સુરેશભાઈને સંબંધોમાંથી રસ ઉડી ગયો હતો . બે બાળકો , મારા દીકરા છે એ રીતે એ વિચારતા નહોતા . બે બાળકો દીક્ષાને લાયક જીવો છે એમ એ વિચારતા . આ બાળકોએ જૈન ધર્મ માટે આદર બનાવ્યો છે તો એમનાં મનમાં વસેલો એ આદર જે તોડી શકે છે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ , આ બાળકોએ દીક્ષા માટે મન બનાવ્યું છે તો એમનાં એ મનને બદલી શકે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ એવી તકેદારી એમણે લેવા માંડી હતી . ભાયાણી પરિવારમાં બાળકોના દાદાદાદી , મમ્મી , કાકાકાકી , ભાઈઓ અને બહેન હતા તે સૌ બાળકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા . સુરેશભાઈ એમને સલામતીની સરહદ તૂટે નહીં એટલું જ મળવા દેતા . બાળકોનો કબજો પોતાના હાથમાં રાખવાની વૃત્તિ નહોતી , બાળકોના આત્માની ચિંતા હતી .
બાળકોના પાંચ મામાઓ તેમજ સુરેશભાઈના માસામાસી , ફોઈફુઆ અને નાની મુંબઈમાં રહેતા . સુરેશભાઈએ બાળકોને સ્કૂલમાંથી ઊઠાડી મૂક્યા છે એ સમાચાર જે જે સ્વજનોને મળ્યા તે સૌ ભડકી ઊઠ્યા હતા . જયાબેનનો પિયર પક્ષ એટલે ખીરૈયા પરિવાર . સુરેશભાઈ જયાબેનને છોડીને જઈ જ ન શકે આ બહુ મોટો મુદ્દો હતો . બાળકોનો મુદ્દો એનાથીય મોટો થઈ ગયો . પૂનાનો ભાયાણી પરિવાર , મુંબઈનો ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનો એકબીજાના સંપર્કમાં આવ્યા . સૌનો એક જ વિચાર બન્યો કે સુરેશભાઈને રોકવા જોઈએ અને એ ન રોકાય તો કમસેકમ બે બાળકોને બચાવી જ લેવા જોઈએ . યોજના એવી બની કે સુરેશભાઈને ખબર ન પડે એ રીતે બાળકોને ઊઠાવી લેવા , એકવાર બાળકો બાપથી છૂટા પડી જાય એટલે આ દીક્ષાની વાતો ખતમ જ થઈ જશે .
સુરેશભાઈને આ યોજનાની ગંધ આવી ગઈ . વિનોદભાઈના બંગલે મોટું ટોળું આવે , તોફાન મચાવે અને બાળકોને ઉપાડી જાય એવા ચાન્સીસ વધી ગયા હતા . એમણે વળી નવો પ્લાન બનાવ્યો . કોઈને કાંઈ સમજાય તે પૂર્વે તેઓ એક દિવસ વિનોદભાઈના બંગલેથી નીકળીને ગુપ્તરીતે ભીખુભાઈના પુત્ર અશોકભાઈનાં ઘરે પહોંચી ગયા . અહીંથી રાત્રે રવાના થઈ , કોઈ હોટેલમાં રાત રોકાયા . કોઈ પીછો કરતું આવે તો પકડાઈ ન જવાય તે માટે રજિસ્ટરમાં નકલી નામ લખાવ્યું . બીજા દિવસે બસમાં બેસી પૂનાથી રવાના થયા અને મંચર પહોંચી ગયા . થોડાદિવસનો નિવાસ કુમારપાળભાઈ સમદડિયાનાં ઘરે થયો . સમદડિયા પરિવારે ભરપૂર લાગણીપૂર્વક આગતાસ્વાગતા કરી અને પ્રાયવસી પણ જાળવી . ભાયાણી પરિવાર , ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનોમાંથી કોઈને ખબર ન પડે એ રીતે થોડા દિવસ રહ્યા બાદ જુન્નર આવી ગયા , જૈન બોર્ડિંગમાં રોકાયા .
એસ્કેપિઝમને એક થેરાપી અથવા થિયરી તરીકે જોવામાં આવે છે . તમારી અંદર તમારું એક અલગ જ વ્યક્તિત્વ વસે છે , રોજીંદુ વાતાવરણ તમને એક ઘરેડમાં બાંધી લે છે . તમારે થોડાક સમય માટે એ વાતાવરણ અને એ ઘરેડથી દૂર ભાગવાનું હોય . દૂર ભાગવું એટલે એની છાયામાંથી બહાર આવીને રહેવું . તમે ઘરેડની છાયામાંથી બહાર આવો છો એ તમારું એસ્કેપિંગ છે . પીઠ દેખાડીને ભાગવાની વાત નથી . પીઠ ફેરવ્યા વગર પાછા ફરવાની વાત છે . જુન્નર જૈન બોર્ડિંગમાં એકસો જેટલા જૈન વિદ્યાર્થીઓ રહેતા હતા . પરિવારને અને ઘરને ભૂલવાની તાલીમ લેવાની હતી . કોઈ સૂમસામ જગ્યાએ રોકાયા હોત તો એકલવાયાપણું ભારે પડી જાત . બોર્ડિંગના વિદ્યાર્થીઓને પૂનાના મહેમાનો સાથે મજા પડી ગઈ . પૂનાના ત્રણ મહેમાનો બોર્ડિંગના વિદ્યાર્થીઓના સંગમાં રહીને પૂનાને ભૂલી ગયા .
જોકે , ત્રણેયને ખબર હતી પૂના છોડ્યું એને લીધે ભાયાણી પરિવાર અને ખીરૈયા પરિવારમાં મોટો ભૂકંપ આવ્યો હશે . (ક્રમશઃ)
૧૫ . પૂના છોડ્યું
Previous Post
૧૪ . પિતા અને પુત્ર
Next Post
Leave a Reply