
તમારાં કપડાંની બાબતમાં તમારી પોલીસી શું છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમને એમ થશે કે કપડાંની તે કોઈ પોલિસી હોય ? પણ શ્રી મહાવીર સ્વામી ભગવાને પોતાનાં એકમાત્ર વસ્ત્ર બાબતે ત્રણ પોલિસી બનાવી હતી . ભગવાન્ પોતાની પોલિસી બાબત કશું બોલ્યા નહોતા . પણ એમનો વ્યવહાર જોઈને સમજાય છે કે પ્રભુએ વસ્ત્રની બાબતમાં આ જ પોલિસી રાખી છે . કોઈ પણ સાધકે વસ્ત્રની ત્રણ પોલિસી હંમેશા યાદ રાખવી જોઈએ .
પોલિસી વન : કપડાંનો રંગ કેવો હશે , કપડાંની કંપની કંઈ હશે , કપડાંનો રેટ શું હશે , કયાં કપડામાં હું કેવો દેખાઈશ , કયા કપડાંનું સ્ટેટસ શું છે આ બધું સાધારણ માણસ વિચારે છે . સાધક આ બધું વિચારતો નથી . કપડાં સરસ હશે એને કારણે હું સરસ દેખાઈશ . કપડાં સરસ હશે એનાથી મનેં મજા આવશે આવું માનસિક વાતાવરણ સાધકમાં હોતું નથી . સાધક કપડાંની બાબતમાં સાદગી રાખે છે . ચોક્કસ પ્રકારનાં કપડાં જોઈએ , ચોક્કસ બ્રાન્ડેડ કપડાં જોઈએ , ચોક્કસ કિંમતનાં કપડાં જોઈએ , આવું બંધન સાધકનાં મનમાં હોતું નથી . જે કપડાંની બાબતમાં શોખીન હોય , જુદી જુદી ડિઝાઈનનાં કપડાં વગર જેને ચાલતું નથી તેને સાધનામાં ફાવટ આવવાની નથી . સાધનાની આ અપેક્ષા છે : કપડાંની બાબતમાં સાદગી રાખો . કપડાંનો ઠાઠમાઠ જરૂરી નથી . ભગવાનને ઇન્દ્ર મહારાજાએ મોંઘુ વસ્ત્ર આપ્યું એ ઇન્દ્ર મહારાજાનું કાર્ય હતું. ભગવાને તો જે મળ્યું એનો સ્વીકાર કર્યો હતો . ભગવાને મોંઘાં વસ્ત્રની અપેક્ષા રાખી નહોતી . મારી પાસે મોંઘુ વસ્ત્ર છે એવી ખુશી ભગવાને બનાવી નહોતી . મારું વસ્ત્ર મોંઘું છે તો મારાં વસ્ત્રની હું વિશેષ કાળજી લઉં એવી મમતા ભગવાનનાં મનમાં બની નહોતી . જે વસ્ત્ર છે એ છે . બસ , વસ્ત્ર માટે ભગવાન્ આટલું જ ધ્યાન આપતા હતા . આનાથી વિશેષ કશું નહીં . મારા કપડાં મારું સુખ નક્કી કરે છે , મારાં કપડાં મારું સ્ટેટસ બનાવે છે આવો વિચાર સાધકને નથી આવતો . આવા વિચારો શોખીન લોકોને આવે હોય છે . તમારો કપડાં બાબતે વ્યવહાર કેવો છે એ તપાસો . તમે સાધક છો કે શોખીન છો એ પોતાની મેળે તમને સમજાઈ જશે .
પોલિસી ટુ : આપણે દર મહિને , દર વર્ષે નવાં નવાં કપડાં ખરીદતા હોઈએ છીએ . મોટા ફંક્શનમાં જે કપડાં એક બે વાર પહેરી લીધાં એ કપડાં આપણે ફરીથી બીજા ફંક્શનમાં પહેરતા નથી . આપણને દર વખતે નવાં કપડાં જોઈએ છે . આપણા કબાટમાં ઢગલાબંધ કપડાં હોય છે . નવાં નવાં કપડાં લાવતા રહો અને જુદાં જુદાં કપડાં પહેરતા રહો આ પદ્ધતિથી આપણે ચાલીએ છીએ . કપડાના શોખની આ નિશાની છે : કપડાં જુદાં જુદાં હોય તો મજા આવે , કપડાં નવાં નવાં હોય તો મજા આવે . શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષાના પહેલા દિવસે બ્રાહ્મણને પોતાનું અડધું વસ્ત્ર આપી દીધું હતું . એટલે કે ભગવાને દીક્ષાના પહેલા દિવસથી સવા વર્ષ સુધી જે વસ્ત્ર પહેરી રાખ્યું તે અડધું ફાટેલું હતું . વસ્ત્રનો શોખ નથી એનો આ પુરાવો છે . કપડું જૂનું થાય તે ફાટેલું ન હોય તો પણ આપણને ગમતું નથી અને ફાટેલું વસ્ત્ર તો આપણે પહેરતા જ નથી . ભગવાને ફાટેલું વસ્ત્ર પોતાના સ્કંધ પર રહેવા દીધું એનાથી સમજાય છે કે ભગવાન્ વસ્ત્ર ધારણ ભલે કરતા હતા પરંતુ ભગવાનને કપડાંની બાબતમાં કોઈ શોખ કે કોઈ વળગણ પાળ્યાં નહોતાં . ભગવાને વસ્ત્રને એક વ્યવસ્થા રૂપે સ્વીકાર્યું હતું. ભગવાન માટે વસ્ત્ર એ કોઈ શોખ ન હતો .
