Press ESC to close

સાધનાનો માર્ગ એટલે વિરાધના નહીં , વાસના નહીં અને વૈરવિરોધ નહીં .


ઉપધાન વાચના . ૨

તમે સાધના સાથે જોડાયા છો એટલે અમુક કામો કરવાનું તમે છોડી દીધું છે એ નક્કી વાત છે . તમે શું છોડ્યું છે એના આધારે તમારી સાધનાની ઊંચાઈ નિર્ધારિત થાય છે . તમે જે છોડ્યું તે કેવી રીતે છોડ્યું છે એના આધારે પણ તમારી સાધનાની તાકાત કેટલી છે એનો નિર્ણય થાય છે .

સાધના કરનાર વિરાધના છોડે છે .
સાધના કરનાર વાસના છોડે છે .
સાધના કરનાર વૈરવિરોધ છોડે છે .

સવારે ઊંઘમાંથી બહાર આવીએ ત્યારથી આપણી વિરાધનાઓ શરૂ થઈ જાય છે . જુઓ તમે . નળ ચાલુ થઈ જાય . પંખા ચાલુ થઈ જાય . લાઈટના બટન દબાવવાના ચાલુ થઈ જાય . મોબાઈલ તથા ફોન અને પ્રિન્ટર તથા કમ્પ્યુટર ચાલુ થઈ જાય . ગાડીઓમાં ફરવાનું ચાલુ થઈ જાય . લિફ્ટ ચાલુ થઈ જાય . રસોડું ચાલુ થઈ જાય . આવું ઘણુંય ચાલુ થઈ જાય . આખો દિવસ વિરાધના ચાલતી રહે . પછી સાંજ પડે , રાત પડે તોય અમુક વિરાધનાઓ ચાલુ જ હોય . વિરાધનાઓ ચાલુ રાખીને આપણે ઊંઘી જઈએ . ઊંઘતા પહેલાં પણ વિરાધનાઓ , અડધી રાતે ઊંઘમાંથી જાગીએ તો પણ વિરાધનાઓ . રાત પૂરી થાય અને સવાર પડે ત્યારે પણ વિરાધનાઓ . આપણી વિરાધનાઓનો અંત આવતો જ નથી . દિવસરાત સતત વિરાધના વચ્ચે રહેનારો રાત્રે ઊંઘે ત્યારે , મારે વિરાધના નથી કરવી – એવો સંકલ્પ રાખ્યા વગર ઊંઘે છે . આથી એની નિદ્રા ભોગનિદ્રા ગણાય છે . આનાથી વિપરીત ઉપધાનનો આરાધક સતત અને સતત વિરાધનાઓથી પોતાને બચાવી રાખે છે . આવો આરાધક રાત્રે નિદ્રાધીન થાય એ વખતે વિરાધનાઓથી પોતાને બચાવી રાખવાની સાવધાનીમાં વર્તે છે . આથી એની નિદ્રા યોગનિદ્રા ગણાય છે .

ભૌતિક આનંદપ્રમોદની ભાવનાને અને પ્રવૃત્તિને વાસના કહેવાય છે . પખ્ખીસૂત્રમાં લખવામાં આવ્યું છે : सद्दा रूवा रसा गंधा फासाणं पवियारणा . મનગમતું ગીત સંગીત સાંભળવું , સજીવ નિર્જીવ સુંદરતાઓ જોવી , વિવિધ સુગંધ લેવી , અલગ અલગ સ્વાદ માણવો , અનુકૂળ સ્પર્શનો આનંદ લેવો . ભૌતિક સુખની હજારો ક્રિયાઓ આપણે આખો દિવસ કરતા રહીએ છીએ . સાંજ પડે , રાત પડે અને બાહ્ય આનંદપ્રમોદની ધારા સાથે જ નિદ્રાધીન થઈ જઈએ . આવી નિદ્રાને ભોગનિદ્રા કહેવાય છે . આનાથી વિપરીત હોય છે ઉપધાનના આરાધકો . તેઓ તમામ આનંદપ્રમોદની ગતિવિધિઓથી સ્વયંને દૂર રાખે છે . તેઓ રાત્રે નિદ્રાધીન થાય ત્યારે વાસનાઓથી સ્વયંને બચાવી રાખે છે એ ભૂમિકાએ એમની નિદ્રાને યોગનિદ્રા કહેવાય છે .

આપણી આસપાસ જે લોકો રહે છે , જોવા મળે છે એમની પર ક્રોધ કરવો , નારાજગી બનાવવી , સ્પર્ધા રાખવી , આવેશ રાખવો , દ્વેષ કરવો , કાષાયિક ભાવ રચવા તે વૈરવિરોધ છે . ઘરમાં રહીને , દુકાન કે ઓફિસમાં બેસીને આપણે સતત કાષાયિક ભાવો બનાવતા રહીએ છીએ . આ ભાવો આપણી સાત્ત્વિકતાનો નાશ કરે છે . આખો દિવસ કાષાયિક ભાવો બનાવતા રહીએ અને રાત્રે એ જ કાષાયિક ભાવોની ધારામાં નિદ્રાધીન બનીએ ત્યારે જે નિદ્રા બને તે ભોગનિદ્રા છે . આનાથી વિપરીત હોય છે ઉપધાનના આરાધકો . તેઓ કાષાયિક ભાવોથી અને વૈરવિરોધથી સ્વયંને દૂર રાખે છે . તેઓ રાત્રે નિદ્રાધીન થાય ત્યારે કાષાયિક ભાવોથી અને વૈરવિરોધથી સ્વયંને બચાવી રાખે છે . આ ભૂમિકાએ એમની નિદ્રાને યોગનિદ્રા કહેવાય છે .

સાધક ધર્માત્માનાં બે લક્ષણ ખાસ હોય છે .
એક , સાચો સાધક કોઈપણ ધર્મપ્રવૃત્તિને આવતીકાલ પર ટાળતો નથી . ધર્મપ્રવૃત્તિ આવતીકાલે કરીશું એવાં બહાનાં જેને સૂઝે છે એ સાધના માટે લાયક બન્યો જ નથી . યાદ રાખજો . આજે ધર્મ કરવો છે તે આજે જ કરીશું એ બાબતમાં ધર્માત્મા એકદમ સ્પષ્ટ હોય છે . મને જે ધર્મ મળ્યો છે તે અતિશય દુર્લભ છે એવું ધર્માત્મા સમજતો હોય છે આથી ધર્મ માટે એને ઘણો બધો આદર હોય છે . આજે જે ધર્મ કરી શકાય છે એ ધર્મ આજે જ કરી લેવાનો . એ ધર્મને આવતીકાલ પર ટાળવાનો નહીં . એવો નિયમ ધર્માત્માએ હંમેશ માટે બનાવી રાખ્યો હોય છે .
બે , સાચો સાધક ફક્ત એ જ વિચાર કરે છે જે એને કરવું હોય છે . જે એને કરવાનું નથી એના વિચાર સાચો સાધક કરતો નથી . દાખલા તરીકે : સાધક જો સ્નાન નથી કરતો તો સ્નાન કરવાના વિચાર પણ નથી કરતો . સાધક જો રાત્રિભોજન નથી કરતો તો રાત્રિભોજનના વિચાર પણ નથી કરતો . સાધક જો નૃત્ય નથી કરતો તો સાધક નૃત્ય કરવાના વિચાર પણ નથી કરતો . આપણે જે કરવું નથી એના વિચાર આપણે કરવાના જ ન હોય . જે ઉચિત હોય એ કરવું છે . અને જે કરવું છે એના જ વિચાર કરવા છે આ પહેલો મુદ્દો છે . જે ઉચિત નથી એ કરવું નથી . અને જે કરવું જ નથી એના વિચાર પણ કરવા નથી આ બીજો મુદ્દો છે .

ઉપધાનના આરાધકોમાં તમને આ લાક્ષણિકતાઓ જરૂરથી જોવા મળશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *