ગુરુની ઈચ્છાને યાદ રાખો . ગુરુ જે કહે છે તેમાં તેમની દૃષ્ટિ હોય છે , એમનો દૃષ્ટિકોણ હોય છે . જે ગુરુની દૃષ્ટિને સમજવાની કોશિશ કરે છે તેનાં જીવનમાં ચમત્કાર સરજાય છે .
તમને ખબર પડે કે આજનો આ દિવસ મારાં જીવનનો છેલ્લો દિવસ છે , તમે શું કરો ? તમને ખબર પડે કે અત્યારની ઘડીએ જે કલાક ચાલે છે તે મારાં જીવનનો છેલ્લો કલાક છે , તમે શું કરો ? તમે હેબતાઈને રોવા માંડો , તમે સૂનમૂન થઈ જાઓ , તમને સૂઝબૂઝ ન રહે એવું બને . શ્રી રાજવિજયજી મ.ને એમ સમજાયું કે મારી પાસે સમય બચ્યો નથી . એમને પોતે કરેલી આરાધનાઓ અને સાધનાઓ યાદ આવતી રહી . જે જે બાકી હતું એ બધું યાદ આવતું રહ્યું . એમાં આંબેલ યાદ આવ્યા , આંબેલ થયા નહીં અને કર્યા નહીં એય આવ્યું .
સહસા વિચાર આવ્યો કે જો હું સાજોનરવો બચી જાઉં તો આંબેલની આરાધના વધારવાની કોશિશ કરીશ , મારાથી આંબેલ થતાં નથી એ સમસ્યાને મારે મિટાવી દેવા જેવી હતી . અત્યાર સુધી એવી જ વાર્તા હતી કે ના , હું આંબેલ કરી શકીશ નહીં . એ વાર્તાને બદલવાનું મન , જીવનની છેલ્લી ક્ષણે થયું હતું . એક તરફ પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં આંબેલ પર પૂરતું ધ્યાન કેમ ન આપ્યું . બીજી તરફ ભાવના જાગી રહી હતી કે જો બચી જાઉં તો આંબેલ તરફ વિશેષ ધ્યાન આપવું છે .
એ ભયાનક પીડાનો સમય લંબાતો ગયો અને આંબેલનો વિચાર તીવ્ર બનતો ગયો . અચાનક જ ડૉ.એ ઑપરેશનનો પ્રસ્તાવ મૂક્યો : કદાચ , એનાથી દરદી બચી જાય . દાદાગુરુ અને ગુરુએ ઑપરેશન માટે હા ભણી . તુરંત ઑપરેશન થયું અને આનંદની વાત એ બની કે અશાતાએ ટૂંક સમયમાં જ વિદાય લીધી .
હવે પછીનો સમય આંબેલના એક સંકલ્પને સાકાર કરવા માટે આપવાનો હતો . શું આયુષ્ય સાચેસાચ પૂરું થઈ જવાનું હતું ? શું આમ અચાનક જીવનનો અંત આવી જવાનો હતો ? જો એમ થાત તો હું અત્યારે ક્યાં હોત ? કંઈ ગતિમાં હોત ? કેવી અવસ્થામાં હોત ? કોણ આવત ત્યાં મને બચાવવા ? તીવ્ર મનોમંથન ચાલ્યું . પાક્કો ફેંસલો કર્યો કે આંબેલની દિશામાં આગળ વધવું છે .
વિ.સં.૧૯૯૨ની સાલ હતી . વીસ વરસની વય હતી . વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખ્યો . એક આંબેલમાં જ જે કમજોર પડી જતા તેમણે એક આંબેલ – એક ઉપવાસ , બે આંબેલ – એક ઉપવાસ , ત્રણ આંબેલ – એક ઉપવાસ , ચાર આંબેલ – એક ઉપવાસ , પાંચ આંબેલ – એક ઉપવાસ , આ રીતે પાંચ ઓળી કરી . આંબેલમાં ઉબ અને ઊલટીઓ થતી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી . પાયા પછીનો પ્રવાસ આગળ વધ્યો . આંબેલનો ડર તૂટતો ગયો . ઓળીઓ આગળ વધવા લાગી . ચાલીસમી ઓળી સુધી પહોંચ્યા . આશ્ચર્યકારી ચમત્કાર સરજાયો હતો . જેનાથી એક આંબેલ થતું નહોતું એ આટલે દૂર સુધી આવી પહોંચ્યા .
આ તબક્કે દત્તુભાઈ નિપાણીવાળાની સાથે મુલાકાત થઈ . દત્તુભાઈને મળ્યા બાદ જીવનમાં નવો વળાંક આવ્યો . કોણ હતા આ દત્તુભાઈ ?
Leave a Reply