પોલિસી થ્રી : ભગવાનના સ્કંધ પરથી વસ્ત્ર સરકી ગયું તે ક્યાં પડ્યું છે એ ભગવાને પાછળ નજર ફેરવીને જોયું હતું . ભગવાને એ તપાસ્યું હતું કે મારું વસ્ત્ર કોઈ વિરાધનાનું કારણ તો બન્યું નથીને ? આનાથી એ સમજાય છે કે આપણું વસ્ત્ર વિરાધનાનું કારણ બનતું હોય છે . તમારી પાસે વસ્ત્રો વધારે હોય તો એ બધાં જ વસ્ત્રો જ્યારે જ્યારે વપરાય છે ત્યારે ત્યારે વિરાધના કરાવે છે . વસ્ત્રો ઓછાં હોય એનો અર્થ છે એ છે કે વસ્ત્રો દ્વારા થનારી વિરાધના સીમિત છે . વસ્ત્રો ઘણાં હોય એનો અર્થ એ છે કે વસ્ત્રો દ્વારા થનારી વિરાધના સીમિત નથી . વર્ષોથી જે સાધુસાધ્વીના સંપર્કમાં રહે છે એની ઉપર સાધુસાધ્વીજીની જીવનચર્યાની ઊંડી છાયા આવી જતી હોય છે . એ નવાં નવાં કપડાં ખરીદતો નથી , નવાં નવાં કપડાં સીવડાવતો નથી , નવાં નવાં કપડાં ભેગા કરતો નથી . એની પાસે ગણતરીનાં જ કપડાં હોય છે . બાકીનાં કપડાંનો સંગ્રહ એ રાખતો જ નથી . તમારા સંગ્રહમાં કપડાં થોડાં હોય તો સમજજો કે તમે સાધનાના રસ્તે આગળ વધી રહ્યા છો . તમારા સંગ્રહમાં કપડાં ઘણાં હોય તો સમજજો કે તમે સાધનામાં ઘણા કમજોર છો . ઘણાંબધાં કપડાં ભેગા કરીએ એ ઘરસંસારમાં મોટી વાત ગણાતી હશે છે પરંતુ ઘણાંબધાં કપડાં ભેગા થયા હોય એ સાધનાનાં ક્ષેત્રમાં કમજોરી ગણાય છે . ભગવાન પાસે અડધું જ વસ્ત્ર હતું . એ પણ જ્યારે જતું રહ્યું ત્યારે ભગવાનને કોઈ ફરક પડ્યો નહીં . પોતાની પાસે કપડાં ઓછાં હોય એનાથી સાધકને કોઈ ફરક પડતો નથી . વસ્ત્રનો શોખ હોય નહીં કે ઓછો હોય એ જ સાધનાની તાકાત છે .
હજી પણ એક વાત છે . તમે લોકો તમારાં ઘરના પાંચ કે દશ કે પંદર સભ્યોના બારેબાર મહિનાનાં કપડાંનો ખર્ચો આરામથી કરી શકો છો . જો આ વાત સાચી છે તો તમે કોઈપણ એક દેરાસરનાં બારેબાર મહિનાના કપડાંનો લાભ જરૂરથી લઈ શકો . દેરાસરમાં કપડાં કયાં કયાં જોઈએ ? અંગલૂંછણા , પાટલૂંછણા , નેપકિન , ગળણા , પાયદાન , પડદાં વગેરે . તમે દરવરસે કોઈ એક દેરાસરનાં બારેમાસનાં વસ્ત્રોનો લાભ લો . તમે ભગવાનની વસ્ત્ર ભક્તિ કરશો એ પછી ભગવાનની એવી કૃપા થશે કે તમારી વસ્ત્ર સંબંધી મમતાઓ તૂટવા લાગશે .
Leave a Reply