ગુરુ કહે તેમ કરવાનું બળ દરેક વખતે હોતું નથી આપણામાં . કોઈ કચાશ કે કમજોરી રહી જ જતી હોય છે . ગુરુને એ કચાશ કે કમજોરી યાદ હોય છે . ગુરુ. મોકો શોધતા હોય છે . એક જ મોકો કાફી હોય છે જેમાં આપણી કચાશ કે કમજોરી પર ગુરુ જનોઈવઢ ઘા ઝીકી દે છે .
પૂ.ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજાના સાતમા શિષ્ય બન્યા શ્રી રાજવિજયજી મ .
દાદા ગુરુદેવ . એમના શિષ્યો એટલે કે સ્વગુરુદેવના ગુરુભાઈઓ . પોતાના છ વડીલ ગુરુ ભાઈઓ . અન્ય અનેક વડીલો . સૌનો વિનય , સત્કાર , આદર . વિહારમાં , સ્થિરતામાં એકસરખો જાગૃતિભાવ રાખતા . આંબેલ ન ફાવે એનો અર્થ એવો નહોતો કે વિગઈઓનો શોખ હતો . એક કે એકાધિક વિગઈઓનો ત્યાગ રહેતો . એકાસણાથી ઓછું પચખાણ ગમતું નહીં . સમુદાયની સાથેસાથે રહેવાનું અને પોતાનું એકાંત બનાવેલું રાખવાનું . ઓછું બોલવાનું અને વધુ સાંભળવાનું . સમિતિપાલનમાં સુદૃઢ . ગ્રંથ , પુસ્તક અને પોથીમાં ખોવાયેલા રહેતા . ગૃહસ્થોની સાથે ભળવાનું ગમતું નહીં . ગુરુની જેમ જ કટ્ટર ચારિત્રપાલન કરવાનો પ્રયત્ન રહેતો . મેલા કપડાં . નજર નીચે ઢાળીને જ ચાલવાનું . રજોહરણની પ્રમાર્જના . મુહપત્તીનો ઉપયોગ . મન જ્ઞાનયોગનિમગ્ન . વચન સ્વાધ્યાય અને સૂત્ર સાથે સંલગ્ન . કાયા અહિંસા અને આરાધનામાં એકરત . શ્વાસે શ્વાસે ભગવદાજ્ઞા . રોમે રોમે સત્યતા . અણુઅણુમાં આત્મચિંતન . દિવસે દિવસે તેજોલેશ્યા વધતી હોય એવું ઓજસ . ગુરુસાંનિધ્યમાં મહાવિદેહની અનુભૂતિ સંવેદે .
સૌ મહાત્માઓને સાથે લઈને શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા મુંબઈ પધાર્યા . ચોમાસું શરૂ થયું . એક દિવસે શ્રી રાજવિજયજી મ.ને દાંતનો દુખાવો ઉપડ્યો . એની પીડા વધી ગઈ , વધતી ગઈ . ડૉ. યુ. ટી. શાહે ઉપચાર કર્યા પણ પીડા ઘટતી જ નહોતી . દાંતની નીચેના પેઢામાં સણકારા ઊઠવા લાગ્યા . ઉપચાર કામ ન લાગ્યા , દવાઓ નિષ્ફળ પુરવાર થઈ . એવી પીડા થવા માંડી કે જાણે જીવ નીકળી જશે ? દાંતનો સામાન્ય દુખાવો લાગતો હતો તે જીવલેણ વ્યાધિ બની ગયો હતો . દાદા ગુરુદેવ અને ગુરુદેવને દેખાઈ રહ્યું હતું કે આયુષ્ય જોખમમાં છે .
અચાનક આ શું થઈ ગયું હતું . કેવળ ૨૧ વરસની વય હતી રાજ મુનિરાજની . તેમને દાંતની તકલીફ થાય એવી આ ઉંમર નહોતી . વળી , દાંતનો દુખાવો પ્રાણાંતકારી બની શકે એવી કલ્પના પણ ન કરી શકાય .
શ્રી પ્રેમવિજયજી મહારાજાએ શ્રી રાજવિજયજી મ.ને માનસિક ધીરજ બંધાવીને અંતિમ સમય માટે તૈયાર થઈ જવા કહ્યું . ત્રણ જ વરસનો દીક્ષા પર્યાય હતો . વરસો . .વરસો સુધી શુદ્ધ ચારિત્રપાલન કરવાનો મનોરથ હતો પરંતુ આદર્યા અધૂરા રહ્યાની અવસ્થા આવી લાગી હતી . શું જીવન આટલું ક્ષણભંગુર હોઈ શકે ? શું આયુષ્ય આવું નાજુક હોઈ શકે ? શું યુવાવયે અલવિદા લેવાની હોય ? પ્રશ્નો જ પ્રશ્નો હતા . રાજમુનિરાજના શ્વાસ ડગમગી રહ્યા હતા . ગુરુદેવ શ્રી પ્રેમવિજયજી મહારાજાએ કાનમાં કહ્યું હતું કે ‘ કોઈ શુભ સંકલ્પ લો . જો બચી ગયા તો જે કરવાનું જ છે એવું કોઈ સુકાર્ય મનમાં લાવો . એ સંકલ્પ તમને બચાવી શકે છે ….
શ્રી રાજવિજયજી મ. એ પારાવાર પીડા વચ્ચે મનને સંભાળ્યું હતું . એક સપનું સજાવ્યું હતું . ખબર નહોતી કે એ સપનું પૂરું કરવાનો સમય મળશે કે નહીં , પણ ખૂબ ગંભીરતાપૂર્વક સપનું જોયું હતું . મીંચાવાની કગાર પર પહોંચેલી આંખોમાં એ સપનું ચમક વેરવા લાગ્યું હતું . શું હતું એ સપનું ? શું એ સપનું પૂરું થઈ શકવાનું હતું ? સવાલ ઊભા હતા . સમય ધીમા પગલે આગળ વધી રહ્યો હતો . ( ક્રમશ: )
Leave a Reply