
જેમણે મોટી સફળતા મેળવી લીધી છે તેઓ બહુ નમ્ર હોય છે . શ્રીમંત હોવા છતાં સાદગીથી રહેશે . વિદ્વાન્ હોવા છતાં સરળ વાતો કરશે . શક્તિશાળી હોવા છતાં હાથ જોડીને વાત કરશે . મહાન્ લોકો તમને મળશે ત્યારે નમ્રતાથી વાત કરશે . મહાન્ લોકો તમને આદર જ આપશે . તેઓ વ્યસ્તતાને કારણે નહીં મળશે એ વાત અલગ છે , બાકી એ જ્યારે પણ મળશે ત્યારે નમ્રતા બનેલી રહેશે .
મહાન્ લોકોનો આદર જેમને મળે છે એ લોકો પોતાને મહાન્ માનવા લાગે છે ત્યારથી સમસ્યા શરૂ થાય છે . મહાન્ બનવા માટે મહાન્ પુરુષાર્થ કરવાનો આવે છે . વર્ષો સુધી મહેનત થાય છે . કેટકેટલી પરીક્ષાઓમાંથી પસાર થવાનું રહે છે . ધીમે ધીમે પ્રક્રિયા થતી રહે છે અને એક દિવસ દુનિયાને દેખાય છે કે આ વ્યક્તિ મહાન્ બની ગઈ . પુરુષાર્થ કર્યા વગરની , મહેનત ઉઠાવ્યા વગરની , પરીક્ષાઓ આપ્યા વગરની અને પ્રક્રિયાઓમાંથી ગુજર્યા વગરની જિંદગી જીવનારાઓ ક્ષણિક સુખ શોધતા હોય છે . કોઈ મહાન્ તરીકે પ્રસિદ્ધ બનેલી વ્યક્તિ એમને મળે અને એ વ્યક્તિ તરફથી આદર પણ મળે ત્યારે એમને એવું લાગવા માંડે છે કે આપણે પણ મહાન્ થઈ ગયા . મહેનત કર્યા વગર મળેલી એ સફળતા કેવલ અહંકાર પોષક બની જાય છે .
મહાન્ વ્યક્તિઓ પાસેથી આપણને આદર મળે અને એ આદર દ્વારા આપણને પ્રોત્સાહન મળે ત્યાર સુધી વાંધો નથી . પરંતુ મહાન્ વ્યક્તિઓ પાસેથી આપણને આદર મળ્યો એનાથી મનમાં ખોટી આત્મ સંતુષ્ટિ ના ઊભી થવી જોઈએ . એમના તરફથી જે આદર મળે છે એ આદરની કદર થવી જોઈએ . આદરની કદર ન થાય એવું બનશે કેમ કે મહાન્ લોકો ખૂબ ખૂબ નમ્ર રહેશે આપણી સાથે . આપણી એક ભ્રમણા છે કે જે નબળો હોય છે એ નમ્ર હોય છે . મહાન્ લોકોની આપણે કદર ન કરી શક્યા હોઈએ એની પાંચ નિશાની છે .
૧ . એમની પાસે બેસીને એમની વાતો સાંભળવાનો મોકો હોય ત્યારે આપણે બીજી કોઇક જગ્યાએ બેસી જઈએ કે બીજું કોઈક કામ કરવા જતા રહીએ . એમના હાથેથી કામ થયા છે એ આપણે નથી કરી શકવાના , એ જેવા વિચાર કરી શકે છે એવા વિચાર આપણે નથી કરી શકવાના , એ જે આપી શકે છે બીજા કોઈ પાસેથી નથી મળવાનું છતાં આપણે ત્યારે બીજે ક્યાંક જતા રહ્યા જ્યારે એમની વાતોને સાંભળવાનો મોકો હતો . એમની સાથે સમય વીતાવી શકાય એવું હોવા છતાં આપણે આપણો સમય બીજા કોઈને આપી દીધો . એનાથી સાબિત શું થયું ? કાંઈ નહીં .
૨ . એ આપણી સાથે સરળતાથી વાત કરતા હતા એનો ફાયદો ઉઠાવીને આપણે એમને સલાહ આપવા માંડ્યા , ઉપદેશ આપવા માંડ્યા , ભૂલો કાઢવા માંડ્યા . એમના જેવું કામ આપણે ક્યારેય કરી શકવાના નથી . એમના હાથે જે કામ થયું એ ઘણું મોટું હતું . જે કામ મોટું હતું એની પ્રશંસા કરી હોત તો સારું લાગત . પરંતુ એકાદ નાનું કામ બાકી હતું એને મુદ્દો બનાવીને આપણે એમને શિખામણો આપી દીધી . આવું બધું સંભળાવી દીધા પછી આપણે ઘમંડનો અનુભવ કર્યો કે જુઓ આટલા મોટા માણસને મેં મોઢામોઢ કહી દીધું . મહાન્ વ્યક્તિ પાસે બેસીને મહાન્ બનવાનું માર્ગદર્શન લેવું જોઈતું હતું . એને બદલે આપણે મહાન્ વ્યક્તિને માર્ગદર્શન આપવા બેસી ગયા . કેવી કમાલ ?
૩ . મહાન્ વ્યક્તિ પાસેથી જે મળે તે મેળવવાનું જ હોય , તે સિવાય પણ એક કામ કરવાનું હોય : આપણે જે મહાન્ વ્યક્તિને મળ્યા એમણે જે જે ઉત્તમ કાર્ય કર્યાં છે એની પૂરેપૂરી જાણકારી એમનાં શ્રીમુખે મળે એ રીતે એમની સાથે પ્રશ્નોત્તરી કરવી જોઈએ . આપણે એમની પાસે બેસીને પણ આપણી લાઈફની એવી જ વાતો કરતાં રહીએ છીએ જે કોઈ રીતે ઉપયોગી કે સ્ટાન્ડર્ડ હોતી નથી . મહાન્ વ્યક્તિ પાસે બેસીએ ત્યારે એ વ્યક્તિનાં સ્તરની જ વાતો એમની સાથે કરવાની હોય . મહાન્ વ્યક્તિ સાથે બેઠા પછી એમની સાથે આપણે આપણાં સ્તરની પામર વાતો જ કરતા રહીએ છીએ ત્યારે મહાન્ વ્યક્તિની મહાનતાનું માન સચવાતું નથી .
૪ . મહાન્ વ્યક્તિ પાસે બેસીને પોતાનો સ્વાર્થ સાધવાની કોશિશ પણ અમુક લોકો કરતા હોય છે . એમની માટે મહાન્ વ્યક્તિ મહત્ત્વપૂર્ણ નથી . એમની માટે પોતાનો સ્વાર્થ મહત્ત્વપૂર્ણ છે . મહાન્ વ્યક્તિ મળ્યા હોય ત્યારે પોતાના સ્વાર્થ ભૂલી જવા જોઈએ . એને બદલે પોતાના સ્વાર્થને સાધવા માટે જ મહાન્ વ્યક્તિ સાથે જોડાઈએ આનાથી વધારે મોટી વિચિત્રતા શું હોઈ શકે ?
૫ . મહાન્ વ્યક્તિને મળીએ એ વખતે એમની માટે પોઝિટિવ માઈન્ડ સેટ રાખવું જોઈએ . પોઝિટિવ માઈન્ડ સેટ નહીં હશે તો શું થશે ? એમને મળ્યા પછી એમની નિંદા કરવા માંડશું . એમની માટે ખોટી વાતો ફેલાવશું . તેમણે શું ભૂલ કરી , એમણે શું ખોટું કર્યું એની ઉપર જ ફોકસ બનાવશું . એમને ઉલ્ટા જવાબ આપશું . એમનો અનાદર કરીશું . એમને તકલીફ આપશું . મહાન્ વ્યક્તિ તમારી સાથે નમ્ર વ્યવહાર કરે છે એ પણ એમની મહાનતા જ છે . એમની નમ્રતાની સામે સામે આપણે કોઈપણ પ્રકારનો અનુચિત વ્યવહાર કરીએ એ આપણી માટે શોભાસ્પદ ઓછું છે .
આ પાંચ નિશાનીઓ એવી છે જેનાથી આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આપણે પણ મહાન્ છીએ . આપણા અહંકારને પોષવામાં આ પાંચ હરકતો બહુ કામ આવે છે . આ પાંચેય બાબતોથી મહાન્ વ્યક્તિઓ દૂર રહે છે આ કારણે જ એ મહાન્ વ્યક્તિ ગણાય છે . મહાન્ વ્યક્તિ એટલે ઉત્તમ ગુણોથી સંપન્ન વ્યક્તિ . મહાન્ વ્યક્તિ એટલે ઉત્તમ કાર્યોને સંપન્ન કરનાર વ્યક્તિ . તમે મહાન્ વ્યક્તિને મળો ત્યારે આ પાંચેય બાબતોથી મુક્ત રહેજો .
આપણે બે પાંચ સારા કામ કરી લઈએ છીએ અને પોતાને મહાન્ સમજવા માંડીએ છીએ . પછી એવું થાય છે કે હું મહાન્ છું એવી ભ્રમણાને લીધે , આપણે આપણી સમક્ષ કે આપણી આસપાસ કોઈ મહાન્ વ્યક્તિ ઉપસ્થિત હોય એમને સાચી રીતે આદર આપી શકતા નથી . એ મહાન્ વ્યક્તિ આપણી સાથે આદરપૂર્વક વાત કરે તો આપણે એમના આદરની કદર પણ નથી કરી શકતા . આ એવી ભૂલ છે જે સમજાતી પણ નથી . આ એવી ભૂલ છે જેને કારણે આપણે પોતે ઘણું મોટું નુકસાન પણ વહોરી લેતાં હોઈએ છીએ . આપણી સમક્ષ કે આપણી આસપાસ રહેલા મહાન્ લોકો સાથે કેવો વ્યવહાર કરાય અને કેવો વહેવાર ન કરાય એનું એનાલિસિસ આ પાંચ વાતો દ્વારા કરજો . તમને સમજાશે કે તમારે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે .
Leave a Reply