Press ESC to close

મહાન્ જ્ઞાની પુરુષ વિદાય લે છે ત્યારે સૌ કોઈને વસમું લાગે છે

સુવિહિતશિરોમણિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનું અણમોલ રત્ન આગમવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અક્ષયભદ્રસૂરીશ્વરજી મહારાજા આજે કાળધર્મ પામ્યા . જ્ઞાનીની વિદાય અસહ્ય બનતી હોય છે . એમની પાંચ વિશેષતાઓ હંમેશા યાદ રહેશે . 
૧. એમણે આગમોનું ઊંડું અવગાહન કર્યું હતું
પરમાત્માની મૂળવાણી આગમ સૂત્રોમાં સચવાયેલી છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાથી માંડીને આજ સુધી ગુરુ પરંપરા દ્વારા આગમનું અધ્યાપન ચાલુ રહ્યું છે . ગુરુપરંપરા દ્વારા એમને આગમવાચના મળી હતી . એમના જ્ઞાનગુરુ તરીકે પૂજ્યપાદ
આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું નામ અવશ્ય આવે . એમનાં માર્ગદર્શનમાં આગમો વાંચ્યા . આગમના પદાર્થો આત્મસાત્ કર્યા . આગમના ટીકાકાર મહર્ષિઓ જે રીતે આગમના પદાર્થોને સમજાવે એ રીતે શ્રી અક્ષયવિજયજી મહારાજ આગમના એક એક રહસ્યો ખોલીને પદાર્થોને સમજાવતા હતા . ઉપદેશ આપવાનું ઘણું સરળ છે . પદાર્થો ખોલીને સમજાવવા એ અઘરું છે . એમનો પદાર્થ બોધ ઉત્કૃષ્ટ હતો અને એમની પાસે પદાર્થ બોધ આપવાની શક્તિ પણ ઉત્કૃષ્ટ હતી . કેટલાય સાધુ સાધ્વીઓએ એમની પાસે આગમોનો અભ્યાસ કર્યો છે . જેમણે એમની પાસે આગમો વાંચ્યા હોય એમને પદાર્થોની જે સ્પષ્ટતા મળી હોય એ કોઈ અનેરી હોય . દરેક પદાર્થ સાથે એ પોતાનું ચિંતન જોડતા અને એમનું પોતાનું ચિંતન હંમેશા માર્ગાનુસારી રહેતું . 
૨ . તેઓ શાસ્ત્રશુદ્ધ શૈલીના વ્યાખ્યાનકાર હતા 
તેઓ છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપતા . બુલંદ અવાજે બોલે . શ્રોતાઓને પ્રેમથી ઠપકારે પણ ખરા . એમની પ્રરૂપણા શાસ્ત્ર આધારિત જ રહેતી . પોતાનાં મનમાં સૂઝેલા તુક્કાઓના આધારે એ બોલતા નહીં . કોઈ એક પંક્તિ કે કોઈ એક શ્લોકનો આધાર લે , એમાંથી કોઈ એક મુદ્દો તારવે અને મુદ્દાનું સરળ વિશ્લેષણ કરે . નિરૂપણ એટલું સરળ હોય કે આ કોઈ શાસ્ત્રની ગંભીર વાત છે એવું લાગે જ નહીં પરંતુ એ શ્લોક કે પંક્તિ ટાંકે ત્યારે સમજાય કે ઓહો , આ વાત આ શાસ્ત્રમાં આ રીતે લખવામાં આવી છે . એમનું વ્યાખ્યાન સાંભળીને જે ઉભો થાય તે બે પાંચ શાસ્ત્રીય પદાર્થો લઈને જ જાય એ નક્કી . એમની વ્યાખ્યાનશૈલી ઉપર પૂજ્યપાદ
આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ઊંડી અસર જોવા મળતી .
૩ . તેઓ સક્ષમ રચનાકાર હતા 
કોબાના દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર વર્ષે એકવાર સૂર્ય કિરણનો તેજલિસોટો આવે છે . શ્રી સાગરજી સમુદાયના એક મહાત્માએ મને કહ્યું હતું કે એકવાર આ સૂર્ય કિરણ પ્રભુ મૂર્તિ પર આવ્યું ત્યારે શ્રી અક્ષય વિજયજી મહારાજ સાહેબ દર્શનાર્થે ત્યાં જ બેઠા હતા . જ્યાં સુધી મૂર્તિ ઉપર સૂર્યકિરણનો સ્પર્શ બનેલો રહ્યો ત્યાર સુધી તેઓ અભિનવ સ્તવન તત્કાળ રચતા ગયા અને ગાતા ગયા . હાથમાં કાગળ પેન લીધા વગર નવી રચના કરવી એ સહેલું નથી . તેઓ ભગવાનની સામે જોતાં જોતાં મનમાં જે આવ્યું એ રચતા ગયા અને જે રચાતું ગયું તે ગાતા જ રહ્યા , ગાતા જ રહ્યા . ઘણીબધી નવી પંક્તિઓ એક પછી એક આવતી જ ગઈ , આવતી જ ગઈ . કમાલની રચનાશક્તિ હતી . શ્રી પ્રેમસૂરિદાદાનાં માર્ગદર્શનમાં અભિનવ કર્મસાહિત્યસર્જનનો જે મહાયજ્ઞ મંડાયો હતો એમાં હજારો શ્લોક પ્રમાણ સંસ્કૃત લેખન એમના હાથે થયું હતું . સંસ્કૃતમાં લખવું અઘરું છે . સંસ્કૃતમાં એવું લખવું જેના દ્વારા પદાર્થનું વિસ્તૃત નિરૂપણ થયું હોય એ તો વધારે અઘરું છે અને મહાજ્ઞાની શ્રી પ્રેમસૂરિદાદાની સ્વીકૃતિ મળે એવું લખવું તો એકદમ જ અઘરું છે . એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં થાય કે તેઓ સમર્થ શાસ્ત્રકાર હતા . એમણે લખેલી સંસ્કૃત ટીકા વાંચો , તમને આ વાત સાચી જ લાગશે . 
