કાળધર્મ પછીની આખી પરિસ્થિતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લીધી હતી . પોતાના મેધાવી વિદ્યાર્થી માટે તેઓ વહેલી સવારે નીકળીને આવવાના હતા પરંતુ તેઓ નીકળે તે પૂર્વે કાળદેવતાએ પોતાનો ધર્મ બજાવી દીધો હતો . શ્રી સંવેગરતિવિજયજી મ.ની અંતિમ યાત્રાનુું આયોજન શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન્ જૈન સંઘ – ટિંબર માર્કેટના ઉપક્રમે થશે એવો નિર્ણય સૂરિ ભગવંતના આદેશ અનુસાર લેવાયો . છત્રીસ વરસના ઈતિહાસમાં પહેલીવાર ટિંબર માર્કેટથી કોઈ મુનિભગવંતની પાલખી નીકળવાની હતી . જોતજોતામાં ચારેકોર સમાચાર ફેલાઈ ગયા હતા . જય જય નંદાના ઉદ્ઘોષ સાથે એમની કાયાનું ઉપાશ્રયમાં આગમન થયું હતું .
વૈશાખ વદ ચોથના દિવસે જ અગ્નિસંસ્કાર કરવાનો હતો . સૂરિભગવંતે મહાપારિષ્ઠાપાનિકાની વિધિ કરીને પાવન દેહ ગૃહસ્થોને સોંપ્યો હતો . શ્રુતભવન પરિવારને અંતિમસ્નાનનો મોટો લાભ મળ્યો હતો . સૂરિભગવંતના નિર્દેશન અનુસાર મુંબઈથી એક સુંદર પાલખી આવી પહોંચી હતી . પાલખીમાં સદ્યઃસ્નાત મુનિકાયાને બિરાજમાન કરવામાં આવી . નિર્ધારિત સમયે અંતિમ યાત્રા નીકળી હતી . પૂનાના માર્ગ પર બેન્ડવાજાનું સંગીત વહેતું થયું હતું . જેમણે પોતાની આગળ બેન્ડ ચાલતું હોય એવી પરિસ્થિતિને વારંવાર ટાળી હતી એમને પૂનાનું બેન્ડ સલામી આપી રહ્યું હતું . પોતાનાં નામની જય બોલાય , એવી પરિસ્થિતિને જેમણે હંમેશા દૂર રાખી હતી એમની આગળ જય જય નંદા અને જય જય ભદ્દાના ઉદ્ઘોષ ગાજી રહ્યા હતા . જેમણે ભક્તોની ભીડથી પોતાની જાતને ખૂબ જ સભાનતાપૂર્વક દૂર રાખી હતી તેમની આસપાસ વિશાળ સંખ્યામાં ભાવિકો ચાલી રહ્યા હતા . જેમણે આત્મોદ્ધાર કાજે પોતાની જનમભૂમિ/કરમભૂમિ સ્વરૂપ પૂનાનો પરિત્યાગ કરી પરમનો પંથ સ્વીકારી લીધો હતો એમને અંતિમ વિદાય આપવા પૂનાનો સંઘ વિશાળ સંખ્યામાં મૌજૂદ હતો . એમના જૂના કલ્યાણમિત્રો પણ આવ્યા હતા . મુક્તિ ધામ ધોબી ઘાટમાં ચંદનચિતા રચાઈ હતી એની પર એમની પાલખી બિરાજીત થઈ હતી . અમદાવાદમાં વરસોવરસો સુધી વિદ્યાર્થી બનીને સેવા કરનારા યુવાનોએ અગ્નિસંસ્કારનો ચડાવો લીધો હતો . ભાયાણી પરિવારના સર્વ સ્વજનોની સાથેસાથે એ યુવાનોએ પાલખીને ત્રણ પ્રદક્ષિણા આપી હતી . અનંત આસમાનની છત્રછાયા હેઠળ સ્વજનોએ અને અમદાવાદના યુવાનોએ , ધ્રુજતા હાથે અને ભીની આંખે એ સાધકદેહને અગ્નિ સ્પર્શના આપી હતી . પલકવારમાં આગની જ્વાળાઓ ફેલાઈને ભડભડ કરતી ઉપર ઊઠી હતી . ધુમાડો આકાશને આંબવા માટે ઊર્ધ્વ દિશામાં ચોતરફ ફેલાઈ ગયો હતો .
ટિંબર માર્કેટમાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યા હતા . પૂ. આ. શ્રીમદ્વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ હિતશિક્ષા આપવાપૂર્વક ગુણાનુવાદ કર્યા હતા . પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ને એમણે સાચી આત્મીયતાથી સાંંત્વના આપી હતી .
———————
+ શ્રુતભવનના – સુ. ભરતભાઈ , સુ. સચિનભાઈ , સુ. મનોજભાઈ , સુ. આશુતોષભાઈ , સુ. રાજેન્દ્ર ભાઈ , સુ. લલિતભાઈ , સુ. ઓમજી ઓસવાલ , કીર્તિભાઈ , પ્રદીપ આદિ મહાનુભાવોએ ખૂબ લાગણીપૂર્વક સેવા કરી હતી અને ભરપૂર આશીર્વાદ મેળવ્યા હતા .
+ પૂના હોસ્પિટલના વ્યસ્થાપકો – સુ. દેવીચંદજી કેસરીમલજી જૈન , સુ . ડાહ્યાભાઈ શાહ , સુ. ભબુતમલજી જૈન તેમ જ ડોક્ટર્ ડૉ. વિનય થોરાત , ડૉ. અજિત તાંબોળકર , ડૉ. સંદીપ વાજૂલ , ડૉ. સંદીપ શાહ , ડૉ. રેખા ધનવાણી આદિએ અથ થી ઈતિ સુધીનું આરોગ્ય ઉપચારનું ધ્યાન રાખ્યું હતું .
+ અગ્નિ સંસ્કાર સંબંધી વ્યવસ્થાઓ , શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન સંઘ – ટિંબર માર્કેટ , શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ટેમ્પલ ટ્રસ્ટ – કેંપ , શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ – ભવાની પેઠ તેમ જ શ્રી શ્રુતભવન સંશોધન કેન્દ્ર – કાત્રજના કાર્યકર્તાઓએ કરી હતી .
————————–
ભાયાણી પરિવારની બે માતાઓ , જયાબેન સુરેશભાઈ ભાયાણી અને કોકિલાબેન અનિલભાઈ ભાયાણી , પોતપોતાનાં ઘરમાં , પરિવારની સાથે પૂનામાં જ રહે છે . બેય વચ્ચે સગી બહેનો જેવો આત્મીય ભાવ છે . જૈનધર્મ સાથે જોડાયા પૂર્વેના સુરેશભાઈ કેવા હતા તે આ દેરાણી જેઠાણીએ બહુ નજીકથી જોયું છે . તેમના ભરપૂર શોખ , અદમ્ય સાહસ , સુપર નોલેજ અને અન્ય બાબતોના કંઈકેટલાય કિસ્સા એમને યાદ છે . એમનાં પૂર્વજીવનની એ બધી વાતોનું સંકલન કરવામાં આવે તો એક નવું પુસ્તક તૈયાર થઈ જાય . હરિદાસભાઈના પુત્ર સુરેશભાઈ , પૂર્વજીવનમાં કેવા હતા અને પછી કેવી ઊંચાઈએ પહોંચી ગયા એનું ધન્ય સ્મરણ એમને અહોભાવિત બનાવી રાખે છે .
———————
એક ફોટો છે શ્રુતભવનનાં કલેક્શનમાં .
એમાં એક સંથારો બિછાવેલો દેખાય છે જેની પર સફેદ ઉત્તરપટ્ટાનું વસ્ત્ર છે . આ શય્યા ઉપર જ પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. શુભનિદ્રા સાથે વિશ્રામ કરતા રહેતા . ઉપકરણો પાથરેલા દેખાય છે . એક ઓઘો છે : પીળા રંગની જાડી દશીઓ ભરપૂર છે . ઓઘારિયું ઊનનું છે . દોરી વીંટાળીને ગાંઠ મારી છે તે ઉપરની તરફ . વચોવચ મોટી મુહપત્તી છે . આ ઓઘો મુહપત્તી એમના પ્રાણપ્રિય સંગાથી રહ્યા . એક ગડી વાળેલી લાલ પટ્ટીની ગરમ કાંબળી છે . એમણે કાયમ આવી જ કાંબળી વાપરી . સ્થાપનાજી છે જેની સમક્ષ આવશ્યક ક્રિયાઓ થતી . એમની આરાધના અને સાધનાનું ઊર્જાબળ આ સ્થાપનાજીમાં સંગૃહીત છે . બે ટોકસા , એક ટોકસી અને એક ચમચી છે . ગોચરી અને પાણી વાપરવાનું માધ્યમ આ પાત્રો બન્યા . એક નવકારવાળી છે જેની પર એમણે અપરંપાર જાપ કર્યો . એમની આંગળીનો સ્પર્શ એના મણકાઓમાં જીવંત છે . એક મોટી ફ્રેમના ચશ્મા છે . કેટલો બધો સ્વાધ્યાય થયો હશે આ ચશ્મા થકી ? હિસાબ ન થઈ શકે . બે પુસ્તક છે જેનો ઉપયોગ રોજીંદા સ્વાધ્યાયમાં થતો રહ્યો . સતત વપરાશને લીધે ઘસાઈને પીળા પડી ચૂકેલાં પાનાઓમાં એમનો આતમા વસેલો છે જાણે . પ્રચંડ કર્મનિર્જરાનું સર્જન સ્વાધ્યાય કરે અને એમના નિયમિત સ્વાધ્યાયને ટેકો આપે એવું કૌવત આ પુસ્તકોમાં . અને એક ગ્રંથ છે , નામ : संवेगरति . એમનાં નામને અમર બનાવતો એ ગ્રંથ એમની કથાને વર્ણવી શક્યો નથી . એ ગ્રંથમાં કેવળ ઉપદેશ છે જે એમણે સિંચ્યો હતો . પરંંતુ संंवेेगरति આ નામ – આગામી પેઢીઓને એમની એ કથા કહેતું રહેશે જેમાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિઓ અપરંપાર વર્તાય છે . ( સમાપ્ત )
Leave a Reply