
ઉપધાન વાચના . ૩
અમુક વિચાર દવા જેવા હોય છે . દવા એકવાર લીધી એટલે કામ પૂરું થતું નથી . દવા બીજી વાર લો , પછી ત્રીજી વાર લો , એમ રોજ લેતાં રહો તો દવા કામ કરે છે . દવા એક જ વાર લો તો કામ નથી કરતી . આ રીતે અમુક વિચાર રોજ કરવા જોઈએ . સાધક સાધનામાં સ્થિર રહે છે એની પાછળ ચોક્કસ વિચારોનું પુનરાવર્તન કામ કરતું હોય છે . વિચાર દવાની જેમ કામ કરે એની બે શરત હોય છે . વિચાર સારો હોય એ પહેલી શરત . વિચારનું પુનરાવર્તન હોય એ બીજી શરત .
સાધક સવારે ઊઠે ત્યારે એનાં મનમાં એક પ્રશ્ન જાગે છે . આજે સવારે હું ઉઠ્યો જ ન હોત તો ? મારી આંખો કાયમ માટે મીંચાઈ ગઈ હોત તો ? તો હું ક્યાં હોત ? હું જીવતો છું તો મનુષ્ય ગતિમાં છું . હું જીવતો છું તો સાધના નાં વાતાવરણમાં છું . હું જીવતો છું તો સારો વિચાર કરવાની ભૂમિકામાં છું . હું જીવતો જ ના હોત તો અત્યારની આ ક્ષણે હું ક્યાં હોત ? સવારની પ્રારંભિક ક્રિયાઓની આસપાસ સાધકનાં મનમાં આ વિચાર ઘોળાયા કરે છે . રાત્રે હું ઊંઘી રહ્યો હતો , ઊંઘમાં ને ઊંઘમાં મારું આયુષ્ય પૂરું થઈ ગયું હોત તો મારો જન્મ બીજે ક્યાં થયો હોત ? સાધક આ વિચારતો હોય છે અને પવિત્ર ડર અનુભવતો હોય છે . આજની આ દુનિયામાં રોજ એક લાખ ૬૦ હજારથી વધુ લોકો મરણ પામે છે . દર કલાકે ૬૦૦૦થી વધારે લોકો મરણ પામે છે . દર મિનિટે ૧૦૦થી વધુ માણસ મરણ પામે છે . સાધક પોતાની જાતને પૂછે છે કે હું રાત્રે ઊંઘમાં મરી ગયો નહીં એ સારી વાત છે પણ જો મરી ગયો હોત તો કંઈ ગતિમાં જાત ? જો હું એકેન્દ્રિય ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું બેઈન્દ્રિય , તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું નરક ગતિમાં કે તિર્યંચ્ ગતિમાં જાત તો મારું જીવન કેવું હોત ? જો હું મનુષ્ય ગતિમાં કે દેવગતિમાં ગતિમાં જાત અને ત્યાં મને ધર્મ ન મળત , સમકિત ના મળત તો મારું જીવન કેવું હોત ? સાધક આ વિચાર થકી ભય અનુભવે છે અને પછી પોતાની જાતને કહે છે કે હું મર્યો નથી અને હું જીવિત રહ્યો છું . હું જ્યાં છું તે જગ્યાએ મારી પાસે સમકિત છે અને ધર્મ છે . મારે સમકિતની અનુભૂતિ ઊંડાણથી લેવી જોઈએ અને ધર્મની સેવના ઉત્તમ રીતે કરવી જોઈએ . સાધકના દિવસની શરૂઆત આ વિચાર સાથે થતી હોય છે .
સાધક આખો દિવસ આરાધના સાધનામાં વિતાવે છે એનો આનંદ એના હૃદયને સંતૃપ્ત બનાવે છે . રાતનો સમય આવે છે . ઊંઘમાં ઉતરતાં પહેલાં સાધકનાં મનમાં એક બીજો પ્રશ્ન જાગતો હોય છે : જો હું મરી જઉં તો મારે સાથે શું લઈને જવું છે અને શું નથી લઈ જવું ? સાધક સમજે છે કે મેં જીવન દરમિયાન ૧૮ પાપ વારંવાર કર્યા છે . એ ૧૮ પાપની અનુમોદના સતત ચાલુ જ રહી છે . હું મરી જઉં તે પછી મારી સાથે ૧૮ પાપ આવે , ૧૮ પાપની અનુમોદના આવે એવું મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે રાગ અને દ્વેષ આવે એ મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે ક્રોધ , માન , માયા અને લોભ આવે એવું મારે નથી જોઈતું . હું મરી જઉં તો મારી સાથે ખૂબબધા પાપ આવે , ખૂબબધા કર્મો આવે એવું મારે નથી જોઈતું . તો મારે શું જોઈએ છે ? હું મરી જઉં તો મારી સાથે ધર્મના સંસ્કારો આવે એવું મારે જોઈએ છે . હું મરી જઉં તો મારી સાથે નવકાર મંત્ર આવે એવું મારે જોઈએ છે . હું મરી જઉં તો મારી સાથે ભગવાનની ભક્તિના , ગુરુની ભક્તિના અને ધર્મની ભક્તિના ઉત્તમ સંસ્કારો આવે એવું મારે જોઈએ છે . શરીર અહીં છૂટી જશે પણ શરીરની મમતા સાથે આવશે , શરીર અહીં છૂટી જશે પણ શરીરથી કરેલા કર્મો સાથે આવશે એ નિશ્ચિત છે . શરીરની મમતા ભવોભવ ભટકાવે છે . શરીરથી કરેલાં કર્મ ભવોભવ ભટકાવે છે . હું મરું એ પહેલાં આ શરીરની મમતા ઓછી થઈ જાય , શરીર થકી કર્મો બંધાય છે એ કર્મોનો બંધ કમજોર પડી જાય એવી મારી ઈચ્છા છે . જ્યાં સુધી મમતા ઓછી થતી નથી , કર્મો ઓછાં થતાં નથી ત્યાં સુધી મારાં મનમાં એ મમતાનો પસ્તાવો બનેલો રહે , એ કર્મનો પસ્તાવો બનેલો રહે અને જો હું મરું તો હું જ્યાં જઉં ત્યાં આ પસ્તાવાની ભાવના મારી સાથે આવે એવું સાધક ઈચ્છતો હોય છે .
આપણે જે ક્ષણે મરશું એ જ ક્ષણે ઘણું બધું વિસ્મરણ થઈ જવાનું છે . આપણે મનુષ્ય હતા એ આપણે ભૂલી જઈશું . આપણે કોઈ ના પિતા કે માતા હતા , ભાઈ કે બહેન હતા , પુત્ર કે પુત્રી હતા , પતિ કે પત્ની હતા , વડીલ મિત્ર કે સંબંધી સ્વજન હતા એ બધું આપણે ભૂલી જવાના છીએ . આપણે શું કરતા હતા એ ભૂલી જવાના છીએ . આપણે શું હતા એ ભૂલી જવાના છીએ . મરણની ક્ષણ આવશે તે પછી બધું જ વિસ્મરણ થઈ જવાનું છે . અને છતાં પાપના સંસ્કાર અને ધર્મના સંસ્કાર સાથે આવે એવી સંભાવના બની રહેવાની છે . અહીંથી મરીને જઈએ તો પાપના સંસ્કાર ભલે સાથે આવે પણ એ પાપના સંસ્કાર કમજોર પડી ગયા હોય એ પાકું કરી લેવું છે . અને અહીંથી મરીને બીજે જઈએ ત્યારે ધર્મના સંસ્કાર જરૂર સાથે આવે અને ધર્મના એ સંસ્કાર એકદમ શક્તિશાળી હોય એ પાકું કરી લેવું છે . સાધકનાં મનમાં આ સંકલ્પ બનેલો હોય છે .
સવારે ઊઠીને શું વિચારવાનું છે એ નક્કી કરી લો . રાત્રે સૂતાં પહેલાં શું વિચારવું છે એ નક્કી કરી લો . તમે જે વિચારશો એના આધારે એ નક્કી થશે કે તમે આવતા જન્મમાં ક્યાં જશો અને કેવા બનશો ?
Leave a Reply