
ભૂલ થાય તે પછી ભૂલમાંથી શીખવાનું હોય . ભૂલ ન થાય એ સર્વશ્રેષ્ઠ . માનો કે ભૂલ થઈ , હવે શું ? ભૂલનું પરિણામ ભોગવવાનું અને પછી ભૂલમાંથી કંઈક શીખવાનું . ટાઇટેનિકના કિસ્સામાં જેમણે ભૂલનું પરિણામ ભોગવ્યું એ જીવતાં ન બચ્યા . જે બચ્યા હતા એ ભીષણ ત્રાસદીને લીધે સૂનમૂન થઈ ગયા હતા . સમાચારો આખી દુનિયામાં ફેલાયા . ચાર વરસ પહેલાં દૈનિક ભાસ્કરમાં પદ્મનાભ લખે છે કે टाइटैनिक पर 64 जीवनरक्षक नौकाएं आ सकती थीं, लेकिन जहाज़ पर सिर्फ़ 20 नौकाएं थीं। इनमें से कई नौकाओं में पूरी क्षमता से लोग नहीं बिठाए गए थे। पहली नौका में 28 लोग थे, जबकि जगह उसमें 65 लोगों की थी । કોઈ મોટી ઘટના થઈ જાય એ પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે . દારૂણ ઘટનાઓમાંથી ઘણા બોધપાઠ મળતા હોય છે .
એક ભ્રમણા પાળી લેવામાં આવી હતી કે Titanic ડૂબવાનું જ નથી . જેમ એક જૂઠ દસ જૂઠને ખેંચી લાવે છે એમ એક ભ્રમણા દસ ભ્રમણાઓને ખેંચી લાવે છે . દરિયાવાટે નીકળેલું જહાજ ડૂબવાનું હોય ત્યારે બચાવ માટે લાઈફ બોટ રાખવામાં આવે છે . મોટા જહાજમાં જેટલા યાત્રાળુ હોય એ દરેકને નાની નાની લાઈફ બોટમાં લઈ જઈ શકાય એવી વ્યવસ્થા કોઈ પણ જહાજ પર હોય જ છે . આ એટલી કોમન વાત છે કે આ વ્યવસ્થા ટાઇટેનિક પર હતી નહીં એ માનવામાં આવે જ નહીં . પણ મુખ્ય વાત ભ્રમણાની છે . લાઈફ બોટની જરૂર ક્યારે પડે ? જહાજ ડૂબવાનું હોય ત્યારે . ટાઈટેનિક થોડી ડૂબે ? ટાઇટેનિક ડૂબવાનું જ નથી એ ધારણાને લીધે લાઈફબોટ્સ ઓછી લેવામાં આવી હતી . રાખવી જોઈતી હતી ૬૪ . રાખી હતી ૨૦ . એક સર્વ સામાન્ય વ્યવસ્થા પણ ટાળી દેવામાં આવી હતી .
ધ્રુવ રાઠી જણાવે છે કે ટાઈટેનિક ડૂબી ના શકે આ માન્યતા જડબેસલાક રીતે પ્રવાસીઓનાં મનમાં ફીટ થઈ ગઈ હતી . જહાજ હિમખંડને ટકરાયું એ પછી પણ ઘણાખરા લોકો એમ જ માનતા હતા કે ભલે અકસ્માત્ થયો પણ જહાજ તો ડૂબવાનું જ નથી . ૨૦ લાઇફ બોટમાંથી પહેલી લાઈફ બોટ પાણીમાં ઉતરી ત્યારે એમાં ૬૫ લોકો બેસી શકતા હતા એને બદલે ફક્ત ૨૮ લોકો જ બેઠા . જહાજના સંચાલકોની બેદરકારી જુઓ . તેમને ખબર હતી કે જહાજ ડૂબી રહ્યું છે તેમ છતાં તેમણે બોટને અડધોઅડધ ખાલી રહેવા દીધી . એ બોટમાં ફક્ત શ્રીમંતોએ જ બેસવાનું હતું એવો પણ વિચાર હતો અને ઘણાખરા પ્રવાસીઓને લાગતું હતું કે જહાજને કાંઈ જ થવાનું નથી એવી ભ્રમણા પણ હતી .
બેદરકારી શબ્દ આપણે નાનપણથી શીખેલા છીએ . જે કામ આપણે કરી શકતા હોઈએ એ કામ ધરારથી ના કરીએ . જે કામ કરવું જરૂરી હોય છે એ કામ ન કરવાનું બહાનું શોધી કાઢીએ . ઉપેક્ષાવૃત્તિ માણસનાં મનમાં ક્યાંથી પ્રગટ થતી હશે , સમજાતું નથી . કોઈ કામ આપણે ભૂલી જઈએ એ અલગ સમસ્યા છે . પરંતુ કોઈક કામ એવા હોય છે , એ આપણે ભૂલતા નથી પરંતુ જાણી જોઈને એ કામ કરવાનું ટાળી દેતા હોઈએ છીએ .
આજે આઠમ છે યાદ હોય છે . હું ઉપવાસ કરી શકું છું , યાદ હોય છે . છતાં ઉપવાસ કરવાનું ટાળી દઈએ છીએ . ઉપેક્ષા . પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું જોઈએ ખબર હોય છે . તબિયત સારી હોય છે . એમ છતાં પ્રતિક્રમણ બેઠા બેઠા કરી લઈએ છીએ . ઉપેક્ષા . સવારે સમયસર ઉઠી જઈએ છીએ . પૂજા કરવા જઈ શકીએ એટલો સમય હોય છે આપણી પાસે . તેમ છતાં ટીવી કે મોબાઇલમાં સમય પસાર કરી દઈએ છીએ . ઉપેક્ષા . મારી પાસે જાપ કરવાનો સમય છે ખબર હોય છે છતાં આપણે નવકારનો જાપ કરતા નથી . ઉપેક્ષા . આપણી પાસે પૈસા હોય છે . કોઈ એક સારું કામ કરી શકીએ એવો મોકો પણ મળતો હોય છે . પરંતુ આપણે પૈસા પોતાની પાસે જ રહેવા દઈએ છીએ . ઉપેક્ષા . તમે જ્યારે કોઈ ઉપેક્ષા કરો છો ત્યારે તરત જ એ ઉપેક્ષા તમને નડે છે એવું બનતું નથી . ઉપેક્ષા કરી ત્યારે તો એમ જ લાગે છે કે કોઈ ફરક ના પડ્યો . Titanic નીકળ્યું ત્યારે એમ જ લાગ્યું હતું કે કોઈ ફરક નથી પડતો . જહાજ ડૂબવાનું જ નથી .
પરંતુ જ્યારે કોઈ આફત આવે છે ત્યારે સમજાય છે કે જેની ઉપેક્ષા કરી છે એની ઉપેક્ષા કરવા જેવી નહોતી . આપણે પડોશીઓનું ઉપેક્ષા કરીએ છીએ . પરિણામે સંકટના સમયે એકલા પડી જઈએ છીએ . આપણે સંઘની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે મોટી આરાધનાઓથી અને સામૂહિક આરાધનાઓથી વંચિત રહી જઈએ છીએ . આપણે તપની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે જે કર્મો ખપી શકતા હતા એ કર્મો ખપાવવાના રહી જ જાય છે . આપણે સારા સમાચારની ઉપેક્ષા કરીએ છીએ , પરિણામે મોટી મોટી અનુમોદનાઓથી વંચિત રહીએ છીએ .
કોઈપણ પ્રવૃત્તિ સાથે જોડાયા હોઈએ ત્યારે એ પ્રવૃત્તિની સાથે જો નાનામોટા એકસો કામ જોડાયેલા હોય છે તો એ એકસોએ એકસો કામ પૂરા કરી લેવા જોઈએ . ૯૧ કે ૯૨ કામ કરીને અટકી ગયા તો તરત કોઈ નડતર દેખાશે નહીં . પરંતુ કોઈ બીજો માણસ એ જ પ્રવૃત્તિ કરશે અને એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સોએ સો કામને એ પૂરા કરી લેશે ત્યારે તમે પાછળ રહી જશો અને એ આગળ નીકળી જશે . તમે કરેલી ઉપેક્ષા તમને જ ભારે પડશે . તમારામાં જે જે કામ કરવાની આવડત છે એ દરેક આવડતનો કોઈને કોઈ ઉપયોગ કરતા રહેજો . ક્યારે કંઈ આવડત કંઈ રીતે ઉપયોગી બનશે એના તમને અંદાજ નથી . જે આવડત વપરાતી રહે છે એ આવડતને ઉપેક્ષાનો ઘસારો લાગતો નથી . જે આવડત વપરાતી નથી એને ઉપેક્ષાનો ઘસારો લાગે છે . આપણી આવડત આપણી પોતાની ઉપેક્ષાને કારણે જ નકામી બની જાય એવું શું કામ કરવું ? લખતાં આવડે છે તો લખો . ગાતાં આવડે છે તો ગાઓ . ભક્તિ કરતાં આવડે છે તો કરો ભક્તિ . ગાથા ગોખતાં આવડે છે તો ગોખો ગાથા . લખવાની ઉપેક્ષા કરશો તો લખવાનો મોકો આવશે ત્યારે લખવાનું સૂઝશે નહીં . ગાવાની ઉપેક્ષા કરશો તો ગાવાનો અવસર આવશે ત્યારે ગાવાનું ફાવશે નહીં . તમે જેની ઉપેક્ષા કરો છો એને કુદરત તમારાથી દૂર લઈ જાય છે . તમે જેની ઉપેક્ષા નથી કરતા એને કુદરત તમારી સાથે રાખે છે . તમને કોઈ વસ્તુ ન મળી હોય એ ગરીબી છે . તમને મળેલી વસ્તુની તમે ઉપેક્ષા કરતા રહો એ બેદરકારી છે .
ટાઈટેનિક લેસન થ્રી કહે છે કે ગરીબી ગુનો નથી . બેદરકારી ગુનો છે . તમને મળેલી તકની ઉપેક્ષા નહીં કરતા . એ તક બીજીવાર ન પણ મળે . ઉપેક્ષા કરનારો પાછળથી બહુ પસ્તાય છે અને એ પસ્તાવો સહન કરવાનું ખૂબ અઘરું પડે છે .
Leave a Reply