Press ESC to close

તમે ખરાબ વિચાર કરો છો એ સાધનાની હાર છે : તમે સારા વિચાર કરો છો એ સાધનાની જીત છે .

ઉપધાન વાચના – ૪

સારો વિચાર કોઈપણ રીતે આવે , એ વિચાર લાભકારી છે . સારું પુસ્તક વાંચતાં વાંચતાં સારો વિચાર આવે એમાં મુખ્ય ઘટના એ બની કે સારો વિચાર આવ્યો . સારા પ્રવચનકારને સાંભળતાં સાંભળતાં સારો વિચાર આવ્યો એમાં પણ મુખ્ય ઘટના એ જ બની કે સારો વિચાર આવ્યો . તમારી સાથે જે આરાધક આરાધના કરે છે એ તમારા કલ્યાણમિત્ર છે . એમની સાથે વાત કરતાં કરતાં મનમાં સારો વિચાર આવ્યો એમાં પણ મુખ્ય ઘટના એ જ બની કે સારો વિચાર આવ્યો . સારો વિચાર કોઈ પણ રીતે આવે એ ઉત્તમ ઘટના જ હોય છે . પરંતુ સારો વિચાર આવવાની એક પ્રક્રિયા એ પણ છે કે તમને પોતાની મેળે જ સારો વિચાર આવતા હોય છે . પોતાની મેળે એકવાર સારો વિચાર આવે એ બહુ મોટી વાત છે . પોતાની મેળે વારંવાર સારો વિચાર આવે એ ઘણી જ મોટી વાત છે . પોતાની મેળે સતત ને સતત સારા જ વિચાર આવ્યા એ સર્વશ્રેષ્ઠ પરિસ્થિતિ છે . સારા વિચાર આવવા ન આવવાના મામલે તમે ક્યાં સ્તરે છો એ તમે શોધો .

પહેલું સ્તર એ હશે કે તમને સારા વિચાર આવતા જ નહીં હશે . તમને જે વિચાર આવતા હશે એ ચિત્રવિચિત્ર હશે , ઊંધાચત્તા હશે , ઢંગધડા વિનાના હશે . વિચારનું આ સ્તર દયાપાત્ર છે . માણસ વિચારી શકતો હોય પણ એના મનમાં સારા વિચાર આવે જ નહીં એ કેવી વિચિત્ર પરિસ્થિતિ કહેવાય ? ઘણા લોકોનાં જીવનમાં આવું જોવા મળે છે . એ સારા વિચાર કરે એવું વાતાવરણ એમને મળતું જ નથી . એને કારણે એમનાં મનમાં સારા વિચાર બનતા જ નથી . આ આદર્શ પરિસ્થિતિ નથી . સારા વિચાર એટલે પવિત્ર વિચાર . સારા વિચાર એટલે તાત્ત્વિક વિચાર . સારા વિચાર એટલે આધ્યાત્મિક વિચાર . આવા વિચાર આવે જ નહીં એવું પણ બનતું હોય છે . આ પરિસ્થિતિ હોય તો આત્મા જોખમમાં છે એમ સમજી લેવાનું .

બીજું સ્તર એ હશે કે તમને ખરાબ વિચાર આવતા નથી . સારા વિચાર કરીએ એ અગત્યનું છે એ રીતે એ પણ અગત્યનું છે કે ખરાબ વિચાર ના કરીએ . અમુક લોકો થોડાક સારા વિચાર કરે છે અને સાથે સાથે થોડાક ખરાબ વિચાર પણ કરે છે . ખરાબ વિચારનો પાવર એટલો મોટો હોય છે તે તે ખરાબ વિચારને કારણે મનમાં રહેલા સારા વિચારની તાકાત તૂટી જતી હોય છે . તમને સારો વિચાર આવે એ પછી એ સારા વિચારની માવજત જરૂરી બને છે . તમે ખરાબ વિચાર ન કરો એને કારણે સારા વિચારની માવજત થાય છે . પોતાની જાતને સૂચના આપીને મજબૂત થવાનું છે કે મારે ખરાબ વિચાર કરવા નથી . આત્માને ઉપયોગી ના હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . આત્માને નુકસાન કરતા હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . ધર્મનું સમર્થન કરતા ન હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . તત્વચિંતનમાં સહાયકારી ન બનતા હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . ખરાબ વિચાર હોય નહીં એવી પરિસ્થિતિ મનને સાત્ત્વિક બનાવી રાખવામાં બહુ ઉપયોગી થાય છે . આમ ખરાબ વિચાર ન કરવા એ એક અલગ જવાબદારી છે . આ દિશામાં જે સભાન છે અને પોતાનાં મનમાં ખરાબ વિચાર બનવા દેતો નથી , ખરાબ વિચારને આવવા દેતો નથી – એનું સ્તર સારું કહેવાય , એની પરિસ્થિતિ ઉત્તમ કહેવાય .

ત્રીજું સ્તર એ છે કે તમને સતત ખરાબ વિચાર આવ્યા કરે છે . એવા વિચાર , જેનાથી આત્માને નુકસાન થાય . એવા વિચાર , જેનાથી ધર્મને ક્ષતિ પહોંચે . એવા વિચાર , જેના થકી સાત્ત્વિકતાની હાનિ થાય . આવો એક પણ વિચાર ક્યારેય પણ મનમાં ના બનવા જોઈએ . ખરાબ વિચાર બને છે એને કારણે સંસારનું પરિભ્રમણ વધે છે . ખરાબ વિચાર ઓછા થાય છે એના પરિણામે સંસારનું પરિભ્રમણ ઘટે છે . જનમોજનમના પરિભ્રમણમાં આપણને ખરાબ વિચારોને જગાડે એવું વાતાવરણ વારંવાર મળ્યું છે . જનમોજનમથી આવું જ બનતું આવ્યું છે આ કારણે આપણને સહજ રીતે ખરાબ વિચારોમાં ખોવાઈ જવાની આદત પડેલી છે . આદત એવી તો ભયાનક છે એ તમે જ્યારે ખરાબ વિચાર કરતા હશો ત્યારે પણ તમને યાદ આવતું નથી કે હું ખરાબ વિચાર કરી રહ્યો છું . તમને તો એમ જ લાગતું હશે છે કે હું સામાન્ય વિચાર કરું છું . તમે જે વિચાર કરતા હો એ વિચાર ખરાબ હોય અને તમને તમારો ખરાબ વિચાર પણ એક સામાન્ય વિચાર જ લાગે આ બહુ ભયાનક પરિસ્થિતિ છે . જે લોકો ખરાબ વિચાર કરે છે તે લોકો ખરાબ વિચાર કરતી વખતે હું જે વિચારું છું તે ખરાબ છે એવું સમજી શકતા નથી . એ લોકો ખરાબ વિચારના પ્રવાહમાં તણાઈ જાય છે . આ સમસ્યા સમજવી આવશ્યક છે . એક દિવસમાં અનેક વાર આપણે ખરાબ વિચારમાં તણાઈ ગયા હોઈએ એવું અવશ્ય બને છે . જે ખરાબ વિચારમાં તણાઈ જાય છે તે ખરાબ વિચારની સામે લડી શકતો નથી . ખરાબ વિચાર આવે એ પછી થોડાક સમય માટે ખરાબ વિચાર અટકે પણ છે . એ વખતે આપણે પોતાની જાતને સૂચના આપીએ કે મેં જે વિચાર કરેલા એ વિચાર ખરાબ હતા , મારું ખરાબ વિચાર કરવાનું વલણ બદલાય એ માટે હું મહેનત કરીશ આ રીતે પોતાની જાતને સૂચના આપવી પડે . આ સૂચના દૃઢ રીતે અપાય તો ખરાબ વિચાર કરવાની આદત બદલાવા લાગે છે . આત્માને અનુકૂળ ન હોય એવા વિચાર એટલે ખરાબ વિચાર . તીવ્ર કર્મબંધ કરાવે એવા વિચાર એટલે ખરાબ વિચાર . વિષયની આકર્ષણવૃત્તિ વધારે એવા વિચાર એટલે ખરાબ વિચાર . કષાયની ધારાઓને ચિરંજીવી બનાવે એવા વિચાર એટલે ખરાબ વિચાર .

ચોથુ સ્તર એવું હોય છે કે સારા વિચારો મનમાં વારંવાર જાગવા લાગે છે . સારો વિચાર એકવાર આવે છે , બે વાર આવે છે , ત્રણ વાર આવે એમ કરતાં કરતાં સારો વિચાર એટલો મજબૂત થઈ જાય સારો વિચાર વારંવાર આવે . તમે પ્રારંભિક ભૂમિકાએ ધર્મ કરો છો તો તમને સારો વિચાર આવશે . પણ એ સારો વિચાર કોઈના સહારે આવશે , કોઈના આધારે આવશે . હવે જો તમે સાધનામાં આગળ વધેલા હશો તો એવું બનવા લાગશે કે કોઈપણ સહારો નહીં હશે , કોઈપણ પ્રેરણા નહીં હશે તેમ છતાં તમારાં મનમાં પોતાની મેળે સારા વિચાર આવતા રહેશે . સતત સારા વિચારોમાં જ રમમાણ રહેવું એ સાધનાની ઉત્કૃષ્ટ અવસ્થા છે . ક્યાંક કોઈ તબક્કો એવો અવશ્ય હોય છે જેમાં તમને ખરાબ વિચાર પણ આવે છે અને સારા વિચાર પણ આવે છે . ખરાબ વિચાર વધારે હોય , સારા વિચાર થોડા હોય . ખરાબ વિચાર અડધોઅડધ હોય , સારા વિચાર અડધોઅડધ હોય . ખરાબ વિચારો ઓછા હોય , સારા વિચાર વધારે હોય . આખરે આવે છે છેલ્લો તબક્કો . એમાં ખરાબ વિચાર આવવાના બંધ થઈ જાય અને ફક્ત સારા જ વિચાર આવ્યા કરે છે . આ પરિસ્થિતિ એ જ સાધનાનો સર્વોત્કૃષ્ટ તબક્કો છે .

તમે બીજાની છાયામાં આવીને સારા વિચાર કરો છો એવું બની શકે છે . તમે બીજાની છાયામાં આવ્યા વિના સારા વિચાર કરો છો એવું પણ બની શકે . તમે બીજાને છાયામાં આવીને ખરાબ વિચાર કરો છો એવું પણ બની શકે . તમે બીજાની છાયામાં આવ્યા વિના ખરાબ વિચાર કરો છો એવું બની શકે છે . તમે ખરાબ વિચાર કરો છો એ સાધનાની હાર છે . તમે સારા વિચાર કરો છો એ સાધનાની જીત છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *