Press ESC to close

આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે .

સાધનામાં તપ થાય છે અને તપનું પારણું થાય છે . તપનાં પારણામાં કોઈ આયોજન થાય છે . એમાં કોઈ જોડાય છે . તપનાં પારણામાં તમે કોને જોડો છો , એ તમારા પર નિર્ભર છે . શ્રી મહાવીર સ્વામી ભગવાન્ સાધક અવસ્થામાં , જ્યારે જ્યારે ઉપવાસનું પારણું કરે છે ત્યારે ત્યારે દેવતાઓ એક સુંદર આયોજન કરે છે : પંચ દિવ્ય . ભગવાન્ પારણું કરે એટલે તરત જ દેવતાઓ દિવ્ય કરે છે . પારણું થયું એ પૂર્વે કોઈ આયોજન નહીં . પારણું થયું તે સાથે જ એક આયોજન . પારણું ક્યાં થશે એ નક્કી ન હોય એટલે આયોજન ક્યાં રાખવામાં આવ્યું છે એ નક્કી ના હોય . પારણું કોણ કરાવશે એ નક્કી ન હોય એટલે આયોજન કોને ત્યાં છે એની ખબર ના હોય . પારણું ક્યાં થશે અને કોણ કરાવશે એ ખબર ના હોય એટલે પારણા પ્રસંગે કોણ આવશે એ મુદ્દો બને જ નહીં . તેમ છતાં ભગવાનનું પારણું થાય એ વખતે ઘણા બધા લોકો ભેગા થઈ જતા હોય છે . કેવી રીતે ?

મહાવીર ચરિયં ગ્રંથમાં એક શ્લોક છે : सेसो वि गामलोगो तहाविहं पेच्छिऊण अच्छरियं । विम्हिअहियऒ सहसा जिणस्सगासं समल्लीणो। દીક્ષા પછીનું પહેલું પારણું ભગવાને જ્યાં કર્યું ત્યાં ગામના બધા લોકો ભેગા થઈ ગયા . એ લોકોને પારણું થશે એની ખબર નહોતી , એ લોકોને પારણું થયું એની ખબર પડી . કેવી રીતે ? પંચ દિવ્ય દ્વારા . પંચ દિવ્યમાં શું હોય છે એ મુદ્દો નથી . પંચ દિવ્યની અસર શું હોય છે એ મુદ્દો છે . શ્લોકમાં લખ્યું છે કે પંચ દિવ્યને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા . તેઓ વિસ્મયભાવે ભગવાનની સમક્ષ ઉપસ્થિત થઈ ગયા . ભગવાનનું પારણું થયું એ વખતે જે પંચ દિવ્ય થયાં તે એક આયોજન હતું . એ આયોજન જૈન પરિવાર અને જૈન સંઘ પૂરતું સીમિત નહોતું . જે વિસ્તારમાં પારણું થયું એ વિસ્તારના બધા જ લોકો એ આયોજન દ્વારા પ્રભાવિત થયા હતા . જે ભગવાન્ સાથે ખાસ જોડાયા ન હતા એમની પર પંચ દિવ્યનાં આયોજને અસર ઊભી કરી હતી . એમનાં મનમાં ભગવાન્ માટે પ્રેમ જાગ્યો હતો . એમનાં હૃદયમાં ભગવાને કરેલાં તપ માટે અહોભાવ જાગ્યો હતો . પંચ દિવ્યનું આયોજન એવું હતું જે આ ગ્રામીણ લોકોએ જિંદગીમાં ક્યારેય જોયું નહોતું . આયોજનની અદ્ ભુતતાએ એમને પ્રભાવિત કરી દીધા હતા . આયોજનની સાથે તપનું જોડાણ હતું , ભગવાનનું જોડાણ હતું , ભગવાનની ભક્તિનું જોડાણ હતું , ભગવાનના ભક્તનું જોડાણ હતું . ગ્રામીણ લોકોને આ બધાયની માટે અહોભાવ થયો હતો .

ભગવાન્ પારણું કરે એ વખતે પંચ દિવ્ય ન થાય એવું ક્યારેય બનતું નથી . કલ્પના કરવા પૂરતું વિચારી લઈએ કે ભગવાન્ પારણું કરે એ વખતે પંચ દિવ્ય ન થાય . ભગવાન્ પારણું કરીને નીકળી જાય . પછીનું દૃશ્ય કેવું બને ? ભગવાનની અને પારણાની કોઈને ખબર જ ના પડે . કોઈનાં મનમાં અહોભાવ ના બને . જે ધર્મથી અજાણ હતા એ ધર્મથી અજાણ જ રહે . જે ભગવાનથી દૂર હતા એ ભગવાનથી દૂર જ રહે . જે તપના વિષયમાં અજાણ હતા એ તપના વિષયમાં અજાણ જ રહે . લોકોને તપધર્મનો ડંકો સાંભળવા મળ્યો નહોતો એ સાંભળવા પણ ના મળે . પંચ દિવ્યના અભાવમાં હજારો હજારો ગ્રામીણ લોકો અહોભાવનાથી વંચિત રહી જાય . એમનાં મનમાં ભગવાન્ માટે ભક્તિ ભાવ જાગે એવી સંભાવનાને પૂર્ણવિરામ લાગી જાય .

પંચ દિવ્ય એ દેવતાઈ ઔપચારિકતા નથી . પંચ દિવ્ય એ દેવતાઈ અનુમોદના છે . વીતરાગ સ્તોત્રનો શ્લોક યાદ આવે છે : सर्वेषाम् अर्हदादीनां यो योऽर्हत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं ।। આનો અર્થ એ છે કે અરિહંત ભગવંતમાં વસેલા ગુણોની હું અનુમોદના કરું છું . પંચ દિવ્ય દેવતાઓ કરે છે . દેવતાઓ ભગવાનને ગોચરી વહોરાવી શકતા નથી . કારણ કે દેવપિંડ અકલ્પ્ય હોય છે . ભગવાનનો એક ત૫ પૂરો થયો તે પારણું . અને ભગવાન્ આવતીકાલથી બીજો તપ શરૂ કરશે એનું અત્તરવાયણું . આ બંનેની જાણ દેવતાઓને હોય છે . દેવતાઓ પ્રભુના તપધર્મની અનુમોદના સ્વરૂપ ભક્તિભાવના આનંદમાં ઉત્સાહિત થઈને પંચ દિવ્ય કરતા હોય છે .

ભગવાન્ જેનાં ઘરે પારણું કરવા પધારે છે એને ભગવાનનાં તપની ખબર હોતી નથી , એને ભગવાનનું પારણું અને અત્તરવાયણું છે એનો અંદાજ હોતો નથી . અચાનક આવેલા ભગવાનને એ પોતાની પાસે જે હોય એ આપી દે છે . ભગવાન પારણાનાં સ્થળે વધારે સમય વિતાવ્યા વગર તુરંત ત્યાંથી નીકળી જાય છે . ભગવાન્ આવ્યા , પારણું થયું અને ભગવાન્ નીકળી ગયા . થોડી મિનિટોમાં બધું જ પૂરું થઈ જાય છે . માનવલોક મોટી અનુમોદનાથી વંચિત રહી જાય એવું બનત પણ પંચ દિવ્ય થાય છે એનાથી પારણું કરાવનારને અહેસાસ થાય છે કે આ પ્રભુ છે , પ્રભુને તપ ચાલે છે અને પ્રભુનાં તપનું આજે પારણું છે . પંચ દિવ્ય થાય છે એનાં જ કારણે તે વિસ્તારના લોકોને ધ્યાનમાં આવે છે કે આપણા વિસ્તારમાં પ્રભુ પધાર્યા છે , પ્રભુને પારણું થયું છે . જે ભક્ત ન હોય એ ભક્ત બને છે , જે પ્રેમી ન હોય એ પ્રેમી બને છે , જે અનુમોદના ન કરવાના હોય એ સૌ અનુમોદના કરવા લાગે છે . પારણા પ્રસંગે આયોજન કેવું કરાય એનું માર્ગદર્શન પંચ દિવ્ય પાસેથી મળે છે .

પારણા પ્રસંગે ભગવાનની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ . ગુરુની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ , સંઘની ભક્તિ કરવી જોઈએ , તે કરીએ છીએ . ગુરુ અને સંઘ તપને સમજે છે . તપની અનુમોદનાનું માહાત્મ્ય જાણે છે તેથી તપની અનુમોદના સાચા દિલથી કરે છે . પારણા પ્રસંગે અનુકંપા પણ કરવી જોઈએ . અનુકંપા એ રીતે કરવાની કે જ્યાં અનુકંપા થાય ત્યાં લોકોનાં હૃદયમાં ભગવાન્ માટે ભક્તિના ભાવ જાગે અને તપ માટે અનુમોદનાના ભાવ જાગે . દેવગુરુ અને સંઘની ભક્તિમાં ઉપેક્ષા ભાવ રાખવો એવી કોઈ વાત નથી . દેવ ગુરુ અને સંઘની ભક્તિ એ આપણો કૃતજ્ઞ ભાવ છે . ભગવાન્ ધર્મના દાતા છે . ગુરુ ધર્મના માર્ગ દર્શક છે . સંઘ , ધર્મનો આરાધક છે તો દેવગુરુ અને સંઘની ભક્તિ દ્વારા આપણે ધર્મ તત્ત્વનું પૂર્ણ સન્માન કરીએ છીએ . એ સન્માન જેટલું કરો એટલું ઓછું . એ સન્માનમાં કોઈ કમી આવવી ન જોઈએ .

મેનેજમેન્ટ એમ કહે છે કે જે કામ નિયમિત કરતાં હોઈએ એ સારામાં સારી રીતે કરો અને જે કામ કરવાનું બાકી રહી જતું હોય એની પર વિશેષ ધ્યાન આપો . અનુકંપાનાં કાર્યની અસર શું છે તે જુઓ . આપણે ગરીબ માણસની અનુકંપા કરીશું . એને ખબર પડશે કે આ જૈન ધર્મના લોકો દ્વારા આપણી માટે કંઈક કરવામાં આવ્યું છે . એ લોકો જૈન ધર્મ માટે અહોભાવ બનાવશે , આત્મીયતા બનાવશે . એ લોકો મહાવીર સ્વામી ભગવાનનું નામ જાણતા હોય છે એ રીતે એ લોકો ભગવાન્ માટે અહોભાવ બનાવશે . એ લોકો જૈન ધર્મમાં તપસ્યા થતી હોય છે એ વાત જાણતા હોય છે તો જે તપસ્યા થઈ એ તપસ્યા માટે આદરભાવ બનાવશે . એમને ખાવાનું મળતું નહોતું . આપણે ખાવાનું આપ્યું . એમને મીઠાઈ મળતી નહોતી . આપણે મીઠાઈ આપી . એમને કપડાં મળતાં નહોતાં , આપણે કપડાં આપ્યાં . એમની પાસે ધાબળા સ્વેટર નહોતાં , આપણે ધાબળા સ્વેટર આપ્યા . એમની પાસે અમુક સગવડ નહોતી . આપણે સગવડ કરી આપી . તેમની પાસે અમુક વ્યવસ્થા નહોતી . આપણે વ્યવસ્થા ગોઠવી આપી . એમની તકલીફ ઓછી થાય એવું કંઈક આપણે કરી આપ્યું એ અનુકંપા છે . એમને એનાથી સારું લાગે છે . એમને જેનાથી સારું લાગ્યું એની માટે એમનાં મનમાં પ્રેમની લાગણી જાગે છે . ધર્મથી દૂર હોય એવા આત્માઓનાં મનમાં ધર્મ માટે થોડી ઘણી લાગણી જગાડીએ એને બોધિબીજ કહેવામાં આવે છે . પંચ દિવ્યનું આયોજન બોધિબીજનાં વાવેતર કરતું હશે એવું અનુમાન આપણે કરી શકીએ . જે ધર્મના પ્રેમી છે એ ધર્મની અનુમોદના કરે એ સહજ છે . જે ધર્મના પ્રેમી નથી એ લોકો પણ ધર્મની અનુમોદના કરે એ નવું છે . જે નવું છે એ થવું જ જોઈએ .

આપણે ત્યાં કોઈપણ પારણાંનો પ્રસંગ આવે ત્યારે દેવ , ગુરુ અને સંઘની ભક્તિની મુખ્યતાને પૂરેપૂરી જાળવવા પૂર્વક એવી અનુકંપા કરી શકીએ છીએ જેનાથી સેંકડો કે હજારો દુઃખી જીવોનાં હૈયામાં ભગવાન્ માટે અને ધર્મ માટે અહોભાવ જાગી ઊઠે . જે ધર્મ સાથે જોડાયા છે એમની આગતા સ્વાગત કરીએ એ ભક્તિ છે . આ ભક્તિ તો કરવાની જ છે . જે ધર્મ સાથે જોડાયા નથી એમને ધર્મની પ્રશંસા કરવાનું મન થાય એ રીતે પ્રીતિદાન કરીએ કે દયાદાન કરીએ એ અનુકંપા છે . આપણા ઉત્તમ વ્યવહારને કારણે કોઈ નવો જીવ ધર્મનો પ્રેમી બને , ધર્મનો પ્રશંસક બને , એ ઘણી મોટી વાત છે . તપનાં પારણાંનું આયોજન એવું કરજો કે નવા જીવો ધર્મના પ્રેમી બને . સાધના સૌને જોડવામાં માને છે .

( પંચ દિવ્યમાં દેવતાઓ દ્વારા આ પાંચ પ્રવૃત્તિ થતી હોય છે :
૧ . આકાશમાં અહો દાનં અહો દાનં એવી ઉદ્ ઘોષણાઓ થાય .
૨ . આકાશમાં દેવતાઓ દુંદુભિનાદ કરે એટલે કે નગારા વગાડે .
૩ . આકાશમાંથી સોનાના સિક્કાનો વરસાદ થાય . 
૪ . આકાશમાંથી મોંઘેરા વસ્ત્રોનો વરસાદ થાય . 
૫ . આકાશમાંથી સુગંધિત જળનો છંટકાવ થાય . )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *