાત છૂપી રહેતી નથી . એમને અવધિજ્ઞાન દ્વારા ઘણીખરી વાતોની જાણ થઈ જતી હોય છે . આશ્ચર્યની વાત એ રહી કે દેવતાઓ જેવા દેવતાઓને પણ એવું લાગવા માંડ્યું કે આ મૂર્તિ શાશ્વત છે . શું એ મૂર્તિમાં તેજ ભર્યું હશે ? શું એ મૂર્તિમાં ઉર્જા બની હશે ? દેવલોકમાં નિર્માણ પામેલી એ મૂર્તિ અશાશ્વત હોવા છતાં શાશ્વત તરીકે પૂજાતી રહી .
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે ભવિષ્યવાણી થઈ હતી . એ ચોવીસીના શેષ ૨૧ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . તે પછી વર્તમાન ચોવીશી શરૂ થઈ . એના પણ એકવીશ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . ત્યાર બાદ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર થયા . શ્રી નેમિનાથ ભગવાન્ . પ્રભુના એક ગણધર હતા શ્રી વરદત્તજી . એ ગણધર ભગવંતને જોઈને પંચમ દેવલોકના ઇન્દ્રએ શ્રીનેમિનાથ દાદાને પૂછ્યું કે આમણે એવું તે કયું પુણ્ય કર્યું કે તેઓ આપના ગણધર પદે બિરાજમાન થયા ?
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું કે પંચમ દેવલોકમાં જે મારી મૂર્તિ બિરાજમાન છે એને પંચમ દેવલોકના જ એક ઈન્દ્રએ રચી હતી અને પંચમ દેવલોકમાં બિરાજમાન કરી હતી . એ ઇન્દ્રએ એ મૂર્તિની એટલાબધા આદરભાવ અને અહોભાવથી આરાધના કરી હતી કે એ પ્રભુભક્તિના પ્રભાવે એમનામાં ગણધર બનવાનું સામર્થ્ય પ્રગટી ગયું . એમણે દેવલોકમાં મૂર્તિ બનાવી અને જેમણે દેવલોકમાં એ મૂર્તિની ઉત્કૃષ્ટ ભક્તિ કરી એ ઈન્દ્ર જ પ્રભુભક્તિના પ્રભાવે અત્યારે વરદત્ત ગણધર બન્યા છે .
દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિની વાત નેમિનાથ ભગવાનના જ શ્રીમુખે સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ ગયા ઇન્દ્ર . એમણે ભગવાનને કહ્યું કે પ્રભુ અમે દેવલોકના દેવો તો આપની એ મૂર્તિને શાશ્વત મૂર્તિ માનીને જ પૂજતા આવ્યા છીએ . આજે પહેલી વાર ખબર પડી કે દેવલોકમાં બિરાજમાન આપની મૂર્તિ , એ ઈન્દ્રનિર્મિત પ્રતિમા છે અને શાશ્વત પ્રતિમા નથી .
———————–
આ કથા હજી ઘણી લાંબી ચાલશે પરંતુ અહીં અટકીને થોડુંક વિચારીએ .
૧ . પાંચમા દેવલોકના ઈન્દ્રનો જીવ ભવિષ્યમાં નેમિનાથ દાદા દ્વારા મોક્ષ પામશે , એવી ભવિષ્યવાણી ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાન્ કરે છે .
૨ . એ ભવિષ્યવાણીથી પ્રેરિત થઈને પાંચમા દેવલોકના ઇન્દ્ર દેવલોકમાં જ નેમિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવે છે .
૩ . માનવલોકમાં બે ચોવીસીના કુલ મળીને ૪૨ તીર્થંકર ભગવંતો થઈ ગયા ત્યાં સુધી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા દેવલોકમાં પૂજાતી રહી . કેટલો લાંબો સમય ?
૪ . દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાના પ્રભાવે ઇન્દ્રનો જીવ , ગણધર ભગવાન્ બનવા સુધીની ઊંચાઈ હાંસિલ કરી શક્યો .
૫ . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન છે એ વાત સ્વયં શ્રીનેમિનાથ ભગવાને પર્ષદાને જણાવી હતી .
૬ . પંચમ દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ દાદાની મૂર્તિ એટલી બધી પ્રભાવશાળી હતી કે જો શ્રી નેમિનાથ ભગવાને સ્વમુખે મૂર્તિ નિર્માણની કથા જાહેર ન કરી હોત તો દેવલોકના દેવો એ ભગવાનની મૂર્તિને શાશ્વત મૂર્તિ જ માનતા રહ્યા હોત . દેવલોકમાં બિરાજમાન મૂર્તિનું કેવું અપ્રતિમ ઉર્જાબળ ?
૭ . શ્રી નેમિનાથ ભગવાન્ , ચ્યવન કલ્યાણક કે જન્મ કલ્યાણક રૂપે અવતરણ પામે તેના અગણિત વર્ષો પહેલાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બની જાય છે એ કેવી આશ્ચર્યજનક બીના છે ? સામાન્ય નિયમ એવો છે કે ભગવાન્ તીર્થંકર બની જાય તે પછી એમની મૂર્તિ બને . આ પ્રભુના વિષયમાં તો એવું બન્યું કે ભગવાનનો જન્મ થયો એ પહેલાં ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન થઈ ગઈ અને પૂજાવા પણ લાગી . શું પ્રતિમાનું પુણ્ય ?
આ સાત વાતો યાદ રાખજો .
શું મને મોક્ષ મળશે અને મને મોક્ષ કેવી રીતે મળશે ? આ બે પ્રશ્નમાંથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ થયું છે . તમને પ્રભુના પ્રભાવે મોક્ષ મળશે , એવી પ્રભુવાણીમાંથી શ્રી નેમિનાથદાદાની પ્રતિમાનાં સર્જન થયાં છે . ભગવાનનો પ્રભાવ જાણીએ અને એ જાણવા દ્વારા ભગવાન્ માટેનો અહોભાવ વધારીએ એને ભક્તિ જ કહેવાય છે . કથા , જોકે હજી ઘણીબધી બાકી છે . આજે અહીં અટકીએ .
( content copyright is reserved )
Leave a Reply