Press ESC to close

ઔચિત્યપાલન અને અનુકંપાદાન દ્વારા ધર્મના પ્રેમીઓની સંખ્યા વધારતા રહેજો

આપણે જે દેરાસરમાં પૂજા કરીએ છીએ એની આજુબાજુમાં રહેનારા જે લોકો જૈન હોય તે જૈન સંઘમાં ગણના પામે છે , બાકીના જે લોકો છે તે જૈન નથી . આપણું કોઈપણ મોટું અનુષ્ઠાન જૈન સંઘના સભ્યોને કેન્દ્રમાં રાખીને થતું હોય છે . જે લોકો જૈન નથી એ જૈન ધર્મ માટે અહોભાવ પામે , આત્મીયતા બનાવે એવું કોઈ ટાર્ગેટ આપણે રાખતા હોતા નથી . જૈન સંઘ માટે આપણે જે કરીએ તે ભક્તિ છે . જે જૈન સંઘમાં નથી એની માટે આપણે જે કરીએ તેને ઔચિત્યદાન , પ્રીતિદાન કે અનુકંપાદાનની શ્રેણિમાં મૂકી શકાય . ભક્તિનું પાત્ર એ ઊંચું પાત્ર છે . એમની ભક્તિ સ્વરૂપે જે કરીએ તે મોટા પાયે કરીએ એવો આપણો અભિગમ હોય છે અને એ અભિગમ સાચો પણ છે . જે ભક્તિનું પાત્ર નથી કે ઊંચું પાત્ર નથી એની માટે સાવ થોડું કરી લેવાનું એવો આપણો અભિગમ બને એ સ્વાભાવિક છે . પરંતુ આ પાત્ર ઊંચું છે અને આ પાત્ર નીચું છે એ રીતે જોવાને બદલે બીજી રીતે પણ પરિસ્થિતિને જોઈ શકાય છે . એમ વિચારો કે જે ધર્મના પ્રેમી બન્યા નથી એ ધર્મના પ્રેમી બને એ માટે પણ હું ઘણો પુરુષાર્થ કરી શકું છું . જે ધર્મનો પ્રેમી નથી એ આજે આપણા લીધે ધર્મનો પ્રેમી બની શકે છે . આવતીકાલે એ ધર્માત્મા બની શકે છે . આગળ જતાં એ મોક્ષના માર્ગે દોડતો થઈ જશે . આપણે તો બસ , શરૂઆત કરાવવાની છે .

જે જૈન નથી એને આપણે અજૈન કે જૈનેતર કહીએ છીએ . આ બંને સંબોધન દ્વારા એમની માટે તુચ્છતાના ભાવ ન બને એનો વિવેક આપણે જાળવવાનો છે . જાણીતા કટાર લેખક સૌરભ શાહ લખતા હોય છે કે ‘ જૈનો , જે જૈન નથી એમને અજૈન કહે છે કે જૈનેતર કહે છે . જૈનોએ વિચારવું જોઈએ કે જે જૈન નથી એમને આ બે સંબોધન ગમે છે કે નહીં ? વૈષ્ણવો જૈનને અવૈષ્ણવ કે વૈષ્ણવેતર કહીને બોલાવતા નથી . અજૈન અને જૈનેતર આ બે શબ્દને બદલે બીજો કયો પોઝિટિવ શબ્દ વાપરી શકીએ , એ આપણે શોધવાનું છે . સભામાં ફક્ત જૈનો જ બેઠા હોય ત્યારે આ બે શબ્દો ઠીક છે . વાચક તરીકેનું ટાર્ગેટ ઓડિયન્સ ફક્ત જૈનો જ હોય ત્યારે આ બે સંબોધન ઓકે છે . બાકી જાહેર સભાઓમાં કે જાહેર મુખપત્રોમાં આ શબ્દો વાપરવાનું ટાળવું જોઈએ .

આપણા વિસ્તારમાં એવા સજ્જનો પણ રહે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે આદર જાગવાનો બાકી છે  . આપણા વિસ્તારમાં એવા ગરીબો પણ વસે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે અહોભાવ જાગવાનો બાકી છે  . એ ધનસંપન્ન પણ હોય , એ ડોક્ટર વકીલ કે સીએ પણ હોય . એ પાડોશી પણ હોય અને દુકાનદાર પણ હોય . એ વોચમેન પણ હોય , રસોઈયો પણ હોય , સર્વન્ટ પણ હોય , લેબર પણ હોય .

આપણાં ઘરે લગ્ન હોય ત્યારે ઘરના બધા જ પરિવારજનો માટે નવા કપડાં સીવાય છે . સાથેસાથે ઘરના નોકર અને નોકરાણી માટે પણ નવાં કપડાં આવે છે . આખું કુટુંબ નવાં કપડાં પહેરે અને નોકરનોકરાણી જૂનાં કપડામાં ફરતા હોય કેવું લાગે ? આપણને આ વ્યવહાર સમજાય છે . ધર્મ સંબંધી જાહેર પ્રસંગનું પણ કંઈક આવું જ સમજવાનું છે . આ અવસરમાં ધર્માત્માઓ આવે એ સહજ છે , આ અવસરમાં ધર્મમાં પ્રવેશ ન પામેલા જીવો પણ જોડાય એવું કંઈક કરવાનું છે . 

આપણા દેરાસરઉપાશ્રયની બાજુમાં રહેનારા સુખી સંપન્ન લોકો , આપણા ધર્મના અનુરાગી બનેલા રહે એવો વ્યવહાર આપણા તરફથી થવો જોઈએ . એમને શું આપવું , એમને કેવી રીતે જોડવા , એમનાં અંતરમાં અહોભાવ કેવી રીતે જગાડવો એ આપણા હાથમાં છે . આપણા પડોશી વર્ષોથી આપણી આજુબાજુમાં રહેતા હોય અને એ આપણા ધર્મના અનુરાગી ના બન્યા હોય એ આપણી નિષ્ફળતા છે . આપણો પાડોશી જૈન બને કે ન બને , જૈન ધર્મનો પ્રેમી તો બનવો જ જોઈએ . 

આપણા વિસ્તારમાં રહેનારા મધ્યમવર્ગી પરિવારોની સંખ્યા મોટી હશે . એ રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં આવે એવું બનવાનું નથી . એમને રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં કંઈક થઈ રહ્યું છે એ દેખાતું હશે , સમજાતું હશે . એમને આપણા ધર્મ માટે અણગમો થાય એવું કરવાનું હોય નહીં . એ આપણા ધર્મ માટે આત્મીયતા અનુભવે એવું કંઈક જરૂર કરી શકાય . મોટો પ્રસંગ આવે ત્યારે દેરાસરઉપાશ્રયની આજુબાજુમાં રહેનારા મધ્યમ વર્ગી પરિવારો માટે એવું કશુંક કરાય કે એ લોકો દેરાસર ઉપાશ્રય માટે આદરભાવ , અહોભાવ બનાવેલો જ રાખે . 

આપણા વિસ્તારમાં નિયમિત રીતે જોવા મળતા ગરીબોનાં મનમાં આપણાં દેરાસર ઉપાશ્રય માટે અહોભાવ હોય એવું બની જ શકે છે . આ નાના માણસો છે , એમનાં મન નાના હોય એવું પણ બને . આપણો વ્યવહાર એવો હોય કે એમનાં મનમાં પણ દેવ અને ગુરુ માટે પૂજ્યતાના ભાવ હોય જ . 

હવે વાત રહી છે નોકરોની . નોકરો દેરાસરઉપાશ્રયમાં પણ કામ કરતા હોય છે , નોકરો આપણાં ઘરમાં પણ કામ કરતા હોય છે . આપણે ત્યાં કામ કરનારા નોકરો આપણા ધર્મના પ્રેમી હોય એવું ક્યારે બને ? આપણે એમનાં મનમાં ધર્મનો અહોભાવ જગાડવાની મહેનત કરી હોય ત્યારે . આપણાં સંસ્થાનોમાં કે આપણાં ઘરમાં કે આપણી ઓફિસોમાં , દુકાનોમાં કામ કરવા વાળા નોકર એ જાણતા હોય છે કે આપણા શેઠ જૈન છે . એ નોકરો સ્વયં જૈન હોતા નથી . એમને શેઠમાં જૈન ધર્મ દેખાય છે . એમની સાથે શેઠ જે વ્યવહાર કરે છે એને કારણે એમને જૈન ધર્મ સારો લાગે છે . કોઈ મોટો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે આ નોકરોને ધાર્મિક પ્રસંગના ઉપલક્ષ્યમાં કંઈક સ્પેશિયલ મળવું જોઈએ . જે મળે તે એ રીતે મળે કે એમને આપણા ભગવાન્ સારા લાગે , આપણા ગુરુ સારા લાગે , આપણો ધર્મ સારો લાગે . એમનાં મનમાં દેવગુરુધર્મ માટે અહોભાવ જાગે અને એમનો એ અહોભાવ બનેલો જ રહે એ માટે આપણે સતત એમને ધાર્મિક પ્રસંગે કશુંક વિશિષ્ટ રીતે આપતા રહીએ . આ છે અનુકંપાદાન . 

આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ઔચિત્ય પાલન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણી આસપાસમાં રહેનારા શ્રીમંત અને મધ્યમવર્ગી સજ્જનો , આપણા ધર્મ માટે આદરભાવ અનુભવે . યાદ રાખજો , શ્રીમંત અને મધ્યમ વર્ગીને દયાદાનની આવશ્યકતા નથી . એમનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ જાગે એવું કશુંક કરવાનું છે . જે કરીએ તે એ રીતે કરીએ કે આપણું ગૌરવ જળવાય અને એમનું સન્માન જળવાય . ઔચિત્યપાલન એ રીતે જ કરવાનું કે શ્રીમંત કે મધ્યમવર્ગી માણસને એવું ન લાગે કે કશુંક વધારે પડતું થઈ રહ્યું છે . 

આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે અનુકંપા દાન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણા વિસ્તારમાં રહેનારા ગરીબો અને આપણે ત્યાં કામ કરનારા નોકરો , આપણા ધર્મ માટે વિશેષ આદરભાવ અનુભવે . અનુકંપાદાન એ રીતે થવું જોઈએ કે સાધારણ અવસ્થાનો આદમી ખરેખર સંતૃપ્તિ અનુભવે . 

સો વાતની એક વાત : આપણા વિસ્તારમાં વસી રહેલા સજ્જનોનાં અને ગરીબોનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ બને અને એમનો એ અહોભાવ વધતો જ રહે , એનું ધ્યાન આપણે રાખવાનું છે . એમનો પોતાનો ધર્મ હશે જ . એમને પોતાના ધર્મ માટે અભિરુચિ હશે જ . આપણા સુંદર વ્યવહારને કારણે એમને આપણા ધર્મ માટે ઊંડી અભિરુચિ થવી જોઈએ . જે જૈન નથી એ જૈન ધર્મનો પ્રેમી બને એવું કરવાનું છે . એ માટે ઔચિત્યપાલન પણ કરી શકાય અને અનુકંપાદાન પણ કરી શકાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *