
આપણે કોઈની માટે મનમાં અપ્રીતિ ન રાખવી આ નિયમ ભગવાને અખંડ રીતે જાળવ્યો હતો . અપ્રીતિ મનમાં બનતી હોય છે . અપ્રીતિ , વર્તન અને વચન દ્વારા વ્યક્ત થતી હોય છે . જેનાં મનમાં અપ્રીતિ હોય નહીં , એનાં વર્તન કે વચનમાં અપ્રીતિ અભિવ્યક્ત થતી નથી . આપણને જે માણસ માટે અપ્રીતિ થઈ હશે એની સાથે આપણે સારો વર્તાવ કરી શકવાના નથી . અપ્રીતિ જુદી જુદી રીતે વ્યક્ત થાય છે .
અપ્રીતિ વ્યક્ત થાય છે ઝઘડો કરવા દ્વારા . આપણને જે માણસ માટે અપ્રીતિ છે એને આપણે નિ: સંકોચ કડવા શબ્દ સંભળાવી દઈએ છીએ . એની ઉપર આપણે ગુસ્સો ઠાલવીએ છીએ . એને ધમકાવીએ છીએ . એને તોડી પાડીએ છીએ . એની ઉપર આક્ષેપ કરીએ છીએ . એ બોલી ના શકે અને એને ચૂપ જ રહેવું પડે એવું દબાણ એના ઉપર ઊભું કરીએ છીએ . આપણે બૂમબરાડા પાડીએ છીએ . આપણે ધમકી આપીએ છીએ . આપણે મારામારી શરૂ કરી દઈએ છીએ . અપ્રીતિ અભિવ્યક્ત થાય છે ઝઘડો કરવા દ્વારા . જે વારંવાર ઝઘડો કરતો હોય એ સારો માણસ ગણાતો નથી . જે માણસ ઝઘડો કરી રહ્યો હોય તે ઝઘડો કરવાની ક્ષણમાં સારો માણસ હોતો નથી . આપણાં મનમાં જાગેલી અપ્રીતિ આપણી અંદર વસેલા સારા માણસને બરબાદ કરી નાંખે છે .
અપ્રીતિ વ્યક્ત થાય છે નિંદા કરવા દ્વારા . જેની જેની માટે મનમાં અપ્રીતિ હશે એની એની માટે આપણે ખરાબ બોલીશું . ખોટા સમાચાર ફેલાવીશું . અફવાઓ બનાવીશું . કંઈ સારું બન્યું હશે એની વાતો નહીં કરીએ . કંઈ ખરાબ બન્યું નહીં હોય તેમ છતાં ખરાબ વાતો બધાયને જણાવીશું . તમે તમારી જિંદગીમાં દસ માણસ કે પચાસ માણસ કે એકસો માણસ માટે ખરાબ બોલ્યા હો એનો અર્થ એ થાય કે તમે દસ માણસ કે પચાસ માણસ કે એકસો માણસની માટે અપ્રીતિ બનાવીને બેઠા છો . કોઈપણ માણસ બીજાની માટે , કારણ વગર ખરાબ બોલે નહીં . ખરાબ બોલવાવાળાનાં મનમાં સારી ભાવના હોય એવી શક્યતા બનતી જ નથી .
અપ્રીતિ વ્યક્ત થાય છે સ્પર્ધાભાવના દ્વારા . કોઈ તમારાથી આગળ છે એ તમે સહન કરી શકતા નથી . તમે એનાથી આગળ નીકળી જવા માંગો છો . તમે તમારાં કામ સરસ રીતે કરો એનાથી જિંદગી ચાલે છે . તમે બીજાની સાથે મુકાબલો બનાવી લો એનાથી જિંદગી ચાલતી નથી , બલકે બગડે છે . જે તમારાથી આગળ છે એ પોતાની મહેનતને કારણે આગળ છે . તમે પાછળ રહી ગયા છો એ તમારી આળસને કારણે કે કોઈ ભૂલને કારણે . તમે બીજાથી આગળ જવા માંગો છો અથવા જે તમારાથી આગળ છે એને પછાડવા માંગો છો . આ જ સ્પર્ધા છે . તમને તમારા પુરુષાર્થ ઉપર વિશ્વાસ હોવો જોઈએ , તમને તમારાં પુણ્ય ઉપર ભરોસો હોવો જોઈએ . તમે સ્પર્ધામાં પડ્યા છો એનો અર્થ એ છે કે તમારો પોતાની ઉપરનો ભરોસો કમજોર પડી ગયો છે . બીજા કોઈને પછાડ્યા બાદ તમને લાગશે કે તમે સારા માણસ છો . તમારું સમીકરણ એવું છે કે કોઈ હારશે એને કારણે તમને જીતવાના છો , કોઈ નુકસાનમાં ડૂબશે ત્યારે તમારો ફાયદો થશે . જે હારે છે તે દુઃખી થાય છે . તમારે બીજાને હરાવવા છે એનો અર્થ એ છે કે તમે બીજાને દુઃખી કરવા માંગો છો . સ્પર્ધાનો અર્થ જ એ છે તમે કોઈકનું સુખ છીનવી લેવા માંગો છો . સ્પર્ધા રાખનારો પોતાના પ્રતિસ્પર્ધી માટે અપ્રીતિ રાખતો હોય છે .
મતભેદ કે વિચારભેદ પછીનો અણગમો પણ અપ્રીતિ જ છે . તમે કહેલી વાત સામો માણસ માનતો નથી એનાથી તમે નારાજ થયા છો . સામો માણસ જે કહેવા માંગે છે એ તમને પસંદ નથી , આથી તમને સામો માણસ ગમતો નથી . તમે કોઈ પક્ષ સ્વીકાર્યો છે , સામો માણસ તમારા પક્ષને સ્વીકારતો નથી . તમને એનો અસ્વીકાર ગમતો નથી . તમારાં મનમાં અપ્રીતિ જાગે છે . તમે જે પક્ષમાં છો એનાથી તદ્દન વિપરીત પક્ષમાં સામા માણસને રસ છે . તમને એનો એ વિપરીત પક્ષ ગમતો નથી . તમને એ માણસ ગમતો નથી . એ જ અપ્રીતિ છે .
આપણી ભીતરમાં અપ્રીતિનાં હજારો રૂપ છુપાયેલાં છે . જેની જેની માટે , જેવી જેવી અપ્રીતિ બની હોય તેને ઓળખી લેવાની અને એ અપ્રીતિને ભૂંસવાની કોશિશ કરવાની . અપ્રીતિની લાગણી આપણને અંદરથી દુઃખી રાખે છે . અપ્રીતિની લાગણી અન્યને દુઃખી બનાવવાના તુક્કા સુઝાડે છે . અપ્રીતિ એવું નુકસાન કરે છે જે કોઈને પોસાય નહીં . અપ્રીતિમાંથી અશાંતિ આવે છે . અશાંતિમાંથી અવ્યવસ્થા આવે છે .
Leave a Reply