
શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવાનો લાભ બ્રહ્મેન્દ્રને મળ્યો છે . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મનુષ્ય લોકમાં થઈ એનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો છે . એ પછીનો ત્રીજો મહાન્ લાભ મળ્યો છે રત્ન શ્રાવકને . એ છ-રી પાલક સંઘ લઈને ગિરનાર આવ્યા હતા . ગિરનારની ટોચ પર જિનાલય હતું . એેમાં માનવનિર્મિત મૂર્તિ હતી , નેમિનાથ દાદાની . આ મૂર્તિની રચનામાં રેતીનો ઉપયોગ સવિશેષ થયેલો હતો . સંઘ ગિરનાર પહોંચ્યો તે પહેલાં રત્ન શ્રાવકને ગુરુ ભગવંત દ્વારા જાણ થઈ હતી કે જે દિવસે સંઘ પહોંચશે તે દિવસે તીર્થને મોટું નુકસાન થશે . એનું નિમિત્ત તમે બનશો . પરંતુ તે પછી તીર્થની પ્રચંડ ઉન્નતિનું નિમિત્ત પણ તમે જ થશો . રત્ન શ્રાવકને સમજાયું કે મને આશાતનાનો મોટો દોષ લાગશે . એ ભયભીત થયા . પરંતુ તે પછી જ તીર્થની મોટી ઉન્નતિ થશે એમ જાણીને આશ્ચર્ય પામ્યા .
સંઘ ગિરનારની ટોચે આવ્યો . સૌ આરાધકોએ જળપૂજા ઘણી કરી . મૂર્તિની રેતી એટલી બધી પીગળી ગઈ કે આખી મૂર્તિ બેસી ગઈ . મૂર્તિની જગ્યાએે માત્ર ભીની રેતીનો ઢગલો રહ્યો . રત્ન શ્રાવકને પ્રચંડ દુઃખ થયું . દુઃખના આવેશમાં એણે ઉપવાસ શરૂ કરી દીધા . એક મહિનાના ઉપવાસ થયા ત્યારે અંબિકાજી પ્રગટ થયા . બોલ્યા : જે રેતીનો ઢગલો છે એમાંથી નવી મૂર્તિ રચી લો .
રત્ન શ્રાવકે કહ્યું કે ના , રેતીની મૂર્તિ નહીં . ફરીથી જળપૂજાનો ભાર આવશે તો રેતીની મૂર્તિને ફરીથી નુકસાન થશે . આપ એવી મૂર્તિ આપો જે ખંડિત જ ન થાય .
અંબિકાજી અંતર્ધાન થઈ ગયા . રત્ન શ્રાવકે ઉપવાસ છોડ્યા નહીં . દેવીએ અદૃશ્ય રહીને ઘણા ઉપસર્ગ કર્યા . પરંતુ રત્ન શ્રાવક ચલિત ન થયા . આ જોઈને દેવી પ્રસન્ન થયા . પ્રગટ થઈને કહ્યું કે તારાં સત્ત્વને જોઈને મને ઘણો આનંદ થયો છે . હું તને પ્રાચીન પ્રતિમા આપું છું .
હિમાદ્રિ પર્વતની કંચનગિરિ ગુફામાં રત્ન શ્રાવકને દેવી લઈ ગયા . ત્યાં બિરાજીત અનેક અનેક દિવ્ય મૂર્તિઓ બતાવી . અને છેલ્લે બ્રહ્મલોકમાં નિર્મિત શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લઈ જવા કહ્યું . દેવીએ જણાવ્યું કે આ મૂર્તિને લોઢું પથ્થર અગ્નિ જળ વીજળી તોફાન કોઈ નુકસાન કરી નહીં શકે . અરે , ઈન્દ્રનું વજ્ર પણ આ મૂર્તિને નુકસાન ના કરી શકે . આ મૂર્તિને કંતાનના તાંતણાથી બાંધી લો . તમે ચાલવા માંડશો એટલે મૂર્તિ તમારી પાછળ સરકતી સરકતી આવશે . તમારે પાછળ વળીને જોવાનું નથી . તમે જ્યાં પાછળ જોશો ત્યાં આ મૂર્તિ અટકી જશે . રત્ન શ્રાવક મૂર્તિને એ જ રીતે ગિરનારના મુખ્ય દેરાસ૨ પાસે લઈ આવ્યા . દરવાજે એ મૂર્તિ રાખીને એ દેરાસરના ગભારામાં આવ્યા .
ગભારામાં પહેલાની મૂર્તિની રેતીનો ઢગલો વેદિકા પર હતો તેને હટાવ્યો . બધી સ્વચ્છતા બનાવી . પછી મૂર્તિને લેવા દરવાજે આવ્યા . હવે મૂર્તિ હલે જ નહીં , હલે જ નહીં . રત્ન શ્રાવક વિસામણમાં પડ્યા અને ઉપવાસ પર ઉતર્યા . અંબિકાજી પ્રગટ થયા . બોલ્યાં : આ મૂર્તિ હલશે નહીં . તમે પશ્ચિમ સન્મુખ જિનાલય બનાવી એમાં બિરાજમાન કરો .
રત્ન શ્રાવકે એવું જ દેરાસર બનાવ્યું . ઠાઠમાઠથી પ્રભુની પ્રતિષ્ઠા થઈ . પ્રતિષ્ઠા પછી રત્ન શ્રાવક આનંદવિભોર થઈને પ્રભુ સમક્ષ પંચાંગ પ્રતિપાતથી ઝૂક્યા . એ વખતે અંબિકાજીએ રત્ન શ્રાવકના ગળામાં પારિજાતનાં ફૂલોની માળા પહેરાવી . રત્ન શ્રાવક ધન્ય થઈ ગયા . આજે ગિરનાર મહાતીર્થના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બિરાજીત છે એનો મહાપવિત્ર લાભ રત્ન શ્રાવકને મળ્યો છે .
તમે ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરો તે વખતે બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
Leave a Reply