૪ . એમનું પુણ્ય વિશિષ્ટ કક્ષાનું હતું 
એમની પાસે નવકારવાળીઓ મોંઘામાં મોંઘી હોય . એમની ઘડિયાળ ચીલાચાલુ ન હોય . કામળી હોય , આસન હોય , જે પણ હોય બધું બહુ સરસ હોય . જોવાથી સમજાય કે એમના ભક્તો શક્તિશાળી છે . એવું નહોતું કે એમને શોખ હતો . એમને ભક્તો જ એવા મળતા કે એમની પાસે ઉત્તમ વસ્તુઓ બરોબર પહોંચી જતી . પોતાની પાસે એમણે બધું સંઘરીને રાખ્યું નહોતું . જ્યારે જેને જે આપવાનું હોય એ આપતા . એમણે મંત્ર શાસ્ત્રનો અભ્યાસ ઘણો કર્યો હતો , મંત્ર સાધનાઓ ઘણી કરી હતી એટલે એમનું પુણ્ય જાગતું રહેતું . છેલ્લા સમયમાં એમની સેવા અનેક અનેક મુનિ ભગવંતો ખૂબ શ્રદ્ધાપૂર્વક , ખૂબ અહોભાવપૂર્વક કરતા હતા . એમની સેવા જે રીતે થઈ એનાથી સમજાય કે એમનું પુણ્ય હંમેશા ઊંચું જ રહ્યું છે . 
૫ . તેમણે સમાધિ માટે સ્વભાવ પરિવર્તન કર્યું હતું 
અંતિમ સમયની સમાધિ આસાનીથી મળતી નથી . સ્વ ની ઉપર જે ઘણું ઘણું કામ કરે તે જ સમાધિને પાત્ર બને છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાને એમણે પોતાનાં જીવનની લગામ સોંપી રાખી હતી . હું જેટલું વિચારી શકું છું એના કરતાં વધારે આપ વિચારી શકો છો એવું સમર્પણ એમણે રાખ્યું હતું . મને જે સમજાય છે એનાથી વધારે આપને સમજાય છે એવો આદરભાવ એમણે જાળવી રાખ્યો હતો . મારે જે કરવાનું છે એ હું નક્કી નહીં કરું , એ આપે નક્કી કરવાનું છે એવો સમર્પણ ભાવ એમણે અખંડ રાખ્યો હતો . જેમણે એમને યુવા અવસ્થામાં જોયા છે તેઓ જાણે છે કે એમનામાં કેટલું જોશ હતું , કેટલી ઉર્જા હતી . તેઓ ભલભલાને ટાઢા પાડી દે એવા પાવરફૂલ હતા .  કોઈના બાપની સાડાબારી ના રાખે એવા હિંમતવાન્ હતા . હતા ઘણા કડક , પરંતુ ધીમે ધીમે એમણે પોતાના સ્વભાવનું પરિવર્તન કરી લીધું હતું . એમણે કોઈ આગ્રહ રાખ્યા નહોતા , કોઈ અભિનિવેશ પાળ્યા નહોતા . તેઓ કર્તૃત્વભાવમાંથી બહાર આવીને સાક્ષિભાવ તરફ ઢળી ચૂક્યા હતા એ દેખાતું હતું . પોતાની શક્તિ એમને વધારે અગત્યની નહોતી લાગતી . પોતાની શાંતિ એમને વધારે અગત્યની લાગતી હતી . પોતાની ઈચ્છા એમને અગત્યની નહોતી લાગતી . પોતાની સમાધિ એમને અગત્યની લાગતી હતી . આ મન:પરિવર્તન એમના આત્માને અઢળક શાંતિ આપી રહ્યું હતું .
વર્ષોનાં વર્ષો સુધી આગમોના પદાર્થોમાં એમણે એકાગ્રતા બનાવી હતી . વર્ષોનાં વર્ષો સુધી કર્મગ્રંથના ગહન પદાર્થોમાં એ રમમાણ રહ્યા હતા . અધ્યાપન અને વાચનાપ્રદાન દ્વારા પણ તેઓ શાસ્ત્રો સાથે સતત જોડાયેલા રહ્યા હતા . એક મહાન્ જ્ઞાનયોગી તરીકેનું જીવન એ જીવ્યા . એ સતત પ્રભુનાં વચન સાથે જોડાયેલા રહે એની પર પ્રભુના વિશેષ આશીર્વાદ રહેતા હોય છે . વીશ વીશ તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની ભૂમિ ઉપર , ૧૫૦ કલ્યાણકની આરાધનાનો દિવસ સુંદર રીતે વિતાવીને માગશર સુદ બારસના દિવસે તેઓ પરમના પંથે સંચરી ગયા .  ધન્ય જ્ઞાન . ધન્ય ધ્યાન . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *