Press ESC to close

વાતચીત અલગ હોય છે : સંવાદ અલગ હોય છે

વાતચીત અને સંવાદ

તમારી સાથે વાતો કરનાર દશ – બાર માણસોને તમે જે કહેવા માંગો છો તે કહી દો છો . તમને લાગે છે કે તમારે કહેવાનું હતું તે તમે કહી દીધું છે . તમે બોલી ગયા તે બધું બરોબર હતું એમ માનીને તમે ચાલો છો . તમને ખબર નથી . તમે બોલવા માંગો છો તે વાત અને તમે બોલી રહ્યા છો તે વાત એક હોતી નથી .

તમે બોલો છો તેમાં તમારા શબ્દો અને તમારી દેહમુદ્રા ( બોડી લેંગ્વેજ ) મોટો ભાગ ભજવે છે . તમે હા પાડો છો તેમાં ના પણ વાંચવા મળે . તમે ના પાડો છો તેમાં હા પણ વાંચવા મળે .  તમે બોલી શકો છો તેમાં તમારો આવેશ ઊભરાતો હોય . તમે બોલો તેમાં તમારો રાજીપો અને તમારી નારાજગી જોડાય . તમે શું બોલો છો તે અગત્યનું છે . તમે કંઈ રીતે તમે બોલો છો તે પણ અગત્યનું છે . કોઈ વાતમાં તમારો સહકાર જાહેર કર્યો હશે તે હકીકતમાં તમારો વિરોધ હોઈ શકે છે . તમે કોઈ મુદ્દે વિરોધ કર્યો હોય તે હકીકતમાં સ્વીકારની જાહેરાત હોઈ શકે છે .

તમે નાના બાળક નથી . મનમાં આવે તે જેમનું તેમ બોલવાની પ્રકૃતિ નથી તમારી . તમે બોલો છો તે પાછળ તમારી ચોક્કસ ધારણા હોય છે . તમે જે નથી બોલવા માંગતા તેની માટે પણ તમારો પોતાનો તર્ક હોય છે . તમને લાગતું હોય કે તમારી અઘોષિત ધારણા અને મનોગત તર્ક છૂપા રહે છે તો એવું નથી હોતું . તમે કહો નહીં તો પણ તમારાં મનની વાત વ્યક્ત થઈ જ જાય છે . તમે કેવળ તમારા શબ્દો દ્વારા તમારો બચાવ કરી શકતા નથી . તમે જે કાંઈ બોલ્યા તેમાં અક્ષરો અને વાક્યો તો ભાષાનાં સ્તરે બન્યા હતાં . તમે જે રીતે બોલ્યા તેમાં ભાવનાનું સ્તર પણ હશે . તમને લાગે છે કે તમારી ભાવનાઓમાં શું છે અને શું નથી તેની સામા માણસને ખબર નથી પડવાની . બોલતી વખતે તમે કેવી ભાવના સાથે બોલો છો તે સામા માણસને સમજાશે જ . સામો માણસ તમારી વાત સાંભળીને તમને સમજતો નથી . એ તમારા શબ્દોની ભીનાશ કે ખારાશ પામે છે . બોલનાર માટે નિયમ નથી કે એ મનમાં હોય તે જ બોલે . મનમાં ન હોય તેવું પણ બોલી જવાય છે . સાંભળનારનું પણ એવું જ છે . સાંભળનારો જે બોલાયું હોય તેને જ તે સાંભળે છે તેવું નથી .

સાંભળનારો પોતાનાં મનમાં ચાલતા વિચારોમાં રમતો હોય છે . એને તમે શું બોલો છો તેમાં રસ ઓછો છે . એને તમારી પાસેથી જે સાંભળવા મળે છે એમાં રસ છે . તમે બોલો છો તેમાં તમારો રસ કામ કરે છે . તમે બોલશો તેમાં તમારું મન ના પણ જોડાયું હોય . સામા માણસને શું સાંભળવું છે તેની કલ્પના તમને ન હોય અને તમારે જે બોલવું છે તે તમારી રજૂઆત દ્વારા સો ટકા સ્પષ્ટ ન થતું હોય  તો તમારા શબ્દો જરૂર એળે જવાના છે . તમારી વાતોમાંથી કોઈ અધૂરપ શોધી કાઢવામાં આવે છે તે તમને સમજાતી નથી કેમકે તમારે શું બોલવું છે અને સામા માણસને શું સાંભળવું છે એની સમજૂતી તમારાં મનમાં થઈ હોતી નથી . તમે અવાજ અને શબ્દોનો મેળ ગોઠવીને વાત કરો છો તો વાતચીત કહેવાય . તમે શબ્દો અને ભાવનાનો સુમેળ રચીને બોલો તે સંવાદ કહેવાય . તમે વાતચીત કાયમ કરો છો . તમે સંવાદ જવલ્લે જ સાધો છો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *