
મહાભારતના સમયમાં ભારત દેશે જે જોયું છે એ બીજા કોઈ યુગમાં નહીં જોયું હોય . પાંચ પાંડવોની ઘટના . સો કૌરવોનું રાજકારણ . ભીષ્મ પિતામહ . દ્રૌણ આચાર્ય . કર્ણ . કંસ , જરાસંઘ અને શિશુપાલ . આ બધાની ઉપર ભારે હતું એક નામ : કૃષ્ણ રાજા . કૃષ્ણ સમકિતી છે . કૃષ્ણ પ્રભુભક્ત છે . કૃષ્ણ વિષ્ટિકાર છે . શ્રી નેમિનાથ ભગવાનના પિતા સમુદ્રવિજય અને કૃષ્ણના પિતા વસુદેવ સગાભાઈ હતા . આમ શ્રી નેમિનાથ ભગવાન્ અને કૃષ્ણ રાજા વચ્ચે પારિવારિક સંબંધ હતો . પરંતુ કૃષ્ણ રાજા શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે જ વિશેષ પ્રસિદ્ધ થયા છે .
આશ્ચર્યની વાત એ છે કે દેવલોકમાં રહેલી નેમિનાથ ભગવાનની મૂર્તિની સાથે કૃષ્ણ રાજાનો સંબંધ કમાલ રીતે જોડાયો હતો . બન્યું હતું એવું કે ઈન્દ્રને ભગવાને કહ્યું કે દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવનિર્મિત છે . એના જવાબમાં ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અમે તો આ મૂર્તિને શાશ્વત સમજતા હતા . આજે ખબર પડી કે આ મૂર્તિ અશાશ્વત છે ?
આ વાતના પ્રતિભાવમાં ભગવાને કહ્યું કે હા , આ મૂર્તિ અશાશ્વત છે . યાદ રાખજો . દેવલોકનો નિયમ છે કે દેવલોકમાં અશાશ્વત મૂર્તિ બિરાજમાન રહી શકે નહીં . માટે આ મૂર્તિને મનુષ્ય લોકમાં બિરાજમાન કરવી જોઈએ .
દેવલોકવાસી ઈન્દ્ર ભગવાનને પૂછે છે કે પ્રભુ , આપનું વચન શિરોધાર્ય છે પરંતુ મનુષ્યલોકમાં આ મૂર્તિ કોને આપી શકાય ?
ભગવાન્ જવાબ આપે છે કે આ મૂર્તિ કૃષ્ણ રાજાને સોંપી દો .
શ્રી નેમિનાથ ભગવાનના કહેવાથી શ્રી નેમિનાથ ભગવાનની દેવલોક સ્થિત મૂર્તિ મનુષ્ય લોકમાં કૃષ્ણરાજાને અર્પિત કરવામાં આવી . કૃષ્ણ રાજા દ્વારા નૂતન જિનાલયમાં આ પ્રતિમા બિરાજમાન કરવામાં આવી . જોવાની વાત એ છે કે પ્રતિમાની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ સ્વયં નેમિનાથ ભગવાન્ આપે , એવી વિનંતી કૃષ્ણરાજાએ કરી હતી . પ્રભુએ વિનંતીનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠા માટેનો વાસક્ષેપ આપ્યો હતો . એ જ વાસક્ષેપ દ્વારા ગણધર ભગવંતોએ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી . દેવતાઓએ અને મનુષ્યોએ સાથે મળીને ગિરનારના ગજપદકુંડનાં જળથી આ મૂર્તિનો અભિષેક કર્યો હતો . દેવલોકમાંથી પધારેલી મૂર્તિ મનુષ્યલોકમાં પ્રતિષ્ઠા પામી એની ખુશાલીમાં કૃષ્ણ રાજાએ હીરા મોતી માણેકની પ્રભાવના કરી હતી .
જોકે , શ્રી નેમિનાથ ભગવાને સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી કે જ્યાં સુધી દ્વારકા નગરી અખંડ છે ત્યાં સુધી આ મૂર્તિ મનુષ્યો માટે ઉપલબ્ધ રહેશે . જે દિવસે દ્વારકા નહીં રહે એ દિવસે અંબિકાદેવી આ મૂર્તિને મનુષ્યલોક પાસેથી પાછી લઈ લેશે . ગિરનાર ઉપર કંચનગિરિ પહાડની ભીતરમાં એ મૂર્તિ બિરાજમાન થશે અને એની પૂજા દેવતાઓ કરશે .
ભગવાને જે કહ્યું હોય એ સાચું જ પડે . એક દિવસ દ્વારિકા નગરી નાશ પામી . નેમિનાથ ભગવાનની મૂર્તિ મનુષ્યલોક પાસેથી છીનવાઈ ગઈ અને દેવતાઓના હાથમાં જતી રહી . ગિરનારના ગહન ગુફાપ્રદેશમાં એ મૂર્તિ બિરાજમાન થઈ ગઈ .
——–
કથા આગળ વધે છે પણ મુદ્દા આપણે યાદ રાખવાના છે .
૧. દેવલોકમાં બિરાજમાન મૂર્તિ પ્રભુના કહેવાથી મનુષ્ય લોકમાં આવી .
૨ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ છે સ્વયં તીર્થંકર ભગવાને આપ્યો .
૩ . એ મૂર્તિની પ્રતિષ્ઠા ગણધર ભગવાને કરી .
૪ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો હતો .
૫ . લાંબા સમય સુધી મનુષ્યો આ મૂર્તિની પૂજા કરતા રહ્યા . તે પછી એક દિવસ એવો આવ્યો કે મૂર્તિ દેવતાઓના હાથમાં જતી રહી અને દેવતાઓ દ્વારા એને પૂજા થવા લાગી .
————
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાં બનેલી મૂર્તિ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાંથી મનુષ્યલોકમાં પધારે છે . એની પ્રતિષ્ઠા અને પૂજા કૃષ્ણ મહારાજા દ્વારા થાય છે . પ્રતિમાનો ઇતિહાસ કેવો ગજબનાક છે ?
( Copyrighted content )
Leave a Reply