હર ઘડી હર પળ આત્મચિંતન ચાલતું રહેતું : મારો ભૂતકાળ કેવો હતો ? કેવાકેવા ખેલ હું કરતો હતો ? મારી ભૂલોને હું સુધારત નહીં તો આજે મારી કેવી હાલત હોત ? ગુરુએ આવતાવેંત ચમત્કાર કરી દીધો હતો . આજે હું જે છું તે મારા ગુરુના પ્રતાપે છું . મારા પ્રભુનું માહાત્મ્ય મનેં ગુરુએ જ સમજાવ્યું છે . હવે હું પહેલાં જેવો નથી રહ્યો . ગુરુએ જાદુઈ છડી ફેરવી છે . પહેલાં હું સુખનો , સામગ્રીનો અને સંપત્તિનો દાસ હતો . આજે હું દેવ , ગુરુ અને ધર્મનો દાસ છું . હું હવે પ્રભુચરણોમાં સહીસલામત છું .
આ ચિંતનને અનુરૂપ સ્તવનો એમને બહુ ગમતા . એક સ્તવન એ ખૂબ ભાવપૂર્વક ગાતા : हुं तो पायो प्रभुजीना पाय के आण न लोपुं रे . આવું જ આત્મ ગર્હા ગર્ભિત બીજું પદ એમને ઘણું ગમતું : हुं नटडो थईने नाटक केवा नाच्यो हो जिनवरिया , આવાં પદો ગાતી વખતે અથવા સાંભળતી વખતે એમની આંખો પર ભીનાશ છવાઈ જતી . રાજીમતીના બારમાસાની સજ્ઝાય – सखी तोरण आवी कंथ गया निज मंदिरे , કંઠસ્થ હતી તે ગાતા અને હજી મને મોક્ષ મળ્યો નથી એવા ભાવ સાથે રિક્તતા અનુભવતા .
સાધકે બે બાબત સતત યાદ રાખવાની છે . પહેલી વાત એ કે હું ભૂતકાળમાં સારો માણસ નહોતો . નિરાશા બનાવ્યા વિના ભૂતકાળને યાદ કરીએ તો ભૂતકાળ ઘણોમોટો બોધપાઠ આપી શકે છે . બીજી વાત એ છે કે મારું ભવિષ્ય સારું બને એની માટે મારે પવિત્ર ટેન્શનનો થોડો દબાવ મારી જાત પર રાખવાનો હોય . મારે સાધનામાં હજી શું કરવાનું બાકી છે તેનું અવિરત સ્મરણ મનમાં રાખવું જોઈએ . ભવિષ્ય અંગેની સ્પષ્ટ કલ્પના જે કરી શકે છે તેને આળસ કે અન્ય કમજોરીઓ એક મુકામ પર અટકાવી શકતી નથી . મોક્ષ , તેરમું ગુણસ્થાનક અને છઠ્ઠાસાતમા ગુણઠાણાની ઊંચાઈને શાસ્ત્રોએ જે વર્ણવી છે તેનો સ્પર્શ મને ક્યારે થશે એની કલ્પનાત્મક ચિંતાઓ એ કરતા જ રહેતા .
તેમનામાં આ બેય ચિંતન અખંડભાવે ઝળહળતા હતા . એટલી હદે એ જાગૃત હતા કે એમનું એક મહાન્ સન્માન પણ એમણે સ્વીકાર્યું નહીં . બનેલું એવું કે એમનું નામ ઈતિહાસમાં નોંધાયેલું રહે એવી ભાવનાથી એમના પુત્રમુનિ શ્રી પ્રશમરતિ વિજયજી મ.એ સંસ્કૃત ભાષામાં એક ઉપદેશગ્રંથ લખ્યો . એ ગ્રંથનું નામ રાખ્યું : संवेगरति . એક પુત્ર પોતાના પિતાનાં નામ પર ગ્રંથ લખે એવું ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું . આ ગ્રંથની પ્રથમ કોપી અમદાવાદના ઉમંગભાઈ શાહે એમના હાથમાં મૂકી , સરપ્રાઈઝ રૂપે . ઉમ્મીદ એવી હોય કે પોતાનાં નામ પર ગ્રંથ રચાયો એનાથી એ રાજી થાય પરંતુ તેઓ રાજી થવાને બદલે નારાજ થઈ ગયા . મારાં નામનો ગ્રંથ બનાવવાની શું જરૂર ? આ પ્રશ્ન એમના અતલ ઊંડાણમાંથી આવ્યો હતો . એમણે ગ્રંથ જોયો , શ્લોકો વાંચ્યા અને કહ્યું : મારામાં એવું શું છે કે મારાં નામે ગ્રંથ લખવો પડે ? આ એમનો સવાલ હતો . કમાલની વાત એ બની કે શ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ , संवेगरति ગ્રંથ લખવા બદલ એના રચયિતાને મોટો ઠપકો આપ્યો હતો .
પોતપોતાના કાર્યક્રમોના મોટામોટા સમાચાર બનાવવાનું અને ફેલાવવાનું આજે સર્વસામાન્ય થઈ છે . આવા સમયમાં એમનાં નામનો ડંકો વાગી જાય એવું એક કાર્ય એમની જાણબહાર સંપન્ન થઈ ગયું હતું . એનાથી એ હરખાયા નહીં , બલ્કે એમણે સંકોચ અનુભવ્યો . પોતાના માન કષાયને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ નહીં , આ હતું એ મહાન્ સાધકનું ગણિત . મારું નામ ચમકાવવાનો મને કોઈ અભરખો નથી , તમારે પણ એવા અભરખા રાખવાના નહીં , એમણે પુત્રમુનિને કડક ભાષામાં સમજાવી દીધું હતું .
આપણું નામ એકાદ છાપામાં એકાદ વાર છપાય તો પણ આપણે એનું પેપરકટિંગ જિંદગીભર સાચવી રાખીશું . આપણે એવા નામનાપ્રેમી છીએ . એમનાં નામ પર તો એક આખો સંસ્કૃત ગ્રંથ લખાઈ ગયો હતો છતાં એમણે એ ગ્રંથને પોતાનો અહમ્ પોસવાનું માધ્યમ ન બનવા દીધો . ( ક્રમશઃ )
Leave a Reply