
તમારે અન્યને દુઃખ નથી આપવાનું . આ નિયમ સાધનાને શક્તિશાળી બનાવે છે . દુઃખ ન આપવાની વાત બોલવામાં સહેલી લાગે છે . એનું અમલીકરણ ઘણું અઘરું છે . તમે કડવું બોલશો એનાથી બીજાને દુઃખ થશે માટે તમે કડવું બોલતા નથી આ તમને સમજાય છે . પણ કડવું નથી બોલવું , એની માટે તમારે ક્રોધ પર સંયમ બનાવવો પડે છે અને તે અઘરું છે . અન્યને દુઃખ નથી આપવું એવો વિચાર કરવાથી કામ પૂરું થતું નથી . તમારા ખુદના વ્યવહારને , તમારી વર્તણૂકને તમે બદલો એ અગત્યનું છે . તમે જેમ જેમ બદલાતાં જાઓ છો તેમ તેમ તમારી સાધનામાં નવી ઊર્જા ઉમેરાતી જાય છે .
મારે પૃથ્વીકાયની વિરાધના નથી કરવી આવો બોધ તમને મળે છે . તમે સ્વયંને બદલવાનો સંકલ્પ કરો છો . પૃથ્વીકાયની વિરાધના ક્યાં ક્યાં થાય છે એની જાણકારી તમે મેળવો છો અને તમે જીવનશૈલીને એ રીતે બદલો છો કે તમારા હાથે થનારી પૃથ્વીકાયની વિરાધના ઓછી થઈ જાય અથવા અટકી જાય . આમાં ત્રણ પ્રક્રિયા થઈ . એક , તમે ચોક્કસ વિરાધનાથી બચવાનો બોધ મેળવ્યો . બે , એ વિરાધનાથી બચવા માટે તમે સ્વયંનું પરિવર્તન કર્યું . ત્રણ , એ પરિવર્તનને લીધે તે વિરાધના ઓછી થઈ અથવા અટકી . આવું જ અપ્ કાય , વાયુકાય , તેઉકાય , વનસ્પતિકાય , વિકલેન્દ્રિય અને પંચેદ્રિયની વિરાધના બાબતે પણ થાય છે .
વિરાધના કોની કોની થઈ શકે છે , કેવી કેવી રીતે થઈ શકે છે એની જાણકારી મેળવવા માટે ઘણો મોટો જ્ઞાન પુરુષાર્થ કરવો પડે છે . ધીમે ધીમે થોડું થોડું જ્ઞાન મળતું રહે છે , જેટલું જ્ઞાન મળે છે એમાંથી પ્રેરણા પામીને સાધક થોડી થોડી વિરાધના ઘટાડતો રહે છે . મારે વિરાધના ઓછી કરવી છે એવો સંકલ્પ કરવો તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એની જિજ્ઞાસા રાખવી તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એનો બોધ મેળવવા પુરુષાર્થ કરવો તે સાધના છે . વિરાધના શું છે અને વિરાધના કેવી રીતે થાય છે એનો બોધ , થોડા કે ઘણા અંશે મેળવીએ તે સાધના છે . બીન આવશ્યક વિરાધના અટકે તે માટે પોતાની જીવનશૈલીને બદલવાનું શરૂ કરીએ તે સાધના છે . તે પછી બિનજરૂરી વિરાધનાઓ અટકવા લાગે તે સાધના છે . આગળ જતાં જીવન આવશ્યક વિરાધનાઓ પણ ઓછી થવા લાગે તે સાધના છે .
કારણનું નિવારણ કરવાથી કાર્ય અટકી જાય છે , વિજ્ઞાનનો આ નિયમ છે . વિરાધનાનું કારણ બને છે અજ્ઞાન . આ અજ્ઞાન ઘટવા થવા લાગે તે સાધના છે . વિરાધનાનું કારણ બને છે સુખશીલતા . આ સુખશીલતા ઓછી થવા લાગે તે સાધના છે . વિરાધનાનું કારણ બને છે સહનશક્તિનો અભાવ . સહનશક્તિ વધવા લાગે તે સાધના છે . સુખશીલતા ઘટતી જ જાય , સહનશીલતા વધતી જ જાય તે સાધના છે .
તમે પૂજા કરો છો , સામાયિક કરો છો , પ્રતિક્રમણ કરો છો , પૌષધ કરો છો , નિયમોનું પાલન કરો છો , ઘણીબધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો તે જરૂરી છે . પરંતુ અંતરંગ ભૂમિકાએ તમે વિરાધનાઓ ઓછી કરવાનો પ્રામાણિક પુરુષાર્થ કરો છો અને તમારો આ પુરૂષાર્થ અવિરત ચાલુ જ રહે છે , આ સાચા અર્થમાં સાધના છે .
સિદ્ધશિલામાં બિરાજમાન મુક્ત આત્માઓ સર્વ વિરાધનાઓથી મુક્ત છે . આથી તેમને સિદ્ધ ભગવાન્ કહેવામાં આવે છે . સર્વ વિરાધનાઓથી મુક્ત અવસ્થા મળે એ જ સિદ્ધિ છે . ભગવાન્ કહે છે કે કોઈ પણ આતમા સ્વ પુરુષાર્થ વિના વિરાધનામુક્ત બની શકતો નથી . જે સંસારી જીવ નિયમિત રીતે વિરાધનાથી બચવાનો પુરુષાર્થ કરે છે તે જ એક દિવસ સંપૂર્ણ વિરાધનામુક્ત બને છે .
જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ છે ત્યાં સાધના છે . જ્યાં વિરાધના ઓછી કરવાનો પુરુષાર્થ નથી ત્યાં સાધના નથી . અત્યારની આ ક્ષણે , તમારાં જીવનમાં કંઈ કંઈ વિરાધના ચાલુ છે તે જુઓ , એમાંથી તમે કંઈ કંઈ વિરાધના દૂર કરી શકો છો તે તપાસો . એ વિરાધના ઓછી કરવાનો સંકલ્પ કરો , એ વિરાધના ઓછી કરવા માટે પુરુષાર્થ શરૂ કરી દો . આ તમારી સાધના છે . તમારી ભીતરમાં વિરાધનાનો ભય નથી બન્યો તો તમે સાધક નથી બની શક્યા એટલું યાદ રાખજો .
જે વિરાધનાને આપણે અટકાવી શકીએ છીએ એને અટકાવી દઈએ એ સાધનાનું પ્રથમ સૂત્ર છે . જે વિરાધનાને આપણે અટકાવી શકતા નથી એનો પસ્તાવો રાખીએ એ સાધનાનું બીજું સૂત્ર છે . જે વિરાધનાઓ ચાલુ છે એને ઓછી કરવાના પ્લાનિંગ ચાલુ રાખીએ એ સાધનાનું ત્રીજું સૂત્ર છે . તમે ધર્મ કરો એ અગત્યનું છે . તમે ધર્મને સાધના બનાવો એ વધારે અગત્યનું છે .
Leave a Reply